Yearly Archives: 2010


ભાડાના ઘરની લાગણીઓ – જીજ્ઞેશ અધ્યારૂ 11

આ કવિતા છે, અછાંદસ છે કે ગીત છે એની પળોજણમાં પડ્યા વગર એટલું સ્પષ્ટ કરી દેવું ઉચિત સમજું છું કે પીપાવાવથી મહુવા આવતા બસમાં તા. ૮ જુલાઈ ૨૦૧૦ના રોજ અચાનક જ કોઈ પૂર્વસંદર્ભ વગર, આ ‘ગીત’ (મેં એને ગાતાં ગાતાં ઉતાર્યું છે એટલે) અવતર્યું. તેના ભાવ સ્પષ્ટ છે. દરિયો જીવનને કહ્યો છે અને એમાં સ્વ-સાક્ષાત્કારના ઝાંઝવા આવતા નથી, જો આવે તો મુક્તિની ધરતી જ આવે. મુક્તિ મારા મતે કોઈ દાદરો નથી જેને પગલે પગલે ચઢી શકાય, એ તો એક છલાંગે નાનું બાળક જેમ ઊંચાઈએથી ગમતી વસ્તુ મેળવી લે એમ મેળવવી પડતી હશે. અને સ્વભાવિક છે કે મુક્તિનો ઉલ્લેખ હોય તો મૃત્યુ વિશે પણ કાંઈક કહેવાઈ જ જાય. “હું” નામનું ઝબલું જ્યાં સુધી ઉતરતું નથી ત્યાં સુધી મુક્તિનો ભેખ ક્યાં ચઢાવવો?


સંસ્કૃત સુભાષિતો (ગુજરાતી ભાષાંતર સાથે) – સંકલિત 6

આજે પ્રસ્તુત છે સંસ્કૃત ભાષામાંથી કેટલાક સુભાષિત અને તેની ગુજરાતી સમજણ. સુભાષિત એટલે સુષ્ઠ ભાષિતમ્ – સારી રીતે કહેવાયેલું એક એક ખંડને કવિતા નામથી પણ ઓળખી શકીએ. સુભાષિતને મુક્તક, સૂક્તિ વગેરે નામોથી પણ ઓળખાય છે. આ સુભાષિતો સુચારુ અભિવ્યક્તિની દ્રષ્ટિએ મોતી જેવા હોય છે એટલે તેને મુક્તક પણ કહેવાય છે. સંસ્કૃત સુભાષિતોની દ્રષ્ટિએ સૌથી સમૃધ્ધ ભાષા છે પરંતુ તેનો વૈભવ વીસરાઈ રહ્યો છે. સુભાષિતો જીવનના સત્યોને બે કે ચાર પંક્તિઓમાં વણી લેતાં હોય છે. આ સત્યો જીવનનાં અર્ધસત્યો પણ હોઈ શકે, વ્યવહારૂ વાત કે સમજણ પણ હોઈ શકે, યશોગાન પણ હોઈ શકે અને વિચારનો પડઘો પણ હોઈ શકે. સુભાષિતોની વિનિયોગ્યતા સાર્વત્રિક હોય છે.


એકલવ્યની ગુરુદક્ષિણા – ગણપત ભાવસાર ‘શ્રવણ’ 7

જેમના માત્ર બે જ કાવ્યો સાહિત્યમાં આજ સુધી પ્રગટ થયાં છે અને જે બેમાંનું એક શ્રી બળવંતરાય ઠાકોરે પોતે સંપાદિત કરેલી ‘આપણી કાવ્યસમૃદ્ધિ’ માં ઉતાર્યું છે તે શ્રી ગણપત ભાવસારે ‘શ્રવણ’ ની સહીથી લખેલું કાવ્ય ‘એકલવ્યની ગુરુદક્ષિણા’ જૂન ૧૯૮૩ના કુમાર સામયિકમાં પ્રસિધ્ધ થયેલું. કવિએ એ પછી કોઈ અન્ય રચનાઓ કરી નથી પરંતુ તેમની કાવ્યરચનાની શક્તિ આ કાવ્યો સુપેરે વ્યક્ત કરી જાય છે. મહાભારતના એક નાનકડા પ્રસંગ એવા એકલવ્યની ગુરુદક્ષિણા રૂપે અંગૂઠો આપવાની વાત અને એ છતાંય શ્રેષ્ઠ ધનુર્ધર થવાની તેની તમન્ના, ગુરુદક્ષિણા આપી શકાઈ તેનો હાશકારો અને અર્જુન સાથેની સરખામણી વગેરે એકલવ્યના મનનાં ભાવો સુપેરે અને ખૂબ પ્રભાવશાળી રીતે વ્યક્ત થયાં છે.


