વેદપુરાણોમાં શ્રી રાધાજીનો ઉલ્લેખ.. – પૂર્વી મોદી મલકાણ 36


બ્રહ્મવૈવર્તકપુરાણમાં પ્રસંગ છે કે એકવાર રાધાજી ગોલોકધામની બહાર ગયેલા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે કૃષ્ણ પોતાની વિરજા નામની સખી સાથે વિહાર કરી રહેલા હતાં. કૃષ્ણને વિરજા સાથે જોઈ ક્રોધિત થઈ ગયા તેમણે કૃષ્ણને કહ્યું કે આપ એકલા એકલા વિરજા સાથે કેમ ફરો છો મારા આવવાની રાહ કેમ ન જોઈ? રાધાજીના વચનો સાંભળીને વિરજા સખીએ રાધાજીને પૂછ્યું કે પ્રભુ મારી સાથે વિહાર કરે છે તેમાં આપને અસૂયા કેમ થાય છે? વિરજા સખીના વચનો સાંભળીને રાધાજી વધુ ક્રોધિત થઈ ગયા અને આપ આપ કરતાં કરતાં વિવાદ વધી પડ્યો. તે સમયે રાધાજીએ વિરજા સખીને નદી બનીને વહેવા માટે શાપ આપ્યો તો સામે પક્ષે વિરજા સખીએ પણ રાધાજીને શાપ આપ્યો કે તેઓ પણ ત્યાં જ માનવરૂપે પધારશે જ્યાં જે ભૂમિ પર વિરજા હશે. આમ પરસ્પરના શાપ બાદ વિરજા નદી સ્વરૂપે વ્રજભૂમિ પર પધારી અને પોતાના સ્વરૂપને યમુના નદીની અંદર તિરોહિત (સમાવી લીધું) કરી દીધું અને રાધાજી પણ વ્રજભૂમિ પર માનવરૂપે ત્યાં પધાર્યા. આ તો થઈ રાધાજી પૃથ્વી પર કેવી રીતે પધાર્યા તેની વાર્તા, પરંતુ પુરાણોની વાર્તાઓને બાદ કરતાં આપણે ત્યાં રાધાજીનો લિખિત ઉલ્લેખ ક્યારે થયો તે વિષે જાણવું વધુ મહત્વનુ છે.

રાધાજીનો પ્રથમ ઉલ્લેખ નવમી સદીના શાસ્ત્રોમાં થાયેલો જોવા મળે છે. પરંતુ નવમી સદી બાદ ભારત ઉપર અનેક શાસકો બદલાયા જેને કારણે નવું નવું આવેલ રાધાનું પાત્ર ખોવાવા લાગ્યું, પરંતુ મધ્યાકાલીન યુગ અલગ હતો. આ યુગ ભારતીય ઇતિહાસમાં ભક્તિકાલીન યુગ તરીકે પ્રખ્યાત થયો. આ એ જ સમય હતો જ્યારે વ્રજવૃંદાવનની અધિશ્વરી શ્રી રાધાજીનો ઉલ્લેખ સૌથી વધુ થયો અને રાધા અને કૃષ્ણની પ્રેમકથાને સૌથી વધુ વિસ્તાર મળ્યો. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ યુગમાં કૃષ્ણ રૂપી યોધ્ધાનો નાશ કરી રાધા રૂપી પ્રેમિકાનું ચરિત્ર કૃષ્ણલીલામાં પરાણે મૂકવામાં આવ્યું છે, જ્યારે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે કૃષ્ણ રૂપી રસને ઝીલવા માટે રાધાના પાત્રને ઘડવામાં આવ્યું છે. જો રાધાનું પાત્ર ઇતિહાસમાં ન હોત તો કૃષ્ણનો આનંદરસ ક્યારેય વિશ્વને મળ્યો ન હોત. પરંતુ જેમ કૃષ્ણને આરાધ્ય માનનારા અને ચાહનારા અનેક સંપ્રદાયો બન્યા તે રીતે રાધાને આરાધિકા માનનારા અને ચાહનારા અનેક સંપ્રદાયો બન્યા. મધ્યાકાલીનયુગમાં જ્યાં આપણી કથાઓમાં રાધાજી વિસ્તરી રહ્યા હતા તે સમયે નિમ્બકાચાર્ય સંપ્રદાય, શ્રી વલ્લભાચાર્ય સંપ્રદાય, રાધાવલ્લભ સંપ્રદાય, સખી સંપ્રદાય, ગૌડય સંપ્રદાયોએ અને વિવિધ આચાર્યોએ, સંતોએ વગેરે સંપ્રદાયોએ રાધા નામને પુષ્ટિ આપી કૃષ્ણ સાથે સદાને માટે જોડી દીધાં. આ બધા જ સંપ્રદાયોમાં પુષ્ટિમાર્ગે રાધાજીને વ્રજસ્વામીની તરીકે ઓળખ્યા તો રાધાવલ્લભ અને નિમ્બાર્ક સંપ્રદાયે કૃષ્ણની આહ્લાદીની શક્તિ તરીકે ઓળખી સર્વપ્રથમ રાધાકૃષ્ણની યુગલ ઉપાસનાનું પ્રચલન કર્યું. રાધાવલ્લભ સંપ્રદાયે કૃષ્ણને બંસીઅવતારનું નામ આપ્યું અને રાધાજીને કૃષ્ણની પ્રવર્તક બનાવી.

