જિંદગીનો રંજ – નિલેશ હિંગુ 4


અનિશ્ચિતતા ભર્યા જીવનમાં કેવળ રંજ એક જ વાતનો છે,
કે આ અમાનુષી લોકોથી ઘડાયેલો જમાનો કઈ જાતનો છે.

ખૂબ ખેલ્યા છે પ્રણયજનોએ ફાગ આ નવરંગ દિલમાં,
પણ આખરે તો પસ્તાવવાનું છે આ જ ભરી મહેફિલમાં.

ખૂબ હર્યા ફર્યા મળ્યા એ યૌવનથી રંગાયેલ દિવસોમાં;
પરંતુ બળબળતા મરવાનું રહ્યું, પાછળથી એ જ જિંદગીમાં.

જીવનમાં કરેલ અજબ ગજબની ભૂલોનો પસ્તાવો થતો રહ્યો,
પણ સાથીના સુવાસભર્યા સંગાથથી જીવનનો આનંદ વહેતો રહ્યો.

અવિશ્વાસના ઝેરથી અમે ઘડીએ મળ્યાં ને ઘડીએ જુદાં થયાં;
પરંતુ પ્રેમ તણા એકસૂત્રતાનાં તારથી અમે એકમેકમાં મળી ગયાં!

માત્ર આ જ વાતનો રંજ આ સપ્તરંગી જિંદગીમાં રહી ગયો;
કે, જિંદગીનો આ અમૂલ્ય સોનેરી તબક્કો હાથમાંથી વહી ગયો.

– નિલેશ કે. હિંગુ

શ્રી નિલેશભાઈ હિંગુની અક્ષરનાદ પર આ બીજી રચના છે. જિંદગીમાં ઘણી વાતોનો રંજ રહી જાય છે, તેમની પ્રસ્તુત રચનામાં લોકો વિશે અને અનુભવો વિશે તેઓ વાત કરે છે, સારા સમયમાં સહુ સાથ આપે છે, પણ કસોટીની પળોમાં બધાં છોડી જાય છે, જો કે પ્રેમનો, એકસૂત્રતાનો તાર રણઝણતો રહો છે, પરંતુ જીવનનો અમૂલ્ય તબક્કો વહી ગયો છે, ગયેલો સમય પાછો લાવી શકાય તેમ નથી એ વાતનો રંજ અહીં ખૂબ સુંદર રીતે વ્યક્ત થાય છે. અક્ષરનાદને આ રચના પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને આવીજ વધુ રચનાઓ તેમના તરફથી મળતી રહે તેવી અભિલાષા સાથે શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 thoughts on “જિંદગીનો રંજ – નિલેશ હિંગુ