વાંચન અને તેના શક્ય વિવિધ સ્વરૂપો – પ્રા. વ્રજરાય દેસાઈ

ઈ.સ. ૧૯૭૨માં આંતરરાષ્ટ્રીય પુસ્તક વર્ષની ઉજવણી દરમ્યાન યુનેસ્કો તરફથી પ્રસિધ્ધ કરવામાં આવેલ પુસ્તક ‘ધ બુક હંગર’ નો અનુવાદ ‘વાંચનક્ષુધા’ એ નામે માર્ચ ૧૯૭૮માં ભાષાન્તર નિધિ, ભાવનગર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલો. મૂળ લેખક રોનાલ્ડ બાર્કર અને રોબર્ટ એસ્કાર્પીડના પુસ્તકનો અનુવાદ પ્રા. વ્રજરાય મુકુન્દરાય દેસાઈએ કર્યો છે. પુસ્તકોની જરૂરત, કૃતિની ઉત્પત્તિના વિવિધ આયામો, તેના ભાવિ વલણો, વિતરણકાર્ય તથા વાંચનની ટેવો વિશે અહીં વિશદ અને સાહિત્યિક છણાવટ થઈ છે. પ્રસ્તુત લેખ આ પુસ્તકના પ્રકરણ વાંચનની ટેવો માંથી લેવામાં આવ્યો છે. માણસની બીજી ટેવો કરતા વાંચનની ટેવોનો અભ્યાસ વધુ કઠિન છે. આ ક્રિયા સીધી અવલોકવી શક્ય નથી. કેટલીક વાર તો પુસ્તકો ફક્ત શોભા અર્થે ખરીદવામાં આવે છે. વાંચકોને પૂછીને કરેલ સર્વેક્ષણો પણ ઘણી વખત ભ્રામક હોય છે. પ્રસ્તુત લેખમાં આ ક્રિયાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાનો અને તારણ મેળવવાનો યત્ન કરવામાં આવ્યો છે.


કિસ્મત મારું પાજી – લાલજી કાનપરિયા 1

આજે બિલિપત્રમાં શ્રી શૂન્ય પાલનપુરીનો જે શે’ર મૂક્યો છે, તે કદાચ શ્રી લાલજી કાનપરિયાની પ્રસ્તુત રચનાનો સાર કહી જાય છે. જો કે બંને રચનાઓનાં ભાવો અલગ છે. પ્રસ્તુત રચનામાં કવિને કિસ્મત સાથે કોઈ ફરીયાદ નથી, તેમણે સ્વીકારી લીધું છે કે કિસ્મત બેઅદબ, લુચ્ચું અને બદમાશ છે, તેમણે કિસ્મતની આ દુષ્ટતાને પ્રસ્તુત રચનામાં કોઈ ફરીયાદ વગર સહજતાથી વર્ણવી છે. એક સાંધતા તેર તૂટે એવા જીવનને તેઓ રાબેતા મુજબનું કહે છે, એ જ દર્શાવે છે કે તેમને હવે નસીબના સાથની કોઈ આશા નથી. છતાંય લાગણીઓની બાબતમાં એક કરમાય અને બીજી ખીલી ઉઠે તેવું તેમની સાથે થયા કરે છે, અહીં પણ તેઓ કિસ્મતને પાજી કહે છે, જેનો અર્થ જરીક જુદો તારવી શકાય.


