અક્ષરનાદનો સોળમા વર્ષમાં પ્રવેશ.. 21


અક્ષરનાદ.કોમ નામની ગુજરાતી સાહિત્યને સમર્પિત નાનકડી વેબસાઈટ આજે પોતાના અસ્તિત્વના પંદર વર્ષ પૂર્ણ કરી સોળમાં વર્ષમાં પ્રવેશે છે. મા સરસ્વતિની એ કૃપા જ છે કે આ સાહિત્ય ધારા અવિરત વહેતી રહી છે; ખળખળતી રહી છે! શુદ્ધ સાહિત્યને વળગી રહેવાની અને નવી પ્રતિભાવંત કલમને મંચ આપી શકવાની અમારી નેમ આમ જ પૂર્ણ થતી રહે એ જ અભિપ્સા સાથે સૌને શુભેચ્છાઓ..!

અક્ષરનાદનો સોળમા વર્ષમાં પ્રવેશ..

૨૭ મી મે ૨૦૦૭ ના રોજ ફક્ત એક શોખની પ્રવૃત્તિ તરીકે શરૂ થયેલ અક્ષરનાદ ડૉટ કૉમ વેબસાઇટ ને આપ સૌએ એની ક્ષમતાથી ક્યાંય વધુ પ્રેમ, અઢળક આદર અને પ્રોત્સાહન આપ્યું છે. વાચકોનો અપાર સ્નેહ એની નિયતિ રહી છે અને એ બદલ હું અત્યંત ગૌરવ અનુભવું છું.

ગત વર્ષોમાં મારી સાહિત્ય યાત્રા જગતથી અનોખી ચાલી છે… વિશ્વ જ્યારે પુસ્તકોની છપાતી આવૃત્તિઓ તરફથી ઈ-પુસ્તકો તરફ ગયું છે ત્યાં સર્જન અને હું એમ બંને ઓનલાઇન પરથૉ ઓફલાઈન માધ્યમ તરફ આગળ વધ્યાં! પરંતુ એમાં મહદંશે ફાળો તો ઓનલાઈન માધ્યમોનો જ રહ્યો છે. મારાં સઘળાં પુસ્તકો – એ સર્જનનું માઇકોસર્જન ૧; માઇક્રોસર્જન ૨; માઇક્રોફિક્શન શૉટ્સ હોય કે માઇક્રોફિક્શન બાઇટ્સ… ચારેય વ્હોટ્સએપ ગૃપ અને સોશિઅલ મિડીયાના જ કારણે છે અને એને જ આભારી છે! સાર્થક સ્વરૂપે હાથમાં રહેલા પુસ્તકો અને ઇ-સ્વરૂપે લેપટૉપ કે મોબાઈલમાં રહેલા પુસ્તકો – બંને આખરે તો સાહિત્યના જ બે આધારસ્તંભ છે અને આજે એ બંનેનું સહઅસ્તિત્વ છે! મોબાઇલ આવ્યા પછી આવનારા ભવિષ્યમાં પુસ્તકો કોણ વાંચશે એવો પ્રશ્ન જે પહેલા પૂછાતો એનો કંઈક ઉત્તર તો આપણને મળ્યો છે જ! હજુ પણ ઈ-પુસ્તકો કરતાં હાર્ડ કોપીમાં પુસ્તકો વાંચતા લોકોની સંખ્યા ક્યાંય વધુ છે! અને એ બંનેના સહ અસ્તિત્વનો લાભ અમને, એટલે કે અક્ષરનાદને, મને અને સર્જન પરિવારને મળી રહ્યો છે એ અમારું સહિયારું શમણું પૂર્ણ થયાનો પુરાવો છે.

બાકી રહી છે નામની બેચાર ધડકનો,
દિલની દશા છે એવી, કે ઉઠતી બજાર છે.

કોરોનાકાળ પછી, મૃત્યુને સ્પર્શીને આવ્યા પછી ક્યાંક એવું પણ અનુભવાયું છે કે જે કરવાનું છે એ આજે જ કરવાનું છે; સ્વપ્નો પૂરા કરવા બહુ સમય કદાચ રહ્યો નથી. અને એટલે જ અમીન આઝાદનો ઉપરોક્ત શે’ર યાદ આવે… અને એથી લખવાનું કામ ધમધોકાર ઉપડ્યું છે. મન સતત નવું આપતું રહે છે અને હાથ એને લેપટોપમાં ઉતારતા રહે છે; ત્રીજા પુરુષ એકવચન તરીકે હું એને જોયા કરું છું, વિચાર્યા કરું છું કે મને માધ્યમ બનાવવા પાછળ કુદરતનો શો ઇરાદો હશે? અને એ નથી સમજાતું ત્યારે પરબ્રહ્મને વંદન કરી લઉં છું…