શ્રી રાધાજી, શ્રી રાધેજુ, કૃષ્ણ વલ્લભા, કૃષ્ણ પ્રિયા, રાસેશ્વરી, રસેશ્વરી, રાસવાસીની શ્રી રાધેરાણીનાં પ્રાગટ્ય વિષે અનેક શાસ્ત્રોમાં અને પુરાણોમાં ઉલ્લેખ થયેલો છે. બ્રહ્મવૈવર્તક પુરાણમાં કહ્યું છે કે એક સમયે ગો-લોક ધામમાં શ્રી હરિ એકલા અટૂલા વિચરી રહ્યાં છે ને વિચારી રહ્યા છે કે આમ એકલા એકલા લીલા કરવાનો, બોલવાનો, રમણ કરવાનો આનંદ નથી આવતો. આનંદ મેળવવા માટે કોઇક સાથી સંગિની સાથે હોય તે જરુરી છે. જો સાથીસંગિની સાથે હોય તો લીલા કરવાનો આનંદ આવશે આમ વિચારી અલૌકિક આદિત્યા સ્વરૂપા શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ એ સ્વયં આનંદ પ્રાપ્ત કરવા માટે પોતાના સ્વરૂપમાંથી આનંદ સ્વરૂપાનું પ્રાગટ્ય કર્યું, શ્રી રાધાજીનું પ્રાગટ્ય થયું તે સાથે સ્વર્ગલોકમાં રહેલા અનેક ઝાલર અને ઘંટડીઓ રૂણઝૂણ કરતાં રણકી ઉઠી અને પ્રગટ થતાં જ તે કન્યા દોડી અને પોતાને શ્રી કૃષ્ણચંદ્રના ચરણકમલમાં ઢાળી દીધી. જન્મતાંની સાથે જ એ દોડી – સંસ્કૃતમાં કહ્યું છે કે જ્ન્મ એટલે ‘રા’ અને દોડવા માટે ‘ધાવિત’ શબ્દનો પ્રયોગ થયો છે, માટે આ કન્યાનું નામ રાધા રાખવામાં આવ્યું. રાધિકોપનિષદમાં કહે છે કે

कृष्णेन आराध्यत इति राधा ।
कृष्णं समाराधायति सदेति राधिका ।

શ્રી કૃષ્ણ જેની નિત્ય આરાધના કરે છે તે રાધા છે. વેદ અને ઉપનિષદના જ્ઞાતાઓ અને વિદ્વાનોએ કહ્યું છે કે અનાદિ પુરુષ તો એક જ છે પરંતુ પોતાના એક સ્વરૂપને તેણે બે સ્વરૂપમાં બતાવ્યાં છે. જ્યારે આ પુરુષ સ્વયંની જ આરાધના કરવા માટે ઉત્સુક થયો ત્યારે તેણે પોતે પોતાની જ સ્તુતિગાન ગાઇ અને પોતાની જ પ્રાર્થનામાં મગ્ન થઇ આનંદિત થયો છે. તે અનાદિ પુરુષનાં બે સ્વરૂપમાંથી જે રસિકાનંદ રસરાજ સ્વરૂપ હતું તેને કૃષ્ણપ્રિયા, રાસેશ્વરી, રસેશ્વરી, શ્રી રાધિકાજી, શ્રી રાધાજી, વગેરે નામથી સંબોધિત કરી છે. દેવી ભાગવતમાં “રાધા” શબ્દનો અર્થ દર્શાવતાં કહ્યું છે કે

*પ્રથમ શબ્દ “ર” એટ્લે કે જે જન્મ જન્મનાં પાપોનો નાશ કરે છે તે,
*બીજો વર્ણ “આ” એટ્લે કે જે મૃત્યુ, ગર્ભાવાસ અને ઓછી આયુ રૂપી શ્રાપને દૂર કરે તે,
*ત્રીજો શબ્દ તે “ધ” નો અર્થ બતાવતાં કહ્યું છે કે જે શ્યામ સાથે મિલન કરાવે છે તે
*ચોથો વર્ણ તે “અ” છે અને “અ” નો અર્થ થાય છે કે જે જીવોને તમામ બંધનોમાંથી મુક્ત કરે છે તે. જ્યારે બ્રહ્મવૈવર્તક પુરાણનાં કૃષ્ણખંડમાં કહે છે કે….

