Monthly Archives: October 2008


સાલ મુબારક = છેલ્લી યાચના (ઉમાશંકર જોશી)

આ છેલ્લી યાચના આપ પાસે, મારા ઉંડા છેક અંતસ્થલેથી છેદી નાખો ક્ષીણતા સર્વ મારી પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી ! સુખોને ય જીરવી જાણવાની શક્તિ દેજો દુઃખમાં એહવી કે દુઃખો મારાં શાંત મોંએ હસીને પોતે પોતાની જ પામે ઉપેક્ષા. શક્તિ દેજો ભક્તિની નાથ એવી જેણે મારા કર્મ સાફલ્ય પામે જેણે મારાં દુન્યવી સ્નેહ પ્રેમ મ્હેંકી ઉઠે પુણ્યના પોયણાં શાં, કંગાલોને જ્ઞાનહીણાં કરું ના, જાલીમોને પાય ઝૂકી પડું ના, ઉંચે માથે ક્ષૂદ્રતાની વચાળે ચાલું એવી શક્તિ આપો, પ્રભુજી ! શક્તિ દેજો આપને પાય નામી પોતાને હું સ્થિર રાખું સદૈવ.  – ઉમાશંકર જોષી કવિ શ્રી ઉમાશંકર જોષી જેમ આ કવિતામાં પ્રભુ પાસે પોતાના હ્રદયના ઉંડાણમાં રહેલી ક્ષીણતાને અને નબળાઈઓને પૂરી તાકાતથી ખડગ ઝીંકીને દૂર કરવાની યાચના કરે છે. કવિ સુખોથી છકી ન જવાની અને દુઃખને હસતા મોંએ સહન કરવાની ક્ષમતા માંગે છે, કવિ પ્રભુ પાસે ભક્તિની શક્તિ માંગે છે, જેનાથી ઉમદા જીવનકાર્યો સિધ્ધ કરી શકાય અને જગતના લોકો પ્રત્યેનો પ્રેમ મહેકી ઉઠે. કોઈ જ્ઞાનથી વંચિત ન રહે તો બીજી તરફ જાલીમોથી ડરીને તેમને તાબે ન થવુ પડે અને જગતમાં ખુમારી પૂર્વક જીવી શકાય તેવું જીવન પ્રભુ આપણને આપે. દિવાળીના પર્વે આ જ પ્રાર્થના પ્રભુને. સર્વે વાચક મિત્રોને શુભ દિપાવલી અને નવા વર્ષે પ્રભુની કૃપાના પાત્ર બનો એ જ ઈચ્છા સાથે સાલ મુબારક !


મને એ સમજાતું નથી – કરસનદાસ માણેક 5

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે ! ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર, ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે ! દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે ! કામધેનું ને મળે ના એક સુકું તણખલું, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે ! છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું, ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!! – કરસનદાસ માણેક


નામ તારું – સૈફ પાલનપુરી

કાલ હું તારી ગલીમાં ભૂલથી આવી ચઢ્યો. વર્ષો પહેલાંનો પરિચિત માર્ગ એ વર્ષો પહેલાંનું પરિચિત એ મકાન મારા પગ થંભી ગયા તું નજર સામે હતી સાડીનો પણ એ જ રંગ એ જ આંખો એ જ એ મતવાલી ચાલ એ જ છલકાતી જવાની એ જ છલકાતો પ્રણય આટલા વર્ષો પછી. તારામાંથી કાંઈ ઓછું થઈ શક્યું નો’તું અને એ ભર્યા વિસ્તારમાં કોઈની પરવા વગર મેં તો સંબોધન કર્યું નામ તારું હોઠ પર આવી ગયું ઊંઘ ખંખેરીને જાણે સ્વપ્ન ખુદ જાગી ગયું. – સૈફ પાલનપુરી


ખોટો એક રૂપીયો – આત્મકથા

મારા હિસાબે તો તમે ઘણા જ નસીબદાર છો કે તમને કમ સે કમ એટલી તો ખબર જ છે કે તમારાં માતાપિતા કોણ છે ! એ અર્થમાં હું તો એવો લાવારિસ છું કે મને એ પણ ખબર નથી કે મારાં જન્મદાતા કોણ છે. મૂલ્યની દ્રષ્ટીએ મારું મૂલ્ય પૂરેપૂરું સો પૈસા એટલે કે એક રૂપીયો છે પણ મને તો તમને કહેતા પણ શરમ આવે છે કે હું એક રૂપીયાનો ખોટો સિક્કો છું. ગઈકાલે આ દુકાનના શેઠનો આઠમાં ધોરણમાં ભણતો દીકરો એની ગુજરાતી વાચનમાળાનો ખોટી બે આની નામનો પાઠ મોટેથી વાંચતો હતો ત્યારે એના લેખક શ્રી જ્યોતિન્દ્ર દવેએ જેમ પૂછ્યું છે તેમ મને પણ ઘણી વાર મારા જન્મદાતા વિશે પૂછવાનું મન થાય છે કે કયો મોરલો આ કળા કરી ગયો? પણ હજુ સુધી એ માડીનો જાયો મને મળ્યો નથી. દુકાનના ઉંબરા પર મારી સમાધિ રચાઈ તે પહેલાની મારી આ સંસારની ભ્રમણયાત્રા અત્યંત રોચક અને રસપ્રદ છે. મને “Back to pavilion” નો કડવો અનુભવ મ્યુનિસિપલ બસના કંડક્ટરે સહુથી પહેલી વખત કરાવ્યો. જે કાકાના હાથમાં હું રમતો હતો તેમણે પોતાના સિનિયર સીટીઝનના પાસ માટે રૂ. ૧ ની ટિકિટ લેવા જેવો મને કંડક્ટરના હાથમાં મૂક્યો કે અનુભવી કંડક્ટરે આ કાકાનાં હાથમાં ગુસ્સે થઈને મને પાછો પકડાવી દીધો. કાકાએ ઘેર આવી સૌને પોતાની ફજેતીની વાત કહી એટલે તેમના પૌત્રે ‘લાવો હું કોઈકને પકડાવી દઈશ’ ના આત્મવિશ્વાસ સાથે મારો હવાલો લઈ લીધો. આ જુવાનિયાએ મને આમ તો સીધીરીતે ઘણાંયને પકડાવી દેવાના પ્રયત્નો કર્યા પણ તેની કોઈ ચાલ કામયાબ ન થઈ. ચ્હા પી હોટલવાળાને પાંચ રૂપીયાના છુટ્ટા આપવાના પરચૂરણમાં મારો સમાવેશ કર્યો, પણ પેલાએ મને પાછો કરતાં કહ્યું ‘આ ખોટો […]


