તત્ત્વમસિ : ૯ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 18


આ પુસ્તક ઑનલાઇન ખરીદવા અહીં ક્લિક કરો… https://amzn.to/3nYyVyB

૨૫.

ચાલ્યા જનારાએ અહીં ડાયરીનાં બે પાનાં કોરાં છોડ્યાં છે. માનવીના મનોજગતનો પાર પામવો તે સ્વયં બ્રહ્માજી માટે પણ કઠિન ગણાતું હોય તો મારું તો શું ગજું? તેણે કોરાં છોડેલાં આ બે પાનાંઓ પર તેણે શું લખવા ઇચ્છ્યું હશે તેની મને ખબર નથી. હા, ચારેક પ્રસંગો વિશે હું જાણું છું તે તમને જણાવું. કદાચ કોઈને કંઈક અર્થ મળી પણ આવે. પહેલો પ્રસંગ તો લ્યુસી વિદાય થવાની હતી તે પહેલાં સુપરિયા, લ્યુસી અને તે શાસ્ત્રીને મળવા ગયેલાં ત્યારનો છે.

“…લ્યુસી શાસ્ત્રી પાસે બેસીને વાતો કરતી હતી. સુપરિયા અને હું રેલિંગ પાસે ઊભાંઊભાં નીચે વહેતી નદીનો કલરવ સાંભળી રહ્યાં હતાં. હું વનિતાને મળ્યો હતો તે વાત સુપરિયાને કહું કે ન કહું તે વિચારે મૂંઝાતો હતો ત્યાં અચાનક સુપરિયાએ મને પૂછ્યું, ‘કેમ હતી મારી મા? મોં તો ઢાંકેલું જ રાખે છે. તમે ઓળખી એને?’

હું ઘડીભર અવાક્ બની ગયો. પછી માંડ બોલતો હોઉં તેમ કહ્યું, ‘સુપરિયા, મેં તેમનાં પ્રત્યક્ષ દર્શન કર્યાં.’ પણ ‘મા કેમ હતી’ તે પ્રશ્નનો ઉત્તર હું આપી ન શક્યો. એ જ ક્ષણે મંદિરમાં આરતીનો ઘંટ વાગ્યો. અમે બંને રેલિંગ પાસેથી દૂર મંદિર સામે જઈ હાથ જોડીને ઊભાં રહ્યાં.

રાત્રે લ્યુસી પોતાનો લેખ તૈયાર કરતી હતી. શાસ્ત્રીજી પાઠ કરતા હતા. હું ચાંદની રાતે લટાર મારવાના ઇરાદે નદીકાંઠે જવા ઊતર્યો. સુપરિયા પગથિયે બેઠી હતી તે પણ સાથે ચાલી. ચાંદની રાત્રે સૂમસામ નદીતટે અમે બંને દૂરદૂરથી વહી આવતાં આદિવાસીઓનાં ભજનો અને ઢોલકનો આછો અવાજ સાંભળતાં ચાલ્યાં જતાં હતાં. સુપરિયાએ કહ્યું, ‘લ્યુસી ઇચ્છે છે કે તમે યુનિવર્સિટીમાં પાછા જાઓ.’

મેં સુપરિયાની વાતનો કોઈ જવાબ ન આપ્યો. સુપરિયાએ મારી સામે જોયું. ચાંદનીનું પ્રતિબિંબ તેની આંખોમાં ચમક્યું. સુપરિયાએ આગળ કહ્યું, ‘કેન્દ્ર પર એક ટેકનિકલ તાલીમશાળા પણ થાય તો કેવું?’

‘સારું.’ મેં ઉપરછલ્લો જવાબ આપ્યો.

સુપરિયાએ કહ્યું, ‘એમ નહિ, તમને કેમ લાગે છે તે પૂછું છું. હું એકલે હાથે બધે પહોંચી ન શકું. તમે અને થોમસ બંને તમારો નિર્ણય ગણીને આ કામ ઉપાડી લો તેવું થઈ શકે?’
‘આમ તો કશી મુશ્કેલી નથી,’ મેં ચાલતાં જ જવાબ આપ્યો. ‘પણ હું કંઈક બીજું વિચારું છું. લ્યુસીનો આગ્રહ છે કે હું હવે પાછો જઉં, પરંતુ એને પણ મેં હજી હા નથી પાડી.’ થોડી વારે મેં સુપરિયા તરફ ફરીને પૂછ્યું, ‘તમને લાગે છે કે હું લ્યુસીને સાચવી શકીશ?’

આ અણધાર્યા પ્રશ્નથી સુપરિયા નવાઈ પામી હોય તેમ મારી સામું જોઈને ઊભી રહી. પછી સ્પષ્ટ શબ્દોમાં બોલી, ‘તમે અને લ્યુસી સાથે રહી શકો એટલી મને ખબર પડે છે… કોઈને પણ સાચવવું તે તો ઘણી મોટી વાત છે. એથી આગળ હું ન કહી શકું. આમાં હું તમારી કે લ્યુસીની ટીકા નથી કરતી. મને લાગ્યું તે કહ્યું.’

સુપરિયાના આ જવાબથી મને નવાઈ ન લાગી. તે સ્પષ્ટ વિચારી શકે છે અને સ્પષ્ટ કહી પણ શકે છે. મને થયું કે તેના પોતાના જીવન અંગે તેણે શું વિચાર્યું છે તે પૂછું. પણ હું કંઈ પૂછું તે પહેલાં જ તે બોલી, ‘હું તમને અહીં રોકાઈ જવાનો આગ્રહ નહિ કરું. તમે અહીં રહેવાનું નક્કી કરો તોપણ તમારી ઇચ્છાથી તેમ થવું જોઈએ.’

તેની આ વાત સાંભળ્યા પછી કંઈ પણ ન બોલવું જ મને યોગ્ય લાગ્યું.

‘પાછાં ફરીશું?’ મેં પૂછ્યું અને અમે બંને મંદિર તરફ જવા વળ્યાં.”

બીજે પ્રસંગે મેં તેને અને લ્યુસીને સાગરસંગમ પર પાણીમાં હાથ ઝબોળતાં જોયાં. તેઓને સાગરસંગમબિંદુ પર લઈ જતી હોડીનો સઢ પવનથી ફૂલીને હોડીને વેગ આપતો હતો. લ્યુસીના ભૂખરા વાળ હવામાં ફરફર ઊડતા હતા. બંને જણ પોતાના હાથ પાણીમાં ઝબોળીને હોડીની સામસામી કિનાર પર બેઠાં હતાં. અચાનક લ્યુસીએ કહ્યું, ‘તમે એક વાર પૂછેલું કે હું પુનર્જન્મમાં માનું છું કે નહિ?:

‘…હા,’ મેં કહ્યું, ‘પણ હવે મને જવાબની રાહ નથી.’

