રીલ vs રિઅલ – આરોહી શેઠ 25


જેટલાં લોકોને એમ છે કે સુશાંત સિંહ રાજપૂતે તેમનો સંપર્ક કર્યો હોત તો તેઓ તેને બચાવી શક્યાં હોત, તેવાં લોકો માટે એક શાનદાર બમ્પર ઓફર છે કે આવા કેટલાય હરતાં-ફરતાં સ્યુસાઇડ બોમ્બ તમારી આસપાસમાં જ ક્યાંક છે; તેને ડિફયુઝ કરવાની જવાબદારી લઇ શકો તો મહેરબાની કરીને લો.

છેલ્લાં ચાર-પાંચ દિવસથી આપણે બધાંં જ અપસેટ છીએ. ગુસ્સે છીએ. સોશિઅલ મીડિયા પર ક્યાંક શ્રદ્ધાંજલીનો વરસાદ વરસી રહ્યો છે તો કયાંક ફિલ્મી માફિયાઓ વિરુદ્ધ રોષ ભભૂક્યો છે. બધાને જવાબ જોઈએ છે પરંતુ જિંદગીમાં કેટલાક સવાલ એવા હોય છે જેનો ઉત્તર માત્ર મૌન હોય છે. સુશાંત સિંહ રાજપૂત સાથે શું થયું તે જેટલું તમે જાણો છો એટલું જ હું જાણું છું. તેમાંથી કેટલુંક સાચું હશે તો કેટલુંય ઉપજાવી નાખેલું.

આપણે એક એવા સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ જે માત્ર કપરો નથી પણ ઘણો અનિશ્ચિન્ત છે. કોરોના કોવિડ-૧૯ ને લીધે લદાયેલા લૉકડાઉને માનવ સ્વભાવનો સ્ટ્રેસ ટેસ્ટ કર્યો છે, તે પણ અત્યંત વિકટ પરિસ્થિતિમાં. આપણે બધા સાથે વર્ચ્યુલી જોડાયેલા છીએ અને નથી પણ. સોશિઅલ મીડિયા પરની પ્રોફાઇલ આપણી હયાતીની હાજરી તો પુરાવે છે પણ આપણી અસલ જિંદગી સાથે તેને કોઈ લેવા-દેવા છે જ નહિ. ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર આપણને ગમતાં હીરો કે હેરોઇનને ફૉલો કરી, આપણી પેઢી એક ભ્રમિત જિંદગી જીવે છે. આ ભ્રમની સાથે આવે છે દેખાડો. આપણે માયાનગરીની આ ઝાકઝમાળને સાચી માનવા લાગ્યા છીએ. રીલ લાઈફ અને રીઅલ લાઈફમાં ઘણો ફરક છે. ફિલ્મોમાં માલેતુજાર બનતો બિઝનેસમેન પોતાની અંગત જિંદગીમાં રૂમમેટ્સ સાથે રહેતો હોઈ શકે છે પણ તે આપણાં સુધી પહોંચી શકતું નથી.

સાચું કહું તો આપણને નાના હોઈએ ત્યારથી વસ્તુપ્રધાન – મટિરિઅલિસ્ટીક બનાવી દેવામાં આવે છે. જ્યાં સુખની વ્યાખ્યા જ ભૌતિક જાહોજલાલી હોય ત્યાં દંભ અને દેખાડો હોવાના જ. સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુએ આપણને બધાને હચમચાવી નાખ્યાં છે. હવે થોડાં અઠવાડિયાં માટે મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશન નામનાં આ બે ફેન્સી શબ્દો વોટ્સએપ મેસેજીસમાં વારંવાર ડોકાચિયાં કરશે, તેની પર લખાશે, પણ આપણી બીમાર માનસિકતા પર લખાશે નહિ. પાર્ટીઓમાં થતી પંચાત અને વોટ્સએપ પર બેઠેલા પંચાતિયાઓ પર કોઈ નહિ લખે. માનસિક સ્વાસ્થ્ય જેટલું જરૂરી છે તેટલી જરૂરી છે સમાજની માનસિક તંદુરસ્ત સ્થિતિ. આપણે બધા દંભી સમાજના સભ્યો છીએ જે અધ્યાત્મની માત્ર વાતો કરી શકે છે અને ભૌતિક સુખ-સગવડોની પૂજા કરે છે. વાત એટલાથી પતતી હોત તો ઘણું સારું પણ આપણે બીજાને પણ આપણાં જેવા માનીએ છીએ કે પછી બનાવવા માંગીએ છીએ.

