લેખકો અને ઓનલાઈન ઈ-બુક પાયરસી.. – જીજ્ઞેશ અધ્યારૂ 4


એક બ્લોગર તરીકે અને નિઃશુલ્ક ઈ-પુસ્તકો ઉપલબ્ધ કરાવતા હોવાને લીધે અમને લોકો અસંખ્ય વખત પૂછે છે, ‘ચેતન ભગતની ‘ફાઈવ પોઈન્ટ સમવન’ની પી.ડી.એફ મેલ કરો ને!’ કે ‘અશ્વિનિ ભટ્ટની ‘અંગાર’ સોફ્ટકોપીમાં છે?’ કે ‘સોફ્ટકોપીમાં ‘રિચ ડેડ પુઅર ડેડ’નું ગુજરાતી વર્ઝન છે?’ લગભગ રોજ એકાદ-બે આવા ઈ-મેલ આવે છે અને દર વખતે અમારે કહેવું પડે છે કે અમારી પાસે જેટલા પુસ્તકો મૂકવાની પરવાનગી છે એ બધાં અક્ષરનાદ પર ઓનલાઈન છે જ! એ સિવાય કોપીરાઈટ ન હોવાથી કોઈ પુસ્તક હું ન મૂકી શકું.

અભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્નાએ તેમના પુસ્તકની પાયરેટેડ નકલ તેમને જ વેચતા એક ફેરીયાને સિગ્નલ પાસે જોયો, અને એનો ફોટો પાડીને ઈન્સ્ટાગ્રામ પર મૂકેલો (૨૦ ડિસેમ્બર ૨૦૧૬), સાથે લખ્યું હતું, ‘The silver lining to this inky cloud-pirated or otherwise, clearly I am still not past my sell-by date 🙂 #thelegendoflakshmiprasad #mrsfunnybones’ (કદાચ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી તેમના પુસ્તકનું વેચાણ વધ્યું જ હશે એ આડલાભ છે), તો શિલ્પા શેટ્ટીને પણ તેમના પુસ્તક માટે આવો જ અનુભવ થયેલો. મુંબઈના કોઈ પણ રેલ્વે સ્ટેશન પર જાવ, તમને ૬૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયામાં આવા પુસ્તકો વેચતા ફેરિયાઓ દેખાશે જ! આ તો થઈ પુસ્તકની હાર્ડ કોપીની પાયરસીની વાત.

ખ્યાતનામ લેખકો સોશિયલ મિડીયા દ્વારા મહદંશે તેમના ચાહકોના સંપર્કમાં રહે છે. પોતાના દ્રષ્ટિકોણ રજૂ કરવા કે વાચકો સાથે ચર્ચાઓ કરવાની સાથે કેટલાક રચનાકારો તેમના સર્જનને પણ સોશિયલ મિડીયા દ્વારા વાચકો સુધી નિઃશુલ્ક વહેંચે પણ છે. પણ સાથે સાથે તેમને એ વાતનો પણ ખ્યાલ છે કે તેમના પુસ્તકોની પાયરસી પણ ખૂબ થઈ રહી છે. ખૂબ પ્રચલિત પુસ્તક પી.ડી.એફ સ્વરૂપે ફરતું હોય એવા કિસ્સા નવા નથી. મને યાદ છે કે ઈ.સ. ૨૦૦૧ની આસપાસ ‘વારેઝ’ વેબસાઈટ્સ અને ફોરમ ખૂબ પ્રચલિત થયેલા જે રેપિડશેર કે ૪શેર્ડ જેવી ફાઈલશેરિઁગ વેબસાઈટ પર પુસ્તકો ચડાવી તેની લિંક ત્યારના ઓર્કુટ કે યાહુ જિઓસિટીઝ જેવા સોશિયલ મિડીયામાં શેર કરતા..

