Monthly Archives: October 2011


નવા વર્ષના સાલમુબારક – સંપાદકીય 11

વિ. સં. ૨૦૬૮નું આ નવુ વર્ષ આપ સૌને સફળતા, સુખ, આનંદ અને સંતોષ આપનારું બની રહે તેવી અનેક શુભકામનાઓ. વીતી ગયેલો સમય અનુભવોનું ભાથું આપતો જાય છે તો આવનારો સમય અનેક મનોરથો અને ઈચ્છાઓની પૂર્તિનો આશાવાદ લઈને આવે છે. પ્રભુ આપ સર્વેને આપની ઈચ્છિત સફળતા અને સુખ અપાવે તેવી પ્રાર્થનાઓ સાથે સૌ મિત્રોને નવા વર્ષના સાલમુબારક અને વડીલોના ચરણોમાં


સો સો રે સલામુ મારા ભાંડુડાને… – ઝવેરચંદ મેઘાણી (Audiocast) 5

ઝવેરચંદ મેઘાણીનું એક ઓછું જાણીતું પણ અત્યંત ચોટદાર ગીત ‘છેલ્લી સલામ’ આજે સાંભળીએ. ગાંધીજીએ બ્રિટિશ સરકારના 1935ના કોમી ચુકાદા સામે અનશન આરંભેલું. ગોળમેજી પરિષદમાં ગયેલા ત્યારે તો તેમણે કહેલું જ કે, ‘હરિજનોને તમે હિન્દુથી અલગ બેઠકો આપશો તો હું મારો જીવ હોડમાં મૂકીશ.’ પણ બ્રિટિશ સરકારને એમ કે ગાંધીએ તો બીજા રાજકીય નેતાઓની જેમ પોલી ધમકી આપી હશે, એટલે હરિજનોને અલગ મતાધિકાર આપ્યો. અને બાપુ તેને બદલાવવા – મૂળે તો જેમાંથી આ પ્રશ્ન ઊભો થયો હતો તે હિન્દુઓનું માનસ બદલાવી અસ્પૃશ્યતા મિટાવવા — અનશન પર ઊતર્યા. એ અવસરે મેઘાણીએ સરજ્યું ‘સો-સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે.’ આ ગીત સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કવિના મતે સ્વતંત્રતા કે સ્વાધીનતા કઇ ચીજ છે. કવિએ એમાં ગાંધીજીના આરાધ્ય રામને પણ ઠપકો આપ્યો છે, ધર્મની ધજાવાળાને ફટકાર્યા છે, ગુસાઇ – મહંતોને સંભળાવવામાં પણ મણા નથી રાખી.


શ્રમણ ગૌતમની પાસે – ધૂમકેતુ 2

શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ સર્જિત ગુપ્તયુગ નવલકથા ગ્રંથાવલીના ૧૩ ભાગ છે. તેમાંના ત્રીજા ભાગ, મગધપતિમાંથી ઉપરોક્ત કૃતિ લેવામાં આવી છે. ગુપ્તયુગ ગ્રંથાવલી – નવલકથાસમૂહના ત્રણ પુસ્તકો મેં વાંચ્યા છે. ઈતિહાસને વિગતે દર્શાવવાની ધૂમકેતુની વિશેષતા આ ગ્રંથોમાં ઉડીને આંખે વળગે છે તો ઈતિહાસની વાતોને ચડેલું નવલકથાનું ક્લેવર વિગતોને નિરસ થતાં બચાવે છે અને તેમાં રસ જળવાઈ રહે છે. મહારાજ બિંબિસાર, તેમનો પુત્ર અજાતશત્રુ અને મહાઅમાત્ય બ્રાહ્મણમંત્રી વર્ષકાર, તેમની નગરી રાજગૃહ, તેમની સામે પડેલું ગણતંત્ર વૈશાલી, વૈશાલીની નગરશોભિની આમ્રપાલી, શ્રમણ તથાગત ગૌતમ અને રાજતંત્ર તથા ગણતંત્રની વિવિધ બારીક વાતોનું તેમણે સુંદર આલેખન કર્યું છે જેથી આ સમગ્ર ગ્રંથસંગ્રહ એક ખજાનો બની રહે છે, અને તેને વાંચવાનું સૌભાગ્ય મને મળી રહ્યું છે. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયથી આ તેર ખંડોમાં વહેંચાયેલી વિશાળ ગુપ્તયુગ ગ્રંથાવલી મેળવી શકાય છે.