राधेत्येवां च संसिध्वा राकारो दानवाचकः ।
धा निर्वाणं च तद्दात्री तेन राधा प्रकीर्तिता ।।

“राकार“ શબ્દ એ દાન વાચક છે, જ્યારે धा શબ્દ નિર્વાણ બોધક છે, જે નિર્વાણનું દાન આપી રહી છે તેનું નામ राधा છે. રાધાજીનો ઉલ્લેખ ઋગ્વેદમાં (૧.૩૦.૫) કરવામાં આવ્યો છે, ત્યારબાદ રાધાજીનો બીજો ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદમાં કરવામાં આવ્યો. નારદ પુરાણમાં કહે છે કે નારાયણ ભગવાનના પ્રાણમાંથી જેનું પ્રાગટય થયું છે તે પ્રાણેશ્વરીનું નામ રાધા છે. ગર્ગપુરાણમાં કહે છે કે શ્રી ઠાકુરજીનાં હૃદયમાં રહેલા પ્રેમ, ભક્તિ અને શૃંગારનું ત્રિવેણી સ્વરૂપ તે શ્રી રાધાભાવ છે. બ્રહ્મ પુરાણમાં કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની તેજોમય સાકાર પરાશક્તિનું પ્રથમ પ્રાગટ્ય ગોલોક ધામમાં કર્યું છે અને તેમનું બીજું પ્રાગટ્ય ભૂતલ પર શ્રી વૃષભાનુજી અને કલાવતીજીને ત્યાંથી કરાવ્યું છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે શ્રી વિશ્વાધારની પ્રિયતમાં એવા શ્રી સ્વામીનિજી, શ્રી કૃષ્ણવલ્લભા રાધેજી એ મહાભાવનું ઘનીભૂત સ્વરૂપ છે. શ્રી હિત હરિવંશજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનાં આરાધ્ય શક્તિ અને પ્રભુનાં પ્રેમનું સત્ય સ્વરૂપ તે શ્રી રાધાજી છે. શ્રી ભાગવતજીમાં શ્રી રાધાજીના નામનો ઉલ્લેખ થયો નથી એનું મુખ્ય કારણ એ છે કે ભાગવતજીની કથાના વક્તા શ્રી શુકદેવજી છે અને શ્રોતા તે રાજા પરિક્ષિત છે.

શ્રી રાધાજી તે શ્રી શુકદેવજીના ગુરુ છે અને શ્રી શુકદેવજીને માટે શ્રી રાધાજીના નામનો ઉલ્લેખ થવો એટ્લે ગુરુચરણોને યાદ કરવા. પરંતુ રાજા પરિક્ષિતને આ ભાગવતની કથા પૂર્ણ રીતે સાત દિવસમાં સંભળાવવાની હતી તેવામાં જો ગુરુચરણની યાદ આવતાં જો શુકદેવજીને સમાધિ આવી જાય તો કથા વિસરાઈ જાય તેથી શ્રી શુકદેવજીએ શ્રી ભાગવતજીની કથામાં શ્રી રાધાજીનો ઉલ્લેખ કર્યો નથી. બીજી કથા અનુસાર જ્યારે શ્રી શુકદેવજીના પિતા મહર્ષિ વેદવ્યાસજીએ શ્રી ભાગવતજીની રચના કરી રહ્યાં હતાં ત્યારે ભગવાન કૃષ્ણના રસમાં મગ્ન થયેલા મહર્ષિ વેદવ્યાસજીથી શ્રી રાધાજીનું ચરિત્ર લખવાનું ભુલાઈ ગયું હતું તેથી શ્રી રાધાજીનો પ્રત્યક્ષ ઉલ્લેખ શ્રી ભાગવતજીમાં થયો નથી, પરંતુ પરોક્ષ રૂપે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે પરોક્ષ રૂપમાં કહે છે કે

