પાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4


સતત પાંચમા વર્ષે પ્રસ્તુત છે અક્ષરનાદની ખૂબ જાણીતી, આગવી અને અદ્વિતિય માઇક્રોફિક્શન સ્પર્ધા. ૨૦૧૫થી શરૂ થયેલી આ સ્પર્ધાને સતત બહોળો પ્રતિસાદ મળતો રહ્યો છે, અનેક નવોદિત સર્જકોને અહીં મંચ અને પુરસ્કાર મળ્યા છે, તેમની કલમને એક આગવો અવસર આ સ્પર્ધા દ્વારા મળી રહ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં ઓછામા ઓછી ત્રણ માઇક્રોફિક્શનને બદલે ફક્ત એક માઇક્રોફિક્શનનો નિયમ કર્યો છે. ઈ-મેલ કે કૂરિયરને બદલે ફોર્મ દ્વારા અહીં જ સબમિટ કરી શકાય એવી વ્યવસ્થા પણ થઈ છે. અને અક્ષરનાદની આ પહેલાની સ્પર્ધાઓમાં વિજેતા, વાર્તાલેખનના ક્ષેત્રમાં જાણીતા નામ એવા બે જાણકાર મિત્રોને નિર્ણાયક તરીકે મેળવ્યાનો પણ અનેરો આનંદ છે. આશા છે ‘સર્જન’ ગ્રુપના બનવા માટે નિમિત્ત એવી આ સ્પર્ધાને આ વખતે પણ સર્જક મિત્રોનો અપાર સ્નેહ મળી રહેશે.. તો ઉઠાવો કલમ અને તમારી કલ્પનાને પાંખો આપો..

જય સર્જન..

અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯) – નિયમો

1. સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂર નથી.

2. માઇક્રોફિક્શન ફક્ત આ સાથે નીચે મૂકેલા ફોર્મમાં જ સબમિટ કરવી. વાર્તા યુનિકોડ (શ્રુતિ વગેરે) ફોન્ટમાંં જ મૂકવી. વાર્તામાં કે તેની સાથે સ્પર્ધકની કોઇ પણ ઓળખ મૂકવી નહીં, ફોર્મમાં આપેલી જગ્યાએ સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર અને ઇ-મેલ સરનામું લખવા જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સબમિટ થશે નહીં, ખોટી માહિતી હશે તો વાર્તા સ્વીકાર્ય ગણાશે નહીં.

3. હસ્તલિખિત માઇક્રોફિક્શન સ્વીકાર્ય ગણાશે નહિ. માઇક્રોફિક્શન ઈ-મેઈલ કે કૂરિયર / પોસ્ટ દ્વારા મોકલવી નહીં. એકની એક માઇક્રોફિક્શન બે વખત સબમિટ થયેલી હશે તો પહેલીવારની કૃતિ જ સબમીશનમાં ગણાશે.

4. વાર્તા મૌલિક, અપ્રગટ અને સ્વરૂપને બંધબેસે એવી હોવી જોઈએ. આ માઇક્રોફિક્શન સ્વરૂપની સ્પર્ધા છે એટલે અહીં લઘુકથાઓ સ્વીકાર્ય નથી. માઇક્રોફિક્શન અને લઘુકથા વચ્ચેની વિશદ સરખામણી સર્જન સામયિકના અંકમાં આપી છે. (જુઓ http://microsarjan.in પર મૂકેલા સર્જન સામયિકના અંકમાં આ વિશેની વધુ સ્પષ્ટતા) સૂચવ્યા મુજબની મર્યાદાઓની બહાર જતી વાર્તાઓને સ્વીકારી શકાશે નહીં. વાર્તાની મૌલિકતાની જવાબદારી સંપૂર્ણપણે લેખકની રહેશે.

5. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા મિત્રોએ નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કૃતિ સબમિટ કરવાની રહે છે. છેલ્લી તારીખ બાદ સબમિશન સ્વીકારી શકાશે નહીં / સ્વીકાર્ય ગણાશે નહીં.

