વાણીયા ની દાઢી 22


એક વાર અકબર બાદશાહ બીરબલ સાથે અલક મલક ની વાતો કરતા બેઠા હતા, અકબરે બીરબલ ને પૂછ્યું “કહો સૌ થી ચતુર જાતિ કઈ?”

બીરબલ કહે “હોંશીયાર તો વાણીયા”,

અકબર કહે “અને મૂરખ કોણ?”

બીરબલ કહે “મૂરખ તો મુલ્લા…”

અકબર આ વાત ન માન્યા, તે બીરબલ પર ગુસ્સે થઈ ગયા. તે કહે “ખોટી વાત, મુલ્લાઓ તો બહુ હોંશીયાર હોય છે.”

બીરબલ કહે “તો ચાલો પરીક્ષા કરી જોઈએ…”

અકબર કહે “ભલે તો કાલે કરીએ પારખા…”

બીજે દિવસે બીરબલે દરબારમાં એક મુલ્લા અને એક વાણીયા ને તેડાવ્યા. પહેલા એણે મુલ્લા ને પૂછ્યું, “મુલ્લાજી, બાદશાહ સલામતને આપની દાઢી ની જરુર પડી છે, બોલો શું કિંમત લેશો?”

મુલ્લાજી કહે  “બાદશાહ તો માલિક કહેવાય, એ તો અન્નદાતા છે, મને બાદશાહ સલામત જે આપે તે ક્બૂલ છે”….બીરબલે હજામ તૈયાર રાખ્યો હતો, તેણે મુલ્લાની દાઢી કરી નાખી અને તેને બદલામાં સો રુપીયા આપ્યા.

હવે બીરબલ વાણીયા તરફ વળ્યો અને તેને કહ્યું, “બાદશાહ સલામતને આપની દાઢી ની જરુર પડી છે, બોલો શું કિંમત લેશો?”

વાણીયો કહે “બાદશાહ સલામત માટે તો જીવ પણ હાજર છે, બાદશાહ માંગે તે આપી દેવુ એ તો ફરજ કહેવાય, પણ અમારે ત્યાં દાઢી એ તો ઈજ્જતનો સબબ કહેવાય છે. મારી દાઢી એટલે મારી આબરૂ. મારી માં મરી ગઈ ત્યારે આ જ દાઢી ની આબરૂ રાખવા મેં દસ હજાર રૂપીયા ખર્ચ્યા હતા. મારી પુત્રીના લગ્ન માં પચીસ હજાર આ જ દાઢી એટલે કે મારી આબરૂ માટે વાપર્યા હતા. ..આવા તો ઘણા ખર્ચા કર્યા હતા, બીરબલજી સમજો કે દાઢી એ જ મારી આબરૂ…”

બીરબલ કહે “જા વાણીયા તને પચાસ હજાર આપ્યા, ગણી લે…હવે દાઢી આપી દે”

વાણીયાએ તો પચાસ હજાર ગણી લઈ લીધા, પછી તે દાઢી મુંડાવવા બેઠો.

પણ જેવો હજામે દાઢી ને હાથ લગાડ્યો કે વાણીયાએ તેને એક તમાચો મારી દીધો. કહે “અલ્યા મૂરખ, આ કોઈ વાણીયાની દાઢી થોડી છે? આ તો બાદશાહ સલામતની દાઢી છે અને અમારે ત્યાં દાઢી એટલે આબરૂ…..બાદશાહ સલામતની આબરૂ ને હાથ લગાડવાની ગુસ્તાખી ના કરતો….”

અકબર બાદશાહ હસવા લાગ્યા, બીરબલ કહે જોયું? વાણીયા એટલે ડાહીમાના દીકરા”


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

22 thoughts on “વાણીયા ની દાઢી