હજુયે યાદ છે – રઈશ મનીઆર 7

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે -રઈશ મનીયાર સુધારા સૂચવવા માટે આભાર, અને ભૂલ બદલ ક્ષમા…..


શિયાળુ પવનોની વાત – પીયુષ ઠક્કર 2

સાંભળે છે કે! આંખોમાં આકાશ સમેટાઈ રહ્યું છે. તારોડિયા, ચાંદો ને સૂરજ બધ્ધાયે બધ્ધા ઉડીને વડલે ચોંટ્યા છે ને વડલો જો’તો તળાવડીમાં ઉતર્યો છે. ને તળાવડીએ ઉગ્યા છે લીલા મોટા વેલા વેલે ચરે છે વડલાના બગલા બગલે ભાળી’તી એ તો ભેંસો એક બપોરે પાણીએ ઉતરી’તે વેલે વેલે કોણ જાણે ક્યા પેટાળે જઈ પૂગી છે જો સાંભળ ! મધરાતોનાં ગજરા ભાંગે એવું બને નહીં હવે લાગે છે થીજતા જાય છે અવાજોનાં ટોળાં શ્વાસોના કિનારે કિનારે હોલવાતી જાય છે ઝીણેરી આ હથેળીઓની છાપો ને એમાં છવાતી જોઉં છું શિયાળુ પવનોની ભીની ભીની શેવાળ સાંભળ્યું છે ને! – પીયુષ ઠક્કર


કારગીલ – પરવેઝ મુશર્રફનો દ્રષ્ટીકોણ 4

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફની આત્મકથા કે કથની ઈન ધ લાઈન ઓફ ફાયર મારા હાથમાં આવી. આમ તો તેને વાંચવાની ઈચ્છા ઓછી હતી પણ જેણે મને એ પુસ્તક આપ્યું તેણે મને કારગીલ વિશેના પ્રકરણને વાંચી જવા સૂચવ્યું. માણસ પોતાની ભૂલ કે ખંધાઈને કેવા કેવા ઓથા અને અંચળા હેઠળ છુપાવી શકે છે તે જોવા પણ આ પ્રકરણ વાંચી ગયો. પોતાના અસત્યને અને ખોરી દાનતને તેમણે શબ્દોમાં કેમ મઠારી છે તે દર્શાવવા આનું અક્ષરશઃ ભાષાંતર કર્યું છે. આતંકવાદીઓ કે ત્રાસવાદીઓ કે ઘૂસણખોરોને તે આઝાદીના લડવૈયાઓ કહે છે….અને છડેચોક સ્વિકારે છે કે તેમને પાકિસ્તાન સેનાએ મદદ કરી….અને છતાંય હજી આ લખવા જેટલી હિંમત તેમનામાં છે…..આ ભાષાંતરનો ઉદ્દેશ્ય એક જ છે, એ સમજવું કે આપણા સૈનિકો ફક્ત પાકિસ્તાની સૈનિકોજ નહીં પણ કહેવાતા નાગરીક ધૂસણખોરો સામે પણ લડે છે, એ પણ એવી જગ્યાઓ પર જ્યાં બે ઘડી ઉભું રહેવું એ આપણા માટે વિચારવાની વસ્તુ છે.  ——> કારગીલ સમસ્યાને સમજવા એ કહેવુ જરૂરી છે કે કારગીલ એક વખતમાં થયેલી તકલીફ ન હતી. પણ એ આવા ઘણા ફેરફારો અને તેના જવાબમાં થયેલ ફેરફારો હતા જે ભારત અને પાકિસ્તાન પહોચી પણ ન શકાય તેવા, બરફથી ઢંકાયેલ વિસ્તારોમાં રાજકીય ચાલોથી રમતા હતા. ભારત એવા વિસ્તારો કબજે કરી લેતું જેમાં અમારી હાજરી ખૂબ પાતળી રહેતી, અને અમે પણ એમજ કરતાં. આ રીતે તેમણે સિયાચીન કબ્જે કર્યું હતું. અને આ જ રીતે કાશ્મીરની આઝાદી માટે લડતાં મુજાહીદ્દીન કારગીલની એ ઉંચાઈએ પહોચ્યા હતા જે ભારતીય સેનાએ ઠંડીની મોસમને લઈને ખાલી કરી હતી. ઓક્ટોબર ૧૯૯૮માં ભારતે દાવો કર્યો કે તેણે બે પાકિસ્તાની હુમલાઓ સિયાચીન વિસ્તારમાં પાછા વાળ્યા, ઓક્ટોબર ૧૬ અને ૧૮. મારો સ્ટાફ […]


