બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે – ‘કાયમ’ હઝારી 5


પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ધરે ?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !

ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી,
જડ બનેલી જિંદગી કઈ વાતનું માતમ કરે ?

જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો,
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે.

લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું,
પણ, ધુમાડો જે થયો એ કઈ રીતે પાછો ફરે ?

હોય આથી શું વધુ સંતાનનું બીજું પતન,
ભરબજારે માતાના વસ્ત્રો હરી ગૌરવ કરે !

માનવીની પાશવી – ખૂની લીલાઓ જોઈને,
મંદિરોને મસ્જિદોના પથ્થરો હિબકાં ભરે.

ના ખપે એ રામ અલ્લાહ ના ખપે, હા ના ખપે,
નામ માનવતાનું જેના નામથી કાયમ મરે.

– ‘કાયમ’ હઝારી

પોતાની દૈનંદિય વ્યસ્તતાઓ વચ્ચે અને વ્યવસાયના બોજ વચ્ચેથી ખાલી જગ્યા શોધીને કાવ્યોપાસના કરતા એક શાયર તે આ ‘કાયમ’ હઝારી. સિવિલ એન્જિનિયરીંગના સ્નાતક અને ગુજરાત રાજ્યના સિંચાઈ વિભાગમાં એન્જિનિયર આ કવિના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે, ‘દીવાનગી’, ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ તથા ‘આદમ અને ઈવનું પહેલું ચુંબન.’

પ્રસ્તુત ગઝલ પરંપરામૂલક અને અભિધામૂલક છે. આજના મનુષ્યની જિંદગી ઢંઢોળવા આ લખાઈ હોય તેમ લાગે. કવિનો અહીં પવિત્ર આક્રોશ પ્રગટ થાય છે, તેઓ કહે છે કે જે અલ્લાહ અને રામને નામે થતાં દંગલોમાં અનેક લોકો મરે છે તે તો નિર્દોષ મનુષ્ય જ છે. ઘૃણાસ્પદ કામો થયા કરે એ અવગણીને માત્ર જીભથી રટાતા નામનો કવિને ખપ નથી એ મતલબનું અને અંતે પ્રેમ અને સહ્રદયતાની સરસ વાત સમજાવતી પ્રસ્તુત ગઝ્લનો આસ્વાદ રમેશ પારેખની કલમે નીતિન વડગામા દ્વારા સંપાદિત પુસ્તક ‘કવિતા એટલે આ…’ માં કરાવ્યો છે.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે – ‘કાયમ’ હઝારી