6. સ્પર્ધામાં મોકલેલી વાર્તાઓ અન્યત્ર મોકલી શકાશે નહીં. સ્પર્ધામાં વિજેતા થયેલી વાર્તાઓને પ્રકાશિત કરવાનો પહેલો હક અક્ષરનાદનો રહેશે. કોઈ એક ક્રમાંક માટે જો એકથી વધુ કૃતિ વિજેતા જાહેર થશે તો દરેક સ્પર્ધકને ઈનામ સરખે ભાગે વહેંચી આપવામાં આવશે.

7. સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે. આ માટે સંપાદક કે અન્ય કોઈ જવાબદાર રહેશે નહીં.

8. માઇક્રોફિક્શન મહત્તમ ૨૦૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી હોવી જોઈએ.

9. ઓછામા ઓછી એક માઇક્રોફિક્શન મોકલવાની રહેશે. એથી વધુ માઇક્રોફિક્શન કે એકથી વધુ એન્ટ્રી ગણતરીમાં લેવાશે પણ એ માટે ફોર્મ ફરી ભરવું જોઈશે, વળી સ્પર્ધામાં તેને ગણવા અને તેની સ્વીકાર્યતા અંગેનો સઘળો હક્ક અક્ષરનાદનો / નિર્ણાયકોનો રહેશે. સ્પર્ધા અંગેનો બધી બાબતો અને નિર્ણય અક્ષરનાદના અને નિર્ણાયકોના અધિકારમાં જ રહેશે અને એ સર્વે સ્પર્ધકોને બંધનકર્તા હશે.

10. સ્પર્ધા માટે કૃતિઓ ધ્યાનમાં લેતી વખતે તેના વાર્તાકથનની પદ્ધતિ, શબ્દોનો ઉપયોગ, વાર્તાનું પોત અને તેની અસરકારકતા, પ્રસંગ – ઘટનાની નિરુપણ પદ્ધતિ, વાર્તાબોધ અને અંતે ચમત્કૃતિ જેવી બાબતો ધ્યાનમાં લેવાશે. પણ એ બંધનકર્તા નથી. સ્પર્ધામાં અંતે તો રચનાની સમગ્રતયા અસરકારકતા અને સર્જનની વિશેષતા જ સૌથી વધુ અગત્યનો ભાગ ભજવે છે.

11. ઓછામાં ઓછા શબ્દો સાથે વધુ કહી શકવાની ક્ષમતા, એકથી વધુ વૈકલ્પિક અંતની શક્યતાઓ અને વાર્તા પૂર્ણ થયે વાચકના માનસમાં એક કે એથી વધુ નવા ઘટનાપ્રવાહનો જન્મ માઇક્રોફિક્શનની કેટલીક ખાસીયતો છે.

12. સ્પર્ધામાં અક્ષરનાદ સંપાદકો અને અત્યારના નિર્ણાયકો સિવાય બધા જ જોડાઈ શકે છે.

સંપર્કસૂત્ર

આ અંગેની કોઈ પણ સ્પષ્ટતા કે પૂછપરછ ૯૯૭૪૪ ૧૦૮૬૮ પર કરી શકાશે.

વાર્તાઓ સબમિટ કરવાની અંતિમ તારીખ છે ૧૦ જૂન ૨૦૧૯,
પરિણામ પ્રસિદ્ધ થશે તા. ૧૫ જુલાઈ ૨૦૧૯ 

નિર્ણાયકોનો પરિચય

મિત્તલબેન પટેલ

હાલ મુંબઈ રહેતા મિતલ પટેલ ગૃહિણી છે, તેમણે બી.એસ.સી. માઈક્રોબાયોલોજી તથા ડિપ્લોમા અને માસ્ટર્સ ઈન મેડિકલ લેબ ટેકનોલોજી કરેલ છે. માઇક્રોફિક્શનનાં ગ્રુપ સર્જનમાં જોડાયા ત્યારથી વાંચવા લખવાનો બાળપણનો શોખ વિકસ્યો. તેમની ટુકી વાર્તાઓને મળેલા પુરસ્કારો :