શાંતુ બા – વિકાસ બેલાણી

“ઝુકી રાખી ઢાંકી અરધા પરધા પાલવ થકી, પીવાડી રહી ઉછંગે અનર્ગળ અમૃત ઝરા, મને એ ચક્ષુમાં પ્રભુ, જગત તિર્થોનન મળ્યું  “ એમનું નામ શાંતુબા. અમે પણ એમને શાંતુબા જ કહેતા. મેલી સાડીમાં સહેજ વળી ગયેલો પાતળો દેહ, ચામડી પર પડી ગયેલી કરચલીઓ અને સાથે એક પોટલુ, આ થયો શાંતુબા નો પ્રાથમિક પરીચય. અમને હંમેશા શાંતુબાની રાહ હોય જ. હતું એમ કે શાંતુબા શિયાળામાં ચણી બોર વેચવા આવતા અને ઉનાળામાં ટેટી-મતીરા લઇને આવતા. એમનો સાદ પડે અને આખી શેરીના છોકરાઓ ભેગા થઇ જતા. બધાને મન શાંતુબા એમના પોતાના બા કરતા પણ વધારે વહાલા હતાં. શાંતુબાનો ચહેરો એકદમ ભોળો, એમને એક વાર મળનારને એમના પ્રત્યે તરત જ આત્મિયતા બંધાઇ જતી. શાંતુબા બોર વેચવા આવતા એ કરતા વધારે એમ કહેવાય કે એ બોર વહેંચવા આવતા. લાલ મિઠા ચણી બોર જ્યારે અમને એમના હાથેથી મળતાં તો એવું લાગતું જાણે શાંતુબા નહીં પણ ખુદ શબરી અમને બોર આપતી હોય. મને યાદ છે મારા મમ્મી ઘણી વાર શાંતુબાને જમાડતા અને ક્યારેક લોટ કે એવું આપતા, શેરીમાં બીજા પણ ઘણા આવું કરતાં. હું ઘણી વાર બાળ સહજ જિજ્ઞાસાથી પુછતો કે ” મમ્મી,આપણે જેમ આપણા ઘરે જમીએ છીએ એમ શાંતુબાને એમના ઘરે જમવાનું નહી હોય!”. મારા મમ્મી હંમેશા વાતને હસીને ટાળી દેતા. પણ મારું નાનકડું મન હંમેશા એ વિચારતું કે શાંતુબા એ ગરમીમાં બપોરે કેમ બોર વેચવા આવતા? મારા બા ને હું જોતો તો એ આરામ કરતા હોય અને શાંતુબા આમ ફરતા હોય. હું એ વિરોધાભાસ સમજી શક્તો નહોતો.બાળસહજ નાદાનીથી હું ઘણી વાર પુછી બેસતો કે ” મમ્મી, શાંતુબાને આપણા ઘરે જ રાખી લઇએ તો?” મમ્મી કેહતા કે એવું ના […]


છાપાંને વ્યક્તિત્વ નિષ્ઠાનું – ઝવેરચંદ મેઘાણી

વાચક, તમારું નવું તંત્રીમંડળ પોતાની વિશિષ્ટ સિધ્ધિઓ કે સાધનાઓની પિછાન કરાવવા માંગતું નથી. લોકસેવા એણે કરી નથી. ઊંડા જીવનપ્રશ્નો એણે વલોવ્યા નથી. પ્રજાજીવનની એકેએક દિશાઓમાં ઘૂમી વળવાના એને ઘમંડ નથી. ક્રાંતિની જ્યોતને એણે ઉપાસી નથી. આજ ને આજ, અત્યારે ને અત્યારે, અમારા શબ્દોના હથોડાને આઘાતે સમાજનું પરિવર્તન આવી જવું જોઈએ, ને ન આવે તો સમાજ નાલાયક છે. એવી વિચારસરણી સેવનારા મહાન પુનર્વિધાયકો આંહી નથી આવ્યા. ફૂટી ચૂકેલી આતશબાજીના ઉકરડા વાળવાનું કામ લઈને આવે છે માટીના માનવો. એમની પણ ખામીઓ છે ને ખૂબીઓ છે. ‘ફૂલછાબ’ ની વિશિષ્ટ ફરજ છે કાઠીયાવાડના લોકપ્રશ્નોને અવલોકી આગળ કરવાની. કાઠીયાવાડના સંસ્કારજીવનમાં રંગ પૂરવાનો. નવું તંત્રીમંડળ એ કરવાનો ઉદ્યમ સેવશે. એક કે બે વ્યક્તિઓની મહિમાનો પડછાયો બનવાની કોઈ પણ છાપાંને જરૂર નથી. છાપાંને વ્યક્તિત્વ હોય છે, વિચારોનું, સંસ્કારોનું, નિષ્ઠાનું, એ વ્યક્તિત્વને હયાતિ પુરવાર કરવા નોખાં ફાંફા મારવાનાં ન હોય. છાપાંનું સાહિત્ય એ વ્યક્તિત્વનું રૂપ હોય છે એટલેજ વાચક ફૂલછાબના શબ્દદેહમાં જો તને તારું મનમાન્યું વ્યક્તિત્વ ન જડે તો તે શોધવા તું તંત્રીમંડંળની એક કે વધું વ્યક્તિની વિભૂતિથી ન દોરવાતો. બીજું જોતા રહેજો નવા તંત્રીઓનું વલણ. સમાચારપત્ર ચલાવતા હોઈને સમાચાર બેશક પીરસશે પણ સૌ સારા સમાચાર આપવાના રહી જાય તેને ભોગે પણ એક ખોટા સમાચાર ન છાપી મારવાની નીતી એ સાચવશે. સત્યનો ભોગ દેનારી નાની મોટી સનસનાટીઓ ફેલાવવાથી, હાલતાં ને ચાલતાં માત્ર ગંદવાડો ખુલ્લો પાડવાથી લોકહિત સધાતું હોવાની વાત અમને માન્ય નથી. વારસામાં મળેલી અનેકવિધ વિટંબણાઓની વચ્ચેથી પોતાની નવી પિછાન આપનાર આ હાથ, વાચક, તારા હાથ જોડે મૈત્રીનો મિલાપ યાચે છે. ( ફૂલછાબ અઠવાડીકનો તંત્રીલેખ – ૧૯૩૬, અરધી સદીની વાંચનયાત્રા – ૨ માંથી સાભાર )