अनया आराधितो नूनं भगवान् हरिरीश्वरः।
यन्नो विहाय गोविन्दः प्रीतोयामनयद्रहः ।।

આ વાક્યનાં સંદર્ભમાં શ્રી શુકદેવજી સમજાવે છે કે ગોપીઓ કહે છે કે આપણાંમાંથી કોઈ સખી શ્રીઠાકુરજીની આરાધિકા હશે જેને શ્રી ઠાકુરજી એકાંતમાં લઈ ગયાં છે અને આપણને અહીં રોતા વિલપતા છોડી દીધાં છે. જ્યાં શુકદેવજી એ “આરાધિકા” નો ઉલ્લેખ “શ્રી રાધાજી” તરીકે કર્યો ત્યાં પુષ્ટિમાર્ગીય શાસ્ત્રોમાં આ સખીનાં નામનો ઉલ્લેખ શ્રી રાધા સહચરીજી તરીકે થયો છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે શ્રી રાધાજી અને શ્રી રાધાસહચરીજી એ બંને અલગ અલગ છે. શ્રી ભાગવતજીની જેમ શ્રી સુબોધિનિજીમાં પણ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ શ્રી રાધાજીનાં નામનો ઉલ્લેખ કર્યો નથી તેનું મુખ્ય કારણ એ છે કે શ્રી મહાપ્રભુજી સ્વયં શ્રી રાધા સ્વરૂપ છે, શ્રી સ્વામીનિજી સ્વરૂપ છે આથી પોતે પોતાની કથા શી રીતે કહે? તેથી શ્રી સુબોધિનિજીમાં શ્રી રાધાજીનું નામ શ્રી મહાપ્રભુજીએ ગૌપ્ય રાખ્યું છે. સંહિતામાં કહ્યું છે કે જે જીવો ભગવાન શ્રી કૃષ્ણને પામવાની જે અભિલાષા ધરાવે છે તેવા જીવોની મનોકામનાને પૂર્ણ કરનારનું નામ રાધા છે. શ્રી હરિવંશ પુરાણ, અને શ્રી વાયુ પુરાણમાં કહે છે કે શ્રી કૃષ્ણ જેને આધીન રહી તત્સુખ ભાવનો રસાસ્વાદન કરાવવા જેની નિત્ય આરાધના કરે છે તે પ્રેમમૂર્તિ, કરુણાસરિતા અને અનરાધાર કૃપાની અધિષ્ઠાત્રી દેવી તે શ્રી રાધા છે. તૈત્તરીય ઉપનિષદમાં કહે છે કે પૂર્ણપુરુષોત્તમ શ્રી કૃષ્ણનાં મન અને વાણી જેની પાસે જઈને પાછા ફરે છે તે ભાવનું નામ શ્રી રાધિકે છે. શ્રી નારદ પંચરાત્રમાં સ્વયં ભગવાન શિવે પાર્વતીજી સમક્ષ શ્રી રાધાજીનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે શ્રી રાધાજીએ વૃંદાવનની અધિષ્ઠાત્રી અને અધીશ્વરી છે તેમનું ચિંતન કરવાથી આ સંસારનાં જગતપિતા અને જગદીશ્વર એવા શ્રી કૃષ્ણનાં ચરણાર્વિન્દની પ્રાપ્તિ થાય છે. દક્ષિણભારતનાં શ્રી દામોદરગોવિંદસ્તોત્ર નામનાં ગ્રંથમાં શ્રી રાધાજીનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે શ્રી રાધે “ભકિતની ઉપાસ્ય શકિત છે અને કાવ્યની લાવણ્મયી મૂર્તિ છે” જે શ્રી કૃષ્ણનાં તમામ રૂપો અને સ્વરૂપોમાં સર્વવ્યાપી છે.

સ્કંદપુરાણમાં શ્રી રાધાજીને શ્રી કૃષ્ણની આત્મેશ્વરી અને પ્રાણેશ્વરી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (અર્થાત્ આત્મામાં વસનાર પ્રાણ તરીકે ઉલ્લેખ થયો છે.) પદ્મપુરાણ શ્રી રાધાજીનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે વૈષ્ણવો અને ભક્તજનોને પરમ આનંદનો રસ પરમાનંદમાં મગ્ન થયા વગર મળતો નથી, અને જે પરમાનંદની પ્રાપ્તિ તેઓ પોતાના શુધ્ધ ભાવ, પ્રેમ અને અનુરાગ વડે કરે છે તે પરમાનંદનું નામ શ્રી કૃષ્ણ છે, પરંતુ શ્રી કૃષ્ણને જે રસેશ્વરીથી પરમ રસની અનુભૂતિ થાય છે તેનું નામ શ્રી રાધે જુ છે. વૈષ્ણવ શાસ્ત્રોને બાદ કરતાં ભવિષ્યપુરાણ અને શિવપુરાણમાં થોડા ઘણા અંશે શ્રી રાધાજીનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુરાણોમાં રાધાજીના નામનો વિશિષ્ટ ઉલ્લેખ જોઈ ખ્યાલ આવે છે કે વેદો અને ઉપનિષદના નિર્માણ બાદ ઘણા વર્ષો ઉપરાંત પુરાણોનું અને સંહિતાઓનું નિર્માણ થયું હોવું જોઈએ. કારણ કે આ પુરાણો અને સંહિતાની સરખામણીમાં વેદો અને ઉપનિષદમાં રાધાજીનું નામ ઓછું પ્રગટ થયું છે. પુરાણો, ઉપનિષદો, વેદો અને સંહિતાના પ્રમાણને બાદ કરીને આજના સમયને જોઈએ તો ખ્યાલ આવે છે કે કૃષ્ણભક્તિ શાખાના પ્રત્યેક વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી રાધાજીની કોઇ ને કોઇ રૂપમાં સ્વીકૃતિ થયેલી છે. શ્રી રાધાજીનો શ્રી ઠાકુરજી પ્રત્યેનો પ્રેમ નિષ્કામ અને નિઃસ્વાર્થ હોવાની સાથે ફક્ત શ્રી ઠાકુરજીને જ સમર્પિત થઇ તેમનામાં જ સંપૂર્ણ રીતે લીન થઈ ગયો છે. શ્રી રાધાજીનાં પ્રેમની ચર્મોસીમા શ્રી ઠાકુરજી છે તો શ્રી ઠાકુરજીનાં પ્રેમભાવનું ગિરિમય શિખર તે શ્રી રાધાભાવ છે. તેથી જ શ્રી કૃષ્ણને પામવાની ઈચ્છા રાખનારો પ્રત્યેક ભક્ત તે શ્રી રાધારાણીનાં ચરણોનો આશ્રય લે છે કારણ કે શ્રી રાધાજી એ કોઇ એક સંપ્રદાય દ્વારા વર્ણવાની વસ્તુ નથી. શ્રી રાધાજી તો સર્વ આરાધ્ય, સર્વ ઉપાસક તત્વ, અને કરુણાસરિતા અને અનરાધાર કૃપાની અધિષ્ઠાત્રી દેવી છે.