લ્યુસી ખડખડાટ હસી, પછી સ્વસ્થ થઈને બેઠી અને એકએક શબ્દ છૂટો પાડતાં બોલી, ‘છતાં સાંભળો: ‘પુનર્જન્મ થતો હોય તો મારો જન્મ ફરી લ્યુસી-સ્વરૂપે જ થાઓ.’
મેં લ્યુસી સામે જોયા કર્યું.

રાતની ગાડીમાં લ્યુસીને વળાવીને હું ભોપાલની ટ્રેન પકડવાનો હતો. લ્યુસી બારી પાસે આવી અને તેણે આટલું બધું ફરવામાં સાથ આપ્યા બદલ મારો આભાર માન્યો. મેં તેનો હાથ હાથમાં લઈને થપથપાવ્યો અને કહ્યું, ‘તું અહીં આવી તે જ મને તો ખૂબ ગમ્યું; અને તારી સાથે તો હું હોઉં જ ને!’

‘તમને રીઝર્વેશન મળ્યું?’ લ્યુસીએ પૂછ્યું.

‘હજી નથી મળ્યું. મારી ટ્રેનને હજી વાર છે. ટી. સી.એ મને રાતે એક વાગ્યે બોલાવ્યો છે. કંઈક ગોઠવણ થશે તો તે કરી આપશે તેમ કહેતો હતો.’

ગાડી ચાલી. મારી સૂટકેસ પ્લૅટફૉર્મ પર જ રહેવા દઈને ચાલતી ગાડી સાથે હું થોડું આગળ ગયો. ગાડીએ ગતિ પકડી. મેં ઊભા રહીને લ્યુસી દેખાઈ ત્યાં સુધી હાથ ફરકાવ્યા કર્યો. પાછો ફરીને જોઉં છું તો એક કાળો, જીંથરિયાળો માણસ મારી બૅગ લઈને વેગ પકડતી જતી ટ્રેનના છેલ્લા ડબ્બામાં ચડી રહ્યો હતો. ‘એ… હેય…!’ મેં બૂમ પાડી. પણ વ્યર્થ.

સદ્ભાગ્યે મારો ખભાથેલો મારી પાસે જ હતો. મેં જોયું તો થેલામાં ડાયરી, પત્રો અને થોડા ફૉટોગ્રાફ સિવાય કંઈ હતું નહિ.

પૈસા વગર શું કરીશ તે વિચારતાં હું સ્ટેશનની બહાર આવ્યો. સામે જ ટેલીફોન બૂથ જોઈને મને રાહત થઈ. ત્યાં જઈને મેં કહ્યું, ‘મારે ફોન કરીને પૈસા મંગાવવા પડે તેમ છે. તમે મને એક ફોન કરવા દો, પૈસા આવશે કે તરત આપી જઈશ.’

જાણે હું ભિક્ષા માગતો હોઉં એટલો ક્ષોભ મને થયો. બૂથ પર બેઠેલા માણસે હકારમાં માથું હલાવ્યું. ત્રણેક માણસો ફોનની લાઈનમાં હતા તેમાંના એક જણે મને પૂછ્યું, ‘પરકમ્મા લીધી છે?’

મેં મારા વેશ તરફ જોયું. ગઈ કાલથી બદલ્યા વગર પહેરી રાખેલો ઝભ્ભો. કદાચ વાળ પણ સવારથી ઓળ્યા નહિ હોય. કેન્દ્રથી નીકળ્યા પછી દાઢી પણ કરી ન હતી. મેં થોથવાઈને કહ્યું, ‘જી!?’

‘પરકમ્મા પર છો તો પછી ફોનમાં પૈસા ન બગાડશો. ચાલો હું તમને સગવડ કરી આપું છું.’ કહી તેણે પોતાના સાથીદારને કહ્યું, ‘આમને ઝડેશ્વર મૂકતા આવીએ અને આપણું કામ પણ રૂબરૂ જ પતાવતા આવીએ. ફોન કરતાં તે આગળ પડશે.’ કહીને તે બેઉ જણે મને કહ્યું, ‘ચલો.’

અત્યારે અહીં રાત રોકાઈ જવા જેટલી વ્યવસ્થા થઈ જાય તે વધુ અગત્યનું લાગતાં હું તેમની સાથે સ્કૂટર પર બેસી ગયો.

રાતભર મને ઊંઘ ન આવી. મેં પરિક્રમા નથી લીધી એવું મારે કહી જ દેવું જોઈતું હતું. રાતે પ્લૅટફૉર્મ પર પણ પડી રહેવાત. સવારે ઊઠીને હું નર્મદાતટે ગયો. તે જ ક્ષણે મને ગંડુના શબ્દો યાદ આવ્યા: ‘મેં ફકીર હૂં, અપને આપસે ધોકા નહિ કર સકતા.’

હું ફકીર તો નથી, પણ જાતને છેતર્યાનું કોઈ પાપ હોય તો તેનું પ્રાયશ્ચિત્ત મારે કરવું જ રહ્યું. મેં નિર્ણય કર્યો કે હવે કેન્દ્ર પર જવા માટે અહીંથી નર્મદાતટે પગપાળા જ ચાલ્યો જઈશ.
બધું પથ્થર પર મૂકીને ચાલ્યા જનારને આ ત્રીજા પ્રસંગે પણ મેં જોયો. તે ભરૂચ પાસે ઝડેશ્વરના કિનારેથી ઊતરીને નદીમાં એકલો ઊભો હતો. નદીના જળમાંથી અંજલિ ભરીને તે બોલ્યો, ‘હું મારા નામનો ત્યાગ કરું છું, મારા પરિચયનો ત્યાગ કરું છું, મારા જ્ઞાનનો ત્યાગ કરું છું, તમામ માન્યતાઓનો ત્યાગ કરું છું.’ પછી ઢોળાવ ચડીને મંદિર તરફ ચાલ્યો ગયેલો.

‘પરકમ્મા લીધી છે?’ અનસૂયાજીમાં મળેલો સંન્યાસી ઘણી વાતો કરતો હતો.

‘ના. અમે ઉપરવાસમાં થોડે આગળ નર્મદાકિનારે જ રહીએ છીએ. ત્યાં સુધી નદીકિનારે ચાલતો જઈશ. અર્ધપરિક્રમા પણ નહિ થાય.’ મેં કહ્યું.