ચોર અને રાજા – રાજસ્થાની બાળકથા

જૂના જમાનામાં કોઈ એક રાજ્યમાં એક ચોર હતો. તે ખૂબ ચતુર અને હોંશીયાર હતો. લોકો કહેતા કે તે કોઈની આંખોમાંથી આંજણ ચોરીને જતો રહે તોય ખબર ન પડવા દે. એકવાર તે ચોરે વિચાર્યું કે જો તે રાજધાનીમાં જઈને કોઈક મોટી ચોરી ન કરે તો રાજ્યના મોટા ચોરો વચ્ચે તેની ધાક નહીં જામે… આમ વિચારી તે રાજધાનીમાં પહોંચ્યો. આખાય નગરમાં આંટો માર્યા પછી તેણે રાજાને જ લૂંટવાનું નક્કી કર્યું. પણ મહેલની આસપાસ ખૂબ ચોકીપહેરો હતો. રાજાના મહેલ પર ખૂબ  મોટું ઘડીયાળ હતું. ચોરે થોડાક ખીલા ભેગા કર્યા અને એક અંધારા ખૂણાંમાં જતો લપાતો છુપાતો પહોંચ્યો. બાર વાગ્યાના ટકોરા પડ્યા કે ચોરે એક એક ટકોરા સાથે મહેલની દિવાલોમાં ખીલા ઠોકવા માંડ્યા, એક એક ટકોરા સાથે તેણે એક એક ખીલો ઠોક્યો અને બાર ખીલા નખાઈ રહ્યા ત્યાં તે ખીલાઓ પર ચડી મહેલમાં પહોંચી ગયો. તેણે ખજાનામાંથી ઘણા હીરા ચોરી લીધા. બીજે દિવસે જ્યારે રાજાને તેના મંત્રીઓએ આ ચોરીની ખબર આપી ત્યારે તે અચંભામાં પડી ગયો. આટલા ચોકી પહેરા છતાંય આવું કેમ થયું? રાજાએ સિપાહીઓની સંખ્યા બમણી કરી દીધી, થોડાક સૈનિકોને તેણે ખાસ આ ચોરને પકડવાનું કામ આપ્યું અને તેણે શહેરમાં ચોરને પકડાવનાર માટે ઈનામ જાહેર કર્યું. જ્યારે આ બધી વાતો દરબારમાં ચાલી રહી હતી ત્યારે ચોર ત્યાં એક નાગરીકના વેશમાં ઉભો હતો. તેણે બધી વાતો સાંભળી, જે સૈનિકોને આ ચોરને પકડવાનું કામ અપાયું હતું તે બધાયના ઘરે તે સાધુના વેશમાં ગયો અને તેમની પત્નિઓને સમજાવ્યું કે આજે રાત્રે તેમના પતિઓ જ્યારે ચોરને પકડવા જાય પછી કોઈ દરવાજા ન ખોલે, કોઈ આવે અને તેમના પતિના અવાજમાં દરવાજો ખોલવા કહે તો અગાશી કે છજ્જામાંથી સળગતા […]


ઈન્ટરનેટના પ્રખ્યાત પુસ્તકાલયો

ઈન્ટરનેટ પર એવા કેટલાંય પુસ્તકાલયો ઉપલબ્ધ છે જે પુસ્તકોનો અખૂટ ભંડાર ધરાવે છે. ઘણી અપ્રાપ્ય પુસ્તકો અહીં સ્કેન કરીને મૂકેલા મળી આવશે તો ઘણાં ટાઈપ ક્રઈ, રીફોર્મેટ કરી મૂકેલા મળી આવશે. આશા છે આ માહિતી ઉપયોગી થશે. ઈન્ટરનેટ આર્કાઈવ (અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપલબ્ધ પુસ્તકો અને તેની ડાઉનલોડ કરવા માટે વિવિધ ફોર્મેટની અપાતી સગવડ તેને મારી ફેવરીટ વેબસાઈટ બનાવે છે. અહીં ઉપલબ્ધ પુસ્તકોના એક બે ઉદાહરણો, દા.ત. એન્સાઈક્લોપીડીયા બ્રિટાનીકા, ) યૂ કે વેબ આર્કાઈવ કન્સોર્ટીયમ એક્સેસ માય લાઈબ્રેરી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ (પસંદગીના ઈન્ટરનેટ સોર્સની લીંક્સ) વર્લ્ડ વાઈડ વેબ વર્ચ્યુઅલ લાઈબ્રેરી વેઇર્ડ ફોર બુક્સ પીડીએફ બુક્સ ઓનલાઈન બુક્સ પેજ આ સિવાય અન્ય ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ છે…..જો તમને આ સિવાય કોઈ સરસ વેબસાઈટ લાઈબ્રેરી ખબર હોય તો જણાવો…