મારો કર ધરની, હરિવર… – અરદેશર ખબરદાર 4

ગત મંગળવારે, તા. ૧૮ ઑક્ટોબરે મારા નાનીજીનું અવસાન થયું. બેએક મહીનાની ટૂંકી બીમારી બાદ તેઓ અવસાન પામ્યા તે પહેલા લગભગ પંદર દિવસ પહેલા જ અમે સપરિવાર તેમને મળેલા. કદાચ એ અસફળ લાગતી મુંબઈયાત્રાની આ સૌથી મોટી ઉપલબ્ધિ હતી. છેલ્લા દિવસોમાં તેમની યાદશક્તિ લગભગ નહિવત થઈ ગયેલી. આજે પ્રસ્તુત કરેલી આ રચના, ઈશ્વરને તેમના આત્માને અનંત શાંતિ અને મોક્ષ આપવાની પ્રાર્થના સાથે સમર્પિત.


અંધ ગુરુ – સિધ્ધાર્થ ભરોડિયા 8

અંધ લોકોને ભાષા અને બ્રેઈલ સ્વરૂપે સંવાદનું એક માધ્યમ આપનાર લૂઈ બ્રેઈલની ઓળખાણની સાથે સાથે તત્કાલીન સમસ્યાઓને સાંકળી લઈને, જીવનના મૂલતઃ સારને રજૂ કરતી એક વાત અનોખા અને આગવા સ્વરૂપે રજૂ કરતી આ વાત અક્ષરનાદના વાચકમિત્ર શ્રી સિદ્ધાર્થભાઈ ભરોડિયાની કલમે અવતરી છે અને મિત્રો સાથે વહેંચવા માટે તેમણે એ પાઠવી છે.


લોકગીતા – સ્વામી આનંદ 7

શ્રીમદ ભગવદગીતાનો લોકભોગ્ય સારસ્વરૂપ અનુવાદ – સમજણ આપવામાં સ્વામી આનંદનો સિંહફાળો છે. ગીતા વિશે તો બીજું શું કહેવાનું શેષ છે? અને સ્વામી આનંદની કલમથી પણ આપણે અજાણ નથી. આજે પ્રસ્તુત છે શ્રી ગોપાલભાઈ પારેખ પ્રેષિત આ સ્વામી આનંદ દ્વારા પ્રસ્તુત લોકગીતા


બે ગઝલ – હર્ષદ દવે 2

પહેલાં ગઝલના વિષયોમાં ઈશ્વર, સુંદરી અને શરાબ એ ત્રણનો જ સમાવેશ થતો હતો. પરંતુ હવે વિષય-વૈવિધ્ય વધ્યું છે. શ્રી હર્ષદભાઈ દવેએ એક પ્રાયોગિક ગઝલ મે ૧૯૮૫ માં લખી હતી જે આતંકવાદ અને તેના પરિણામોની વિભીષિકા દર્શાવે છે. આ એક ‘અલગ’ રચના છે જે આજથી પચીસ વર્ષ પૂર્વે ‘રંગતરંગ’ માસિકમાં પ્રકાશિત થઇ હતી. બીજી એક રચના ‘અટાણે’ પ્રાકૃતિક તત્વોમાં પણ ‘બળિયાના બે ભાગ’ જેવો ન્યાય હોય છે તે જુદી રીતે દર્શાવવાનો તેમનો પ્રયત્ન છે. નમતું હંમેશાં નબળાએ જ જોખવાનું આવે અને તેનું સમર્થન અન્ય સમજુ તત્વો જ કરે એ કેવું! અક્ષરનાદને પ્રસ્તુત બંને ગઝલો પાઠવવા અને રજૂ કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.