માણસ ડિપ્રેશનનો શિકાર બને તે પહેલાં તે ઘણાં બધાં પ્રેશરમાંથી પસાર થતો હોય છે. આ પ્રેશર ફેમિલી તરફથી હોઈ શકે, સ્કૂલમાંથી હોઈ શકે કે પછી પ્રોફેશનને લઈને હોઈ શકે. આપણે બધાં અપ્રૂવલનાં ભૂખ્યા છીએ માટે ખુશી પણ બીજામાં શોધીએ છીએ અને સફળતા પણ. ખરેખર ખુશી અને સફળતાની વ્યાખ્યા સાપેક્ષ છે, એટલે કે બદલાતી રહે છે. જેમ પ્રિઝમમાંથી પ્રકાશનું  કિરણ પસાર થાય ત્યારે, જોવાના એન્ગલ પરથી તેનો રંગ નક્કી થાય છે, જિંદગીનું પણ કંઈક આવું જ છે. માટે સુખ અને સફળતાને સમાજના ચશ્માંથી જોવા જશો તો નિરાશ થશો અને પ્રિઝમથી જોશો તો જિંદગી નામનું મેઘધનુષ કળા કરતું દેખાશે. જિંદગી કોઈના જેવાં થવામાં કાઢવી પડે તો એનાથી મોટું અપમાન પોતાનું કોઈ કરી જ નથી શકતું. આપણાં અસ્તિત્વનાં ઓવારણાં આપણે જાતે જ લઈએ તો દરેક સમયને મન ભરીને જીવી શકીશું, બાકી તો ભક્તિ ન હોય તો ભગવાનને ચડાવાતી અગરબત્તી પણ ગૂંગળાવતી હોઈ શકે છે.

સફળતા – આ ચાર અક્ષરનાં શબ્દનો અર્થ “પાસ” કે “નપાસ” થવું એવું બિલકુલ નથી. ભગવાન સામે માંગતી “પાસ” થવાની પ્રાર્થના એક ભીખથી વધારે કશું જ નથી કારણ કે માત્ર માર્કશીટ પર કોઈ નોકરી નથી આપતું. નોકરી મળી પણ જાય તો પર્ફોર્મ કરવું પડે છે. સુશાંત સિંઘ રાજપૂત નિષ્ફળ તો નહોતો જ કે  તેણે આવું નકારાત્મક પલગું લેવું પડે. ઘણાં બધાં જાણીતાં અદાકારોએ આવીને દુઃખ વ્યકત કર્યું અને પછી એ દુઃખ તેમને પાછું બેકફાયર થયું. નિશ્ચિત ફળ પ્રાપ્ત ન થાય કે ધાર્યું પરિણામ ન આવે તો ડિપ્રેશન આવે, એની ના નથી; પણ કોઈને એકલો પાડી, એને જાહેરમાં અપમાનિત કરી કે માનસિક રીતે ત્રાસ આપી તેને ડિપ્રેશનમાં ધકેલી દેવો તે મોટો ગુનો છે, કાયદાની રીતે તો ખરો જ – માનવતાની રીતે પણ એ અક્ષમ્ય છે. ફિલ્મક્ષેત્ર કોઈનું બાપિકું થોડું છે કે એમાં બહારના હોય? અને આવા કહેવાતા બહારનાઓને સ્વીકારવા શું એટલી જટિલ બાબત છે? પોતાનાં અસ્તિત્વનો અસ્વીકાર કોઈપણ વ્યકતિને જડમૂળમાંથી ભાંંગી નાંખે છે અને આ રીતે ત્રાસ પામેલ વ્યક્તિ આત્માહત્યા કરે પછી પાછળથી એ જ લોકો સારું બોલી કે લખીને હકીકતમાં પોતાને જ સારા દેખાવાની વેતરણમાં પડી જાય. હું અહીં આત્મહત્યાને જસ્ટિફાય બિલકુલ નથી કરતી પણ આ જે લોકો “I am just a call away” એમ કહે છે તેવા લોકો માટે છે કે તમારું ત્રાસ આપવાનું – બીચીંગ બંધ થશે તો આવાં  કેટલાય કિસ્સાઓ થતાં અટકી જશે. આ જિંદગી પાર્ટી નથી, એ તો અસ્તિત્વનો એક ઉત્સવ છે જેનો ઉજવવાનો હોય છે, પણ દેખાદેખીમાં જેમ પાર્ટી પૂરી થાય છે તેમ લોકોની જિંદગી પણ પૂરી થઈ જાય છે.

