સુનંદા વશિષ્ઠ : ધ વૉરિઅર – ચેતન ઠાકર 11


કહેવાય છે કે ‘હિસ્ટ્રી નેવર રીપીટ’ પરંતુ હંમેશા ઇતિહાસ સમયાંતરે પુનરાવર્તન કરતો જ હોય છે તેના સ્વરૂપ અને માર્ગમાં ચોક્કસ ફેરફાર હોઈ શકે. આજે મારે કંઈક આવી જ ખુશીથી તરબતર કરી દે અને ગર્વ થાય એવી એક વાત કરવી છે જેમાં ઇતિહાસ કેવી રીતે પુનરાવર્તિત થાય છે તેનું સચોટ ઉદાહરણ છે. અહીંયા વાત છે વર્તમાન ભારતની એક લોખંડી સ્ત્રીની કે દીકરીની જેનું નામ છે સુનંદા વશિષ્ઠ. તેમને ટીવી ઉપર કે યુ-ટ્યુબ ઉપર બોલતા જોવા અને સાંભળવા તે દરેક ભારતીય માટે ગૌરવ આપનારી ઘટના છે. તેના વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી.

સુનંદા વશિષ્ઠ : ધ વોરિયર - ચેતન ઠાકર

મારા મન મસ્તિષ્કમાં ભારતના પ્રાચીન ધર્મશાસ્ત્રનું એક અમર અને અજોડ સ્ત્રી પાત્ર સામે દેખાય છે.. તે છે મહાભારતનું પાત્ર દ્રૌપદી. સુનંદા એ ૫૦૦૦ વર્ષ કરતા વધુ જુના, વિશ્વના સૌથી મોટા અને પવિત્ર ગ્રંથ મહાભારતના અમરપાત્ર દ્રૌપદીને જીવનના વાસ્તવિક મંચ ઉપર ચરિતાર્થ કરીને દેખાડ્યું છે. તેના વિશે જેટલો ગર્વ કરીએ અને તેને અભિનંદન આપીએ એટલા ઓછા છે. હું તેમની સરખામણી દ્રૌપદી સાથે એટલા માટે કરુ છું કે મહાભારતની કથા મુજબ દ્રૌપદીએ  કૌરવો અને જુગારમાં હારેલા પાંડવોથી ભરેલી સભામાં પોતાના વસ્ત્રાહરણના શર્મનાક કૃત્ય બાદ ભીમ સાથે મળીને ભરી સભામાં પ્રતિજ્ઞા લીધેલી કે એક નારીનું  દુષ્કૃત્ય કરનાર દુ:શાસનને મારી નાખી તેની છાતીના લોહીથી પોતાના કેશ ઝબોળ્યા બાદ જ તે પોતાના કેશ બાંધશે અને આ રીતે તેએ લગભગ ૧૩ વર્ષ સુધી પોતાના વાળ ખુલ્લા રાખ્યાં. ભીમે યુધ્ધમાં દુ:શાસનનો વધ કરી તેની છાતીના લોહીથી દ્રૌપદીના કેશ સીચ્યા અને તે બાદ જ દ્રૌપદીએ પોતાના વાળ બાંધ્યા હતા. સુનંદાએ પણ પોતાના જીવનના સંગ્રામમાં આવું જ કંઈક કરી દેખાડ્યું છે.  