અક્ષરનાદની સક્રિયતા પર ગત વર્ષ ૨૦૨૦ માં સૌથી વધુ જે અસર કરી ગયું એ હતું મારું પુસ્તક ‘અથશ્રી‘. ફેસબુક પર લખાતાં લેખોને એક વ્યવસાયિક પ્રકાશક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવાનું બીડું ઝડપે એ તો નવભારત સાહિત્ય મંદિર થકી જ શક્ય થયું! ફેસબુકના એ લેખો પુસ્તક સ્વરૂપ પામ્યા, વાચકોએ એ પુસ્નેતક હાથોહાથ વધાવ્યું અને એટલી હદે કે છેલ્લા થોડાક અઠવાડીયાઓથી અથશ્રીની નકલો ખલાસ થઈ ગઈ છે!

‘અથશ્રી’ની નવી આવૃત્તિ બહાર પડે એટલો સમય ઘણાં મિત્રોએ રાહ જોવી પડી રહી છે એ બાબતનો મને ખરેખર વસવસો છે પણ જલદીથી જ નવભારત સાહિત્ય મંદિર એ નવી આવૃત્તિ લઈને આવી રહ્યું છે એ બાબતનો હરખ પણ ખરો! ઉપરાંત પોતાના પ્રથમ પુસ્તકની બધી જ નકલ ખપી જવાનો ગર્વ પણ ખરો! અને એ આભારી છે અક્ષરનાદને… મારું લેખન, શૈલી, વાંચન અને ઓનલાઈન હાજરી અક્ષરનાદથી જ છે – એ જ મારી ઓળખ છે અને એ જીવનના અંત સુધી બની રહે એવી ઈચ્છા!

અથશ્રી‘ની દમદાર સફળતા પછી એનો બીજો ભાગ ‘અથશ્રી : પુનઃશ્ચ‘ લગભગ ત્રણ મહીનામાં પ્રસ્તુત થશે! કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના સમયગાળા દરમિયાન અને એ પછી એ વિશેના ફેસબુક પર લખેલા લેખ ખૂબ પ્રચલિત થયાં અને મારા એ લેખોનું પુસ્તક અક્ષરનાદ પર મૂકવાનો હતો પરંતુ પ્રકાશકોએ માંગ્યું! એ પણ હવે તૈયાર થઈ રહ્યું છે અને જૂનમાં અથશ્રીની નવી આવૃત્તિ સાથે એ પણ પ્રસ્તુત થશે. ઉપરાંત મહાભારતના એક પાત્રની પોતાની વાત કહેતી એક નવલકથા લખાઈ છે, ત્યારના પ્રસંગોને પોતાની નજરે જોતાં અને પોતાના તર્કથી મૂલવતા એ પાત્રની વાત સમગ્રતયા મહાગ્રંથનો જ આધાર છે! લખાઈને તૈયાર અને એડિટિંગમાં અત્યારે લીધેલ એ મારી સૌપ્રથમ નવલકથા ઝડપથી આવે એવો પ્રયત્ન છે.

અને આ બધું એક જ ઉપક્રમને લીધે છે – એ છે અક્ષરનાદ. મારી સાહિત્યયાત્રાના મહામાર્ગનું પ્રથમ પગલું એટલે અક્ષરનાદ. એ મને હવે ક્યાં લઈ જશે એ તો એ જ જાણે… અને મારા ઉપરાંત કંઈ કેટલાય મિત્રોને સર્જક હોવાનો વિશ્વાસ અપાવતી, એમની કલમની ધાર કાઢવામાં મદદ કરતી અને પ્રતિભાવો થકી વાચકોની એમના લેખન પ્રત્યેની વાત સ્પષ્ટપણે કહેતી આ વેબસાઈટ મારા સહિત અનેક મિત્રો માટે લેખન – વાંચન અને સાત્વિક આનંદમાં રમમાણ થવાનું ઉપર્યુક્ત સ્થળ છે. પ્રયાસ ભલે નાનો છે, પણ રાઈનો દાણો છે…

જે પ્રણાલી પર અક્ષરનાદ વેબસાઈટ ચાલે છે એ વર્ડપ્રેસના અસ્તિત્વના પણ આજે ઓગણીસ વર્ષ પૂર્ણ થયા, સંજોગવશાત એક જ તારીખ અને એક જ મહીનો વર્ડપ્રેસ અને અક્ષરનાદ બંનેના અસ્તિત્વનો મહત્વનો મુકામ છે. અક્ષરનાદનો અસ્તિત્વ માટેનો વર્ડપ્રેસ સાથેનો આ અનોખો સંબંધ મહવનો છે એ બદલ…

Thanks Very much #WordPress, We #Aksharnaad owe a lot to you.