જેટલાં લોકોને એમ છે કે સુશાંત સિંહ રાજપૂતે તેમનો સંપર્ક કર્યો હોત તો તેઓ તેને બચાવી શક્યાં હોત, તેવાં લોકો માટે એક શાનદાર બમ્પર ઓફર છે કે આવા કેટલાય હરતાં-ફરતાં સ્યુસાઇડ બોમ્બ તમારી આસપાસમાં જ ક્યાંક છે; તેને ડિફયુઝ કરવાની જવાબદારી લઇ શકો તો મહેરબાની કરીને લો.

નિપોટિઝમ ખાલી બોલિવૂડમાં જ છે એવું નથી. આ પરંપરા તો વર્ષોથી ચાલતી જ આવી છે. કોઈ પણ પ્રોફેશન જોઈ લો. રાજાનો છોકરો રાજા જ બને, નેતાનો છોકરો નેતા અને ડૉક્ટરનો છોકરો ડૉક્ટર જ બને એવું જ તો હોય છે આપણાં સમાજમાં. આપણો ઇતિહાસ જોઈ લો, હોલિવુડ જોઈ લો – અરે અમેરિકન સેનેટ જોઈ લો. ક્યાંથી ક્યાં કોન્ટેક્ટ નીકળે છે. પોતાનાં લોકોને કામ આપવું જોઈએ પણ તેની કાબેલિયત પ્રમાણે. જિંદગીમાં ન્યાય કરો. આંખે પટ્ટી બાંધીને નહિ, ખુલ્લી આંખે અને ખુલ્લાં મને કરો. લોકોને જેવા છે તેવા સ્વીકારો.

અમેરિકામાં છેલ્લા થોડા દિવસોમાં જ્યોર્જ ફ્લોઇડની મોતને લીધે જે પ્રોટેસ્ટ થયાં છે, તેમાં આફ્રિકન અમેરિકન્સની માંગ શું છે? તે એ જ માંગે છે કે તેમનો સ્વીકાર કરવામાં આવે. તમારી જોબ પર, આસ-પાસના લોકોને સાચવો, તેમને ઊંચનીચ કે સ્ટેટ્સ કે ધર્મનાં નામે અળગા ન કરો. જાકારો કોઈ પણ માટે અસહ્ય જ હોય અને માણસ જયારે પોતાને પોતાથી અળગો કરી નાખે છે, ત્યારે તેને પોતાની જ કિંમત નથી રહેતી. આ ક્ષણ એ સહનશીલતાની ચરમસીમા છે અને પછી… આપણાં મગજમાં એક વસ્તુ ઘર કરી ગઈ છે કે નબળાં લોકો જ આત્મહત્યા કરે છે, પણ હકીકતમાં જે લોકોની લાગણીઓ ખૂબ કુમળી હોય, જેમની સંવેદનાઓ તરત જ ઠેસ પામતી હોય, જે ભાવુક હોય અને પ્રેક્ટિકલ થવાને બદલે મનથી વિચારતા હોય તેઓ આવું આત્યંતિક પગલું ભરે છે. એક ટાંકણી હથેળી પર મારી જોજો પછી વાત કરીએ, પોતાનો જીવ લેવા માટે ખુબ જ હિંંમત જોઈએ. એ નબળાં લોકોનું કામ નથી.. એ પગલું સ્તૃત્ય નથી, પણ વધારે પડતા લાગણીશીલ લોકો કદાચ અવગણનાની એ હદ સહન નથી કરી શક્તાં.