‘તો પછી અહીંથી ચાલતા શા માટે જાઓ છો? નદીકાંઠે ચાલવું જ હોય તોપણ અલીરાજપુર કે ધામ્નોદ સુધી બસમાં જતા રહો તે જ સારું થશે. તમારાથી શૂલપાણની ઝાડી પાર નહિ થાય.’ સંન્યાસીએ કહ્યું.

‘કેમ?’

‘કેમ તે?’ પેલાને નવાઈ લાગી, ‘ખબર નથી? ઝાડીમાં કાબા સામા મળશે ને લૂંટી લેશે.’

‘મારી પાસેલૂંટી લેવા જેવું કશું નથી.’ મેં કહ્યું.

‘તો માર મારશે.’ સંન્યાસી હસ્યો.

‘એ અનુભવ બાકી છે. તે પણ ભલે થઈ જતો.’ મેં મારો નિર્ણય કહ્યો.

‘ભલે, તો તમારી મરજી.’ સંન્યાસીએ કહ્યું, ‘શૂલપાણ કે હમ્પેશ્વર સુધી તો કદાચ હું પણ સાથે આવીશ. બાકી કેટલાય જણ કડીપાણીથી બસ પકડીને ઝાડીવાળી યાત્રા ટૂંકાવે છે.’ સંન્યાસી ફરી હસ્યો અને બોલ્યો, ‘રોટલો ખૂટે ત્યારે પરકમ્માએ નીકળે એ માણસ ઝાડીમાં ચાલે જ નહિ. બધા આ જાણે છે તોયે પરકમ્માવાસીને લોક સાચવે છે. શ્રદ્ધા ટકી રહી છે.’

મેં મારા નિર્ણયની યોગ્યતા તપાસી જોઈ.

અનસૂયાથી તે અને પેલો સંન્યાસી સાથે જ ચાલ્યા હતા. મેં તેમને ઘણે સ્થળે, છેક હમ્પેશ્વર સુધી સાથે જોયા. પણ ઝાડીમાંથી બહાર નીકળી તે અહીં સુધી આવ્યો ત્યારે સાવ

એકલો જ હતો.

“પ્રિય જિમી,

તને આનંદ થશે કે રાણીગુફા છે. તારા દાદા ત્યાં ગયા જ હશે તે વિશે શંકા નથી. નાનાસાહેબ પણ ત્યાં રહેલા – રાણીગુફામાં તો નહિ, તેની પાસેની બીજી જગ્યાએ. તારા માટે જે જાણવું મહત્ત્વપૂર્ણ હતું તે મેં તને જણાવ્યું છે અને મને શ્રદ્ધા છે કે આટલું પૂરતું થશે.

પત્ર પૂરો કરી, કવર બીડીને કડીપાણી જનારા યાત્રાળુને આપતાં મેં કહ્યું, ‘આ ટપાલમાં નાખી દેશો? ટિકિટ પણ તમારે લગાવવી પડશે.’ પેલાએ હા કહી એટલે પત્ર સોંપીને પગથિયાં ઊતરી હું નર્મદાના જળમાં જઈને ઊભો.

ઘેરી વનરાજિ, વાંસ અને નાનાંમોટાં વૃક્ષો વચ્ચેથી આ પરમ પારદર્શક જળ વહી રહ્યાં હતાં. બને તેટલો સમય નદીના જળમાં કે જળ પાસે ચલાય તે રીતે કરવાનું મેં મનોમન વિચાર્યું, પ્રણાલિકાગત પરિક્રમાના માર્ગથી આ જુદું હોય તોપણ.

જેમજેમ આગળ ચાલતો ગયો તેમતેમ વૃક્ષો ઓછાં થતાં ગયાં. ઝાડી કહેવાતા આ પ્રદેશને મેં અરણ્યમય કલ્પેલો; પણ જૂનાં, મોટાં બેએક વૃક્ષો સિવાય ક્યાંય કોઈ છાંયાનું નામોનિશાન નથી. ખુલ્લી ટેકરીઓ અને કાળા-ભૂખરા પથ્થરોના રણ વચ્ચે એકલી-અટૂલી નર્મદા મેવાડના મહેલો છોડીને રણમાં ચાલી જતી મીરાં જેવી સંન્યાસિની ભાસે છે અનેક તીર્થોની સ્વામિની સ્વયં સંન્યાસિની હોય તેમ વહી ચાલી છે.

કોઈ કાળે આ સ્થળે ખરેખર ઝાડી હશે. ક્યારેક આ ટેકરીઓ પર અડાબીડ ઘાસ અને વાંસવનો છવાયેલાં હશે. અહીં આકાશને આંબતાં વૃક્ષો ઊભાં હશે. એક વખત લીલાંછમ વસ્ત્રોમાં ગોપાઈને રહેતી આ ધરા પર આજે વસ્ત્રહીન ટેકરીઓ આકાશ ઓઢીને જાત ઢાંકવા મથતી, સૂર્યના તાપે બળબળતી ઊભી છે. પથ્થરો પર તરણું પણ દેખાતું નથી.
આવતાં થોડાં વર્ષોમાં તો આ સ્થળ પણ અગાધ જળરાશિ તળે ધરબાઈ જશે. પછી નર્મદાને ન ઓળંગવાનો નિર્ણય લઈને નીકળેલા પરિક્રમાવાસીઓ ક્યાં જશે તે હું કલ્પી નથી શકતો. કદાચ ત્યારે હું અહીં નહિ હોઉં.

મેં વિચારધારા રોકી. નર્મદા પર નમીને પાણી પીધું, મોઢું ધોયું અને પાછળ ફરીને કેટલો માર્ગ કપાયો તે જોયું. હમ્પેશ્વરથી નીકળ્યો તે પ્રસંગ મને યાદ આવ્યો. મને વિદાય કરતાં પહેલાં મહંતે પ્રસાદ, એક લાકડી અને એક નાનું ફાનસ આપ્યાં. હું નીચે જતો હતો અને પેલો સંન્યાસી મને મળ્યો.

‘ચાલીશું? કે પછી…’ મારો જોડીદાર સંન્યાસી આવીને મારી પાસે કાંડાબૂડ પાણીમાં ઊભો રહ્યો. મેં કંઈ જવાબ નહોતો આપ્યો.

‘કેમ? કંઈ વિચારમાં?’ તેણે ફરી પૂછ્યું અને ઉમેર્યું, ‘કડીપાણી દૂર નથી. બપોરે અલીરાજપુરની બસ જવાની જ.’

હું ફરી નિરુત્તર રહ્યો.