હવે ઈ-પુસ્તકો માટે ડી.આર.એમ (ડિજીટલ રાઈટ્સ મેનેજમેન્ટ)ના નેજા હેઠળ અનેકવિધ રીતે ઈ-પુસ્તકો પાયરસીથી સુરક્ષિત છે. ડી.આર.એમ પુસ્તકની અનાધિકૃત નકલ અને ફેલાવો અટકાવે છે. અને સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે એ દરેક રીત સહેલાઈથી તોડી શકાય છે. અને તે છતાં ઈ-પુસ્તકોની પાયરસી ફિલ્મો કે ટી.વી શોની પાયરસી કરતા જરાય ઓછી થઈ નથી. અસંખ્ય ટોરન્ટ વેબસાઈટ્સ પર મહદંશે બધા જ પ્રચલિત ઈ-પુસ્તકો અને ઑડિયો પુસ્તકો ઉપલબ્ધ છે જ. મારી જૂની કંપનીના સ્કેનરના શેર્ડ ફોલ્ડરમાં પણ એક વખત એક પ્રખ્યાત ગુજરાતી લેખકના તદ્દન નવા પુસ્તકનું સ્કેન જોયેલું અને ડીલીટ કરાવેલું. ‘સફારી’ના ઘણાંય અંકો ટૉરન્ટ પર હજુય ઉપલબ્ધ છે. પણ આજે જે વાત મૂકી રહ્યો છું એ સહેજ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે અને એથી કોપિરાઈટ વિશેના કાયદા કે દ્રષ્ટિકોણને નકારાત્મક રીતે જોવાનો કે મૂલવવાનો મારો જરાય પ્રયત્ન નથી. ડચ પ્રકાશકો હવેથી સોફ્ટકોપી પર જે તે ખરીદનારનું નામ, બિલ નંબર અને તારીખનો વોટરમાર્ક કરીને વહેંચશે, એટલે જો એ અનાધિકૃત નકલ પારરસીમાં વપરાઈ હોય તો જે તે ખરીદનારને પકડી શકે.

પાઉલો કોએલ્હોએ તેમના પુસ્તક ‘ધ અલ્કેમિસ્ટ’નું રશિયન સંસ્કરણ પ્રકાશિત કર્યું ત્યાર પછી એક વર્ષમાં તેની ફક્ત ૧૦૦૦ નકલો વેચાઈ. પ્રકાશકે પાઉલોને પડતા મૂક્યા. બીજા પ્રકાશક સાથે જોડાયા પછી પાઉલોએ એક હિંમતભર્યું પગલું લીધું. તેમણે પોતાની વેબસાઈટ પર ‘ધ અલ્કેમિસ્ટ’નું રશિયન સંસ્કરણ ૧૯૯૯માં નિઃશુલ્ક ડાઉનલોડ માટે મૂકી દીધું.

અન્ય કોઈ પણ પ્રમોશન વગર, પુસ્તકનું વેચાણ વધતું ચાલ્યું. પછીના એક વર્ષમાં દસ હજાર નકલો વેચાઈ. અને એ પછીના વર્ષ સુધીમાં આંકડો એક લાખ સુધી પહોંચ્યો. ઈ.સ. ૨૦૦૨ સુધીમાં તેમના પુસ્તકોના વેચાણનો આંકડો દસ લાખને પાર કરી ગયો. દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં તેમણે કહ્યું, ‘મને ખાત્રી છે કે તેને ઓનલાઈન મફત મૂકવાના નિર્ણયને લીધે જ આ વેચાણ થયું.‘ તેમણે ‘ધ પાયરેટ બે’ સાથે મળીને તેમણે પોતાના બધા પુસ્તકો નિઃશુલ્ક મૂકી દીધા, સાથે વાચકોને વિનંતિ કરી કે તમે આ પુસ્તક ડાઉનલોડ કરો અને જો તમને એ પસંદ આવે તો તેને ખરીદીને વાંચજો. આ રીતે આપણે પ્રકાશનસંસ્થાઓને કહી શકીશું કે ‘લાલચ ક્યાંય લઈ જતી નથી.’

