તને મળ્યો મનુષ્ય અવતાર…. – ગંગાદાસ 1


તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને
તેંતો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને,
તેથી ખાશો જમનો માર પેટ ભરીને,
તેથી રામનામ સાંભળ……તને.

ગઇ પળ પાછી નહીં મળે,
મૂરખ મૂઢ ગમાર,
ભવસાગરની ભૂલવણીમાં,
વીતી ગયા જુગ ચાર
ફેરા ફરીને…..તને.

જઠરાગ્નિમાં જુગતે રાખ્યો,
નવમાસ નિરધાર,
સ્તુતિ કીધી તેં અલબેલાની
બહાર ધર્યો અવતાર,
માયામાં મોહીને…તને.

કળજુગ કુડો રંગ રૂડો,
કેતા ન આવે પાર,
જપ તપ તીરથ કાંઈ ન કરિયા
એક નામ આધાર
શ્રીકૃષ્ણ કહીએ…..તને.

ગુરુગમ પાયો મનમાં ધર્યો,
જુગતે કરી જદુરાય,
ગંગાદાસકુ જ્ઞાન બતાયો
રામદાસ મહારાજ
દયા કરીને……તને.

– ગંગાદાસ

‘ડાયરો’ પુસ્તકના ભજન વૈવિધ્ય વિભાગમાંથી સાભાર.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “તને મળ્યો મનુષ્ય અવતાર…. – ગંગાદાસ

  • Kedarsinhji M.Jadeja

    માનવ દેહ
    માનવ કેરો દેહ મળ્યોછે, ચોરાશી તરવા તને
    માયામાં જો મોહી રહ્યો તો, મુક્તિ ક્યારે મળશે તને…

    બચપણ મહીં માં બાપની, માયા તને વળગી રહી
    ભણ્યો તું ભાવ થી ભેરૂ, ભગવાન ને જાણ્યો નહિં
    પછી આવી યુવાની, થઇ ને દીવાની, મદ થકી મળવા તને…

    મળ્યા છે માન ને દોલત, મળ્યા નોકર અને ચાકર
    નથી દુખી કોઇ વાતે, રહે છે મહેલ માં જાકર
    મળ્યું છે મોટું નામ તુજને, ભક્તિ ક્યારે મળશે તને…

    થઇ જ્યારે ઉમર તારી, થયો નિવ્રુત તું તન થી
    સંસાર કેરા સુખ માં, ચીટકી રહ્યો મનથી
    યાદ ન આવી ઇશ કેરી, ભુલી ગયો ભગવાન ને…

    અવસર તને આપ્યો હતો, કરવાને ભક્તિ ભાવ થી
    સમજી શક્યો નહિં સાન માં, મોકો ગુમાવ્યો હાથ થી
    “કેદાર” પારખ કોક નિકળે, જાણી લે જે જગ તાત ને…

    રચયિતા
    કેદારસિંહજી મે જાડેજા
    ગાંધીધામ કચ્છ.
    http://www.kedarsinhjim.blogspot.com