યહુદી ધર્મની દસ આજ્ઞાઓ – અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 6

આદર્શો અને ધર્મ આજ્ઞાપાલનના દસ એવા બોધક સૂત્રો છે જે યહુદી ધર્મના મૂળભૂત સિદ્ધાંતો મનાય છે. યહુદી ધર્મ વિશ્વના પ્રાચીનતમ ધર્મોમાંનો એક મનાય છે. ખિસ્તી, ઈસ્લામ અને બહાઈ ધર્મ પર તેની અસર હોવાનું વિદ્વાનો માને છે. હિબ્રુ અને યહુદી એમ બંને બાઈબલમાં તેનો ઉલ્લેખ છે. આ દસ આજ્ઞાઓ સિનાઈ પર્વત પર પયગંબર મોઝેઝને કહેવામાં આવી હતી. મોઝેઝ સિનાઈ પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાતો રહ્યા હતાં જ્યાં તેમને દૈવી સાક્ષાત્કાર થયો હતો. ઈઝરાયેલના સંતાનોને મોઝેઝ દ્વારા પ્રભુની આ આજ્ઞાઓ પહોંચાડવામાં આવેલી. આ દસ આજ્ઞાઓ જીવનની મૂળભૂત બાબતોને સ્પર્શે છે. એ દસ આજ્ઞાઓ અને તેના અર્થો સહિતની વાત આજે અહીં રજૂ કરી છે.


વાચકોની રચનાઓ – સંકલિત 9

આજે એક સાથે ચાર વાચકમિત્રો દ્વારા પાઠવવામાં આવેલી પાંચ રચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે. વડોદરાના શ્રી કમલેશભાઈ વ્યાસનું સર્જન વતન મારું ઘવાયું છે’ દેશપ્રેમની ભાવનાઓનો અનોખો ચિતાર છે, શ્રી હસમુખભાઈ યાદવ દ્વારા રચિત ‘તે છે ગઝલ’ ચાર શે’રની સુંદર ગઝલ છે. જનકભાઈ ઝીંઝુવાડિયાની કાવ્યરચનાઓ આ પાહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, તેમની બે નવી રચનાઓ આજે પ્રસ્તુત કરી છે અને અંતે શ્રી યોગેશભાઈ ચુડગર દ્વારા પાઠવવામાં આવેલ ધર્મ અને વિજ્ઞાન એ એક અનોખી સરખામણીઓની હારમાળા સર્જે છે. આમ આજે વિવિધરંગી સર્જનોની વાછટમાં વાચકોને મહાલવાનો અવસર મળશે.


ખેમી – રામનારાયણ પાઠક 7

શ્રી મનસુખલાલ ઝવેરી કહે છે તેમ કથનના ત્રણ મુખ્ય અંગો – પાત્ર, ક્રિયા અને વાતાવરણ વાચકના ચિત પર એક જ છાપ મૂકી જતા હોવાથી આને વાર્તામાં પ્રાધન્ય મળે તે કુદરતી છે. પાત્રોની ગતિવિધિ અને વાર્તાને અનુરૂપ વાતાવરણનું નિર્માણ પણ સર્જકના ચિત્રમાં ચાલતા અભિનિવેશ સાથે અનુકૂલન સાધે તો જ તેનું પરિણામ અનોખું આવી શકે. પ્રસ્તુત વાર્તામાં પણ આ જ વિશેષતા ભંડારાયેલી પડી છે. શ્રી રા. વિ. પાઠકની કલમનો ચમત્કાર અહીં સ્થળે સ્થળે થયા કરે છે. સામાન્યજીવનનું તાદ્દશ નિરૂપણ, એ જીવનની ઘટનાઓ અને રૂઢિઓનું સહજ આલેખન પ્રસ્તુત વાર્તાની વિશેષતા છે, તો એક ઉંડો કટાક્ષ પણ સમાજને માટે એમાંથી નીકળતો જણાય છે. ગુજરાતી ભાષાની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓમાં પ્રસ્તુત વાર્તા ‘ખેમી’ અવશ્ય સ્થાન પામે. આજે આપ સૌની સાથે એ વહેંચતા આપણી ભાષાના એક અમૂલ્ય ખજાનાને માણવાની મજા મળી છે.


મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે… – તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’ 28

ગીરમાં, સમય ચોક્કસ તો યાદ નથી પણ લગભગ બે ત્રણ વર્ષ પહેલા થયેલા એક નેસ ડાયરામાં ઉપરોક્ત ગીત કહો તો ગીત અને ભજન કહો તો ભજન, ‘મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે, અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે.’ સાંભળેલું, ડાયરામાં પ્રસ્તુતકર્તાએ ‘રામકૃપા ત્યાં રોજ દીવાળી…’ એ મર્મભેદી પંક્તિ એટલી તો ભાવથી ગાઈ હતી કે ત્યારે થયેલું આ કોઈ લોકગીત હશે, પણ પછી તેમણે પ્રસ્તુતિને અંતે રચનાકાર તરીકે શ્રી તખ્તદાન રોહડિયાનું નામ કહેલું એ બરાબર યાદ છે. ત્યારથી આ પંક્તિઓ અમારા સફર-જનોના મનમાં સતત રમતી રહી છે. આજે એ જ મોજ આપ સૌની સાથે વહેંચાઈ રહી છે. મારા વનભેરુઓની એ પ્રિય કંડીકાઓ છે તો મને પણ એ ગાવાની ખૂબ મજા આવી છે. આવી સુંદર રચનાના સર્જકને અનેકો સલામ અને નતમસ્તક.


વારિસ ડીરી

ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત – ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૨ 15

એક મિત્રની સૂચવેલી આ ફિલ્મ અને તેની આત્મકથાની વાર્તા, પાર્શ્વસંગીત અને ફિલ્મની ગુણવત્તા જોઈને હું ખરેખર પ્રભાવિત થઈ ગયો. ‘ધ ડેઝર્ટ ફ્લાવર’ નામની આ ફિલ્મ એ જ નામના પુસ્તક પર આધારિત છે જે અમેરિક્ન સુપરમોડેલ, અભિનેત્રી અને યુનાઈટેડ નેશન્સના સ્ત્રીઓમાં જનન અવયવોની સુન્નતના ક્રૂર રિવાજને નાબૂદ કરવા માટેના વિશેષ રાજદૂત તરીકેની નિમણૂંક પામનાર વારિસ ડીરીના જીવન પર આધારિત છે. એથીય વધુ એ સંઘર્ષની કથા છે, જીવનમાં સતત મુશ્કેલીઓનો એકલે હાથે સામનો કરનાર એક આફ્રિકન ભટકતી પ્રજાતિની છોકરીના અમેરિકન સુપરમોડેલ અને જેમ્સ બોન્ડ ફિલ્મમાં અભિનેત્રી બનવા સુધીની સફરની કહાણી છે, એ ફેશનભર્યું જીવન મૂકીને આફ્રિકન સ્ત્રીઓ પરના અત્યાચારને રોકવા માટે કામ કરનાર એ હિંમતવાન છોકરીની આ સત્યઘટના છે. ફિલ્મના દ્રશ્યો અદભુત છે, પાર્શ્વસંગીત બંધબેસતું અને કર્ણપ્રિય છે અને આખીય ફિલ્મ એક જીવનને કચકડે કંડારવામાં મહદંશે સફળ રહે છે. પ્રભાવિત થઈ જવાયું હોય એવા ગણ્યાગાંઠ્યા ચલચિત્રોમાં ધ ડેઝર્ટ ફ્લાવર ચોક્કસ સ્થાન પામે.
આ વાત અને સાથે મૂકેલા વિડીયો વિચલિત કરી શકે એવા છે, કૃપા કરીને હૈયુ મજબૂત રાખીને જ આ વાંચશો. આજે પ્રસ્તુત છે લેખમાળાનો બીજો અને અંતિમ ભાગ