‘ઝાડીમાં તો આમેય કોઈ તીરથ નથી ખાલી ચાલવાનું જ થશે. તીરથ તો જે છે તે બધાં ઝાડી પાર છે.’ તે સ્વગત બોલતો હોય તેમ બોલ્યો અને ફરી કહ્યું, ‘તોયે તમારી મરજી.’
‘મારી મરજી,’ મેં સંન્યાસી તરફ ફરીને કહ્યું, ‘ઝાડી પાર જવાની જ છે.’ તેણે આશ્ચર્યપૂર્વક મારી સામે જોયું, ભમ્મરો ચડાવી, હાથનાં આંગળાં પ્રશ્નાર્થભાવે મચકોડ્યાં. પછી કહ્યું, ‘સારું, તમે નીકળો. હું પણ પાછળ નીકળું.’ તે ટેકરી તરફ પાછો ફર્યો.

હવે તે કડીપાણી જવાનો, અલીરાજપુર પહોંચવાનો અને મારી આગળ જઈ ધામ્નોદમાં મને મળવાનો.

તેનો વિચાર કરવાનું છોડીને મેં ચાલવાનું શરૂ કર્યું. નિતાંત સુંદર ખડકો, નાનાનાના ગોળ પથ્થરો, જાડી કાંકરાળી રેતી પર અનંતકાળથી વહી રહેલાં કાંડાબૂડ જળમાં ચાલવાનો આનંદ મારી રગેરગમાં પ્રસરી ગયો. નિર્મળ વહેતાં જળમાં ઉપરવાસથી વહી આવતા કાગળનાં ડૂચા પ્રત્યે મારું ધ્યાન ખેંચાયું. કોઈએ પાણીમાં ફેંકી દીધેલું બિસ્કીટનું ખાલી ખોખું! નજીક આવતાં હું ક્ષણભર જોઈ રહ્યો, પછી તેને કિનારા પર મૂકીને હું આગળ ચાલ્યો.

ઝાડી પસાર કરતાં બે-અઢી દિવસ થાય છે તેવું મેં મહંત પાસે સાંભળેલું. પેલા સંન્યાસીના ભયનું નિવારણ કરવાના તમામ પ્રયત્નો મહંતે કરેલા: ‘ક્યાંક ક્યાંક લાકડાના વેપારીઓનો પડાવ હોય છે ત્યાં આશરો મળી રહે.’ મહંત તાપણી સામે બેઠાબેઠા બોલતા હતા. મંદિરના ઓટલે નોંધપોથી લખતાં હું સાંભળતો હતો.

‘એ તો સમજ્યા,’ પેલો સંન્યાસી બોલ્યો, ‘પણ કાબા લૂંટી લે. ને તમે કહો છો તેવા વેપારીના દંગા ન હોય તો પાર કેમ થવું?’ તેની પોતાની તૈયારી ઝાડી જેટલો ભાગ બસ-રસ્તે પસાર કરી જવાની જ હતી.

‘હું અહીં દશ વરસથી બેઠો છું.’ મહંતે તાપણી સતેજ કરતાં કહેલું, ‘કોઈ પરકમ્માવાસી ઝાડીમાં રહ્યો સાંભળ્યો – દીઠો નથી. કોઈ ને કોઈ આશરો મળી જ જાય.’ કહીને તે મૌનસેવી રહ્યા. પછી ઉમેર્યું, ‘કંઈ ન મળે તોપણ મારી મા તો સદાય સાથે જ છે. એ તો સદા જાગતી ને જાગતી જ છે.’

મહંતે ઓટલા પર લંબાવતાં છેલ્લે કહેલું, ‘… કાબા લૂંટે તો લૂંટે. સંન્યાસીને બીક શાની? હું તો એક વાત જાણું: અહીં જે લઈ જાય છે એ પોતે જ આગળ આવીને આપી જાય છે. માએ તમારું તમારા માટે રાખેલું જ છે. આપણને પરખ હોવી જોઈએ.’

મહંતના આ શબ્દો સાંભળતાં જ મને તે રાત્રે ઢેબરાં અલગ કાઢીને મૂકતી સ્ત્રી અને પેલી ગાયવાળી કિશોરી સાંભર્યાં. પણ જ્યાં સુધી નર્મદા સ્વમુખે પોતાની ઓળખ ન આપે ત્યાં સુધી તેના હોવા વિશેનું કોઈ કથન હું માનવાનો નથી.

વિચારમાં ને વિચારમાં હું પાંચેક માઈલ નીકળી આવ્યો હોઈશ. હવે માથા પર નમેલી ઝાડી આવવા માંડી. આરપાર ગળાઈ આવતાં સૂર્યનાં નાનાંનાનાં ચાંદરણાં બપોર થયાનો સંદેશ આપે છે. મારા પગ સફેદ કરચલીઓવાળા થઈ ગયા છે. નદી વચ્ચે એક પથ્થરની છાટ પર પગ લંબાવીને બેસું છું. થાકેલા પગને પદ્માસનમાં આરામ આપતો આ રમ્ય, નિર્જન સ્થાને અડધો તંદ્રામાં, અડધો ધ્યાનમાં પડી રહું છું.

કેટલો સમય આમ પસાર થયો તે યાદ નથી, પણ હવે ઉતાવળ કરવી રહી. રાત પહેલાં જરા-તરા સૂઈ શકાય એવું સ્થળ શોધવું તો પડશે જ. પણ એવું કોઈ સ્થાન અહીં હશે?
કઠિયારાનો, લાકડાં ભેગા કરતા મજૂરોનો કે ટ્રૅક્ટરનો અવાજ સાંભળવા કાન સતેજ થઈ ગયા છે, પણ અપરિચિત પંખીગાન સિવાયનો કોઈ પણ અવાજ સંભળાતો નથી.
છેક સંધ્યાકાળે કિનારાની ઝાડીમાં એક કેડી નજરે પડી. તે કેડી પર થોડે આગળ જતાં જ એક ખુલ્લા સ્થાનમાં ખાલી ગાડું પડ્યું છે. પાસે જ વાંસની થપ્પીઓ. સવારે ગાડીવાન આવીને વાંસ ભરી જવાનો હશે.

રીંછ આવી ન ચડે તો આવતી કાલની સફર નિરાંતે શરૂ થઈ શકે તેટલો આરામ તો આ ગાડામાં જરૂર મળવાનો. મેં લાલટેન પ્રગટાવીને ગાડા પર ટાંગ્યું, થેલામાંથી પ્રસાદ કાઢ્યો અને થોડું ખાઈ લીધું. હજી દોઢ દિવસ આ ખોરાકને સાચવવો પડશે. ફાનસના પ્રકાશે આકર્ષાયેલાં જીવડાં પણ મારી નિદ્રાને રોકી ન શક્યાં.