ભેંસના પાપડ – પારંપારીક દાંડીયા @ મહુવા

વડોદરામાં ગરબા રમ્યા પછી, ખાસ કરીને માં શક્તિ, યુનાઈટેડ વે કે મહાકાળી ગરબા પછી મહુવામાં આ આખી નવરાત્રી કરવાની થઈ તો થયું કે આ વખતે તો કાંઈ મજા નહીં આવે. મહુવામાં ત્રણ ચાર વર્ષ ઉપર સુધી મુખ્યત્વે બે જગ્યાએ ગરબા થતાં, એક સ્ત્રિઓ માટે અને બીજા પુરૂષો માટે. બાકી ઘણી નાની ગરબીઓ પણ થતી, પરંતુ મુખ્યત્વે આ બે જગ્યાઓ હતી જ્યાં પુરુષો અને સ્ત્રિઓ એમ અલગ ગરબા થતાં. પણ ત્યાં ઝઘડા, આયોજનની તકલીફો વગેરે થતાં હવે ગરબા જાતિ પ્રમાણે થાય છે, કહો કે નાત પ્રમાણે, બ્રાહ્મણ, શ્રીમાંળી, વણિક એમ અલગ અલગ થાય છે. તમે ગમે તેમાં જઈ શકો પણ આવા ભાગલા અને ન્યાત ના ઝંડા નીચે થતા આવા ગરબા સ્વાભાવિક રીતે જ થોડોક ખચકાટ લાવે, ખાસ કરી વડોદરા જેવી જગ્યાએ ખરેખરા “ડેમોક્રેટીક” ગરબામાં મહાલ્યા પછી…..બધાના પોતપોતાના તથ્યો, ફાયદા ને ગેરફાયદા છે, એટલે એ વિષે ચર્ચા કરવી વિષયાંતર કરાવશે. પણ અચાનક એક દિવસ એક મિત્રે ફોન કર્યો, તારા બ્લોગ માટે સરસ સમાચાર છે. મહુવામાં લગભગ ૧૩૦ વર્ષોથી થતા ભેંસના પાપડ તરીકે ઓળખાતા ગરબા, મુખ્યત્વે રબારી અને ભરવાડો દ્વારા થતા આ ગરબા પહેલા મહુવાના લક્ષ્મી મંદિર પરીસરમાં થતા પણ પછી જગ્યાની અછતના લીધે હવે તે કાગબાપુ ચોકમાં થાય છે. પહેલા ઢોલને તાપણા પાસે મૂકી ચામડું તપાવાય છે, એકસાથે ચાર પાંચ ઢોલ તપતા હોય છે અને બીજા ત્રણ વાગતા હોય છે, સાથે પીતળની ગોરી (મોટા મોં વાળી પાણી ભરવાની માટલા જેવા આકારની રચના) અને ત્રાંસા પણ હોય છે. દાંડીને આના પર પીટવાથી જાણે ભેંસના પાપડ એમ સંભળાય છે આ પરથી એનું આવું નામ પડ્યું. સાથે મૂકેલા વિડીયોમાં પણ આ આછું સાંભળી શકાય છે. […]


પ્રવૃત્તિને પંથે – દુલા ભાયા કાગ

પ્રવૃત્તિ પંથમાં પ્રાણી ! ભજનનો ભેદ ભૂલ્યો છે મર્યાદા સંતની મૂકી, જગતમાં જીવ રહ્યો છે ઝૂકી; સિધ્ધાંતો વેદના ચૂકી, દુબજા માંય ડૂલ્યો છે. તપાસ્યે રૂપ તું તારૂ, નથી કાંઈ બ્રહ્મથી ન્યારૂં; મૂકી દે હું અને મારું, ફંદમાં કેમ ફૂલ્યો છે? પ્રમેશ્વર પાસ જા પૂરો, સદા તું સિંહ છે શૂરો; બધો આ ખેલ છે બૂરો, જગતમાં શીદ ભૂલ્યો છે? દિલમાં બાળ હંસ દેજો, બધું આ ‘કાગ’ ને કે’જો; ત્રિપુટી સંગમાં રે’જો, મરદ તું ક્રોડમૂલો છે.  – દુલા ભાયા કાગ


