કાવ્ય-કોડિયાં – વેણીભાઈ પુરોહિત (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2


આપણા ગુજરાતી ઈ-પુસ્તકાલયને સમૃદ્ધ કરવા આજથી ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ શ્રી વેણીભાઈ પુરોહિતના કેટલાક કાવ્યોનો સંકલિત સંગ્રહ, જેનું શીર્ષક છે ‘કાવ્ય-કોડિયાઁ’. મૂળે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકાનુઁ અક્ષરનાદ ફક્ત ઈ-સંસ્કરણ પ્રસ્તુત કરી રહ્યુઁ છે. પ્રસ્તુત પુસ્તિકામાં પદ્યસર્જનમાં સિદ્ધહસ્ત કવિ શ્રી વેણીભાઈની અનેકવિધ પ્રકારની અને બહુરંગી કૃતિઓ આપ માણી શક્શો. આ જ પુસ્તકમાંની બે રચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે.

૧. બ્રાહ્મમંગલા

વાય વેણુ પરોઢધૂન માંડી,
ને નાચે છે નોબતની દાંડી,
હો દેવ ! આજે જાગો !

વેદ ગુંજે છે છંદ,
ગેબ ગાજે પડછંદ,
મારાં નયનોના નંદ—
દેવ જાગો…
મારા મંદિરના દેવ, આજ જાગો…!

મને રાખી અણજાણ,
રોજ ઊગો છો ભાણ !
આજ મનખાની આણ–
દેવ જાગો…
મારા હૈયાના દેવ ! આજ જાગો…!

નાથ ! જુગ જુગનાં ઘેન આજ છાંડો,
સૂનાં તલખે છે ચૌદે બ્રહ્માંડો,
પ્રેમમંગલ બે લોચનિયાં માંડો–
હો દેવ, આજ જાગો…
મારા માનવના દેવ, આજ જાગો !

૨. અમલકટોરી

ભર મન ! બ્રહ્મપ્રેમનો પ્યાલો રે
મને હરિરસ વ્હાલો રે….

અંગૂર ને આંબાના રસને મનથી મૂકી દીધો,
સતવાયકનો લીલો લીમડો ઘૂંટી ઘૂંટી પીધો:
મારગ સુરગંગાનો લીધો.
–ભર મન.

માયાનાં ધાવણ ધાવેલું મનડું મારું ઝેરી,
હૈયાના કંગાલ મનોરથ દીધા આજ વધેરી:
વાગી અનહદની રણભેરી.
–ભર મન.

કાળતણું કરજુગલ બિચારું રગડે છો તન-માટી,
જીવનની લાખેણી ખલમાં બ્રહ્મભક્તિ મેં વાટી:
મારે ઊંચી આત્મ-સપાટી.
–ભર મન.

સંતન! મેં સંજીવન પીધું, ગયો કાળ-ઘા ઠાલો,
’આખર’ની વૃન્દાવનકુંજે ગુંજત મુરલીવાલો:
ઊડે ચેતનરંગ-ગુલાલો.
–ભર મન.

રગરગ બ્રહ્મભાવના ફોરી !
પીધી હરિરસ-અમલકટોરી !

– વેણીભાઈ પુરોહિત

પુસ્તક ડાઊનલોડ કરવા જાઓ અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ.

 


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “કાવ્ય-કોડિયાં – વેણીભાઈ પુરોહિત (ઈ-પુસ્તક ડાઉનલોડ)