સવારે જાગ્યો ત્યારે લાલટેન આપોઆપ બુઝાઈ ગયેલું જાણ્યું. થોડી વાર ગાડાવાળાની રાહ જોઈને હું ફરી આગળ ચાલ્યો. કેડી જાય ત્યાં સુધી કિનારા પર ચાલી શકાશે. પગનાં આંગળાં કળતર કરતાં હતાં. તે સિવાય કોઈ મુશ્કેલી ઊભી થઈ નથી. બે-એક કલાકે હું એક વળાંક પાસે પહોંચ્યો. અહીંથી ફરી નદીમાં ઊતરવાનું થશે. નદીમાં ઊતરતાં મેં મારી ડાયરી અને ફોટા નાની થેલીમાં વીંટીને બાજુ પર મૂક્યાં. પાણી પીવા વાંકો વળું છું તે સાથે જ નદીના જળમાં ઊભેલા બેઉ જણને મેં દીઠા.

‘આપી દે.’ એક જણ બોલ્યો અને બંને જણે કામઠાં પર તીર ગોઠવ્યાં.

માત્ર લંગોટી, કાળાં શરીર, ચમકતા કાળા વાળ, એવી જ ચમકતી આંખો અને શ્વેત દંતપંક્તિ.

‘હુકુમ! આપી દે.’ બીજો બોલ્યો.

મેં મારો થેલો ખભેથી ઉતારીને તેમની તરફ ફેંક્યો. એક જણે તે ઝીલી લીધો, ફંફોસ્યો અને કમ્મર પર બાંધી લીધો. પછી મારી સામે જોઈ રહ્યો અને ફરી બોલ્યો, ‘આપી દે, હુકુમ.’
મારે બધું જ આપી દેવાનું રહે છે એવો હુકમ છે – મારા પર આ કાબાનો અને મને લૂંટવાનો હુકમ કાબાઓ પર કોનો? તેમના સરદારનો? કોઈ રાજાનો? કોઈ લૂંટારુ ટોળકીનો? ના, એવું હોત તો આ કાબાઓ માર્ગો પર નાણાંની કોથળીઓ લૂંટતા હોત. આ સૂમસામ, નિર્જન સ્થળે અકિંચન પદપ્રવાસી, નિષ્કામ પરિક્રમાવાસીને લૂંટીને એમને શું મળવાનું?

અને આવી ઠાલીઠાલી લૂંટનો હુકમ પણ તેમને કોણ આપવાનું?

આ પ્રદેશમાં વસ્યો ન હોત તો મને ક્યારેય ન સમજાયું હોત કે તેમના પર આવો હુકમ છે આખી એક પરંપરાનો, સદીઓથી ચાલી આવતી પ્રણાલીનો, આ મહાન વિશાળ દેશને એકતાંતણે બાંધી રાખતી ગૌરવશાળી સંસ્કૃતિનો.

કાબાને પૂછો કે આ હુકમ કોનો? તો એ કહેવાના, ‘માનો.’ એટલે કે આ સદાસ્રોતા, સદાજીવંત, પરમસૌંદર્યમયી નર્મદાનો. એક જળધારા જે ચેતનવંત મનાય છે, જેને આ દેશના હજારો-લાખો માનવીઓ ખરેખરા અર્થમાં માનવદેહધારિણી ગણે છે, જેને સુંદરતમ વનબાળા-સ્વરૂપે નજરે નિહાળ્યાનું કહેનારા અને તેમનું કહેવું અક્ષરશ: સત્ય માનનારા આ દેશના ખૂણેખૂણે છે – તે નદીનો આ હુકમ. પેઢી-પર-પેઢી પળાતી આવેલી આજ્ઞા.

મેં ઝભ્ભો ઉતાર્યો. એક પછી એક બધાં વસ્ત્રો ત્યાગીને તેમના તરફ ફેંક્યાં. જરા પણ અચકાયા વગર તેમણે તે લઈ લીધાં. પોતે શા માટે કોઈને લૂંટી રહ્યા છે તેનાથી અજાણ કાબાઓને હાથે નદીની આજ્ઞાનું પાલન થઈ રહ્યું છે.

પરિક્રમાવાસીને લૂંટી એમનાં વસ્ત્રો પણ ઉતારી લો. ભૂખ્યો-તરસ્યો, જીવવા માટે હવાતિયાં મારતો વસ્ત્રવિહીન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે તેના અહમ્ના ચૂરેચૂરા થઈ ગયા હશે. સંન્યાસ શું છે? ત્યાગ શું છે? જ્ઞાન શું છે? જીવન શું છે? – આવા તમામ પ્રશ્નોના જવાબ તેને મળી ગયા હશે.

આ સ્થળે આ ઘટના કેટલી અજાણી અને નાનકડી છે. અમારા ત્રણ સિવાય આ પૃથ્વી પર કોઈને પણ અત્યારે જે બની રહ્યું છે તેની ખબર નથી. છતાં આ જ નાનકડો બનાવ એક માનવજાતની, એક આખી સંસ્કૃતિની ઓળખ જાળવી રાખવા સમર્થ છે. જગતપટ પર અન્યત્ર ક્યાંય પણ કોઈ એક ઘટનામાં આટલું સામર્થ્ય હોવાનું મારી જાણમાં નથી.
આજે મારો વારો છે. હજારો વર્ષો પૂર્વે આ જ સ્થળે કે આસપાસ મહારથી અર્જુન નતમસ્તક ઊભો હશે – કદાચ આ બે જણના વડવાઓની સામે. રથરહિત, દાસરહિત, ગાંડીવરહિત, વસ્ત્રોરહિત, મહાભારત-વિજયના ગર્વરહિત – શ્રીકૃષ્ણનો પરમમિત્ર, મહાન વિજેતા જ્યારે અહીંથી આગળ ગયો હશે ત્યારે કુરુક્ષેત્ર પર મેળવવાનું બાકી રહી ગયેલું જ્ઞાન પ્રાપ્ત કરતો ગયો હશે.

અત્યારે આ બંને કાબાઓ આ મહાજળપ્રવાહના ‘હુકુમ’નું અક્ષરશ: પાલન કરી રહ્યા છે. તેમનું કાર્ય પૂરું થતાં મારી સામે કંતાનની લંગોટી ફેંકાઈ. પાછળ ફરીને, લંગોટી પહેરીને ફરી જોઉં છું તો પેલા બંને ત્યાં નથી.