ગાયત્રી ચાલીસા

દોહા હીમ, શ્રીં, ક્લીં, મેઘા, પ્રભા, જીવન જ્યોતિ પ્રચંડ. શાંતિ, ક્રાંતિ, જાગૃતિ, પ્રગતિ, રચના, શક્તિ અખંડ. જગત જનની, મંગલ રરનિ, ગાયત્રી સુખધામ. પ્રણવો સાવિત્રી, સ્વધા, સ્વાહા પુરન કામ. ભૂર્ભુવ: સ્વ: ` યુત જનની ગાયત્રી નિત કલિમલ દહની. અક્ષર ચોબીસ પરમ પુનિતા ઈનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. શાશ્વત સતોગુણી સતરૂપા સત્ય સનાતન સુધા અનુપા હંસારૂઢ શ્વેતાંબર ધારી સ્વર્ણકાંતિ સુચિ ગગન બિહારી પુસ્તક પુષ્પ કમંડલ માલા શુભ્રવર્ણ તનુ નયન વિશાલા ધ્યાન ધરત પુલકિત હિય હોઈ સુખ ઉપજત દુ:ખ દુરમિત ખોઈ કામધેનું તુમ સુર તરૂ છાયા નિરાકારકી અદભુત માયા તુમ્હારી શરણ ગહૈ જો કોઈ તરૈ સકલ સંકટ સો સોઈ સરસ્વતી લક્ષ્મી તુમ કાલી દિપૈ તુમ્હારી જ્યોતિ નિરાલી તુમ્હારી મહિમા પાર ન પાવૈ જો શારદ સતમુખ ગુણ ગાવૈ ચાર વેદ કી માતુ પુનિતા તુમ બ્રહ્માણી ગૌરી સીતા મહામંત્રે જીતને જગ માહી કોઉ ગાયત્રી સમ નાહિ સુમરન હિય મે જ્ઞાન પ્રકાશે આલસ પાપ અવિદ્યા નાસૈ સૃષ્ટિ બીજ જગ જનની ભવાની કાલરાત્રિ વરદા કલ્યાણી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સુર જે તે તુમસો પાવૈ સુરતા તેતે તુમ ભક્તન કી ભક્ત તુમ્હારે જનનિહિં પુત્ર પ્રાણ તે પ્યારે મહિમા અપરંપાર તુમ્હારી જય જય જય ત્રિપદા ભય હારી પુરિત સકલ મે જ્ઞાન વિજ્ઞાના તુમ સબ અધિક ન જગ મે આના તુમ્હી જાનિ કુછ રહિ ન શેષા તુમ્હી પાય કુછ રહિ ન કલેશા જાનત તુમ્હી તુમ્હી હૈ જાઈ પારસ પરસિ કુધાતુ સુહાઈ તુમ્હારી શક્તિ દપૈ સબ ઠાઈ માતા તુમ સબ ઠૌર સમાઈ ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ધનેરે સન ગતિવાન તુમ્હારી પ્રેરે સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા પાલક, પોષક, નાશક ત્રાતા માતેશ્વરી દયા વ્રત ધારી તુમ સન તરે પાતકી ભારી જાપાર કૃપા તુમ્હારી હોઈ […]


જીંદગીમેં કઈ રંગ – જીગર શ્યોપૂરી

જીંદગીમેં કઈ રંગ આયે ગયે હમ હર હાલમેં મુસ્કુરાયે ગયે શર્ત આંધીસે લેકર ચિરાગ કીયા વો બુઝાતે ગયે, હમ જલાતે ગયે હમને હંસકે સહે ઉનકે સારે સિતમ વો સિતમ પે સિતમ હરરોઝ ઢાયેં ગયેં. વો જીન્હોંને વફાદારી કાયમ રક્ખી ઈસ ઝમાનેંમેં જ્યાદા સતાયે ગયે ઈસ દીવાનેકી મૈયત ચલી ધૂમસે ખૂબ ખુશીયાં મની ગીત ગાયે ગયે.  – જીગર શ્યોપૂરી


માનસ નવરાત્રી અને મોહની પાતળી ભેદરેખા

બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. ઓફિસની રજા હોઈ પૂજ્ય શ્રી મોરારીબાપુની માનસ નવરાત્રી અંતર્ગત ચાલતી રામકથામાં પહોંચી ગયો. મારા મહુવાના ઘરથી માંડ બે કિલોમીટર પર આ કથા ચાલે છે. એક સ્નેહી વડીલે મને પાસ આપ્યો, તેથી સ્ટેજથી ખૂબ જ નજીક બેસવા મળ્યું પણ આ માટે એક કલાક વહેલા જવુ પડ્યું. આ કથામાં ઘણુંય એવું જોવા મળે જે તમને “લાઈવ કવરેજ” નહીં બતાવી શકે, કારણકે એ તેની મર્યાદા છે. આસપાસના ઘણાંય ગામડાઓથી જાણે કોઈ ઉત્સવ ઉજવવા આવતા હોય તેવી હોંશ અને તૈયારીથી અને પૂજ્ય બાપુએ પહેલા દિવસે કહ્યું હતું તેમ “બાપનું ગામ છે” એટલે આવવું જ જોઈએ તેમ માની ટ્રેક્ટર, ગાડાં, છકડાં કે જે મળ્યું તે સાધનમાં અહીં પહોંચનારા લોકોનો તોટો નથી. આબાલ વૃધ્ધ સૌ અહીં જોવા મળે. નાસ્તાના ડબ્બા, પાણીની બોટલો અને સંતરા ની ચીરના આકારવાળી ચોકલેટ ગોળીઓ સાથે નાના બાળકો અને હાથમાં માળા, આસન અને મનમાં શ્રધ્ધા લઈ આવેલા યુવાનો અને વૃધ્ધો…..ઉત્સાહ અને આનંદનો કોઈ તોટો નથી. જાણે હોંશ છલકાઈ રહી છે. અને આટલી બધી વસ્તી છતાંય ક્યાંય અવ્યવસ્થા નહીં. બધુંય જાણે ગોઠવાયેલું. નવ વાગીને દસ મિનિટે બાપુ આવ્યા. એક ભાઈએ તેમને વંદન કર્યા, ગાંધી જયંતિ ને અનુલક્ષીને અને અત્યારના સમયમાં ગાંધીની રાજકારણીઓ માટેની ઉપયોગીતા પર માર્મિક કટાક્ષો કર્યા. શેખાદમ આબુવાલાનો આ શેર તેમણે ટાંક્યો કેઃ કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો, બનવું હતું નહીં ને અમસ્તો બની ગયો, ગાંધી તને ખબર છે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. પણ આ એક સત્તાલોલુપ વર્ગને બાદ કરતા સમગ્ર વિશ્વમાં એક એવો સમુદાય છે જે તેમના મૂલ્યો અને તેમના વિચારોને આદર આપે છે. તેમણે પૂજ્ય મોરારીબાપુ પણ ગાંધીજીને આદર અને ભાવથી […]