અક્ષરનાદ નિયમિતપણે અનિયમિત હોવા છતાં એની ક્લિક્સમાં, ઈ-પુસ્તકોના ડાઊનલોડ્સમાં, વ્હોટ્સએપ ગૃપમાં જોડાતા મિત્રોની સંખ્યામાં અને જૂના લેખ પર પણ આવતા અનેકવિધ પ્રતિભાવોમાં જરાય ઓટ આવતી નથી એ ભાવકોનો સ્નેહ અને પસંદગી દર્શાવે છે. અક્ષરનાદની સફર આવનારા વર્ષમાં પણ અટકશે નહીં એ ચોક્કસ! અહીં કૉલમ લખતાં મિત્રોની એ કૉલમનાં પણ પુસ્તકો બની રહ્યાં છે એ સૂચવે છે કે અહીંથી ઘણાંને સર્જકત્વ તરફનો માર્ગ પણ સાંપડ્યો છે; અલાયદી ઓળખ મળી છે.. માતા સરસ્વતિ સદાય આમ જ અહીં વસતાં રહે, સાહિત્યના સમુદ્રમાં લેખોના હંસ પર બેસીને એ જ્ઞાનની દેવી અનંતકાળ સુધી સૌને સમતા આપે એ જ અપેક્ષા સહ અક્ષરનાદને સોળમા વર્ષમાં પ્રવેશની અઢળક શુભેચ્છાઓ… બાકી શબ્દના સેવકોને તો આદરણીય મનોજ ખંડેરિયા બસ એટલું કહે છે,

કોઇનું ક્યાં થયું કે તારું થાય
આ શાહીનું ટીપું તો પરાયું છે

શ્રી સવા બારણે લખ્યા કર તું,
શબ્દથી બીજું શું સવાયું છે.

જીવે શબ્દ, અ-ક્ષર અમર! જય સર્જન!

– જિજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

21 thoughts on “અક્ષરનાદનો સોળમા વર્ષમાં પ્રવેશ..

  • HARSUKH RAIVADERA

    આ અક્ષર નો નાદ દેશોના સીમાડાઓ ઓળંગી દૂર દૂર સુધી પહોંચી ગયો છે એ તેની લોકપ્રિયતા નું પ્રમાણ છે.આ નાદ દરેક ગુજરાતીના કાનો સુધી પહોંચે એ જ પ્રાર્થના

  • Nathalal

    આ તો અક્ષરનાદ કે પછી બ્રહ્મ નાદ ક્યારે ય પુરો ન થનાર નાદ તેની તે…જ ગતિથી આગળ જ વધે તેવી અભ્યર્થના કાયમ ની.

  • Mohanlal M Patel

    અક્ષરનાદ નો ૧૬મા વર્ષમાં પ્રવેશ ની શુભેચ્છાઓ.

  • Dr Induben Shah

    હાર્દિક અભિનંદન જીજ્ઞેશંભાઈ ,આપ નિયમીત નવું સાહિત્યનો રસથાળ પિરસતા રહૉ એજ શુભેચ્છા.
    ડો. ઇન્દુબેન શાહ

  • Rasik bhai

    અભીનંદન ્જીજ્ઞેશભાઈ.્નિયમીતતા જળવાઇ રહે એ વીનંતી ્

  • ગોવીન્દ મારુ

    ગુજરાતી સાહીત્યને સમર્પીત વેબસાઈટ ‘અક્ષરનાદ.કોમ’ને અને સાહીત્ય સમ્રાટ જીજ્ઞેશભાઈ અધ્યારુને સાહીત્ય સફરનો દોઢ દાયકો પુરો કરવા બદલ દીલથી અઢળક અભીનનદન અને શુભકામનાઓ

  • anil1082003

    JIGNESH BHAI. HEARTLY CONGRATULATION FOR START “AKSHARNAAD” JUST LIKE START LATE SHRI HEMACHANDRACHRAYA “GUJARATI CORSH IN 1135 ,BIRTH OF GUJARATI BHASHA YEAR. STILL LIVE WITH LIKE YOUR GUJARATI WEB “AKSHARNAAD’ P. CONTINUE WITH OUR MOTHER TOUNGE. MOTHER NEVER LEFT HER CHILD ALONE. CONTINUE WITH OUR LOVLEY MOTHER TOUNG. OUR IST GUJARATI NAVALKATHA – BHARTESHWER BAHUBALI RAS. JAY GUJARAT . -JAY GUJARATI LIKE SARDAR -PATEL IRON MAN. OUR BHASHA LIKE IRON GUJARATI. FOR NEW WRITER STRONG PLATFORM CREATED BY SHRI JIGNESH BHAI NE INFINITY CONGRATULATION.