હવે એ લોકોની વાત કરીએ જે માનસિક તણાવમાંથી પસાર થઇ રહ્યાં છે. આજનાં સમયમાં બધાં જ સ્ટ્રેસમાંથી પસાર થઇ રહ્યાં છે. તણાવમુક્ત જીવન તો ભાગવત ગીતામાંય નથી, સ્વયં ભગવાન પણ પડકારજનક પરિસ્થતિઓમાંથી પસાર થયા છે જેની તેમને ખબર હતી કે થવાની જ છે તો પછી આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. મુશ્કેલીઓ તો આવે જ. પડકાર વગરનું જીવન સ્ટેવિયાની બનેલી કોફી જેવું છે, કોફી પીધી છે એવું લાગે પણ મજા ન આવે. જે અનુભવાય તે બોલી નાંખવું. મનમાં ભરી રાખીને, આરડીએક્સ ના થવું. મેં આગળ પણ લખ્યું છે લોકોએ શીખવેલી વ્યાખ્યા જીવશો તો જિંદગી ગોખવી પડશે, માટે પોતાની ક્ષમતાને ધ્યાનમાં રાખી પોતાની જિંદગી જાતે લખવી. કોઈ નિષ્ફળતા તમારી ક્ષમતાનો માપદંડ નથી. જિંદગી બોક્સ ઓફિસના આંકડાઓ પર ચાલતી નથી. એ તો લાગણીઓની મહેફિલ છે જેને માત્ર માણવાની હોય. હમણાં ગયા જ અઠવાડિયે દસમાં બારમાંના પરિણામ આવ્યા છે. જો તમે કોઈ પણ કારણોસર પરીક્ષામાં પાસ ન થયા હોવ તો ધ્યાનથી વાંચજો – તમે બાજી હારી નથી ગયા.સાયન્સ ન ફાવતું હોય તો કૉમેર્સ કરાય. જે માબાપ પોતાનાં બાળકોની તુલના સતત બીજા સાથે કરે છે, તેઓ પોતાનાં સપનાંના ભાર નીચે આ બાળકોનાં સપના કચડી નાંખે છે.  સપનાંઓના તૂટવાથી દુઃખદ કશું નથી. તમારાં બાળકને પણ બીજી તક આપતાં અચકાતાં નહિ. કોવિડ-૧૯ ને લીધે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ભાંગી પડી ત્યારે નવા ગ્રેજ્યુએટ્સને નોકરી મળવી મુશ્કેલ છે, પણ હિંંમત ન હારતાં. આ સમય કપરો છે, ઉપરથી સોશિઅલ અંતર રાખવાનું છે, આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાને લીધે પણ ડિપ્રેશન આવે; માટે કંઈક નવું શીખતાં રહો. જેમ વહેતું પાણી ચોખ્ખું હોય તેમ સમય સાથે વહેતો માણસ હંમેશા નવી વસ્તુઓથી તરોતાજા અને સ્વસ્થ રહેતો હોય છે.