શ્રી રામ સ્તુતિ

બીજી ઓક્ટોબર ને ગાંધી જયંતિ એ એક રજા રહી ગઈ છે, કેટલીક ચેનલો માટે ગાંધીજીના ફિલ્મો બતાવવાનો અવસર અને કેટલાક રાજકારણીઓ માટે રાજઘાટ જઈ ફૂલ ચડાવી ગાંધીને યાદ કર્યાનો સંતોષ. પોરબંદરમાં મારો જન્મ થયો છે અને તે જ ગામના મારા ઘરથી બે કીલોમીટર દૂર આવેલા કીર્તીમંદિરના એ નાનકડા ઓરડામાં જન્મેલી વિભૂતિએ તો આખા જગતની, વિચારસરણીની અને ભારતવર્ષની સીકલ ફેરવી નાખી. બીજી ઓક્ટોબરે રોજીંદી નોકરી, ડ્યૂટી માં રજા હોવાથી મહુવામાં શ્રી મોરારીબાપુના રામકથા અંતર્ગત ચાલી રહેલ માનસ નવરાત્રીનો લાભ લીધો, કહેવાય છે કે જેવી સંગત તેવી રંગત અને એ સત્સંગનો જ પ્રતાપ છે આજની આ પ્રાર્થના, જે હવે હું નથી ગાતો, મારું હૈયું ગાય છે….મારી આ એક દિવસની કથા શ્રવણની વિગતો અને ફોટોગ્રાફ્સ આવતીકાલે અહીં માણી શક્શો. આજે પ્રસ્તુત છે પ્રભુ શ્રી રામની આ પ્રાર્થના. લોકાભિરામરણરંગધરં રાજીવનંત્રં રઘુવંશનાથમ્ કારુણ્યરુપં કરુણા કરંતં શ્રી રામચન્દ્રં શરણં પ્રપદ્યે।। મનોજવં મારુતતુલ્યવેગં જિતેન્દ્રિયં બુદ્યિમતાં વરિષ્ઠમ્ વાતાત્મજં વાનર યૂથમુખ્યં શ્રીરામદૃતં શરણં પ્રપદ્યે ।। રાજીવ નયન ધરેં ધનુ સાયક । ભગત બિપતિ ભંજન સુખદાયક ।। મંગલ ભવન અમંગલહારી । દ્રવઉસો દશરથ અજિર બિહારી । જનકસુતા જગજનનિ જાનકી । અતિસય પ્રિય કરુના નિધાનકી । તાકે જુગ પદ કમલ મનાવઉં । જાસુ કૃપાં નિરમલ મતિ પાવઉં ।। મહાબીર બિનવઉં હનુમાના । રામજાસુ જસ આપ બખાના ।। પ્રનવઉં પવનકુમાર ખલબન પાવક ગ્યાનઘન । જાસુ હૃદય આગાર બસહિં રામસર ચાપધર ।। કુદ ઇદુ સમદેહ ઉમારગ્મન કરુના અયન । જાહિ દીન પર નેહ કરઉ કૃપા મર્દન મયન ।।