ઈ.સ. ૨૦૦૦માં પાઉલોએ તેમના પુસ્તક “Stories for parents, children and grandchildren” ને આખું બ્લોગ પર મૂકી દીધું અને તેની લિઁક ટ્વીટ કરી. પાંચ મહીનામાં એ પુસ્તકના દસ લાખથી વધુ ડાઊનલોડ થયા, પણ પાઉલો લખે છે તેમ, એ પુસ્તક માટે એક પણ નોંધપાત્ર પ્રતિભાવ ન મળ્યો. તેઓ કહે છે, લોકો પુસ્તક ડાઊનલોડ તો કરે છે, પણ મહદંશે વાંચતા નથી, અને પ્રતિભાવ તો જવલ્લે જ આપે છે. તેઓ ડાઊનલોડ કરે છે કારણકે તેમની વાંચવાની ઈચ્છા પૂર્ણ કરે એવું કંઈક તેમને ઉપલબ્ધ કરી રાખવું છે, એ વિચિત્ર પ્રકારનો સંતોષ છે કે તેમની પાસે લેપટોપ કે મોબાઈલમાં એ પુસ્તક ડાઊનલોડ કરેલું છે, પણ જ્યારે ખરેખર વાંચવાનો સમય આવશે ત્યારે તેઓ પુસ્તક ખરીદશે.” પાઉલોના આ વિચાર સાથે ઘણા સંમત નથી. આજે પણ તેમના પુસ્તકોની ઓનલાઈન પાયરસી ઓછી થઈ નથી, ઉલટું પાઉલો કોએલ્હો તેમના પોતાના પુસ્તકોની પાયરેટેડ નકલ ડાઊનલોડ કરવા માટેની કડીઓ તેમના ટ્વિટર અને બ્લોગ ફોલોઅર્સ સાથે પોતે વહેંચે છે અને પાયરેટ કોએલ્હો નામનો આખો એક વિભાગ તેમના પુસ્તકોની ઈ-નકલો નિઃશુલ્ક આપે છે.

હેરી પોટર શ્રેણીના લેખિકા જે. કે. રોલિઁગ પાયરસીના ડરથી ઈ-પુસ્તકોના વિચારને નકારતા રહ્યાં, અને તેમના પુસ્તકો ઈ-સ્વરૂપે ઉપલબ્ધ ન હોવાને લીધે એની વધુ પાયરસી થઈ. આખરે તેમણે પણ ઈ-પુસ્તકન સ્વરૂપને સ્વીકારીને પોતે જ પોટરમોર નામની વેબસાઈટ પર પુસ્તકો ઈ-સ્વરૂપે વેચવાનું શરૂ કર્યું. હજુ ઘણાં દેશોમાં તેની સોફ્ટકોપી વેચતા નથી પણ હેરી પોટરના પુસ્તકોની પાયરસી રેકોર્ડ સ્તર પર છે. ભારતમાંં તેની હાર્ડકોપીની પાયરસી રોકવા પ્રકાશકે ૨૪ કલાક હેલ્પલાઈન નંંબર શરૂ કરેલો અને જેવી એ વિશે માહિતી મળે કે તેમની સિક્યોરીટિ એજન્સી અને વકીલો વગેરે તરત દરોડો પાડતા, હેરી પોટર શ્રેણીના પુસ્તકોને તેમણે ન્યૂક્લીઅર બોમ્બ જેટલી ચોકસાઈથી સાચવ્યા એમ કહેવાય છે. ડેન બ્રાઉનની ધ લાસ્ટ સિમ્બોલ પણ પ્રકાશનના બીજા જ દિવસે પાયરસીને પામી, દિવસોમાંં તેના એક લાખથી વધુ ડાઉનલોડ થયેલા. વાત ફક્ત નવલકથાઓથી અટકતી નથી, મેડિકલ પુસ્તકો કે ટેકનીકલ પુસ્તકોની પાયરસી પણ સતત વધતી ચાલી છે.