સફળતા અને નિષ્ફળતા જીવનમાં આવશે જ પણ હતાશ ન થતાં પ્લીઝ. આત્મહત્યા એ કોઈપણ મુશ્કેલીનું સમાધાન નથી. જયારે કોઈ આત્મહત્યા કરે છે ત્યારે તેની પાછળ કેટલીય જિંદગીઓ, આકાંક્ષાઓ અને લાગણીઓ ત્યાં જ પતી જતી હોય છે. સદ્દગતની શ્રદ્ધાંજલિ લખાતી હોય અને તેના નજીકનાં લોકોનું જીવતે જીવ શ્રાદ્ધ થઇ જતું હોય છે, માટે મનોચિકિત્સકની મદદ લેવાની જરૂર લાગે તો સંકોચ વગર એમ કરવું, દરેક વ્યક્તિ ડિપ્રેશનમાંથી ક્યારેકને ક્યારેક પસાર થતી જ હોય છે માટે ગોરંભયેલો ડૂમો પોકમાં પરિવર્તિત થવા દેવો.. ઘણું સારું લાગશે. ડિપ્રશન એ પાગલપણાની નિશાની બિલકુલ નથી, માટે કોઈ વ્યક્તિ એમ કહે કે તેને હેલ્પની જરુર છે તો મહેરબાની કરીને તેને સાંભળજો અને દરેક વ્યક્તિને દિલથી સ્વીકારજો..

– આરોહી શેઠ


આપનો પ્રતિભાવ આપો....

25 thoughts on “રીલ vs રિઅલ – આરોહી શેઠ

  • Meet Lodaliya

    ખુબ જ પ્રેરણા દાયક Could anyone help me to upload my poetry on this website, I have already mailed all documents as stated in the help section but have not got any reply.

  • Rajendra Desai

    Khub sunder lekh! Atyarna vatavaran na anusandhan ma atyant spasht vicharo ni rajuat kari che. Khub khub abhinandan Arohi!! Keep it up!!!

    Raju uncle

  • Sushma Sheth

    Very well written article. Appropriate and so well relevant to the current situation. Keep it up dear Arohi. Surely would love to read such articles from you

  • Sushma Sheth

    Superb dear Arohi. Excellent article and so very well written. Every one must read as it’s so relevant to the contemporary situation.
    Keep it up. Would like to read more such articles from you.

  • Anil Sheth

    stress old time so many our relatives & parents live so many difficult situation still never nervous. make road in diificult time with other peoples but never sucide.like this new time. i belivexs social media is responsible for that. too much contact with social media creat more problem it’s self my uncle was live 93yrs. in their family 9 peoples earning rs.350/month never live in depression. always smile. also welcome guest too. given education all their 7 kids up to full college degree. one son engineer .one doctor/ daughter is lawyer/other daughter is charter accountant. last pay is Rs.500.00 your thinking make you stress. -depression than your mind tired and go to sucide. don’t think too much negative think under your capacity. every body want actor-actores/ busines man /politician/ etc. Arohi ben write right answer . help immediate under depression men-women.

    • Minaxi

      ખૂબ જ સરસ લેખ, સંકુચિત મનોજગતના દ્વાર ખખડાવી મૂકે તેવો લેખ લખાયો છે.

  • Kp kp

    અત્યંત પ્રભાવિક લેખ… સમાજનું વાસ્તવ …. ચાયવાળો પ્રધાન મંત્રી બને ? સુશાંત જેવો પટનાનો પોરિયો સફળતા મેળવી લે ?
    બાપીકી જાયદાદ જેવી ફિલ બધે જ છે …એનાથી ઉપર વિચારવું પડશે યોગ્યતાના આધારે કાબેલિયાતના આધારે સામાજિક મુલ્યાંકનો થવા જરૂરી છે .
    વેલ said

  • hdjkdave

    ખૂબ જ વિચારીને લખેલો વિશ્લેષણાત્મક લેખ છે. આ લેખના અનેક અંશો પર ચિંતન કરવું જોઈએ. એમ ન થઈ શકે તો આ લેખ જ્યારે જ્યારે મનમાં હતાશા વ્યાપે ત્યારે ફરી ફરીને અવશ્ય વાંચવો જોઈએ. આ લેખથી જીવન તરફની સકારાત્મક દૃષ્ટિ સાંપડશે. સાચું માર્ગદર્શન. સુશાંતે આ લેખ વાંચ્યો હોત તો કદાચ આ લેખ આપણી સમક્ષ પણ ન આવ્યો હોત. આશા રાખીએ કે અન્ય ઘણા સુશાંતો સુધી આ વાત પહોંચે.