અનોખી પ્રામાણિકતા – શંકરભાઈ ત્રિ. પટેલ 5

એડિનબેરોમાં સેન્ડીનામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તે દીવાસળીની પેટીઓ વેચી જીવન નિર્વાહ કરતો હતો. એક વખત તેણે એક ગૃહસ્થને એક દીવાસળીની પેટી વેચાતી આપી. તે ગૃહસ્થ પાસે પરચૂરણ નહોતું. તેથી પેલા છોકરાને એક શિલીંગ આપ્યો. સેન્ડી તે શિલીંગ વટાવવા ગયો. પેલા ગૃહસ્થે ઘણી વાર રાહ જોઈ પણ તે પાછો આવ્યો નહીં. એટલે કંટાળીને તે ગૃહસ્થ પોતાને ઘરે ગયા. સાંજે તે છોકરા સેન્ડીનો નાનો ભાઈ રૂબી તે ગૃહસ્થનું ઘર શોધતો શોધતો આવી પહોંચ્યો. તે ગૃહસ્થને તેણે પૂછ્યું, “સાહેબ, મારા ભાઈ સેન્ડી પાસેથી આપે એક દીવાસળીની એક પેટી ખરીદ કરી હતી અને એક શિલીંગ આપ્યો હતો પણ એ શિલીંગ વટાવવા જતા તેને એક ઘોડાએ લાત મારી, એના બંને પગ ભાંગી ગયા છે. અને તે બચે તેમ નથી, વળી અકસ્માતને લીધે તેણે બધા પૈસા પણ ગુમાવ્યા છે, હું આપને માત્ર ચાર પેન્સ આપી શકું એમ છું તો મહેરબાની કરી સ્વિકારી લો. બાકીની રકમ પણ હું જલ્દી આપી દઈશ.” પેલા ગૃહસ્થને તેની પાસેથી કાંઈ પણ લીધું નહીં, તેમને સેન્ડીની દયા આવી, તેથી તે તરતજ પેલા છોકરા સાથે તેને જોવા ગયા, તે એક ખૂણામાં છોડીયાના ઢગલા પર પડ્યો છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો અને બબડતો હતો, “રૂબી, તારી સંભાળ કોણ રાખશે?…” પેલા ગૃહસ્થે તેને દિલાસો આપ્યો અને રૂબીની સંભાળ લેવાનું વચન આપ્યું. પેલા છોકરાને શાંતિ થઈ અને તે થોડીક વારમાં મરણ પામ્યો. જખમી થઈ મરણ પામનારા આ નાનકડા ગરીબ છોકરામાંય ઇશ્વરે કેવી પ્રામાણિકતા મૂકી હતી?


પ્રોજેક્ટ ગુટનબર્ગ – વિશ્વનું પ્રથમ ડીજીટલ પુસ્તકાલય

પ્રોજેક્ટ ગુટનબર્ગ જેને સામાન્ય રીતે PG તરીકે ઓળખાય છે, તે સાહિત્ય અને સંસ્કૃતિને ડીજીટલ સ્વરૂપમાં ફેરવી, સંગ્રહવાનો અને વહેંચવાનો અને સર્વેને ઉપલબ્ધ કરાવવાનો એક સ્વયંસેવાનો પ્રયત્ન છે. રોજ જેની મુલાકાત લઈ આખા વિશ્વના લોકો લગભગ ૮૦૦૦૦ થી ૧૦૦૦૦૦ પુસ્તકો ડાઉનલોડ કરે છે, અને મને તથા મારા જેવા અસંખ્ય લોકોને ક્લાસિક અને સમકાલીન અંગ્રેજી સાહિત્ય જ્યાંથી ઉપલબ્ધ થાય છે તેવી આ વેબસાઈટ ખરેખર અંગ્રેજી સાહિત્યના રસિયાઓ માટે આશિર્વાદ છે. અંગ્રેજી સિવાય પણ અન્ય ભાષાઓમાં થોડાક પુસ્તકો ઉપલબ્ધ છે. આ યોજના ની શરૂઆત ૧૯૭૧માં માઈકલ હાર્ટે કરી હતી. પોતાના સંગ્રહમાં ૨૫૦૦૦થી વધુ આર્ટીકલ્સ રાખી રહેલ આ ગ્રંથાલય આજે ઘણાંયની વાંચનભૂખ સંતોષે છે. પૂરા થઈ ગયેલા કોપીરાઈટ વાળી કે પબ્લિક ડોમેઈનમાં રહેલ પુસ્તકોને ડીજીટાઈઝ કરી, સર્વેના ઉપયોગ માટે તેને ઈન્ટરનેટ પર એક સાથે ઘણા ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવાની આ યોજના ખૂબ સફળ થઈ. પ્રોજેક્ટ ગુટનબર્ગની પ્રથમ રચના હતી અમેરીકાનું સ્વતંત્રતાનું જાહેરનામું. આ પ્રોજેક્ટનું નામ આપવામાં આવ્યું જર્મન પ્રિન્ટર જોન્સ ગુટનબર્ગના સમ્માનમાં જેમણે મૂવેબલ પ્રિન્ટીંગ પ્રેસની શોધ પંદરમી સદીમાં કરી. પ્રોજેક્ટ ગુટનબર્ગની હાલની વેબસાઈટ તથા પુસ્તકોની સૂચી તૈયાર કરી પિત્રો-દ-મીસલીએ. ત્યારબાદ પ્રોજેક્ટ ગુટનબર્ગના સ્વયંસેવકોની સંખ્યા અને કાર્યભાર સતત વધતા રહ્યા, જાતે પુસ્તકો ટાઈપ કરવાથી લઈને સ્કેન કરી અને કેરેક્ટર વેરીફીકેશન વડે પુસ્તકની ડીજીટલ પ્રિન્ટ તૈયાર કરવી જેવી અસંખ્ય પ્રગતિઓ થઈ. અહીં પશ્ચિમના સાહિત્યિક અને સાંસ્કૃતિક પાસાઓની જાણકારી આપતાં અનેક પુસ્તકો છે. નવલકથા, કવિતાઓ, નવલિકાઓ, નાટકો સાથે વાનગીઓના પુસ્તક તથા રેફરન્સ પુસ્તકો પણ છે અને દર અઠવાડીયે નવા પચાસથી વધુ પુસ્તકો ઉમેરાઈ રહ્યા છે. આ મહાકાય સંગ્રહના આજના વધુ ડાઉનલોડ થઈ રહેલા સો પુસ્તકોની યાદી અહીં જુઓ, તથા પ્રોજેક્ટ ગુટનબર્ગના ઘર પાના પર અહીંથી જાઓ….. પ્રોજેક્ટ ગુટનબર્ગ […]