महाभावस्वरूपात्वंकृष्णप्रियावरीयसी।
प्रेमभक्तिप्रदेदेवि राधिकेत्वांनमाम्यहम्॥

સચ્ચિદાનંદ સ્વરૂપા અને લક્ષ્મી, સરસ્વતી આદિ સમસ્ત દેવીઓથી પણ પ્રાચીન એવા શ્રી રાધાજી તે આધ્યાત્મિક તત્વ કે આધિ દૈવીક વિશેષણનું માત્ર રૂપક કે સાહિત્યકારોની કલ્પના માત્ર નથી પરંતુ શ્રી ઠાકુરજી, સર્વ દેવી દેવતાઓ અને શ્રદ્ધાળુ ભક્તોના ભક્તિભાવથી નિર્મિત થયેલી વિશેષ વ્યક્તિ છે. તેથી જ શ્રી ઠાકુરજી સ્વયં કહે છે કે જે કોઇ વૈષ્ણવ કે ભક્તજન ‘રા’ શબ્દનું ઉચ્ચારણ માત્ર કરે તેને હું ઉત્તમ ભકિત આપું છું અને જયારે ‘ધા’ શબ્દ સાથે હું તે વૈષ્ણવો કે ભક્તોની પાછળ દોડી જાઉં છું અને “રાધા” નામનાં પુરા નામના ઉચ્ચારણ સાથે જ રાધા નામનાં શ્રવણનો લોભી એવો હું ભ્રમર તેની પાછળ પાછળ ફરતો રહું છું. ભક્તોને માટે શ્રી રાધાજીને પામવાનો માર્ગ તે કેવળ પ્રેમમાર્ગ છે. શ્રી રાધાજીની દિવ્યાતિદિવ્ય અને ભવ્યાતિભવ્ય લીલાઓનું સંસ્મરણ, મનન અને ચિંતન કલિયુગના જીવાત્માઓને ભક્તિરસનું દાન કરી જન્મમરણના ફેરામાંથી મુક્તિ અપાવે છે. શ્રી રાધે જૂ નિત્ય, સત્ય અને સનાતન ભગવાનની અભિન્ન આનંદ શક્તિ છે, આવી પુષ્ટિ પ્રણેતા, પ્રેરણા રૂપ મૂળ સ્વરૂપા શ્રી સ્વામીનિજી અને દિવ્યગુણ-શક્તિમય મહાશક્તિરૂપ શ્રી ઠાકુરજીની આરાધિકાને આપણે નમન કરીએ.

– પૂર્વી મોદી મલકાણ

પૂર્વીબેનના અભ્યાસ લેખ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતા રહ્યાં છે અને વાચકોનો સુંદર પ્રતિભાવ તેમને મળતો રહ્યો છે. આજે પ્રસ્તુત છે તેમનો એક સુંદર અભ્યાસ લેખ. રાધા વિશે આપણા અભ્યાસુઓ અને વિદ્વાનોમાં અનેક મતમતાંતરો રહ્યા છે. વિદ્વાનો માને છે કે મૂળ ગ્રંથો જેવા કે મહાભારત, વિષ્ણુપુરાણ, શ્રીમદ્ ભાગવત વગેરેમાં તેમનો ઉલ્લેખ નથી. રાધાનો પ્રથમ ઉલ્લેખ જેમાં મળે છે એ બ્રહ્મવૈવર્તકપુરાણના અનેક અન્ય ઘટનાઓ અને પ્રસંગો રૂઢીગત માન્યતાઓ અને પ્રચલિત કથાઓથી ભિન્ન છે એથી બ્રહ્મવૈવર્તકપુરાણ પર પણ અનેક પ્રશ્નો છે. મારે ઉમેરવાનું કે રાધા અને વિરજાના એકબીજાને આપેલા શ્રાપની જે વાત અહીં પૂર્વીબેન મૂકે છે તેમાં વિરજાના સેવક શ્રીદામાનું પણ એક પાત્ર ઉલ્લેખાયું છે, જેને રાધા અસુર તરીકે જન્મવાનો શ્રાપ આપે છે. અનેક સંપ્રદાય શ્રદ્ધા અને ઉપાસનામાં રાધાને કૃષ્ણની સમકક્ષ મૂકે છે. રાધાકૃષ્ણના અનેક મંદિર આપણે ત્યાં છે, નિશ્ચલ પ્રેમનું આ પ્રતીક આપણી સંસ્કૃતિમાં સર્જકો, કવિઓ અને ભક્તોએ હ્રદયસ્થ કર્યું છે, આમ શ્રદ્ધા શંકાઓની ઉપર રહે છે. પૂર્વીબેનનો આજનો લેખ આ જ બાબતને વિશદ રીતે આલેખે છે. સુંદર ચિંતન અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ પૂર્વીબેનનો આભાર અને તેમની સતત સંશોધનની મહેનતને શુભેચ્છાઓ.