ફિલ્મ કરતાંય રોમાંચક જીવનવૃતાંત – ધ ડેઝર્ટ ફ્લાવર ભાગ ૧ 19

એક મિત્રની સૂચવેલી આ ફિલ્મ અને તેની આત્મકથાની વાર્તા, પાર્શ્વસંગીત અને ફિલ્મની ગુણવત્તા જોઈને હું ખરેખર પ્રભાવિત થઈ ગયો. ‘ધ ડેઝર્ટ ફ્લાવર’ નામની આ ફિલ્મ એ જ નામના પુસ્તક પર આધારિત છે જે અમેરિક્ન સુપરમોડેલ, અભિનેત્રી અને યુનાઈટેડ નેશન્સના સ્ત્રીઓમાં જનન અવયવોની સુન્નતના ક્રૂર રિવાજને નાબૂદ કરવા માટેના વિશેષ રાજદૂત તરીકેની નિમણૂંક પામનાર વારિસ ડીરીના જીવન પર આધારિત છે. એથીય વધુ એ સંઘર્ષની કથા છે, જીવનમાં સતત મુશ્કેલીઓનો એકલે હાથે સામનો કરનાર એક આફ્રિકન ભટકતી પ્રજાતિની છોકરીના અમેરિકન સુપરમોડેલ અને જેમ્સ બોન્ડ ફિલ્મમાં અભિનેત્રી બનવા સુધીની સફરની કહાણી છે, એ ફેશનભર્યું જીવન મૂકીને આફ્રિકન સ્ત્રીઓ પરના અત્યાચારને રોકવા માટે કામ કરનાર એ હિંમતવાન છોકરીની આ સત્યઘટના છે. ફિલ્મના દ્રશ્યો અદભુત છે, પાર્શ્વસંગીત બંધબેસતું અને કર્ણપ્રિય છે અને આખીય ફિલ્મ એક જીવનને કચકડે કંડારવામાં મહદંશે સફળ રહે છે. પ્રભાવિત થઈ જવાયું હોય એવા ગણ્યાગાંઠ્યા ચલચિત્રોમાં ધ ડેઝર્ટ ફ્લાવર ચોક્કસ સ્થાન પામે.
આ વાત અને સાથે મૂકેલા વિડીયો વિચલિત કરી શકે એવા છે, કૃપા કરીને હૈયુ મજબૂત રાખીને જ આ વાંચશો. આજે પ્રસ્તુત છે આ લેખમાળાનો પ્રથમ ભાગ

The Desert Flower by Waris Dirie

હાથતાળી – રૂપેન પટેલ 17

શ્રી રૂપેનભાઈ પટેલની પ્રસ્તુત વાર્તા આજના જીવનની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. ઘણાં ગુનાહિત માનસ ધરાવતા લોકોના જીવનમાં ગુનો આચરવો એ સામાન્ય કાર્ય જેટલું સરળ થઈ ગયું છે. અને એ કાદવમાંથી નીકળવા માંગનારે સતત જાગૃત રહેવું ઘટે. રૂપેનભાઈની સરસ વાર્તાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ જ છે, પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ રૂપનેભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


બેગમ અખ્તર, આજ ભી… – અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા 8

ગઝલ શબ્‍દ કાને પડે, તેની સાથે તરત જ બે નામ ગઝલના પર્યાય સ્‍વરૂપે માનસપટ પર અનિવાર્ય રીતે ઝબકી જાય. શબ્‍દો માટે મિર્ઝા ગાલિબ, અને સ્‍વરો માટે બેગમ અખ્‍તર. ગઝલના માણતલ થવું હોય, તો આ બે નામોના જાણતલ થવું અનિવાર્ય! અને બેગમનું નામ પડે એટલે ભલભલા ગઝલગાયકો ગાવાનું બંધ કરી, ઊભા થઈ, અદબ વાળીને કતારબંધ ઊભા રહી જાય! બેગમનો સ્‍વર દૂરથી પણ કાને પડે એટલે ગઝલશોખીનો કાન સરવા કરીને અને આંખો બંધ કરીને, બધાં કામકાજ છોડીને, ડૂબી જાય એ મદહોશ કરી મૂકતા અવાજને સાંભળવામાં! બેગમ અખતર! ભાગ્‍યે જ કોઈ એવો ગઝલશોખીન જોવા મળે, જેણે બેગમ અખ્‍તરની ગઝલો સાંભળી ન હોય! જેણે બેગમના અવાજની મધુરતા માણી નથી તેણે ગઝલગાયકીને જરાયે જાણી નથી એવું કહેવામાં જરાયે અતિશયોક્‍તિ નથી. આજે છે તારીખ ૭મી ઓક્ટોબર, બેગમ અખ્તરની જન્મતીથી. આ પ્રસંગે શ્રી અશ્વિનભાઈ અને મીનાક્ષીબેન ચંદારાણાની કલમે માણીએ બેગમ અખ્તરની જીવનઝાંખી