  • હર્ષદ દવે

    અક્ષરનાદનો પર્યાય એટલે શ્રી જીજ્ઞેશભાઈ અધ્યારૂ. જીજ્ઞેશ ભાઈનો પર્યાય એટલે સાહિત્ય. આ સંબંધ અકબંધ જળવાયો છે સોળમું વર્ષ યુવાનીનો પ્રારંભ છે. નવા, અવનવા શિખરો સર કરો એ શુભેચ્છા. અનેરું સર્જન કરતાં રહો એ મંગલ કામના અને પરમનો સાથ સાંપડે એ અભૂર્થના. અભિનંદન.

  • જયેન્દ્ર પંડ્યા

    આદરણીય જીજ્ઞેશભાઈ,

    આપે શરૂ કરેલ અક્ષરનાદ.કોમ ની ગુજરાતી સાહિત્યને સમર્પિત વેબસાઈટ આજે પોતાના અસ્તિત્વના પંદર વર્ષ પૂર્ણ કરી સોળમાં વર્ષમાં પ્રવેશે છે ત્યારે આપને અંતરમન થી અભિનંદન અને સહર્ષ સસ્નેહ શુભેચ્છા.

    ખરેખર માતા સરસ્વતિની કૃપા જ છે કે આ સાહિત્ય ધારા તમોએ અવિરત વહેતી રાખી છે; તમોએ આ વેબસાઈટ થકી કેટલાયે સાહિત્યના લેખકોને, સંકલન કર્તાઓને, અને રસિકોને મંચ પૂરું પાડ્યું છે.

    આમાં આપે આભાર ન માનવાનો હોય પણ અમારે તમારો આભાર માનવાનો હોય. કારણકે આટલા વર્ષો પછી પણ વિધ વિધ પ્રકારના લેખો, કૃતિઓ, કવિતાઓ, ધાર્મિક ગ્રંથ આધારિત પ્રસાદી પણ પીરસતા આવ્યા છો. આપની જેમ ઘણાઓ એ શરૂ તો કરેલ પછી ઉત્સાહ ન જાળવી ન શક્યા અને છેવટે તેઓએ પોતાની વેબસાઈટ બંધ કરી અથવા બંધ કરવાની પરિસ્થિતિ ઉભી થઇ. જ્યારે કે તમોએ પોતાની નોકરી કરતા કરતા અક્ષરનાદ નું સુકાન ઘણી સુવ્યવસ્થિત રીતે સંભાળ્યું અને અથગ તેમજ અવિરત રીતે આગળ સફળતાપૂર્વક વધતા રહ્યા છો. આનો શ્રેય અને પ્રશંશા આપને અને આપની સંગઠિત ટુકડી ને જાય છે.

    આપની આ સાહિત્ય શિખરની જાત્રા માં ઊંચા ને ઊંચા પડાવ સર કરો અને આપની સંગાથે વધારે ને વધારે સાહિત્ય પ્રેમીઓ જોડાય એવી અક્ષરનાદ.કોમ ને શુભેચ્છા.

  • Shailesh parmar

    અક્ષરનાદ એનાં નામ પ્રમાણે અનંતતા તરફ વધતું રહે… તેવી શુભેચ્છા

  • Sarla Sutaria

    તમારા આવનારા પુસ્તકો માટે ખૂબ ખૂબ શુભકામનાઓ જિજ્ઞેશભાઈ. અક્ષરનાદ.કોમ સફળતા પૂર્વક આગેકદમ ભરતું રહે એ જ મહેચ્છા

    • Firoz Bharmal

      અક્ષરનાદ ને ૧૬ મા વર્ષ મા પ્રવેશતા જોઈ આનંદ થયો
      આ યાત્રા મા સહભાગી બનાવવા જિજ્ઞેશભાઈ નો આભાર
      આગળ ની યાત્રા માટે ની શુભકામના

  • Sushma kamlesh sheth

    જિજ્ઞેશસર આપની મહેનતને સલામ. આવનારા પુસ્તકો માટે દિલથી શુભેચ્છાઓ પાઠવું છું. લેખનક્ષેત્રે તમે મારા friend, philosopher and guide રહ્યા છો. સદાય કંઇક નવું કરવા તત્પર. આપે અક્ષરનાદ પર કૉલમ શરૂ કરવાનું બીડું ઝડપ્યું. અમને નવોદિતોને લખવાની તક આપી. તેથી જ લખાયું અને વધાવાયું. આ સફર નહીં જ અટકે.