સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ઉમાશંકર જોશી


‘તેરા મકાન આલા’ (સિંધી ભજન આસ્વાદ) – ઉમાશંકર જોશી 2

૧૯૩૦માં સાબરમતી જેલમાં સાંજની પ્રાર્થનામાં એકવાર એક સિંધી ભજન સાંભળવા મળ્યું. જિંદગીભર એની ભૂરકી અનુભવ્યા કરી છે. ગાનાર હતા ભાઈ જયન્તીલાલ આચાર્ય. કરાંચીની શાળાના શિક્ષક અને કવિ ગાયક. મીઠો, બુલંદ સ્વર, અંદર હૃદય રેડે. પ્રાર્થનાને અંતે એ ‘જનગણમન’ ગાય. વીસ વરસ પહેલાં એમણે તો એને જાણે કે રાષ્ટ્રગીતને પદે સ્થાપ્યું હતું. ભજનો રોજ જુદાં જુદાં હોય. એક સાંજે ‘તેરા મકાન આલા’ છેડયું અને સૌ મંત્રમુગ્ધ બની ગયા. એકેએક શબ્દ પૂરેપૂરો સમજાયો એમ નહીં કહી શકાય, પણ મૂળ ભાવ તરત પકડાઈ જાય એવો હતો. હે પ્રભુ, તારું મકાન ઉત્તમ છે (આપણે ‘આલા દરજ્જાનું’ કહીએ છીએ ને ?) ભવ્ય છે. આમ કહીને આપણને કોઈ મહાલય બતાવવાનો પ્રયત્ન થયો નથી. બલકે પછીથી આવતા શબ્દો તો કહે છે કે ‘જિત્થે કિત્થે વસી ભી તૂં’ જ્યાં ને ત્યાં તું જ વસી રહ્યો છે. આ સામેના કોઈ એક સાત માળના કે એથીય ઉંચા મકાનમાં તું વસે છે એમ કોઈ એક ઈમારતની વાત જ નથી. જ્યાં જોઈએ ત્યાં, બધે જ, તું વસે છે એવી ખાતરી થાય છે તેની અહીં વાત છે- આ તો નવી નવાઈનું મકાન. માટેસ્તો સૌથી ઉત્તમ, સૌથી ન્યારું, સૌથી ભવ્ય. તેરા મકાન આલા, જિત્થે કિત્થે વસી ભી તૂ. તેરા. ભક્તહૃદયને પ્રતીતિ થઈ છે કે હે પ્રભુ, બધે તું જ તું છે. આ વાત એના હૃદયમાં માતી નથી. કોઈકને એ વીનવે છે. જરીક આવો તો, અહીં, ત્યાં બધે ફરીએ, જોઈએ. જુઓ તો, તમને પણ મારા જેવી જ અનુભૂતિ થાય છે ને ? પહેલાં તો ઊભા હતા ત્યાં જ લટાર મારતાં મારતાં ઊંચે નજર કરી, આકાશમાં. હલો તો આસમાન વેખૂં, આગા, હલી પસૂં, આસમાન મિડયોહિ તારા, […]


વસંતગીતો.. – સંકલિત 3

હમણાં થોડાક દિવસ પહેલા એક સહકર્મચારીને પૂછેલું, આપણી ઋતુઓ કઈ? તેમને ખબર નહોતી. આમ પણ હવે શિયાળો, ઉનાળો અને ચોમાસુ પણ રહ્યાં નથી. શિયાળામાં વરસાદ પડે છે અને ચોમાસામાં ગરમી, આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત કઈ રીતે યાદ આવે? અત્યારે કઈ ઋતુ ચાલે છે એનો જવાબ આપવામાં પણ ઘણાં માથું ખંજવાળશે. જો કે વસંતપંચમી અધધધ લગ્નોને લીધે ઘણાંયને ખ્યાલ હશે, પણ એ વસંતવૈભવને લીધે નહીં, લગ્નોને લીધે. પણ આપણે તો, વસંતને હજુ વાર છે પણ, શિશિરમાંથી વસંત તરફ જઈ રહ્યાં છીએ એ વાતને ધ્યાનમાં રાખીને વસંતગીતો-કાવ્યો માણીએ.