૧. પ્રથમ ઈનામ – વાર્તાનું શીર્ષક: ચુનર – સ્નેહાસવ આર્ટ સંસ્થા, સુરત
૨. દ્વિતીય ઈનામ – ત્રણ માઈક્રોફિકશન વાર્તાઓ – અક્ષરનાદ
૩. પ્રથમ આશ્વાસન ઈનામ – વાર્તાનું શીર્ષક: છિન્નભિન્ન – અરસપરસ વાર્તા સ્પર્ધા
૪. તૃતીય ઈનામ – વાર્તાનું શીર્ષક: પરદો – ગુજરાત વિશ્વ કોષ ટ્રસ્ટ હેઠળ ધીરુબેન પટેલ આયોજીત ‘વિશ્વા’ વાર્તા સ્પર્ધા
૫. પ્રથમ ઈનામ: વાર્તાનું શીર્ષક: હું કોણ? – મુંબઈ સમાચાર વાર્તા લેખન સ્પર્ધા ૨૦૧૯

ભારતીબેન ગોહિલ
હાલ અમરેલી રહેતા ભારતીબેન ગોહિલ, શ્રીમતી પી. એન. વોરા રૂપાયતન પ્રાથમિક શાળામાં આચાર્યા છે, તેમણે બી.એ. બી. એડ અનેે પી.ટી.સી. કરેલ છે. માઇક્રોફિક્શનનાં ગ્રુપ સર્જનમાં જોડાયા પછી તેમણે કેટલીક અદ્વિતીય માઇક્રોફિક્શન લખી છે. અક્ષરનાદની માઈક્રોફિક્શન સ્પર્ધામાં તેઓ વિજેતા રહેલા છે. તેમની સર્જનયાત્રામાં બાળવાર્તા, નિબંધ, ટૂંકી વાર્તા, માઇક્રોફિક્શન, બાળ એકાંકી વગેરેે સમાવિષ્ટ છેેે. બાળવાર્તા, બાળએકાંકી, લઘુકથા વગેરેના તેેેેમના કુલ આઠ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યા છે.

માતૃભાષા અભિયાન..અમદાવાદ દ્વારા પ્રયોગશીલ ભૂમિકા પ્રદાન કરવા બદલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત ભારતીબેનને રાજયકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા રાજયકક્ષાનો શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ મળ્યા છે. વિવિધ પ્રતિષ્ઠિત સામયિકોમાં ૧૪૦થી વધુ કૃતિઓ પ્રકાશિત થઇ છે.

પુરસ્કાર

વિજેતાઓને પુરસ્કાર
પ્રથમ સ્થાન – ૧૦૦૧/- રૂપિયા
દ્વિતિય સ્થાન – ૫૦૧/- રૂપિયા
તૃતિય સ્થાન – ૨૫૧/- રૂપિયા
આશ્વાસન ઈનામ – ૨૦૧/- રૂપિયા
ઉપરાંંત પુસ્તકો / વાઉચર વ્યવસ્થા મુજબ આપવાની ધારણા છે.

વિજેતાઓના ઈનામો માટે ભેટ આપવા માંગતા કે વિશેષ ઈનામ આપવા માંગતા મિત્રોનું પણ સ્વાગત છે. તેમને વિનંતિ કે તેઓ adhyaru19@gmail.com પર ઈ-મેલ દ્વારા સંપર્ક કરે.

ઈનામની રકમ ચેક કે ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા ભારતીય બેંક ખાતામાં આપી શકીશું. ગત સ્પર્ધામાં ભારતમાં રહેતા વિજેતાઓને ઈનામની રકમ સમયસર મોકલી શક્યા હતા. આ વખતે પણ એ જ પ્રયત્ન થશે. બધા જ કામ નિર્ધારિત સમયે પૂર્ણ થાય એ માટે અમે કટિબદ્ધ છીએ. આશા છે આપનો ઉત્સાહ આ સ્પર્ધાને દર વખતની જેમ એક નવી ઉંચાઈએ લઈ જશે અને આખરે એ માઈક્રોફિક્શનના સ્વરૂપને ઉપયોગી બની રહેશેો.

તો ચાલો, માઈક્રોફિક્શનના આ વિરાટ સ્વરૂપમાં તમારું યોગદાન આપવા અમારું આ નાનકડું આયોજન આપને આમંત્રણ આપે છે. ઉઠાવો કલમ..

સ્પર્ધા માટે તમારી માઇક્રોફિક્શન નીચે આપેલા ફોર્મમાં જ સબમિટ કરવી. એ સિવાય, ઇ-મેલ દ્વારા કે પોસ્ટ / કૂરિયર દ્વારા માઇક્રોફિક્શન મોકલવી નહીં.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