પણ અભ્યાસ બતાવે છે કે પ્રકાશકો અને લેખકોનો આ ડર જેટલો મોટો કરીને બતાવાય છે એટલો ખરેખર છે નહીં, અમેઝોન કિન્ડલ દ્વારા ઈ-પુસ્તકો ખરીદતા લોકો અન્ય હાર્ડકોપી ખરીદતા લોકો કરતા ૩.૧ ગણા વધુ પુસ્તકો ખરીદે છે, કારણ તેમાં ખરીદવાની સરળતા છે, શિપિંગ કે ડિલિવરીનો પ્રશ્ન નડતો નથી, પુસ્તક માટે રાહ જોવી પડતી નથી અમે એક નાનકડા કિન્ડલમાં અનેક પુસ્તકો સમાઈ શકે છે. અંગ્રેજી પુસ્તકોના વેચાણમાં અમેરિકા અને ઈંગ્લેંડ પછી ભારત ત્રીજા ક્રમે છે. અત્યારે ભારતમાં ૧૦% પ્રકાશકો ઈ-પુસ્તક ક્ષેત્રમાં છે જે ૨૦૨૦ સુધીમાં ૨૫% થવાની શક્યતા છે, અને તેની સાથે પાયરસી પણ અનેકગણી વધવાની એ ચોક્કસ. સ્માર્ટફોન અને ભારતમાંં ઈન્ટરનેટના વધતા વપરાશને લીધે ૫૬% લોકોએ નેલસનના સર્વેમાં કબૂલ્યુંં કે તેમણે ઓછામાં ઓછું એક ઈ-પુસ્તક ખરીદ્યુંં છે. પાંચ ભારતીય ભાષાઓને આવરી લેવાની શરૂઆતને લીધે ભારતમાં અમેઝોનના કિન્ડલનું વેચાણ વધ્યું છે અને મોબાઈલ પર પણ કિન્ડલ એપ સાથે વાંચન વધ્યું છે. ૨૦%ના દરે દર વર્ષે વધતા ભારતીય પુસ્તક બજારમાં ૫૫% વેચાણ અંગ્રેજી પુસ્તકોનું છે, ૩૫% હિન્દી અને બાકીના ૧૦% અન્ય ભારતીય ભાષાઓના છે. અંગ્રેજી પુસ્તકોમાં વિદેશી પ્રકાશકો કે લેખકો સિંહભાગ લઈ જાય છે.

ભારતમાં વધતી નેટ સ્પીડ, સરળ થઈ રહેલા ઈ-પેમેન્ટ અને સરકાર તરફથી એ માટે લેવાઈ રહેલા પ્રોત્સાહક પગલાને લીધે ઈ-પુસ્તકોનું વેચાણ આવતા વર્ષોમાં વધવાનું જ છે, અને સાથે સાથે ભારતીય પાયરેટ સાઈટ્સ એ જ ઝડપે પાયરસી પણ કરશે જ. પિઅર ટુ પિઅર ટોરન્ટ વેબસાઈટ્સ પર તરત ચડી જતા આ પુસ્તકોના પ્રસારને રોકવાનો કોઈ સરળ રસ્તો હાલ તો દેખાતો નથી, પણ હાર્પરકોલિન્સના વ્યવસ્થાપકો આ પાયરસીને પણ અનિવાર્ય દૂષણ જ ગણે છે, અને તેનો હકારાત્મક રીતે પુસ્તકના પ્રસાર માટે જ ઉપયોગ કરવાના પ્રયત્નો કરવા પ્રયત્નશીલ છે.