આપનો પ્રતિભાવ આપો....

36 thoughts on “વેદપુરાણોમાં શ્રી રાધાજીનો ઉલ્લેખ.. – પૂર્વી મોદી મલકાણ

  • જયંતિભાઈ લાખાણી

    ખૂબ મનનીય, ભાવવાહી અને અભ્યાસપૂર્ણ લેખ.

  • Bharti

    Bahu j sundar lekh che. Radhaji ange Ni ghani badhi sachi vaat janva Mali. Atyar sushi radha Krishna Ni premkatha vishe j janva malyu che, atyar sushi sachi mahiti janavava mahenat oochi kari che. Myth me chhodi ne sachi vast kaheva no prayatna lekhika no prayas gamyo. Pan aapne satya thi door rahi gaphola ma manva ma vidhwas s Karie chhie.

  • Dolar

    Eye opener for those who take “Shri Radhaji”. As a person and not “BHAV”. In a LAUKIK DUNIYA people take SHRI RADHAJI as a female and SHRI KRUSHNA as Male. And take this relationship between RADHA AND KRUSHNA as a man and a women relationship. For example when a man wants to have In A real life a relationship with a women in a romantic way then he gives example of RADHA – KRUSHNA RELATIONSHIP TO JUSTIFY HIS ACTION. WHICH IS WRONG. RADHA-KRUSHNA RELATIONSHIP IS MENT FOR WHAT THIS ARTICLE IS TRYING TO MENTION.
    I WISH ALL HINDUS READ THIS ARTICLE AND GRASP THE ESSESNCE OF THE RADHA-KRUSHNA BHAV SWARUP.
    DOLAR

    • hemgya

      શ્રી ભોગીભાઈ શાહનાં રાધા અવતાર, વલ્લભ અવતાર, બંસી અવતાર વગેરે પુસ્તકો એ કલ્પનાતીત વડે લખાયેલ છે. તેમાં સત્ય કે ઇતિહાસ નથી. રાધાજી વિષે આ લેખમાં જે સંશોધન છે તે ક્યાંય નથી. તેમ છતાં બીજી વાત કહીશ કે પૂર્વીબેનનો આ લેખ પૂરો નથી. પૂર્વીબેન દ્વારા જ લખાયેલ મૂળ ફૂલ લેખ હમણાં જ વાંચવામાં આવેલો, એ લેખ વાંચીને અધધધ થઈ જવાયું. કેટલી માહિતી….કેટલો ઇતિહાસ ને એમનું એટલું વાંચનેય ખરું.

  • manish

    ભક્તો ના સેવક થવાથિ શુ મલિ સકે તે માર્ગદાર્સન મલે તેવો સરસ લેખ.
    હવે તો આચરન કરવા નુ તો પ્રપ્તિ થાય નહિતો બિજાનુ જોતા વાદવિવાદ નકામો પોતાનુ બગાદે તેવો

  • Nit

    જય શ્રી કૃષ્ણ
    આપનો રાધાજી વિષેનો લેખ વાંચીને ખૂબ આનંદ થયો. આપે ઘણા બધા પ્રમાણો આપી રાધાજીના અસ્તિત્વ પર પ્રકાશ પાડ્યો છે. રાધાસ્વામી સંપ્રદાયવાળા પણ રાધાનું ઊંધું ધારા એમ સમજાવી સારી હકીકતો લખે છે. એ રીતે જોતાં રાધા નામની ધારાને ગ્રહણ કરનારા અનેક ભક્તો છે. “રાધા બીના કાન્હા આધા” એ હકીકત સાચી લાગે છે. વિદ્વતાપૂર્ણ લેખ માટે ખૂબ ખૂબ અભિનંદન. વિચારપૂર્વક લખાયેલા આવા લેખો વાંચીને આનંદ થાય છે.

  • himanshu

    jai shree krishna veishnav Kaki

    khub sundar article. ek kadi yaad aave chhe, shri hariray mahaprabhuji ni

    shri vallabh viththal roop ko, ko kari shake vichar
    gudh bhav yeh swamini, prakat krishn avtaar.

  • Dolar

    Purviben, you have written this beautifully regarding the real philosophical understanding of the word RADHA. Today’s world RADHA-KRUSHNA is taken only LAUKIK meaning, what I mean, is that ever age person takes the meaning of this as a relationship between a man and a woman, but the philosophical meaning is this is the relationship is between THE JIVA AND PARMATMA. TOUNDERSTAND THIS ONE SHOULD READ YOUR ARTICAL EVERYDAY.