ગીરની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર = અકૂપાર – ધ્રુવ ભટ્ટ 9

નવનીત સમર્પણ માસિકમાં સત્તત લોકપ્રિયતાના શિખરો સર કર્યા પછી શ્રી ધ્રુવ ભટ્ટની ગીર અને ત્યાંની સંસ્કૃતિ અને લોકજીવનનો, એ સુંદર અને પ્રકૃતિના આશિર્વાદોથી લચી પડેલા પ્રદેશની વિશેષતાઓનો અને વન્યસૃષ્ટિ સાથેના માનવના સહજીવનનો, માન્યતાઓનો પરિચય કરાવતી સુંદર નવલકથા અકૂપાર હાલમાં જ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્રારા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. ગીરના જંગલોની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર રેલાવતી આ કથા દરેક પ્રકૃતિપ્રેમીએ વાંચવી જ રહી. શ્રી ભટ્ટ સાહેબની નવલકથાઓ આમ પણ આગવો ચીલો ચાતરતી રહી છે, અને ગીરની સાથે એક અનોખું આકર્ષણ હોવાને લીધે અને અનેક પાત્રો તેમજ પ્રસંગે જાણે અમારા સાવ પરિચિત હોય તેમ લાગવાને લીધે આ નવલકથા મારા હૈયાની ખૂબ જ નજીક છે. પ્રસ્તુત છે નવનીત સમર્પણના અંક માંથી તેનો એક નાનકડો ભાગ. પુસ્તક પ્રાપ્તિ માટે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો સંપર્ક ફોન +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩ પર કરી શકાય છે. પુસ્તકની કિંમત ૨૦૦/- રૂપિયા છે.


જનક ની જાનકી (કન્યાવિદાય) – ડો. પ્રવીણ સેદાની 10

દિકરી વહાલનો દરીયો એ ફક્ત કહેવાની કે સાંભળવાની કોઈ વાત નથી, એ તો અનુભવવાની એક અનંત લાગણી છે. અક્ષરનાદના વાચક મિત્ર ડો. પ્રવીણ સેદાની કન્યાવિદાયની કપરી ક્ષણોને શબ્દોમાં, ભાવમાં કાંઈક આમ વર્ણવે છે. તેમનો ભાવ અને સુર શુધ્ધ સ્નેહ અને પુત્રી પ્રત્યેના પ્રેમથી છલોછલ છે. જીવથીય વધુ જાળવીને ઉછેરેલી, આંખના રતન સમી એ દિકરી જ્યારે પળમાં પારકી થઈ વિદાય માંગે છે ત્યારે ગમે તેવા કઠણ હૈયાનો પિતા પણ રડી ઉઠે છે. પ્રસંગની કરુણતા અને દિકરીના સુખી ભવિષ્યની વાંછનાની મિશ્ર લાગણીએથી ભીંજાયેલી પ્રસ્તુત રચના આપને પણ અવશ્ય સ્પર્શી જશે જ એવી ખાતરી સહ આ કૃતિ અક્ષરનાદને મોકલવા બદલ ડો. પ્રવીણ સેદાનીનો ખૂબ આભાર.


અંગ્રેજી અનુવાદ નરસિંહ મહેતાની ભક્તિરચનાઓનો 5

એક મિત્રએ પુસ્તક ભેટમાં આપ્યું, નામ હતું “અખિલ બ્રહ્માંડમાં”, સંત કવિ નરસિંહ મહેતાની ભક્તિરચનાઓનો અંગ્રેજી અનુવાદ અહીં પ્રસ્તુત થયો છે. ખૂબ સુંદર અને એક નવા પ્રયત્નરૂપ આ પુસ્તકના પ્રકાશક છે શ્રી કમલનયન ન. જોષીપુરા, નવેમ્બર ૨૦૦૨ માં પ્રકાશિત આ પુસ્તક આદ્યકવિ નરસિંહ મહેતાની ૩૧ ભક્તિરચનાઓ અને તેનો અંગ્રેજી અનુવાદ પ્રસ્તુત કરે છે. આ અનુવાદ ભાવનાસભર છે અને છતાંય પ્રભાવી અને સાહિત્યિક તથા કલાત્મક છે. પુસ્તક વાંચતા અનેરા સંતોષની લાગણી થાય છે. આપણી ભાષામાંથી પરભાષામાં અનુવાદો થતા જોવા એ અનોખી લાગણી છે, આપણી મૂડીના વ્યાપને વધારતો એ રાજમાર્ગ છે તો આ સર્વસામાન્ય તત્વજ્ઞાનને વિશ્વસમક્ષ મૂકવાનો અનુભવ પણ છે. આ પુસ્તકમાંથી ત્રણ મૂળ રચનાઓ અને તેના અનુવાદો સાભાર અત્રે મૂક્યા છે.