ઉમાશંકર જોશીની કાવ્યકણિકાઓ…. 5

ઉમાશંકરભાઈની સુંદર પદ્યરચનાઓમાં પ્રગટ થતી તેમની સર્જનશક્તિ જાણીતી છે. પણ એ કદી ચાતુકિત કે ચતુરાઈમાં નથી સરી પડતી. એમાં ક્યાંક અંતરની દીપ્તિ અને પ્રીતિને સ્પર્શ રહ્યો હોય છે. એમની પ્રદ્યરચનાઓના વિશાળ સંચયમાંથી આજે પ્રસ્તુત છે કેટલીક કણિકાઓ.


करिष्ये वचनं तव। – ઉમાશંકર જોશી 6

આખી ગીતાનો મર્મ કોઈ એક ચરણમાં શોધવો હોય તો તે ઉપરના શબ્દોમાં શોધી શકાય. શ્રીકૃષ્ણ અર્જુનને જીવનના રહસ્યનું વિવિધ રીતે દર્શન કરાવે છે. એને પેરે પેરે બધું સમજાવે છે. મોહવશ થઈને તું જે કરવા નાખુશ છે તે અવશપણે – પરાણે પણ તારે કરવું પડવાનું જ છે એમ પણ એ જરૂર કહે છે. તેમ છતાં એ પછી તરત જ બધી દલીલો પૂરી થતાં, અંતે અર્જુનને મુક્ત રાખે છે. આમ આ ચરણમાં કર્મ જ્ઞાન અને ભક્તિ એ ત્રણેયના સમન્વયપૂર્વકના મુક્ત આત્મસમર્પણનો ગીતાનો સંદેશ વ્યક્ત થયો છે એવી વાત શ્રી ઉમાશંકર જોશી સરળતાપૂર્વક અને ઉપદેશના ભાર વગર વાચક સુધી સહેલાઈથી પહોંચાડે છે.


સત્યવ્રત – ઉમાશંકર જોશી 8

ગુજરાતી સાહિત્યક્ષેત્રના અગ્રણી સાહિત્યકાર ઉમાશંકર જોશીએ કવિતા, વાર્તા, એકાંકી, નવલકથા, નિબંધ, ચરિત્ર, પ્રવાસ, વિવેચન જેવા અનેક સાહિત્યપ્રકારો ખેડ્યા છે. દારૂ, જુગાર અને ચોરીમાં પડેલો માણસ એક સાધુના માત્ર થોડાક સમયના સંપર્કે કેવો સુધરે છે, સાચું બોલવાના વ્રતથી તેના જીવનમાં અને ભાગ્યમાં કેવો પલટો આવે છે તે આ કથામાં બતાવ્યું છે. ચોર અને રાજા વચ્ચેના સંવાદો પ્રભાવશાળી છે તો ચોરની સાથે ક્યાંક પ્રધાનની સરખામણી અનાયાસ થઈ જ જાય! સરળ, સુઘડ અને બોધપ્રદ આ વાર્તા સાદ્યાંત અર્થગહન છે.


ધ મંગલાષ્ટક લિમિટેડ – ઉમાશંકર જોશી 6

ઉમાશંકર ગાંધીયુગના પ્રમુખ કવિ, પણ આ કવિઓની પ્રવૃત્તિ કેવળ કાવ્ય પૂરતી સીમિત ન રહી. ગદ્યને પણ એમણે આરાધ્યું. તેમનામાં કવિ અને ચિંતક જોડાજોડ છે, એનું અજોડ પરિણામ એમના નિબંધમાં પ્રગટ્યું છે. તેમની કલમમાં હળવું હાસ્ય પણ છે પણ એ હળવા હળવા હાસ્યને ક્યારે હાસ્યની છોળો બનાવી મનને ભીંજવી દે એ વાચકને સમજાય એ પહેલા તો રસતરબોળ થઈને તે કૃતિ સાથે એકરસ થઈ જાય છે. ધ મંગલાષ્ટક લિમિટેડ તેમની એવી જ એક અનોખી રચના છે. કવિઓ પર મંગલાષ્ટક રચવાની ને એ રીતે આજીવિકા માટેની નવી વ્યવસ્થા ઉભી કરવાની સમગ્ર વાતને એટલી તો હળવાશથી તેઓ મૂકે છે કે આ અનોખો હાસ્ય-નિબંધ એક અજોડ વાંચન બની રહે છે.


કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૨) 4

કવિતા અંગેની પ્રાથમિક સમજ શ્રી સ્નેહરશ્મિએ સાતમી શ્રેણીના બાળકોને કેટલી સુંદર રીતે આપી, કવિતાની વ્યાખ્યા કઈ રીતે તેમણે બાળકો પાસે બંધાવી એ આપણે ગઈકાલની રચનામાં જોયું. આજે એનો બીજો ભાગ અહીં છે, વ્યાખ્યાથી આગળ વધીને એક કવિતાના ભાવને આત્મસ્થ કરવાથી લઈને તેના હાર્દને કવિ કઈ રીતે શબ્દસ્થ કરે છે એ આખીય પ્રક્રિયા અહીં ખૂબ સુંદર રીતે સમજાવી છે. બાળપણમાંજ કવિતા વિશે આવું સુંદર અનુભવજ્ઞાન મળી રહે તો એ જ્ઞાનનો પ્રભાવ ખરેખર જ અદકેરો બની રહેવાનો. ઉમાશંકરની કવિતાનું ઉદાહરણ પણ કેવું સરસ ! કવિતા વિશે આનાથી વધુ સમજ કોણ આપી શકે?


આથમતી સાંજે ઉમાશંકર – મકરન્દ દવે

મરમી કવિ શ્રી મકરન્દભાઈ દવે સાથે થયેલા પત્રવ્યવહાર અને ધ્વનિમુદ્રિત શબ્દ સંદેશાઓનું સંપાદન અને સંકલન શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાંથી આ લેખ સાભાર શ્રી લેવામાં આવ્યો છે. શ્રી ઉમાશંકરભાઈ જોશીના અવસાન પછી, તેમના વિશેના સ્મરણો અને તેમની સર્જનકલા વિશેની વાતો સૂચવતો આ સુંદર લેખ તે સમયે ઉદ્દેશ સામયિકમાં પણ પ્રકાશિત થયો હતો.


ખિસકોલી – ઉમાશંકર જોશી 4

લોક રામાયણમાં આવતા આ નાનકડા પ્રસંગ પરથી કવિશ્રી ઉમાશંકર જોશીએ આ સુંદર ગીત રચ્યું છે. નાનકડું કાર્ય પણ જો પૂરી નિષ્ઠા અને ખંતથી થાય તો સફળતા અવશ્ય મળે જ છે. ખિસકોલીની ધૂળમાં આળોટી જ્યાં વાનરો રીંછો વગેરે લંકા જવા માટે સેતુ બનાવી રહ્યા છે ત્યાં જઈ ખંખેરવાની વૃત્તિ પ્રભુકાર્યમાં યોગદાન માટેની તેની અડગ ભાવના બતાવે છે. પ્રભુ તેને પોતાનો નાનકડો સૈનિક કહે છે અને એવા નિષ્ઠાવાનને લીધે જ તેઓ સીતાને મેળવશે તેવો આત્મવિશ્વાસ પણ તેઓ પ્રગટ કરે છે. પ્રભુ ખીસકોલીની પીઠે હાથ ફેરવે છે ત્યારે તેની પીઠે પટ્ટા પડ્યા છે તેવો સુંદર ખુલાસો પણ તેઓ કરે છે. ગીતાના “ફળની ઈચ્છા વગરના કર્મની વાત અહીં ખૂબ સુંદર રીતે વણી લેવાઈ છે.