સુનંદા માટે પોતાની આ પ્રતિજ્ઞા પૂરી કરવાનો પ્રસંગ એટલે ૧૪ નવેમ્બર ૨૦૧૯ ના રોજ યુ.એસ.એ. ના વોશિંગ્ટનમાં “ધ ટોમલાન્ટોસ કમિશન ઓન હ્યુમન રાઇટસ” આ કમિશનનો વિષય હતો, જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ નાબૂદ કર્યા બાદ કાશ્મીરમાં રહેતા લોકો ઉપર ભારત સરકાર માનવતાભર્યો અભિગમ રાખતી નથી, તેમને આર્મી દ્વારા ખૂબ ત્રાસ આપવામાં આવે છે.. સુનંદા આ કમિશન સમક્ષ હાજર રહી, આજથી ત્રીસ વર્ષ પહેલા ભારતના કાશ્મીરમાં કાશ્મીરી હિન્દુઓ એટલે કે પંડિતોને જે બર્બરતા અને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખી ખુલ્લેઆમ કાયદો અને વ્યવસ્થા તો ઠીક પરંતુ સમગ્ર માનવતાને શર્મસાર કરી નાખી કશ્મીરી હિન્દુઓને પહેરેલ લૂગડે પોતાના વતનમાંથી ખદેડી નાખ્યા તે બર્બર કૃત્યનો આંખે દેખ્યો અહેવાલ ૩૦ વર્ષ બાદ સુનંદા વશિષ્ઠે વિશ્વ સમક્ષ મૂક્યો..

હ્યુમન રાઈટ્સના ઓઠા હેઠળ ભારતને વિશ્વમાં બદનામ કરવાના હેતુથી યોજાયેલા આ ટોમલાન્ટોસ કમિશન સમક્ષ ધારદાર રજૂઆત કરી ન કેવળ કમિશનને  શિકસ્ત આપી પરંતુ લાચાર સ્થિતિમાં મૂકી દીધું પોતાની એટલે કે ૩૦ વર્ષ પહેલાંની કાશ્મીરી પંડિતોની સ્થિતિનું હુબહુ વર્ણન કરી શાબ્દિક સર્જીકલ સ્ટ્રાઈક કરી કમિશનને અને ભારતને બદનામ કરનાર લોબીને શર્મનાક સ્થિતિમાં મૂકી દીધા.. સુનંદાના ૧૪ નવેમ્બરના ભાષણને અવાર-નવાર જોતાં અને સાંભળતાં એમ લાગશે કે તેએ ૩૦ વર્ષ દરમિયાન અસંખ્યવાર આ દર્દ અને પીડા વ્યક્તિગત રીતે મહેસૂસ કર્યા હશે અને જીવ્યું પણ હશે એટલે જ ૧૪ નવેમ્બરના દિવસે ધ ટોમલાંટોસ કમિશન સમક્ષ તેનો પુણ્યપ્રકોપ બહાર આવ્યો. સુનંદા સાક્ષાત દુર્ગાના રૂપમાં પાકિસ્તાન તરફી હ્યુમનરાઈટીસ્ટો ઉપર પોતાની અસ્ખલિત વાણી દ્વારા કારપેટ બોમ્બરટમેંટ કરી સમગ્ર વિશ્વમાં કાશ્મીરમાં પ્રવર્તતા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના ચિથરા ઉડાવી દીધા.. તેમની આ ધારદાર અને વ્યથાઓ ભરેલી દલીલો સાંભળી દરેક ભારતીય આ દીકરી ઉપર ગર્વ લેતો ન થાય તો જ નવાઈ લાગશે.

મારા મતે સુનંદા તે દિવસે સાંજે જ્યારે ઘેર ગયા હશે ત્યારે ચોક્કસ તેમને ખૂબ જ હળવાશ અનુભવાઈ હશે. અને કદાચ દ્રૌપદીને પણ આવી જ હળવાશ અનુભવાઈ હશે દુ:શાશનના મૃત્યુબાદ. સુનંદાને થયું હશે ‘હાશ, આતંકવાદરૂપી દુશાસન આજે સમગ્ર વિશ્વ સમક્ષ ખુલ્લો પડ્યો અને મારા દ્વારા સમગ્ર નારીશક્તિનું સન્માન પુન:સ્થાપિત થયું. તેણીની આ સિદ્ધિ બદલ હું તેને આધુનિક ભારતની વીરાંગના કે યોદ્ધા કહીશ. કેવળ સરહદ ઉપર હાથમાં બંદૂક લઇને લડતો સૈનિક જ યોદ્ધા નથી પરંતુ વિશ્વ મંચ ઉપર પોતાના દેશના દુશ્મનોના કાવતરાને વિશ્વ સમક્ષ ઉઘાડા કરનાર અને તેને બૌધ્ધિક રીતે પણ પરાસ્ત કરનાર એક યોદ્ધા સૈનિક જ છે.  “સુનંદા ધ વોરિયર”.  સુનંદા વશિષ્ટ વર્તમાન અને આવનાર યુવા પેઢી માટે દેશભક્તિનું શ્રેષ્ઠ  ઉદાહરણ બનીને રહેશે એમાં કોઈ શંકા નથી.