ચિત્ર દોરેલાં બધાં પાછાં મળે – અલ્પ ત્રિવેદી 6

શ્રી અલ્પ ત્રિવેદી મહુવા (ભાવનગર) ની એક આગવી રચનાત્મક પ્રતિભા છે. જાન્યુઆરી 1977માં તેમની એક નવલકથા “છેલ્લું પગથીયું પ્રેમનું” પ્રસિધ્ધ થઇ હતી. તે પછીથી તેઓ શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાના સ્વાધ્યાય પરિવારમાં જોડાયા અને વર્ષો સુધી તેમાં ખૂબ સક્રિય રહ્યાં અને હજુ પણ છે. એ સમયગાળામાં તેમની રચનાત્મકતા તેમણે રચેલા ભાવગીતોમાં સુપેરે વ્યક્ત થઇ.

પ્રસ્તુત કૃતિ તેમની ગઝલરચનાની હથોટીનો ખ્યાલ સુપેરે આપી જાય છે. અક્ષરનાદને આ રચના પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


raft in museum

તરાપાથી ૪૩૦૦ માઈલની દરિયાઈ ‘કોન-ટિકિ’ સફર – જીજ્ઞેશ અધ્યારૂ 9

પંદર સૈકાઓ પહેલા દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ વાપરતા તેવા વાંસના તરાપા પર ચઢીને વીસમી સદીના મધ્યમાં પેસિફિક મહાસાગરનો ૪,૩૦૦ માઈલનો પટ ઓળંગનારા છ યુરોપી જવાંમર્દોની આ આપવીતી આપણા જમાનાની શ્રેષ્ઠ સાહસકથા બની રહી છે. પંદરથી વધુ ભાષાઓમાં તેના અનુવાદો થયા છે તો લાખો નકલો વેચાઈ ગઈ છે. વાત મૂળ તો લગનની છે. લેખક નોર્વેના વતની છે અને દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આવેલા ટાપુઓમાં વસતા લોકોના પૂર્વજો ક્યાંથી ત્યાં પહોંચ્યા એ વિશે મતમતાંતરો હતાં, શ્રી હાયરડાલે સાબિત કરવાનો યત્ન કર્યો કે તેઓ દક્ષિણ અમેરીકાથી જ ત્યાં જઈને વસ્યા હોવા જોઈએ. જો કે તેમના આ દાવાને સજ્જડ ફગાવી દેવાયો. દક્ષિણ અમેરીકાથી મધ્ય પેસિફિકનો આ ૪૩૦૦ માઈલનો પંથ ૧૫૦૦ વર્ષ પહેલા કઈ રીતે પાર કરી શકાય એ પ્રશ્નનો ઉત્તર આપવા તેમણે વાંસના તરાપા પર આ આખોય પ્રવાસ ખેડ્યો. પ્રસ્તુત છે આ પુસ્તક વિશે કેટલીક વાત અને થોડાક અંશો.


મહામૃત્યુની સંજીવની વિદ્યા – મીરાબેન ભટ્ટ 5

૧૯૮૨માં પ્રકાશિત શ્રીમતી મીરાબેન ભટ્ટનું અદભુત પુસ્તક એટલે “જીવન સંધ્યાનું સ્વાગત.” આ પુસ્તિકામાં તેમણે વૃધ્ધત્વને સાચા અર્થમાં જાજરમાન બનાવી શકાય તે માટેનું ચિંતન પ્રસ્તુત કર્યું છે. સામે આવેલી ક્ષણોને પૂરેપૂરી, સમગ્રતાપૂર્વક જીવવી, તેમાં યથાશક્ય પાવિત્ર્ય તથા સૌંદર્ય ભરવું એ છે જીવનસાધના. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૧૯૮૪નું ભગિનિ નિવેદિતા પારિતોષિક આ પુસ્તકને પ્રાપ્ત થયું છે. પ્રસ્તાવનામાં તેઓ કહે છે, “જીવનસંધ્યા એટલે ઈન્દ્રિયોના વ્યાપારને સંકેલવાનું ટાણું. ઈન્દ્રિયોનો ભોગવટો નહીં, તેના પર વિજય. સાંજ પડ્યા પછીનું જે કાંઈ જીવન વહે, તેની દિશા નિશ્ચિત હોય, પ્રભુ ! જો કે પ્રીત પરાણે ન થાય. આપણી તેને પામવાની ઝંખનાનો સૂરજ દિવસભર પ્રજ્વળ્યો હશે તો જ તે એક સરસ જીવન સંધ્યા આપણને આપશે તે વાત મનમાં રાખીએ. મૃત્યુને પણ સંજીવની વિદ્યા કહેવાની હિંમત દાખવનાર મીરાબેન જેવા માર્ગદર્શકોજ આવો એક ઉત્તમ વિચાર વિકસાવી શકે.