ગાંધીકથામાંથી ત્રણ પ્રસંગો – ઉમાશંકર જોશી 8

શ્રી ઉમાશંકર જોશીએ એમના સંસ્કૃતિ માસીકમાં 1969ના ગાંધી શતાબ્દી વર્ષના જાન્યુઆરી થી ઓક્ટોબર સુધીના વિવિધ અંકોમાં રજુ કરેલા 125 પ્રસંગો ‘ગાંધીકથા’ પુસ્તક સ્વરૂપે પ્રસિધ્ધ થયા છે. એક પ્રતાપી યુગપુરૂષ અને એક મોટા કવિના જીવન અને કલમનો સુભગ સમંવય તેમાં થયેલો જોવા મળે છે. આજે એ ગાંધીકથાઓના ત્રણ પ્રેરણાદાયી પ્રસંગો પ્રસ્તુત કર્યા છે. આશા છે આજના રાજકારણીઓ તેમાંથી થોડુંક ગ્રહી શકે.


અલક મલકની કન્યા – ઉમાશંકર જોશી 2

શ્રી યશવંત શુક્લ દ્વારા સંપાદીત પુસ્તિકા “ઉમાશંકરની વારતાઓ” શ્રી ઉમાશંકર જોશીની કેટલીક શ્રેષ્ઠ ટૂંકી વારતાઓના સંગ્રહ છે. તેમાંથી આભાર સહ આજે વાંચો કૃતિ “અલક મલકની કન્યા” જે ગુજરાતી સાહિત્યમાં સીમાસ્તંભ સમાન રચના છે.


સાલ મુબારક = છેલ્લી યાચના (ઉમાશંકર જોશી)

આ છેલ્લી યાચના આપ પાસે, મારા ઉંડા છેક અંતસ્થલેથી છેદી નાખો ક્ષીણતા સર્વ મારી પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી ! સુખોને ય જીરવી જાણવાની શક્તિ દેજો દુઃખમાં એહવી કે દુઃખો મારાં શાંત મોંએ હસીને પોતે પોતાની જ પામે ઉપેક્ષા. શક્તિ દેજો ભક્તિની નાથ એવી જેણે મારા કર્મ સાફલ્ય પામે જેણે મારાં દુન્યવી સ્નેહ પ્રેમ મ્હેંકી ઉઠે પુણ્યના પોયણાં શાં, કંગાલોને જ્ઞાનહીણાં કરું ના, જાલીમોને પાય ઝૂકી પડું ના, ઉંચે માથે ક્ષૂદ્રતાની વચાળે ચાલું એવી શક્તિ આપો, પ્રભુજી ! શક્તિ દેજો આપને પાય નામી પોતાને હું સ્થિર રાખું સદૈવ.  – ઉમાશંકર જોષી કવિ શ્રી ઉમાશંકર જોષી જેમ આ કવિતામાં પ્રભુ પાસે પોતાના હ્રદયના ઉંડાણમાં રહેલી ક્ષીણતાને અને નબળાઈઓને પૂરી તાકાતથી ખડગ ઝીંકીને દૂર કરવાની યાચના કરે છે. કવિ સુખોથી છકી ન જવાની અને દુઃખને હસતા મોંએ સહન કરવાની ક્ષમતા માંગે છે, કવિ પ્રભુ પાસે ભક્તિની શક્તિ માંગે છે, જેનાથી ઉમદા જીવનકાર્યો સિધ્ધ કરી શકાય અને જગતના લોકો પ્રત્યેનો પ્રેમ મહેકી ઉઠે. કોઈ જ્ઞાનથી વંચિત ન રહે તો બીજી તરફ જાલીમોથી ડરીને તેમને તાબે ન થવુ પડે અને જગતમાં ખુમારી પૂર્વક જીવી શકાય તેવું જીવન પ્રભુ આપણને આપે. દિવાળીના પર્વે આ જ પ્રાર્થના પ્રભુને. સર્વે વાચક મિત્રોને શુભ દિપાવલી અને નવા વર્ષે પ્રભુની કૃપાના પાત્ર બનો એ જ ઈચ્છા સાથે સાલ મુબારક !