હવે જે વીરાંગના વિશે મેં આટલું બધું લખ્યું તે આખરે છે કોણ? તો આવો પ્રથમ તે જાણીએ અને પછી હું મારી આ સુનંદા ચાલીસા પૂરી કરીશ. તે હાલમાં યુ.એસ.એ.માં પ્રોફેશનલ રિપોર્ટર તરીકે કાર્યરત છે. વર્ષ ૧૯૯૦માં કાશ્મીર ઘાટીમાંથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ અને કશ્મીરી કટ્ટરવાદીઓએ કશ્મીરી હિન્દુઓને સરેઆમ રહેસી નાંખી તેની ઉપર અમાનુષી જુલ્મ ગુજારી હંમેશા માટે પોતાની માતૃભૂમિ છોડવા મજબૂર કરી દીધા હતા, તેમાં સુનંદા વસિષ્ઠનો પરિવાર પણ એક હતો. તે સમયે તેમના સહકારમાં કે સાથમાં વિશ્વની કોઈ  માનવતાવાદી સંસ્થા, કમિશન કે વ્યક્તિ આવી ન હતી. એટલા માટે મેં તેમની સરખામણી દ્રૌપદીના પાત્ર સાથે કરી છે  કે મહાભારતમાં વસ્ત્રાહરણની ઘટનાથી લઈને દુ:શાસનના મૃત્યુ સુધીના લગભગ ૧૩ વર્ષના સમયગાળા દરમ્યાન દ્રૌપદીએ વસ્ત્રાહરણનું દુઃખ અને પીડા એકલી અનેકવાર મહેસૂસ કર્યા હશે અને જીવ્યું હશે.. અંતમા જ્યારે પ્રતિજ્ઞા પૂરી થાય છે ત્યારે તેને અને સમગ્ર સમાજને શાતા મળે છે કે સમાજમાં નારીનું સન્માન ફરીથી સ્થાપિત થયું છે. આમ આ રીતે માતૃભૂમિ છોડવાનું દુઃખ આ વીરાંગના એ દ્રૌપદીની માફક ગાંઠ વાળી ૩૦ વર્ષ પોતાની પાસે સાચવી રાખ્યું હતું અને ૧૪ નવેમ્બરના રોજ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરતી હોય તેમ ટોમલાન્ટોસ કમિશનના માધ્યમથી વિશ્વ સમક્ષ ધારદાર અને અસરકારક રીતે અણીના સમયે મૂક્યું અને પોતાની મેલી મુરાદ પૂરી કરવા ભારતને વિશ્વ સમક્ષ બદનામ કરવા તત્પર ડાબેરીઓના ગાલ પર સણસણતો તમાચો માર્યો, સમગ્ર વિશ્વને અરીસો દેખાડ્યો કે જ્યારે માનવતાનું સરેઆમ ચીરહરણ થતું હતું ત્યારે તમારી આ પંંચાયત ક્યાં હતી? આ રીતે આ બહાદુર નારીએ, તેની શક્તિએ વિશ્વ ભરના હિન્દુસ્તાનીઓના હદયમાં કાયમ માટે પોતાનું સ્થાન બનાવી લીધું.