  • Bhupendrasinh Raol

    મહાભારત, ભાગવત્ હરીવંશ પૂરાણ આ ત્રણ ઑથેન્ટીક ગ્રન્થોમાં રાધા છે જ નહિ. બ્રહ્મવૈવર્ત પૂરાણમાં યશોદાના ભાઈની વહુ છે તે પ્રમાણે ક્રુષ્ણની મામી થઇ. ઇન્ફન્ટ કે ટોડલર બાલ ક્રુષ્ણ ને રમાડવા લઈ જતી હોય છે અને ફેન્ટસીમાં એક બાલકને મોટો કલ્પી એની સાથે સંભોગની રમતો રમતી હોય છે. બાળકને માયાથી મોટો કરીને એવું લખેલુ છે. કવિ જયદેવે એક કવિતા લખી ને આખુ ભારત એની પાછળ ગાંડુ બન્યું.ટૂંકમાં એક સારી કવિતા લખીને ભારતને ગાંડુ બનાવી શકાય છે, રે ! વૈચારીક દરિદ્રતા…

  • meena

    પૂર્વીબેનનું લખાણ હોય એટ્લે કાઇ કહેવાપણું રહેતું નથી. તેમની મહેનત, દરેક લેખો માટેનો પ્રેમ, સંશોધન દેખાઈ આવે છે. એક વાંચકભાઈ એ કહ્યું છે કે સંકલન સરસ થયું છે. તો તે પૂરતું મારે એટલું કહેવાનું કે હજુ સુધી નેટ ઉપર રાધાજી વિષે કોઈએ આટલું લખ્યું નથી. કદાચ સંકલન પણ હોય તો આટલી બધી માહિતી ક્યાં છે તે હજુ સુધી જાણવામાં આવી નથી. હજી સુધી લોકોને એમ જ કે’તા સાંભળ્યા છે કે ભાગવતમાં રાધાજીનો કોઈ ઉલ્લેખ નથી. શરદભાઈની કોમેન્ટ ગમી તેઓ રાધાને ઉલટાવી ધારા કહે છે પણ તેમને કદાચ ખબર નઇ હોય કે રાધા રાધા રાધા એમ ઝડપથી બોલાય ત્યારે ધારા ઉચ્ચચાર આવે છે. અમારા રાધા વલ્લભ ને પુષ્ટિમાર્ગીયો માટે રાધાજી તો મુખ્ય પણે કે છે કે રાધાના નામની પ્રેમ ધારામાં કૃષ્ણ તો ડૂબી ગ્યા પણ સાથે બધાય ભક્તજનોયે ડૂબી ગ્યાં. આગળ એમને જે કીધું તે જજાણીને આશ્ચર્ય થયું કે છેક નવમી સદીમાં પેલીવાર રાધાજીનો ઉલ્લેખ થયો હતો. ઓશોની વિચારશરણી યે ગમી. અહીં આવી બધી થતી ચર્ચાઓથી ઘણું જાણવા મળી જાય છે તે આ લેખની પાછળ થયેલી લ્વેખકની મહેનત ને સાર્થક કરી જાય છે. આપણે વાંચકો જો આમ જ બધા લેખકોને જવાબ આપીને પાનો ચઢાવીશું તો ગુજરાતી ક્યાંય ખોવાવાની નથી. ઇ બસ વિવિધ લેખકોના શબ્દોમાં આપણને પાછી મળી જાશે તેવી ખાતરી છે.

  • harnish Jani

    પૂર્વીજી, આપે બહુ સરસ રીસર્ચ કરી છે. અને મારા જેવાને માટે લાભદાયી છે. શ્રી શરદ શાહની કોમેંટ પણ ગમી.

  • sharad shah

    પૂર્વીબહેન,

    ‘રાધા’ માટે અનેક પ્રકારના મંતવ્યો અને વાદ-વિવાદ થતા રહ્યા છે. ઓશોએ કરેલ રાધા અંગે રજૂઆત કદાચ આપણે અને અન્ય વાચક ગણને ગમશે એટલે રજુ કરુણ છુ. શક્ય છે તેમની વાત સત્ય ના પણ હોય તેમ છતાં રુચિકર અવશ્ય છે.
    ઓશોએ કહેલ કે, “ભારતીય મનીષીઓ કેટલીય વાતો રૂપક કે પ્રતીમાંત્મક કરતા જે એક ગુઢ સંકેત કે સંદેશ ધરાવતી હોય. આવીજ ઘટના રાધાના સંદર્ભે બનેલ છે. રાધા કોઈ ઐતિહાસિક પાત્ર નથી પરંતુ એવા જીવો માટે થયેલ શબ્દ પ્રયોગ છે જે કૃષ્ણ ભક્તિ તરફ અભિમુખ છે, અથવા સહોકે જે પરમાત્મા તરફ અભિમુખ છે. ‘રાધા’ શબ્દ ‘ધારા’ શબ્દને ઉલટાવી બન્યો છે. ‘ધારા’ આપણે તેને કહીએ છીએ જે જળ પ્રવાહ તેના મૂળ સ્રોતથી વિખુટો થઇ જગતમાં રમવા નીકળ્યો છે. તેની ગતિ નીચેની તરફ છે. પરંતુ જ્યારે આથી વિપરીત પરિસ્થિતિ બને અને જે જીવો હવે તેના મૂળ સ્રોત (પરમાત્મા) તરફ પાછા ફરે છે અને જેમની ગતિ હવે ઉદ્વ છે તે “રાધા” એટલે કે પરમાત્મા તરફ ઉદ્વ ગતી ઉન્મુખ દરેક જીવ રાધા સ્વરૂપ કે રાધા કે ભક્ત છે. અને ભક્તનું સ્થાન ભગવાન કરતા વધુ મહત્વનું છે તે દર્શાવવા રાધા કૃષ્ણ શબ્દ પ્રયોજાય છે. આપણે કૃષ્ણ રાધા નથી કહેતા.”

