સાયર હુંદા સૂર ! અને પૂરાં પરમાણ – સંત મેકરણ 1


{૧} સાયર હુંદા સૂર !

સાયર હુંદા સૂર !
એ જી વાલીડાનાં નેણુંમાં વરસે ઝીણા નૂર !
સાયર હુંદા સૂર !

આવો આવો આપણ મળીએ રે,
કાઢીએ દલડાના કૂડ;
હળીમળીને સાથે રે રિયેં રે,
તો વાલો વરસે ભરપૂર –

ખોટા બોલાનો સંગ નવ કરીએ ને,
ઈ તો આદિ અનાદિના કાઢે કૂડ;
એવાંની સંગત કે’દી નવ કરિયેં રે,
જેની આંખુંમાં બેઠાં રે ઘૂડ –

હરિજન હોય તેને ઝાઝેરી ખમ્મા
જેના હરદામાં હેત ભરપૂર;
એની તો સંગતું દોડી દોડી કરીયેંને,
જમડાને ઈ તો રાખે દૂર –

કાયા માયાનો તમે ગરવ ન કરજો,
ઈ તો છે પેટમૂઠા શૂળ;
મેકણ કાપડી એણી વિધે બોલિયા રે,
જાવું છે પાણીહુંદા પૂર –

{૨} પૂરાં પરમાણ

વરસે ધરતી, ભીંજે આસમાન,
સવળી વાણીનાં પૂરાં પરમાણ !

બારે બારે બછડા,
સોળે સોળે ગાય,
દોહી દોહી ગોરખા,
રેણી ઘોર વિતાય. –

નવી નવી હાટડી,
જૂનાં જૂનાં નાણાં;
પારખું પરખી લો,
સાચાં ખોટાં નાણાં. –

મારો મારો નીંદરા,
જાગાડી લ્યો ભમરા;
અમીરસ પીવે તાકું
જખ મારે જમરા –

ગુરૂ મુખા વચના,
ગગન ઘર રહેણા;
બોલ્યા સિધ્ધ મેકા,
પ્રેમ ધરી પૂરણા. –

– મેકરણ, કચ્છના સુપ્રસિધ્ધ સંતકવિ, કાપડી સાધુ. જન્મસ્થળ અને વતન કચ્છ ખોંભડી, સમય ઈ.સ. ૧૬૭૦ – ૧૭૩૦. આરંભ અંતના બાર બાર વરસ (એક એક તપ) કચ્છમાં, વચ્ચેના ત્રણ તપ હિમાલય, સૌરાશઃટ્રમાં પરબવાવડી અને બિલખા પાસે રામનાથ ટેકરો, ત્યાં તેમની સિધ્ધશીલા આવેલી છે. હિન્દુ મુસ્લિમ બન્નેને સાચી વાત કહેનાર સમદ્રષ્ટા સિધ્ધપુરૂષ. તેમની મુખ્ય રચનાઓ કચ્છીમાં છે. તેમની જીવંત સમાધી ધ્રંગ – કચ્છમાં છે. આજે પ્રસ્તુત છે તેમની બે રચનાઓ.

(અખંડ આનંદ માસિક, એપ્રિલ ૨૦૧૦ અંક, માંથી સાભાર.)

બિલિપત્ર

પીપા પાપ ન કીજીએ, તો પુણ્ય કીયા સોવાર
જો ના લિયો કાહુકો, તો દાન દિયો દશબાર.
– પીપા ભગત


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “સાયર હુંદા સૂર ! અને પૂરાં પરમાણ – સંત મેકરણ

  • pragnaju

    પીપા મહંતનો એક દુહો છે: પીપા પાપ ન કિજીયે, પુણ્ય કિયો સો બાર હૈ ભાઈ! તું પુણ્ય ન કરે તો કાંઈ નહીં પણ મારા વહાલા, તું પાપ તો ન કર. પાપ ન કર એ જ મોટું પુણ્ય છે. જૉ માઈક્રોસોફ્ટના અને કમ્પ્યૂટરના નિર્માતા પ્રોગ્રામ સસ્તા કરે અને કમ્પ્યુટરના નિર્માતા ઓછો નફો કરે તો જબ્બર મઘ્યમ વર્ગ ફકત રૂ. ૪૦૦૦માં કમ્પ્યુટર ખરીદી શકે. મેલિન્ડા ચૌદ વર્ષની હતી ત્યારે પિતાએ માંડ માંડ એપલ કમ્પ્યૂટર ખરીદેલું તે યાદ રાખવું જૉઈએ.

    ભારતનો ઝૂંપડપટ્ટીનું બાળક કહી શકે કે ‘અમને ધરમાદો નથી જૉઈતો, અમે બ÷ન્કની લોન લઈને સસ્તું-પોસાય તેવું કમ્પ્ય્ૂટર ખરીદવા માગીએ છીએ. બીમાર થઈએ ત્યારે અમેરિકાની દવા કંપનીઓની દવા જે ૩૦૦ ટકાથી ૪૦૦ ટકા નફાથી વેચાય છે તે સસ્તી લેવા માગીએ છીએ.