Daily Archives: October 31, 2017


સોશિયલ મિડીયા, સર્જકો અને સાહિત્ય.. – જીજ્ઞેશ અધ્યારૂ 3

સાહિત્ય અને સોશિયલ મિડીયાનું જોડાણ હવે લગભગ અવિભાજ્ય બની રહ્યું છે. વધુ ને વધુ લેખકો ફેસબુક, ટ્વિટર અને બ્લોગ વગેરે દ્વારા વાચકો સાથે સતત જોડાઈ રહ્યા છે અને એથી સાહિત્ય પ્રત્યેનો સોશિયલ મિડીયામાં સક્રિય લોકોનો અભિગમ પણ બદલાયો છે. તો હકીકતે સોશિયલ મિડીયાએ સાહિત્યના ક્ષેત્રમાં ખરેખર કયા બદલાવ કર્યા છે? હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારે સોશિયલ મિડીયા સાહિત્યને, સર્જકોને અને વાચકોને સ્પર્શ્યું છે.

ઈન્ટરનેટ આપણી જીવનપદ્ધતિને બદલવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. સોશિયલ મિડીયા દ્વારા આપણે માહિતીનું આદાનપ્રદાન કરીએ છીએ, સમાચાર જાણીએ છીએ, વસ્તુઓની લે-વેચ માટે પણ સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીએ છીએ, ફોટો અને વિડીયો ક્લિપ્સ જોઈએ છીએ, નવા લોકોની સાથે સંવાદ કરીએ છીએ અને આપણી જે-તે વિષય કે ઘટના વિશેની વિચાર પણ મૂકીએ છીએ. સંવાદ સાધવો એ સોશિયલ મિડીયાનો સૌથી મોટો હેતુ છે. સાહિત્યના ક્ષેત્રમાં સોશિયલ મિડીયા વાચકને તેના મનગમતા લેખક સાથે સીધી રીતે જોડી આપે છે, તો સામે પક્ષે એક લેખક માટે પણ વાચકના મનોભાવને, તેના ગમા અને અણગમાને, તેની અપેક્ષાઓને જાણવાનો સોનેરી અવસર પૂરું પાડે છે. અહીં લોકો પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરવા જ આવે છે, એટલે જેમને સાહિત્ય ગમે છે એવા લોકો સર્જકો સાથે જોડાવાના એ ચોક્કસ, અને એ રીતે સર્જક માટે પોતાના પુસ્તકો કે કળાની કોઈ પણ વસ્તુ વેચવા કે વહેંચવા માટે સોશિયલ મિડીયા હાથવગું સાધન છે. તેનો ઉપયોગ કરવાની રીત અને ક્ષમતા પર જે તે લેખકની અહીંની સફળતા નિર્ભર કરે છે.