ઉમાશંકર જોશીની કાવ્યકણિકાઓ…. 5


ભમ્યા કર્યું છે વળી ને ભમીશ,
પૃથ્વી પરે દેશવટે ગયા સમો.

* * *

મરે છે મરે છે મરે છે રાત દિન
પૂરતું મરતાં નથી આવડતું માનવીને.

* * *

પૂરા વહે જે જનતાની અગ્રીણો
તે પંગતે હો સહુથી ય છેલ્લા
ને બ્રાહ્મણો, સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.

* * *

બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું
રહ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.

* * *

આંહી લોકે લખલખ જનોમાંય એકાકી રહેવું,
મૂંગા મૂંગા સહન કરવું ના હવાનેય કહેવું.

* * *

મળી ત્યારે જાણ્યું, મનુજ મુજશી પૂર્ણ પણ ના
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.

* * *

આશક્તિ આત્મહત્યાની તેને આશા કહે જનો
મૃત્યુથી ત્રાસતા તોયે જિંદગી અર્ક મૃત્યુનો.

* * *

પી જાણે હલાહલો હોઠથી જે,
હૈયે તેણે અમૃતો છે પીવાનાં.

* * *

અન્નનાં ભક્ષનારા તે થશે ભક્ષ જ અન્નના;
ખાઈ ખાઉધરાં સૌને, બૂખ્યાંને અન્ન ખોજશે.

* * *

બાળકને જોઈ જે રીઝે રીઝે બાળક જોઈ જેને
વત્સલ મૂરત, સ્નેહલ સૂરત, હ્રદય હ્રદયનાં વંદન તેને.

* * *

પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે,
મળે મર્દને સ્ત્રીની ઉંચાઈ ત્યારે.

* * *

સંપૂર્ણતા હુંથી પરી રહો સદા;
આનંદ માગું હું અપૂર્ણતાનો.

* * *

નથી મેં કોઈની પાસે વાંછ્યું પ્રેમ વિના કંઈ,
નથી કે કોઈમાં જોયું વિના સૌંદર્ય કૈં અહીં.

* * *

બારણાં બંધ હું જ્યારે કરું છું, ચિત્તમાં રહ્યું
કોક ત્યાં બોલી ઉઠે છે, ‘કોણ બહાર રહી ગયું.’

* * *

જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ
બની રહો તે જ સમાધિયોગ.

* * *

મારી ન્યૂનતા ના નડી તને,
તારી પૂર્ણતા ગૈ અડી તને.

* * *

મારા અરે મૌનસરોવરે આ
કો ફેંકશો ના અહિં શબ્દકાંકરી;
મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ
તરંગની વર્તુળ શૃંખલામાં.

* * *

ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક હાથ,
બહુ દઈ દીધું નાથ ! જા ચોથું નથી માંગવું.

* * *

મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.

* * *

પરાગ જો અંતરમાં હશે તો,
એ પાંગરીને કદી પુષ્પ ખીલશે;
મનોરથો સ્વપ્ન મહીં હ્શે તો
સિદ્ધિરૂપે કાર્ય વિશે જ જન્મશે.

* * *

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું મૂળ વસુંધરાની.

– ઉમાશંકર જોશી

(લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘કાવ્યકણિકાઓ’માંથી સાભાર.)

ઉમાશંકરભાઈની સુંદર પદ્યરચનાઓમાં પ્રગટ થતી તેમની સર્જનશક્તિ જાણીતી છે. પણ એ કદી ચાતુકિત કે ચતુરાઈમાં નથી સરી પડતી. એમાં ક્યાંક અંતરની દીપ્તિ અને પ્રીતિને સ્પર્શ રહ્યો હોય છે. એમની પ્રદ્યરચનાઓના વિશાળ સંચયમાંથી આજે પ્રસ્તુત છે કેટલીક કણિકાઓ.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “ઉમાશંકર જોશીની કાવ્યકણિકાઓ….