करिष्ये वचनं तव। – ઉમાશંકર જોશી 6

આખી ગીતાનો મર્મ કોઈ એક ચરણમાં શોધવો હોય તો તે ઉપરના શબ્દોમાં શોધી શકાય. શ્રીકૃષ્ણ અર્જુનને જીવનના રહસ્યનું વિવિધ રીતે દર્શન કરાવે છે. એને પેરે પેરે બધું સમજાવે છે. મોહવશ થઈને તું જે કરવા નાખુશ છે તે અવશપણે – પરાણે પણ તારે કરવું પડવાનું જ છે એમ પણ એ જરૂર કહે છે. તેમ છતાં એ પછી તરત જ બધી દલીલો પૂરી થતાં, અંતે અર્જુનને મુક્ત રાખે છે. આમ આ ચરણમાં કર્મ જ્ઞાન અને ભક્તિ એ ત્રણેયના સમન્વયપૂર્વકના મુક્ત આત્મસમર્પણનો ગીતાનો સંદેશ વ્યક્ત થયો છે એવી વાત શ્રી ઉમાશંકર જોશી સરળતાપૂર્વક અને ઉપદેશના ભાર વગર વાચક સુધી સહેલાઈથી પહોંચાડે છે.


પ્રયત્નો કરે છે… – ગની દહીંવાલા 2

શ્રી ગની દહીંવાલાની ગઝલ વિશે કવિશ્રી નયન દેસાઈ કહે છે, ‘ગની’ ભાઈની ગઝલોમાં કાફિયા અને રદીફનું ચયન ખૂબ જ સરસ રીતે થયેલું જોવા મળે છે. ગઝલોમાં અપેક્ષિત એવી ભાવની પુષ્ટતા, કાફિયા અને રદીફનું શેરમાં બરાબર રીતે ઓગળી જવું અને વાતચીતની જીવંતતા દર્શાવવા સંબોધનની યોજના કરવી પણ ‘ગની’ ભાઈની વિશેષતા છે. ક્યાંય પણ છીછરા કે સસ્તા થયા વગર, વાહવાહીના તૂંકા રસ્તા લીધા વગર તેમણે લાંબા સમય સુધી વિદ્વાનો કે સામાન્ય જનતાના હ્રદયમાં અમિટ સ્થાન જમાવ્યું છે. પ્રસ્તુત ગઝલ તેમની આ વાતની ખાત્રી દરેક શેરમાં સુપેરે કરાવી જાય છે.


જેસલ જાડેજા અને સતી તોરલની કથા – ઝવેરચંદ મેઘાણી (Audiocast) ભાગ ૨ 6

પરંપરિત કથાઓ અને લોકવાણીના સંશોધન અને લોકજીવનની પરાક્રમગાથાઓ આલેખવા સૌરાષ્ટ્રની આખીય ભોમકા અગણિતવાર ખૂંદી વળનાર શ્રી ઝવેરચંદ મેઘાણી એક વખત મછવામાં એવા જ કોઈક કામે નીકળ્યા છે, આવી એક અંધારી માઝમ રાતે સામતભાઈની સાથે તેઓ સંત સાંસતિયા, સતી તોરલ અને જેસલ જાડેજાની વાત માંડે છે. સૌરાષ્ટ્રના લોકજીવન પર આધારિત ‘પુરાતન જ્યોત’ પુસ્તકમાંથી જેસલ તોરલ કથાનું ‘સોરઠ સરવાણી સંપુટ’ હેઠળ થયેલું બિનધંધાદારી ઑડીયો રેકોર્ડીંગ આજે પ્રસ્તુત છે, કથાકાર છે સંતસાહિત્યના મર્મજ્ઞ અને વિદ્વાન શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ, સાથે ભજનસુરો છે પુષ્પા છાયા, નેહા ત્રિવેદી અને બ્રિજેન ત્રિવેદીના.