– ચેતન ઠાકર,
એ-૧૩, આલાપગ્રીન સિટી, રૈયા રોડ, રાજકોટ, ૩૬૦ ૦૦૭


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “સુનંદા વશિષ્ઠ : ધ વૉરિઅર – ચેતન ઠાકર

  • ગોવિંદ શાહ

    સુનિતા વશિષ્ટ ઉપર ચેતનભાઇનો લેખ ખુબ જ આવકારદાયક છે.હજારો કાશ્મીરી પંડીતોની પોતાના જ દેશમા જે નીમૅમ હત્યા થઇ છે તેની દદૅનાક કહાની દુનિયા સમક્ષ રજૂ કરીને સુનંદાએ દેશની મોટી સેવા કરી છે નહી તો આ વ્યવસ્થિત નરસંહારનો કોઇને ખ્યાલ પણ ન આવત.—- ગોવિંદ શાહ

  • Hemendra Mehta

    શ્રી જીગ્નેશભાઈ અધ્યારુ,
    અક્ષરનાદ …..આ તો આપણો ખરેખર અંતર્નાદ છે.
    સાચું કહું તો હું તો આપણી ગુજરાતી ભાષાનો વેભાવ માણવા માટે જ અહિયાં એક લટાર લગાવી દઉં છું.
    માનવજાતને, મિત્રોને, અને આ સંસારને શક્ય હોય તેટલા ઉપયોગી થવા માટે, ઘણી જાતે જ વહોરી લીધેલી જવાબદારીઓને કારણે – સમયનો અભાવ મુખ્ય કારણ છે,
    છતાં પણ માણી લઉં છું.
    આપણી મહેનત ખુબ હશે જ , તે અહિયાં આ પ્લેટફોર્મ પર વર્તાઈ જ જાય છે.
    અને તેની કદર ન કરીને, હું ઈશ્વરનો ગુનેગાર બનવા નથી માંગતો.
    આપને અને આપણી ટીમને ખુબ ખુબ અભિનંદન.
    – હેમેન્દ્રભાઈ મહેતા. અમદાવાદ. (૯૮૨૫૦ ૩૧૨૫૦)

  • Hemendra Mehta

    માનનીય ચેતનભાઈ ઠાકર,

    સુનંદા વશિષ્ઠ માટે ના આપના લેખનમાં આપણી દેશ ભક્તિ છાતી થતી દેખાય જ છે કે જેને તમે દ્રૌપદી સાથે સરખાવી… તે ખરેખર સાચી અને સારી સરખામણી છે. સુનંદા વશિષ્ઠ – ધ વોરિયર … ખુબ સરસ અને ટુકું …યાદ રહી જાય તેવું નામ આપ્યું છે. મેં તેણીનીને ટી.વી. પર સાંભળી છે. વીરાંગના જ કહી શકાય. ટોમલાન્ટોસ કમિશનને, પોતાના શબ્દો અને વાક્છટાથી, તદ્દન નગ્ન કર્યું .આપે સૌ ભારતીયો માટે ખુબ ગૌરવની વાત છે.

    એથી એ વધુ … આપે આ વાતની નોંધ લઇ અહિયાં મૂકી ….તે વાત માટે આપને ખુબ ખુબ અભિનંદન આપીએ છીએ. તમારી ભાવના સમજી શકાય છે.

    ઘણું બધું લખી શકું, પણ ગાગરમાં સાગર સમજી, અમારા અભિનંદન સ્વીકારશો.

    ખુબ ખુબ આભાર ,

    – હેમેન્દ્રભાઈ મહેતા, ૯૮૨૫૦ ૩૧૨૫૦

    • mydiary311071

      હેમેન્દ્રભાઇ આપનો ખૂબ ખૂબ આભાર, આપ જેવા સુજ્ઞ વાચકો એ ગુજરાતી ભાષાની મૂડી છે.