જે. કે. રોલિંગને ટ્વિટર પર એક પત્ર મળ્યો. પત્ર એક એવી નાનકડી છોકરીની માતાએ લખેલો જેને કેન્સર હતું. એ છોકરી થડા જ સમયમાં મૃત્યુ પામી. પત્રમાં તેની માતા લખે છે, “જ્યારે કિમોથેરાપી વગેરે ચિકિત્સા તેને માટે અકળાવનારી થઈ જતી ત્યારે તમારા શબ્દોએ તેને એવો કિલ્લો બાંધી આપ્યો જેમાં એ ખોવાઈ જતી. કેન્સરનો રોગ જ્યારે મારી દીકરીનું બધું જ છીનવી રહ્યો હતો ત્યારે તમારા પુસ્તકો એ કિલ્લો બની રહ્યાં જેમાં અમે ખૂબ અધીરાઈપૂર્વક છુપાઈ જવા માંગતા હતા.” જવાબમાં રોલિંગે ટ્વીટ કરેલું, ‘મને લાગે છે કે હું લખું છું કારણકે શબ્દો જ કાયમ મારું સલામત સ્વર્ગ બનીને રહ્યાં છે. હું ફક્ત એ જ ઈચ્છું કે શબ્દો તેને તમારી પાસે પાછી લઈ આવી શક્તા હોત.” પુસ્તકો આપણા જીવનનું અભિન્ન અંગ છે અને આવા અનુભવો માનવા પ્રેરે છે કે એક પુસ્તક જીવનમાં મોટો ભાગ ભજવી જાય છે, કોને ખબર કયા પુસ્તકની કઈ કડી તમારા જીવનને નવી દિશા આપી જાય, એ માટે પાયરેટેડ પુસ્તકનો આધાર લઈશું કે લેખકને તેની મહેનતના અને આપણા જીવનમાં વાંચન માટે ગાળેલી એ યાદગાર ક્ષણો બદલ શુલ્ક ચૂકવીને તેનું ઋણ અદા કરીશું? પાયરસીને રોકવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે. ઇન્ટરનેટ નકારાત્મક કરતા હકારાત્મક ઉપયોગ માટે વધારે યાદગાર બનતુંં જાય છે, એવામાં પાયરસી જેવા દૂષણોથી તેને બચાવવુંં જરૂરી છે.

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “લેખકો અને ઓનલાઈન ઈ-બુક પાયરસી.. – જીજ્ઞેશ અધ્યારૂ

  • KAPIL SATANI

    આપનો બ્લોગ ખૂબ જ ઉપયોગી અને કામ આવે તેવા પ્રકારનો છે. આપ હજુ પણ આ ક્ષેત્રે નવું નવું આપતા રહો તેવી અભિલાષા વ્યક્ત કરું છું.
    આપનો જ
    કપિલ સતાણી
    બોટાદ

  • P.K.Davda

    તમે એક સાંપ્રત સમસ્યાને ઉજાગર કરી છે. હાલમાં તો એનો કોઈ ઉકેલ દેખાતો નથી, પણ ટેકનોલોજી આનો જરૂર કોઈ રસ્તો કાઢશે. સાલ મુબારક

  • સુરેશ જાની

    લોકો પુસ્તક ડાઉન લોડ કરે છે, પણ વાંચતા નથી.
    ————–
    એકદમ સાચી વાત. આથી જ હવે ઈ-બુક બનાવવાનો ધખારો મંદ પડી ગયો છે. ખાલી મારા પોતાના પટારામાં ઘણા બધા સ્વ- સર્જનોની ઈબુક બનાવી , જુદા SDRAM માં સાચવી રાખી છે, જેથી કોમ્પ્યુટર ક્રેશ થાય તો પણ સચવાય.
    બાકી તો હવેના સ્માર્ટ ફોન / વોટ્સેપ / ફેસબુકના જમાનામાં તો રોજે રોજનું અને ટૂંકું લખાણ જ વંચાય છે.