જેસલ જગનો ચોલટો હો જી.. – જેસલ તોળલ 1


ફળે મુંજા ભાઈડાનો ભાવ હાં રે હાં,
કાઠી રાણી તોળલ ! અમને તારજો હો જી;
હાં રે હાં, જેસલ જગનો ચોલટો હો જી.

જેસલ ખાતો ચારે ખંડનો માલ;
હાં રે હાં, સંગત્યું કીજે જેસલ સંતની હો જી.
વસિયે પુલા ભેળો વાસ હો જી.
હાં હાં, કાઠી રાણી તોળલ ! અમને તારજો હો જી;
હાં રે હાં, કાઠીરાણી મુખથી અમને ઓચર્યા હો જી.

જેસલ, કપડાં ધોઈ લાવ !
હાં રે હાં, ઈ રે મારગડે શૂરા મળે,
તેને પાછા વાળી ઘેર લાવ હાં હાં. – કાઠી રાણી.

હાં રે હાં જેસલ નથી પૂગ્યાં નીર ‘સરોવરે જી.
નથી બોળ્યો નીરમાં રે હાથ;
હાં રે હાં અધવચ ઊજળાં હોઈ રિયાં,
તોળી તારો સાયબો બતાવ !

હાં રે હાં જેસલ જામૈયો રચાવો હો જી,
તેમાં વરણ તેડાવો અઢાર;
હાં રે હાં મોટા મોટા મુનિવર આવશે હો,
જેસલ રે’જો હુશિયાર

હાં રે હાં, કળજગમાં જેસલ નિંદા ઘણી હો જી.
નિંદાની પડશે ટંકશાળ;
હાં રે હાં નિંદા સુનીને સાધુ નિર્મળા હો જી,
જેસલ ઊતરે શિરભાર.

હાં રે હાં જેસલને ઘરે ધણી મારો આવી મળ્યા,
સતી તોળલ કરે આરાધ;
હો રે હો જૂનો રે જાડેજો એમ બોલિયા,
તોળી તારો સાયબો સંચિયાત.

– જેસલ તોળલ

જેસલ જાડેજો હાલ્યો જાય છે, પાછળ આખુંય ગામ વાતોએ વળગ્યું છે, આ શું અચરજ? જેસલના માથે આ પોટલું શેનું? ખબર પડે છે કે ઓલી બાયડીનાં લૂગડાં ધોવા જાય છે આ તો તળાવ કિનારે.. આ શું? એક વખતનો ક્રૂર અને નરાધમ બહારવટીયો જેસલ આટલો બધો રાંક કઈ રીતે બની ગયો હશે? એ ચમત્કાર કોણે કર્યો જેના પ્રતાપે આ હિંસક માણસ આવો સાદગીભર્યો થઈ ગયો? સરોવરની પાળે જેસલ તોળલના ઘાઘરા, સાડલાં ને લૂગડાં ધુએ છે. લોકો નિંદા કરે છે ત્યારે તોળલ કહે છે, ‘જેસલજી, શરમાશો નહીં, આ કળીયુગમાં તો નિંદાની ટંકશાળ પડશે, નિંદાનાં નીરથી જ સાધુજનો નિર્મળા બને છે. એનાથી જ શિર પરનો ભાર ઉતરશે.’ નિંદાતો નિંદાતો જેસલ નવાણે પહોંચ્યો – ન પહોંચ્યો ત્યાં તો તેનો દેહ ઊજળો બની ગયો… જેસલ પીર અને સતી તોળલની આવી જ વાતચીતનો પડઘો ઉપરોક્ત કૃતિમાં પડે છે.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “જેસલ જગનો ચોલટો હો જી.. – જેસલ તોળલ

  • Rajesh Vyas "JAM"

    વાત તો સાવ સાચી છે પરંતુ જેસલ સિદધાંતવાદી બહારવટિયો હતો તેથી જ તે વાલિયા માંથી બનેલાં વાલ્મિકી ની જેમ જેસલ જાડેજા માંથી જેસલ પીર બન્યો હતો.