છે માત્ર જળપ્રવાહનો રમ્ય નાદ. ઝાડીઓ આરપાર વહેતા પવનનો મંદ, મધુર સ્વર. જનહીન એકાંત અને ગોળ, ભૂખરા-સફેદ પથ્થરોથી છવાયેલો મારો પંથ.

મેં ડાયરી, ફોટા અને બીજા કાગળોવાળી થેલી ઉઠાવી અને આગળ ચાલ્યો. બપોરે વાંસના કૂણા અંકુર, વૃક્ષોનાં પાન, ન જાણે શું-શું ચાવીને મેં શક્તિ ટકાવી રાખવા પ્રયત્ન કર્યો અને નદીજળ વચ્ચે રાતની ઠંડીમાં ઊંચા પથ્થર પર બેસી-સૂઈને જેમતેમ રાત ગાળી નાખી.

આજે વહેલી સવારથી તાવ છે. પાણીમાં પગ બોળતાં જ ઠંડીના ઉકરાટા આવે છે. જેમ-તેમ કરીને ચારેક માઈલ ચાલી ગયો. પછી કિનારાની રેતમાં બેસી ગયો. ફરી ઊભા થવાનો મારો પ્રયત્ન સફળ ન થયો. હજી કેટલું ચાલ્યા પછી વસતી આવશે તે ખબર નથી. અંગો જકડાઈ જવા માંડ્યાં છે. આવી હાલતમાં હું ક્યાં સુધી જીવતો રહીશ તેની મને ખબર નથી.

આ ક્ષણે મારે જોરજોરથી ચીસો પાડવી જોઈએ. મોટા અવાજે રડીને મારાં સદ્ગત માતા-પિતાને સાદ પાડવા જોઈએ. આ વિજન તટને માનવસ્વરની તીવ્રતમ ચીસોથી ભરી દેવો જોઈએ; પરંતુ હું આમાંનું કશું જ કરતો નથી.

કશાકની, કોઈકની રાહ જોતો હોઉં તેમ શાંતિથી પડ્યો રહું છું. ધીમેધીમે દૃશ્યો ઓઝલ થતાં જાય છે. સમય જાણે કે થંભી ગયો છે… અનાયાસ મારા હોઠ ફફડે છે… નર્મદે હર…!”

૨૬

‘લે, ખાઈ લે.’ કોઈ સાવ નજીકથી બોલ્યું. તાજી મકાઈનો એક ડોડો મારા હાથમાં અપાયો. આંખો ખોલીને મેં ઝાંખાં દૃશ્યો વચ્ચે તેને જોઈ – ઘાઘરીપોલકું પહેરેલી નાનકડીબાળા. ‘લે, ખાઈ લે.’ ફરીથી તેણે કહ્યું.

મેં મકાઈનો એક દાણો ઉખેડી મોંમાં મૂકતાં તેને પૂછ્યું, ‘તું કોણ છે, મા?’

ઓળખ પુછાય ત્યારે ઉત્તર આપવાની અમને આજ્ઞા નથી હોતી. પોતાના મનમાં ઊઠેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર માનવીને શ્રદ્ધા કે પ્રજ્ઞા થકી જ શોધવાના હોય છે. છતાં ક્યારેક કોઈકની જીદનો સ્વીકાર કરવો પણ ઉચિત હોય છે.

બ્રહ્માંડને બીજે છેડેથી આવતા હોય તેવા ઝાંખા પણ દિશાઓને ભરી દેતા નાદ સમા શબ્દો સમગ્ર વાતાવરણમાં પડઘાયા: ‘…રે..વા…!’

* * *

તત્ત્વમસિ – પ્રાકકથન

તત્ત્વમસિ – ૧

તત્ત્વમસિ – ૨

તત્ત્વમસિ – ૩

તત્ત્વમસિ – ૪

તત્ત્વમસિ – ૫

તત્ત્વમસિ – ૬

તત્ત્વમસિ – ૭

તત્ત્વમસિ – ૮

તત્ત્વમસિ – ૯


અક્ષરનાદ નર્મદાની આ અદ્વિતિય કથા – તત્ત્વમસિ આપને માટે નિ:શુલ્ક રજુ કરે છે. તો સામે પક્ષે અક્ષરનાદને આર્થિક બોજથી દૂર રાખવા ધ્રુવભાઈએ પણ આ પુસ્તક અક્ષરનાદ પર રજૂ કરવા કોઈ જ રકમ લીધી નથી, અરે તેમણે રોયલ્ટી લેવાની પણ ના કહી. તો આખરે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે અક્ષરનાદ પર તત્ત્વમસિ નિ:શુલ્ક વાંચન માટે ઉપલબ્ધ થાય, અને વાચક પર ભરોસો રાખીએ. અહીં અક્ષરનાદ પર તત્ત્વમસિ વાંચીને કોઈકને મનમાં થાય કે લેખકને ભલે પ્રતિક રૂપે, પણ વળતર મળવું જ જોઈએ તો જે તે ભાવક નિઃશુલ્ક વાંચવા મળેલા આ ખજાના બદલ પોતાને ગમે તે રકમ ધ્રુવભાઈના ખાતામાં સીધી ભરી શકે છે. આ એક આગવો પ્રયાસ છે, ધ્રુવભાઈની જેમ વધુ સર્જકો પોતાનું સર્જન સર્વે માટે ઉપલબ્ધ કરી શકે એ માટેની જવાબદારી હવે વાચકની બની રહે છે. મને અક્ષરનાદના સુજ્ઞ વાચકો પર વિશ્વાસ છે કે તેઓ નિરાશ નહીં જ કરે. ધ્રુવભાઈ ભટ્ટની બેન્કની વિગતો આ સાથે આપી છે.
Name of account : Bhatt Dhruvkumar Prabodhrai
Name of the Bank HDFC bank
Account number : 01831930001854
IFSC : HDFC0000183
Branch : Lambhvel Road, Anand.
Type of Account : Saving


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “તત્ત્વમસિ : ૯ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

  • Kalpesh Raval

    છેલ્લા બે દિવસ માં મે તત્વમસી ના ૯ ભાગ વાંચ્યા, આ દરમ્યાન મને થયેલી અનુભૂતિ હું શબ્દો માં વર્ણવી શકું એમ નથી. પણ માં નર્મદા નાં દર્શન ની તીવ્ર ઈચ્છા મન માં ઉઠી છે. ધ્રુવ ભાઈ નોં આ અદ્ભુત રચના બદલ ખુભ ખુબ આભાર. નર્મદે હર.

