મરતા બાળકનું આશ્વાસન – ઝવેરચંદ મેઘાણી 5
પ્રસંગ કાંઈક એવો છે કે બાળક મૃત્યુના મુખમાં છે અને એ અવશ્યંભાવી અંતને જોઈને બાળમનમાં કઈ કઈ વાતો આવે છે તેનું હ્રદયસ્પર્શી ચિત્રણ આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમે આપણને મળે છે. બાળકના મનોભાવો સર્વથા તેની માતા પ્રત્યે છે, તેને દુઃખ થશે, માસી તેના વિશે પૂછશે, રાત્રે પથારીમાં તેની ગેરહાજરી સાલશે જેવા પ્રસંગો આવે ત્યારની વાત પ્રત્યે આશ્વાસન આ બાળહ્રદય તેની માતાને આપે છે. શૌર્ય, ખુમારી અને માતા પ્રત્યેના પ્રેમથી સભર બાળહ્રદયનું આ કાવ્ય અનોખું અને આગવું છે. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ ‘વીણેલા ફૂલ’ અને તેના પૂરક સંગ્રહ ‘કિલ્લોલ’માં શ્રી ઝવેરચંદ મેઘાણીએ અનેક બાળગીતો મૂક્યાં છે, તેમાં માતા તથા નાનાં ભાઈબહેનોના મનોભાવ ગૂંજવતા ગીતો પણ છે, લાખો વાચકોના અંતરમાં એ ગીતોએ અમીસીંચન કરેલું છે. ૭૫મી મેઘાણીજયંતિ પછી બહાર પડેલ તેમના બાળગીતોની પુસ્તિકા ‘નાના થૈને રે !’ માંથી આજે આ કૃતિ અહીં પ્રસ્તુત કરી છે.