મૂંઝવણમાંથી માર્ગ – ઈ. એફ. શૂમાખર, અનુ. જયન્ત પંડ્યા

શ્રી શુમાખર આ જમાનાના પ્રાજ્ઞ પુરુષ હતા. પ્રાજ્ઞ એટલે દૂરનું જોઈ શકે એટલું જ નહિં પણ તેમાં રહેલા સારસારને આપણા હાથમાં મૂકી શકે. પોતે જાણીતા અર્થશાસ્ત્રી પણ તેમણે અર્થનો અનર્થ ન થઈ જાય એ માટે વૈજ્ઞાનિક વિચારણાઓ કરી. અમેરિકાના પ્રમુખ કાર્ટર તેમના પુસ્તક ‘નાનું તે રૂડું’ ઉપર ફિદા હતાં. શૂમાખરનું આ પુસ્તક જીવનદર્શનનું, બુધ્ધિપૂર્વકની તત્વચર્ચાનું પુસ્તક છે. આટલા નાના પુસ્તકમાં આટલું બધું અર્થવાહક સત્ય તે વળી કેમ સમાવી શક્યા તેનું આશ્ચર્ય થાય પણ તત્વદર્શી ઋષિઓને શું શક્ય નથી? ભાષા વિચાર તેમની પાસે બાલવત આવીને બેસે છે. તો નિરીક્ષકના પૂર્વ તંત્રી શ્રી જયંત પંડ્યાનો અનુવાદ ખૂબ સુંદર છે. અને એટલે જ આ પુસ્તક એક ગુરૂની ગરજ સુપેરે સારે છે. પ્રસ્તુત લેખ પુસ્તકના નિચોડ રૂપ અંત્યકથન છે અને લેખના અંતે તેની અંગ્રેજી આવૃત્તિ ઓનલાઈન વાંચી શકાય તેની લિંક આપી છે જે ઉપયોગી થશે.


દાખલો કેમ ગણાય? – નિકોલાઈ નોસોવ (અનુ. મહેન્દ્ર મેઘાણી) 12

પશ્ચિમના કેટલાક દેશોમાં બાળકો અને કિશોરો, યુવાનો માટે અપરંપાર વિવિધતા ધરાવતા સાહિત્યનો ખજાનો પડેલો છે, ને સમયની સાથે સમૃધ્ધ થતો જાય છે. મૂળ રશિયન લેખક રોઝ પ્રોકોફીવાની કૃતિ “School boys” ના નિકોલાઈ નોસોવના અંગ્રેજી અનુવાદ પરથી શ્રી મહેન્દ્ર મેઘાણીએ કરેલા અનુવાદ “ભાઈબંધ” માંથી લેવામાં આવ્યો છે. રશિયન કિશોર સાહિત્યની આ કૃતિ ખૂબ સુંદર, બાળ માનસને સમજતી સમજાવતી આનંદ કરાવતી વાંચતા વાંચતા ક્યારે પૂરી થઈ ગઈ, ખબર જ ન પડી. શાળાના દિવસો અચૂક યાદ કરાવતી, એ સફર પર લઈ જતી અનેરી વાત છે. તોતો ચાન પછી આ બીજી પુસ્તિકા છે જે આ ક્ષેત્રમાં નોંધપાત્ર છે, જો કે “ભાઈબંધ” એટલી પ્રચલિત નથી. રશિયન નિશાળીયાઓની આ વાતમાં આપણા કિશોરોને પોતાનું પ્રતિબિઁબ અચૂક દેખાશે. લોકમિલાપ ટ્રસ્ટનું પ્રકાશન એવું આ પુસ્તક 160 પાનાનું છે અને 2000ની સાલના પુનર્મુદ્રણ વખતે તેની કિઁમત 30 રૂપિયા હતી. ટૂંક સમયમાં અક્ષરનાદ પર આ પુસ્તકની સમીક્ષા અને પુસ્તક પરિચય પણ વાંચી શક્શો.


અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી – જ્યોતીન્દ્ર દવે 8

જ્યોતિન્દ્ર દવે આપણી ભાષાના સીમાસ્તંભ રૂપ હાસ્યકાર છે, તેમની ડંખ કે કટુતા વગરની સરળ અને સુંદર રચનાઓ હાસ્યરસનું નવનીત છે, એમની રચનાઓ ખૂબ વંચાય છે. પ્રસ્તુત રચનામાં તેઓ પોતાની માંદગી અને શરીર વિશે ઠેકડી ઉડાડતા જોવા મળે છે, પોતાના નબળા શરીર અને ઓછા વજન વિશેની તેમની સમજણ અને તે અંગેનું વિચાર અવલોકન ખરેખર દાદ માંગી લે તેવું છે. પોતાની શારીરિક નબળાઈઓને અને માંદગીઓ સાથેના સત્તત સંબંધને તેઓ હાસ્યરસમાં તરબોળ કરીને આપણી સમક્ષ મૂકે છે, નરસિંહ મહેતાના પદની પ્રતિરચના “અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી, જૂજવે રૂપે અનંત ભાસે….” પણ કેટલી સચોટ ઉપયોગ કરી છે ! આખોય લેખ આવી જ સહજતા – સરળતાને લીધે માણવાલાયક છે.


નિવૃત્તિની પ્રવૃત્તિ વિશે ભાવ અને અર્થ – હરસુખરાય જોશી 5

શ્રી હરસુખરાય જોશી ભારતીય જીવન વીમા નિગમ, અમદાવાદના રીટાયર્ડ ઉચ્ચ અધિકારી છે. અમદાવાદમાંજ તેઓ હવે તેમનું નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે. અધ્યાત્મિક વાંચન, કસરત, તરવું, યોગ અને ધ્યાન ક્રિયાઓ તથા પ્રવાસ તેઓની ગમતી પ્રવૃત્તિઓ છે અને આ બધુંજ તેઓ નિયમિતપણે કરે છે. તેમના પત્નિ સાથે તેઓ લગભગ આખાય ભારતનું ભ્રમણ કરી ચૂક્યા છે. શ્રી વિજય શાહ દ્વારા સંપાદિત પુસ્તક “નિવૃત્તિ ની પ્રવૃત્તિ” વિશે તેમના વિચારો અત્રે તેમણે પ્રસ્તુત કર્યા છે. પુસ્તક અક્ષરનાદને મોકલવા બદલ શ્રી વિજય શાહ અને શ્રી હરિકૃષ્ણભાઈનો તથા પુસ્તક વિશે આ લેખ આપવા બદલ શ્રી હરસુખભાઈનો ખૂબ ખૂબ આભાર.


મળી ગયો પવન! – સુરેશ જોષી 5

સમય પસાર કરવા ખાતર જ ફક્ત જે સાહિત્ય ન વાંચતો હોય તેવો માણસ શ્રી સુરેશ જોષીને જાણતો હોય જ. ગુજરાતી સાહિત્યમાં નવી ‘ક્ષિતિજ’ નો ઉઘાડ સુરેશ જોશીથી થયો. ગુજરાતી ટૂંકી વાર્તાની વાત એમના વિના થઈ શકે નહીં. એમના પ્રવેશે વિવેચનની આબોહવા બદલી નાંખી, તો કવિ તરીકે તો તેમણે પોતાનામાંના કાવ્યપુરૂષને સિધ્ધ કર્યો છે. ‘ઉપજાતિ’, ‘પ્રત્યંચા’, ‘ઈતરા’, ‘તથાપિ’ જેવા એમના કાવ્યસંગ્રહો માણવાલાયક છે.

તેમની પ્રસ્તુત રચના ઈમેજ દ્વારા પ્રકાશિત “૬૦૦ વર્ષની ગુજરાતી કવિતાની ઝલક ઝાંખી, બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ” ની વિમોચન પ્રસંગની નિમંત્રણપત્રિકામાંથી સાભાર લેવામાં આવી છે.