  • pravinshah47

    ‘રેવા’ ફિલ્મ જોઈ, ત્યારથી જ ‘તત્ત્વમસિ’ વાંચવાની ઈચ્છા હતી. અક્ષરનાદે એ ઈચ્છા પૂરી કરી. જીજ્ઞેશભાઈનો ખૂબ આભાર. ધ્રુવ ભટ્ટ સાહેબે નર્મદા મૈયાની પરિક્રમા અને ત્યાં વસતા માનવો વિષે બહુ જ સરસ વાતો કહી છે. ત્યાં રહેવાનું મન થઇ જાય એવું છે. આપણી ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા માણવા મળે છે.

  • Balendu vaidya

    “રેવા” જોયા પછી તત્વમસિ વાંચવાની ઈચ્છા હતી તે આજે પુરી થઈ, પુસ્તક અને ચિત્રપટ અલગ માધ્યમો છે, તેની રજુઆત અલગ ક્ષેણીના, વર્ગના વાંચક/દર્શક માટે હોય પણ પુસ્તક વાંચવાની મજા કંઈ અલગ જ છે, ધરમપુર પાસેનાં નાની વહિયાલ અને પંચમહાલનાં ખાંડીયા જેવાં ગામડામાં ગાળેલો સમય મને વાર્તાની પૃષ્ઠભુમિ સમજવામાં મદદરૂપ બન્યો, નાનાં બાળકોનું રસીકરણ કરવામાં ભૂવોજ સહાયક બનેલો! જુનુ છોડ્યા વગર નવું અપનાવવું એજ ઉત્ક્રાંતિ છે!

    • Parth Pandya

      “નર્મદે હર”
      “તત્વમસિ”

      ધ્રુવભાઈ,
      કોરોનાકાળ-લોકડાઉન ના અંતે (મે-૨૦) ટેલિવિઝન પર પ્રશાંત બારોટજી ના ઇન્ટરવ્યૂ ની એકાદ મિનિટ, રેવા ફિલ્મ દરમિયાન નર્મદાને સિક્કો અપૅણ કરવાની તેમની શ્રધ્ધા જાગી, તે જોયું…પછી વલસાડ જતાં પ્રત્યક્ષ અનુભવ કર્યો…રેવા ફિલ્મ જોવાની ઇચ્છા થઇ તે જોઈ… પછી તત્વમસિ…

      સુપરિયા, ગુપ્તાજી, પાર્વતી મા, ગણેશ શાસ્ત્રી, કીકો વૈધ, પોપટ વૈધ, પુરિયા, રામબલિ, બિત્તુબંગા, જોગા, લક્ષ્મી, નારદિ, કમળા, ઝૂરકો, બાબરિયો, ટેમ્પુડિયો, દિત્યો, થોમસ, લક્ષ્મણ, વિષ્ણુ, વિધ્યા, સુરેન, વનિતા-કાલેવાલી મા, ગંડું ફકીર, ઓલોપી રાણી, કાબા ને તકસક વગેરે બધાં જીવંત પાત્રો…

      મુનિ કા ડેરા, કાકરાખોહ, સોભદરા બાગાન, ચચૅ, કેન્દ્ર, હિરનીટોલા, પથરતલા, હરિખોહ, છતિયાટોલા, બિવરી, ભીમતકિયા, ધુલિટોલા, બિલેશ્વર, ઈનરા સીડી, ગલસંટો, રાણી ગુફા ને સમસ્ત રેવા ખંડ જેવા જીવંત સ્થળ-વસ્તુ…

      રેલવે માં માજી નો સિક્કો અપૅણ કરવો, ટેમ્પુડિયાનો જન્મ, પુરિયા નું ડાકણ બનવું, ઝૂરકાની ઝડપ, સુપરિયા ની સમજ, શાસ્ત્રી નું જ્ઞાન, કીકાને કુટુંબ નું ભાન, સમાજ ની અંધશ્રદ્ધા, સાઠસાલીના કાલેવાલીમા પર શ્રદ્ધા ને વ્યાધ-સ્વાનમંડળ નું જ્ઞાન, બિત્તુબંગાની વિધ્યા, સંગીત સમારોહ વગેરે અદ્ભુત પ્રસંગો માં મારાં પ્રિય ગંડું ફકીર નું અપને આપસે ધોકા નહીં કર સકતા, ગુપ્તાજી નું કરજ ને “શ્રી હરિ” ને પંજવાણી માં બાળકન્યા નાં મોરપીંછ નૃત્ય બાદ મફતમાં ન જોવાય…

      કદાચ મુખ્ય પાત્ર-ડાયરી નોંધનાર નું નામ ન જાણીને જ વાચક કથા સાથે સંકળાયેલો રહ્યો…

      એક અદ્ભુત રચના ત્યારે જ રચાય જ્યારે રચનાકાર નાં સુંદર વિચાર, સ્થળ નું જીવંત સૌંદર્ય ને પાત્રો નો સુંદર સમન્વય થાય…

      નર્મદા સાબરમતી સાથે માનવજીવન ને જોતા Man vs wild ના Bear Grylls ની નદી પાસે જ જીવન છે વાત સાચી લાગે…

      અદ્ભુત રચના વાચક સુધી પહોંચાડવા ધ્રુવભાઈ અને અક્ષરનાદ નો ખૂબ ખૂબ આભાર…

      “જિંદાસાગબાન”, જો સાચે જ આ જગ્યા છે તો તે જોવાની ઈચ્છા ને ‘આપણે મળીશું’ આશા સાથે “નર્મદે હર”…

      પાર્થ પંડ્યા
      અમદાવાદ

  • Santosh Kashinath Patil

    ખૂબજ સુંદર લખાણ, સ્વયં નર્મદા નાં જંગલમાં ફરતા હોય તેવી અનુભૂતિ થઈ. બધાજ દશ્ય નજર સમક્ષ તાદ્રશ્ય થઈ જતાં હતાં, પછી તે જંગલ નો દાવાનળ હોય, ઝરણામાં વિખેરાઈ જતી નર્મદા હોય કે પછી રાની ગુફા. ખૂબજ સુંદર રચના, વાંચન મા રસતરબોળ કરી દીધા. આદીવાસી સંસ્ક્રુતિ નું જતન પણ થતું રહે અને તેઓને રોજગાર પણ મળી રહે, આ સંદેશ ખૂબ અગત્યનો છે. ભવિષ્યમાં આવું કામ કરવાની પ્રેરણા આપી જાય છે. ધન્યવાદ

  • પરમાર

    દાદા, આ નાનકડા વાંચક ના પ્રણામ સ્વીકાર કરજો। ઘણુ બધુ વાંચી ને પણ આ નવલકથા એક જ વાર મા વાંચયા બાદ, આજે જ રેવા ફીલ્મ જોવા બેઠો છુ, ભુખ્યા પેટે, જમવુ તો મુવી પુરી થયા પછી ને જીવવું તો રેવા,નરમદા ને જોયા પછી। નરમદે હર

    મૈં નમાજી બનું યા શરાબી બનું
    બંદગી મેરે ઘર સે કહાં જાયેગી?’