  • શિરીષ દવે

    રાધા વિષેનો લેખ અભ્યાસપૂર્ણ છે. જોકે પુરાણો અને તેમાં પણ ઉત્તરપ્રાચીન કે મધ્યયુગમાં પુરાણોમાં જે કંઈ લખાયું તેમાં તીકડમબાજી બાજી છે. જેમકે શિવલિંગની પૂજાને જનનેન્દ્રીય ની પૂજા પણ અમુક પુરાણ માં ઉલ્લેખવમાં આવી છે. રાધા એ નાનો શબ્દ છે તેથી તેને વિભાજિત કરી અનેક અર્થો ઉપજાવી શકાય.

    પુરાણો એ આમ તો ઈતિહાસને રસપ્રદ બનાવવા મટે લખવામાં આવ્યો છે તેથી તેમાં દંતકથાઓ, ગતકડાંઓ અને ચમત્કારો ઉમેરવામાં આવ્યા છે. એવું થયું કે ઇતિહાસ બાજુપર રહી ગયો અને ચમત્કારો, દૈવી વાતો અને ગતકડાઓ મૂખ્ય થઈ ગયાં. સૌ સૌની પ્રકૃતિ પ્રમાણે આનંદ લેશે. બાવાઓ પણ ભગવાનને નામે પોતાની ઈચ્છાઓ પરિતૃપ્ત કરે છે. એવા બાવાઓ અત્યારે જેને કળીયુગ કહીએ છીએ તેમાં જ હોય તેવું જરુરી નથી. પહેલાં પણ એવું હશે. એક સમયે વામમાર્ગ પણ ભારતમાં અસરકારક હતો. પુર્વી બહેનનું સંકલન બહુ સરસ છે.

  • Hiteshbhai joshi

    જય શ્રી કૃષ્ણ જય રાધે
    આજના સમય ની તાતી જરૂરિયાત જેવી જાણવા યોગ્ય માહિતી પીરસી આપે એક સેવા નું ઉમદા અને અદ્ભુત કામ કર્યું છે રાધાજી ના વ્યક્તિત્વ વિષે મારે બીજા સંપ્રદાય ના અને પોતાની જાત ને મહા પંડિત ગણાવતા દંભી એવા અને તદન નાસ્તિક લોકો સાથે ઉગ્ર અને અતિ ગંભીર ચર્ચા અને વિવાદો થાય ગયા હતા આજનો લેખ મને ખુબ જ ઉપયોગી થશે
    આપનો હૃદય પૂર્વક આભાર અને અભિનંદન
    જય રાધે જય શ્રી કૃષ્ણ

  • himmatlal aataa

    દેઅર પુર્વિબેન મલકાન
    રાધા વિશે આતલિ પ્રચુર અને ઝિન્વત ભરિ મહિતિ આપિ એથિ મને ઘનુ જાનવા મલ્યુ તમરિ મહેનત અને ખન્ત્ને હુ બિર્દવુ ચ્હુ
    આતા

  • pravina

    બહુ સુંદર જાણકારી ભર્યો લેખ છે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે નો નાદ સર્વે કૃષ્ણભૂમિ પર ઊઠે છે ત્યારે સહજ રીતે હાથ ઊંચા કરી તેમની શરણમાં પહોંચી જવાય છે.

  • hansa rathore

    રાધા નું નામ કેટ્લા સાર સમાવીને બેઠું છે ! આટલી ગહન જાણકારી માટે આભાર અને અભિન્ંદન ..

  • Nikhil N. Trivedi

    આ ઉપરાંત દેવિ ભાગવતમાં “પ્રાણોના અધિષ્ઠાત્રિ રાધા દેવિ તથા બુધ્ધિના અધિષ્ઠાત્રિ દુર્ગા દેવિ” એમ સમજાવવામાં આવ્યું છે. આપનો લેખ સુંદર છે.
    નિખિલ ત્રિવેદિ
    સાભાર.

  • yogesh bhatt

    ખુબજ સરસ વર્નન કર્યું સુક્શ્મ અનેહ્રિદય ને સ્પર્શે Radha is the heartthrob of krishna and krishna is the supreme and radhais he force.since hearty is always working so is krishna the ever omniscient and omnipotent.I needs two to reach perfection. so is radha madhav.
    Very informative and inspiring. Keept it up Didi.

  • M.D.Gandhi, U.S.A.

    શ્રી રાધાજી વિષે ઘણું નવું જાણવાનું મલ્યું….
    પૂર્વી બહેનનો ઘણો આભાર…..