માત્રાથી વધારે લેવાથી અમૃત પણ ઝેર બની જાય છે.. – ચેતન ઠાકર 9


મનની આ સ્થિતિ સર્જાવાનું નું કારણ શું? ખાસ કરીને આજથી એકવીસ દિવસ આપણે સૌએ ઘરમાં જ રહેવાનું છે. સતત પ્રવૃત્ત રહેતા માણસ માટે ઘરનો દરવાજો લક્ષ્મણરેખા બની જાય ત્યારે આટલો બધો સમય મજબૂરીમાં અંદર રહેવું જરૂરી હોવા છતાં એ માનસિક અસર છોડી જ જવાનો. તો આ નિરાશા અને કંટાળાની લાગણીને નકારાત્મક બનતા કેમ અટકાવવી?

વિશેષ કરીને છેલ્લા લગભગ પંદર દિવસ જેટલા સમયથી મારા કાન એક ને એક શબ્દ સાંભળીને અને મારુંં મન એક ને એક શબ્દ વિશે વિચાર કરીકરીને થાકીને લોથ-પોથ થઈ ચૂક્યું છે. અને તે શબ્દ છે ‘કોરોના વાયરસ’

આ શબ્દ એ મારા સમગ્ર માનસપટ પર રીતસરનો કબજો જમાવી લીધો છે. કોરોના એ હવે સમગ્ર વિશ્વના જનમાનસ માટે શબ્દ નહીં પણ શબ્દકોષ બની ગયો છે. અહી આપ સૌ સાથે મારો ‘કોરોના વાયરસ’ વિશે વાત કરવાનો કોઈ ઇરાદો નથી. સાવ સાચી વાત કરું તો આ લેખ લખવાનો એક માત્ર હેતુ મારા સ્વયંની અંદર ઘર કરી ગયેલ શબ્દ કે વિચારથી મુક્તિ મેળવવાનો છે; અને હા મારા જેવી મન સ્થિતિ અત્યારે થોડી – ઝાઝી માત્રામાં લગભગ બધાની હશે, માટે તમને આ લેખ વાંંચવો / મમળાવો ચોક્કસ ગમશે.

અહિયાં મારે વર્તમાનપત્રોમાં/ ટી.વી.માં આવતા સમાચારો કે વોટસએપમાં આવતા મેસેજિસ વિષે કોઈ વાત કરવી નથી પરંતુ મારા સ્વયંના મનની અંદર ચાલતા અવિરત સંઘર્ષ એટલેકે મનમાં સ્ફુરતા અસુરક્ષા, ભય, લાગણી અને કંટાળાની અનુભૂતિ કરાવતા વિચારોનું જે સંગ્રામ ચાલ્યો તેની અને તેનાથી છૂટકારો મેળવવાની સહજ અને સરળ રીતોની અનુભવસિધ્ધ વાતો વહેંચવી છે. ચોક્કસ એક શિક્ષિત વ્યકિત તરીકે આપણે સૌએ ચેપી રોગ સામે લેવાની થતી દરેક કાળજી લેવી જોઈએ અન્યોને પણ તે માટે સૂચિત કરવા જોઈએ એમાં બે મત ન હોઇ શકે. છેલ્લા થોડા દિવસોથી આપણે બધા એક જ વિષય વિષે વાતો કરીએ છીએ તેના વિશેજ જાતજાતના મેસેજ વાંંચીને કે વાંંચ્યા વગર અન્યોને મોકલીએ છીએ. ટી.વી. અને છાપાઓ આ વિષય થી છલકાય છે પરિણામ સ્વરૂપ આપણું મન વધારે પડતાં સુરક્ષાના ભાવમાં અને ભયમાં રહેવા લાગ્યું છે અને જો મનની આ સ્થિતી હજુ થોડો વધારે સમય ચાલુ રહી તો સંભવત: આ વધારે પડતો ભય ફોબિયા કે ડિપ્રેશનનું સ્વરૂપ લઈ લેશે અને આપણને ખ્યાલ પણ નહીં રહે. મનની આ સ્થિતિ સર્જાવાનું નું કારણ શું? ખાસ કરીને આજથી એકવીસ દિવસ આપણે સૌએ ઘરમાં જ રહેવાનું છે. સતત પ્રવૃત્ત રહેતા માણસ માટે ઘરનો દરવાજો લક્ષ્મણરેખા બની જાય ત્યારે આટલો બધો સમય મજબૂરીમાં અંદર રહેવું જરૂરી હોવા છતાં એ માનસિક અસર છોડી જ જવાનો. તો આ નિરાશા અને કંટાળાની લાગણીને નકારાત્મક બનતા કેમ અટકાવવી?

અહિંં આપણું અદભૂત હિન્દુ ધર્મશાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે છે. શ્રીમદ ભાગવત ગીતાની એક વાત સૌને યાદ કરાવીશ કે કોઈ પણ વસ્તુ કે પદાર્થનો વધારે પડતો ઉપયોગ કે તેના વિશેનો વધારે પડતો વિચાર હાનિકારક છે, જે આ લેખનું શીર્ષક પણ છે. વાત સાવ સાદી અને સરળ છે કે કસરત શરીર માટે ફાયદાકારક છે પણ પોતાની ક્ષમતા કરતાં ખૂબ વધારે માત્રામાં કરવામાં આવે તો શરીર તૂટી જાય છે. પોતાની ક્ષમતા કરતાં ખૂબ વધારે માત્રામાં ભોજન કરવામાં આવે તો ઉલ્ટી થાય છે, શરીરને પોષણ નથી મળતું. આ બધી બાબતો બે ને બે ચાર જેવી છે આમાં કોઈ નિષ્ણાંંતના અભિપ્રાયની આવશ્યકતા નથી.