  • Ravina

    અક્ષરનાદ અને ધ્રુવ સર નો દિલ થી ખુબ જ આભાર કે આવી સરસ બુક online ફ્રી માં ઉપલબ્ધ કરાવી..
    હું દુબઇ રહુ છું અને અહીં ગુજરાતી બુક online costly હોય છે..

  • Tilak

    અદ્ભુત વાર્તા પ્રસંગો… રેવા ફિલ્મ જોયુ અને ખુબજ ગમ્યું ત્યારબાદ મારા ભાઈ એ કીધું ક તત્વમસિ તો આનાથી પણ વધારે સુંદર છે . તેથી તત્વમ્સી વાચવા ની ઇચ્છા થઈ આમ નોકરી ના કારણે બહુ સમય મળતો નહીં પરંતુ મુસાફરી ના સમય મઆ જે થોડો સમય મળતો તેમાં હું વાચતો અને ખોવાઈ જતો કે ક્યારે સ્ટોપ આવી જતો તેની ખબર પણ ના રેતી. આભાર અક્ષરનાદ નો જેમને ઓનલાઇન આ સુંદર સુવિધા પૂરી પાડી.

  • વિજયભાઈ મકવાણા

    લેખક શ્રી નો ખૂબ ખૂબ આભાર આપના વિચારો થકી મારા મનમાં ઘણા બધા સમયથી ગુંચવાતા પ્રશ્ર્નોના ઉત્તર મળ્યા.
    ખાસ કરીને ધર્મ અને સંસ્કૃતિ વચ્ચેની જે મારી દ્વિધા હતી તે દૂર થઈ. અને મારા મનના કોઈક ખૂણામાં રહેલી શ્રદ્ધાની અનુભૂતિ થઈ. અને સાચેજ મા રેવાની કાલ્પનિક પરિક્રમાનો સુખદ અનુભવ થયો. આપનો ખૂબ ખૂબ આભાર.

  • gopal khetani

    વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ધ્રુવ દાદાની અકૂપાર વિષે મારા વિચારો પ્રગટ કરેલા. અકૂપાર મેં બે વાર અને મારી પત્નીએ ત્રણ વાર વાંચી છે. (જીજ્ઞેશભાઈનો તહે દિલથી આભારી છું.) આ બાબતે મારે જ્યારે જીજ્ઞેશભાઈ સાથે વાત થઈ ત્યારે તેમણે તત્વમસી (રેવા ફિલ્મના ટ્રેઈલરથી અમે ઓલરેડી અભિભૂત હતાં જ), સમુદ્રાન્તિકે, લવલી પાન હાઉસ વગેરેની વાતો કરી. દિલ્હી રહેતો હોય “રેવા” મારા નસીબમાં નહોતું. પણ જીજ્ઞેશભાઈના “સર્જન અંગ” અક્ષરનાદ થકી અને ધ્રુવદાદાના આશીર્વાદથી તત્વમસી માણવા મળી તે માટે બન્નેનો દિલથી આભાર. ખરેખર મન / મસ્તિષ્કને નરબદા મૈયાના હૈયામાં ગોતા ખવડાવે અને એક અલૌકિક આનંદ આપે તેવી કથા. અકૂપાર વિષે જેવી હિમ્મત (આમ તો જુર્રત) થઈ તેવી એક વખત તત્વમસી માટે થાશે ત્યારે વિગતે લખીશ. (મા મા શાધિમામ- પણ જલ્દી અક્ષરનાદ પર આવે તેવી આશા.!) ફરી એક વાર અક્ષરનાદ અને ધ્રુવ દાદાનો ખૂબ ખૂબ આભાર.

    • ધ્રુવ ભટ્ટ

      ગોપાલભાઈ,
      દિલ્લી બેસીને ગુજરાતીને જીવતી રાખો છો તેનો રાજીપો છે. બધું તમને બધાને પહોંચાડે છે તે જિગ્નેશભાઈ છે. મારે પણ તેમને ઘન્યવાદ આપવા પડે કે તમારા જેવા ભાવકો સાથે તે મને મેળવી આપે છે. ધ્રુવ

      • Haresh Raval

        અદભુત પુસ્તક લખવા બદલ આપને શત્ શત્ નમન . આપના માંથી પ્રેરણા લઈને મેં પણ લખવાનું શરૂ કર્યું છે.

  • RP

    Adbhut… the story itself is Jindasaagban….
    Beautiful synchronisation between science and sanskruti… loved Supriya’s character so clear about what she believes in and does..
    The illustration is so clear I can feel being part of the whole story and can see things happening around me… it certainly beats any wordly dimension to be in….
    each and every character is alive…. can feel mindstate of Pooriya, pain of Bittu, hesitation of Vidhya at the same side can feel the love of Guptaji’s mum, Kamala, nani ma, mami; energy and positivity of zuriya, laxman, Vishnu Master and freewill of Alibaksh aka Gandu Fakir and Binta aka Kaliwali MA
    Its true whats keep our tradition going is keep following tradition without being suspicious or worrying about does that ever happens and also preparing our future generation to have faith to continue…
    Every time will I look upon the sky was surely be thinking of Vyadh and Swan Nakshtra
    Wish could go once in lifetime to see the Narmada… Reva…
    Narmade Har!!!!
    Antahkaran aabhar Dhruvbhai.

    • Dhruc Bhatt

      Thanks RP,
      I do not know your full name and fee it is not required to now it…

      કથા તમને ગમી તેમાં તમારી પોતાની સંવેદનશીલતાનો મોટો ફાળો છો. મારી કોશિશ કો માત્ર એ જ હોય કે મેં જો જોયું, વિચાર્યું, અનુભવ્યું તે લઈને તમારી લાગણીને મળી શકું.
      ધ્રવુ

  • Jesal Makwana

    જકઙઈ રાખે તેવી વાર્તા !! એક વાર મા જ વાચી ગઇ.. આટલી અદભુત કથા ક્યાય વાચી નથી !!
    શહેર છોઙી ને ગામ મા વસવાનુ મન થઇ ગયુ. નાની હતી ત્યારે ક્યારે ક આવો વિચાર અવ્યો તો એ પાછો જાગ્રુત થઇ ગયો !!
    Superb Story writing રહસ્યો થી ભરપુર !!
    Many Congratulation and thank you for writing such inspiring story !!