પુસ્તકાલય એટલે મહાશાળા – ગિજુભાઈ બધેકા 1

આપણા દેહને ટકાવવા અને તેનો ઉપયોગ કરવા દરરોજ તેને અન્ન આપીએ છીએ તે જ રીતે આપણાં ચિત્તને વાચન રૂપે રોજ પોષણ આપવાની જરૂર છે. અને આ વાંચનક્ષુધા છીપાવવાની પરબો એટલે પુસ્તકાલયો, પુસ્તકાલયોનું મહત્વ આપણે ત્યાં હજી જોઈએ એટલું સમજાયું નથી. ગિજુભાઈ પ્રસ્તુત લેખમાં એ છતું કરે છે. ગુજરાત ઉપર સ્વ. ગિજુભાઈ બધેકાનું અમીટ ઋણ છે. વીસમી સદીના ત્રીશીના દાયકા અગાઊના અને એ પછીના શિક્ષણ અને અધ્યાપનની પધ્ધતિઓમાં ક્રાંતિકારી પરિવર્તનનો બધો યશ તેમને ફાળે જાય છે. આ યુગપરિવર્તનકારી ફેરફારો સાથે, એના વિશે એમને ઘણું લખવાનું થયું છે, એમના લખાણો સચોટ અને ઉપદેશોથી દૂર, સમજ આપનારા બની રહ્યાં છે. એમનાથી સ્થળ કાળથી દૂર અનેકોને તેનો લાભ મળ્યા કરે છે એ ખૂબ મહત્વની વાત છે. વાંચે ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ લેખ પ્રસ્તુત બની રહેશે એમાં કોઈ શંકા નથી.


૧૪ હાઈકુઓ – સ્નેહરશ્મિ 13

જાપાનમાં હાઈકુ એક જ ઉભી લીટીમાં લખાય છે (જેમ કે 古池や 蛙飛込む 水の音 ), અંગ્રેજીમાં તેને ત્રણ લીટીમાં લખવાની શરૂઆત થયેલી. હાઈકુ એવું નામકરણ ૧૯મી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવેલું. પાંચ, સાત અને પાંચ એમ ચૌદ અક્ષરની સીમામાં રહીને અભિવ્યક્તિને પાંખો આપતો આ પદ્યપ્રકાર પોતાનામાં એક વિશેષ લય લઈને આવે છે. નાનકડી પણ ચોટદાર રચના એ એક સુંદર હાઈકુના લક્ષણ છે. મૂળે જાપાની કાવ્યપ્રકાર એવા અહીં પ્રસ્તુત ૧૪ હાઈકુઓ આદરણીય શ્રી સ્નેહરશ્મિની કલમની હથોટી ખૂબ સુંદર રીતે દર્શાવી જાય છે. દરેકે દરેક હાઈકુ પોતાનું અર્થગાંભીર્ય લઈને આવે છે અને કવિ જે વાત ભાવક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે મૂકી જાય છે. પ્રસ્તુત હાઈકુઓ ઈમેજ દ્વારા પ્રકાશિત “૬૦૦ વર્ષની ગુજરાતી કવિતાની ઝલક ઝાંખી, બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ” ની વિમોચન પ્રસંગની નિમંત્રણપત્રિકામાંથી સાભાર લેવામાં આવ્યા છે. આ ૨૦૦૫ ની નિમંત્રણપત્રિકા છે. આ પત્રિકા અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખ (વાપી) નો ખૂબ ખૂબ આભાર.


અમો એવા રે એવા, ગુજરાતીઓ – રતિલાલ બોરીસાગર 4

શ્રી રતિલાલ બોરીસાગરનો પ્રસ્તુત હાસ્યલેખ નવનીત સમર્પણના દીપોત્સવી વિશેષાંકની એક જ વિષય “અમો એવા રે એવા ગુજરાતીઓ” વિશે વિવિધ હાસ્યલેખકોના લેખો માંથી લેવામાં આવ્યો છે. લેખકે નરસિંહ મહેતાના કાવ્ય “અમો એવા રે એવા” નું સરસ પ્રતિકાવ્ય પણ સાથે આપ્યું છે. હાસ્યરસનો ખજાનો એવો આ લેખ પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો ખૂબ ખૂબ આભાર.