હવે આપણે શું કરવું જોઈએ? કોરોનાથી બચવા માટે પૂરતી કાળજી તો લેવાનીજ છે પરંતુ તેના વિષે થોડી જાણકારી રાખવી અને દિવસમાં અડધો ક્લાકથી વિશેષ ચર્ચા ન કરવી. આમ સયંમ સાથે કામ લેવું, દરરોજ સવારે ઘરમાં સતત કે અગાસીમાં ચાલવું, હળવી કસરતો કરવી, યોગ કરવા અને જે સમય અત્યારે ઘરે રહેવા માટે મળ્યો છે તો બિનજરૂરી કંટાળાનો ભાવ ન ઊભો થવા દેવો; પરંતુ પરિવાર સાથે ખૂબ હસીમજાક કરવી, સાથે ચેસ રમો, કેરમ રમો, પત્તા રમો, અંતાક્ષરી રમો અને સૌથી અસરકારક ઉપાય બતાવું તો રસોડામાં ઘૂસી જાવ; વાનગી બનાવો અને ઘરનાં લોકોને ખવડાવાનો આનંદ બેજોડ છે. સાથે બેસી ઘરમાં ઉપલબ્ધ હોય એ વસ્તુઓથી બનતા ભાવતા ભોજનની મજા માણો, જમીને થોડું સૂઈ જાવ; રાજા હોવ એવી અનુભતી થશે, પડોસીઓ સાથે આત્મીય સંબધ બનાવાની આ એક તક છે તેને ઝડપી લો. હા આ બધામાં એક-બીજા સાથે થોડું અંતર ચોકકસ રાખવાનું છે કારણ “ચેતતો નર સદા સુખી” અને પહેલું સુખ તે જાતે નરવા”. આપણને શ્રદ્ધા હોય એ ઈશ્વરીય શક્તિને પ્રાર્થના કરીએ, આખા પરિવાર સાથે સમૂહમાં પ્રાર્થના કરવાનો સંતોષ અલગ જ છે. એથી મનના નકારાત્મક વિચારોને શાંતિ મળશે અને આપણે પણ હળવા તથા મનથી વધુ મજબૂત થઈ શકીશું. વોટસએપમાં અન્યોના ચીલાચાલુ મેસેજિસ મોકલવાને બદલે આપણે બનાવેલી ડિશ શેર કરીએ, પરિવાર સાથે બનેલો કોઈ રમૂજી કિસ્સો શેર કરીએ, કોઈ આપણે જોએલી ઉતમ મૂવી, વેબસીરીઝ કે વાંંચેલ ઉતમ પુસ્તક સૂચવીએ. અને આ રીતે આપણે બધા મળેલા આ સમયને જીવનનું એક યાદગાર સંભારણું બનાવી દઈએ.

અંતમાં મારા બધા વાચકો અને દેશવાસીઓને પરમ કૃપાળુ પરમાત્મા દીર્ઘ આયુષ્ય આપે તેવી પ્રાર્થના. આ કપરા સમયમાંથી આપણે સૌ હેમખેમ સુખરૂપ બહાર આવી શકીએ એ જ ઈશ્વરને પ્રાર્થના. ઘરમાં રહીએ અને સાથે આપણી પોતાની અંદરના આપણા ઘરને, મનને પણ આપણું નિવાસસ્થાન બનાવીએ.

– ચેતન ઠાકર
એ-૧૩, આલાપ ગ્રીન સિટી, રૈયા રોડ, રાજકોટ ૩૬૦૦ ૦૦૭  


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “માત્રાથી વધારે લેવાથી અમૃત પણ ઝેર બની જાય છે.. – ચેતન ઠાકર

  • હર્ષદ દવે

    સાચી વાત, અતિની ગતિ નથી. સંયમ, સ્વયંશિસ્ત, ભીતર જઈને આત્મ ચિંતન કરવું, શાસ્ત્રીય કે ફિલ્મી સંગીત સાંભળવું, આપણી જૂની પણ મજેદાર રમતો ચોપાટ, ઇષ્ટો, નવડી કે અન્ય ઈનડોર રમતો રમી શકાય. બાળકો અને વડીલો શતરંજ, સાપસીડી, પઝલ્સ, ઉખણા, કોયડા જેવી બૌદ્ધિક રમતો રમી શકે. રસોડામાં કાંઈક નવી વાનગી બનાવવાનો પ્રયોગ પણ રસપ્રદ બની શકે. ભય અને ચિંતાને વાયરસની જેમ વાયુવેગે ધરતવટો આપી દઈએ. આવા સારા લેખો વાંચીએ, સહ ચિંતન કે મનન કરીએ. અને આરામથી આરામ કરીએ.
    સહુ સ્વસ્થ રહે અને ટાગોરના ગીતમાં સૂર પુરાવીએ ‘એકલા ચલો એકલા ચલો એકલા ચલો રે…