પારદર્શી ક્ષણો – જીજ્ઞેશ અધ્યારૂ (અછાંદસ) 3

આજે પ્રસ્તુત છે મારી એક અછાંદસ રચના ‘પારદર્શી ક્ષણો’, ક્યારેક ક્ષણો ખૂબ અગત્યની હોય છે, ક્યારેક વર્ષો નકામાં, એ અગત્યની ક્ષણો વેડફાઈ જાય અને એની પારદર્શકતાને જો પીછાણવામાં થાપ ખાઈ જવાય તો પછી વર્ષો પણ અપારદર્શક થઈ જાય છે, પણ શું એ લાગણીઓ આટલી ક્ષણિક હોઈ શકે? એ ક્ષણિક અનુભવ જીવનભર પીડા આપી શકે?


પાણી બતાવશું – શૂન્ય પાલનપુરી 3

એકે એક શે’રમાં ખુમારી અને સ્વમાનની ઝલક આપતી આ સુંદર ગઝલ ખરેખર માણવાલાયક છે. ગઝલમાં જોમ અને ઉત્સાહનું વાતાવરણ છે. કવિની ધગશ કોઈ કિનારાઓમાં બાંધી ન બંધાય એવી ધસમસતી નદી છે. મૃગજળને ઘોળી ને પી જવાની તેમની ખુમારી અને રણને પાણી બતાવવાની વાત પણ તેમના કવિત્વનું ખૂબ સુંદર ઉદાહરણ છે. ક્યાંક રણને, ક્યાંક સાગરને, ક્યાંક સભાને તો ક્યાંક આખાય જગને કાંઈક કરી દેખાડવાની તમન્નાનો આવો સુંદર સાદ બીજે ક્યાંય સાંભળવો શક્ય છે?


વખત વાવણીનો…. – જીજ્ઞેશ અધ્યારૂ 8

વરસાદની શરૂઆત થઈ રહી ગઈ છે, અને ધરતીપુત્રો ખેતરને ખેડીને વાવણી માટે તૈયાર થઈ ગયાં છે. બાકી રહી ગયેલા ખેડુતો પણ અત્યારે હળ કે ટ્રેક્ટર સાથે ખેતરોને ખેડી રહ્યાં છે, પહેલા વરસાદમાં ખેડાતા કે વાવણી પામતા ખેતરોમાં ખેડુતોના આખાંય પરિવાર મહેનત કરવા મંડી પડે, વાવણીના ગીતો ગૂંજે અને માટીની સુગંધ ચોમેર ફેલાય એથી આહલાદક દ્રશ્ય શું હોઈ શકે? વખત ખરેખર મારા માટે પણ વાવણીનો જ છે… વિચારોની વાવણી માટેનો


વિદાય વેળાએ … – ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા) 1

ખલિલ જિબ્રાનના વિશ્વવિખ્યાત પુસ્તક “The Prophet ” નો ગુજરાતી અનુવાદ શ્રી કિશોરલાલ મશરૂવાળાએ “વિદાય વેળાએ…” નામથી કરેલો છે. આ પુસ્તક વિશે જ્યોર્જ રસેલ કહે છે, “મને નથી લાગતું કે રવિન્દ્રનાથ ઠાકુરની ગીતાંજલી પછી પૂર્વમાંથી એવો સુંદર ધ્વનિ નીકળ્યો હોય જેવો – ખલિલ જિબ્રાન – જે ચિત્રકાર તેમજ કવિ છે – તેમના ‘ધ પ્રોફેટ’ માંથી સંભળાય છે. વિચારમાં આના કરતાં વધારે સુંદર પુસ્તક મેં વર્ષોથી જોયું નથી. અને એ વાંચતા સોક્રેટીસે ‘ધ બેંક્વેટ’ માં કહેલું વાક્ય કે – વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતા વધારે જાદુઈ અસર ઉપજાવે છે – એ મને વધારે સ્પષ્ટપણે સમજાય છે.” આ અનુવાદમાંથી આજે ધર્મ અને પ્રાર્થના વિશેના બે પ્રકરણો અહીં પ્રસ્તુત છે.


અક્ષરના નાદનો ચોથા વર્ષમાં પ્રવેશ…. 6

“અધ્યારૂ નું જગત” થી “અક્ષરનાદ” ….. સફર શરૂ થયે આજે ત્રણ વર્ષ પૂરા થયાં, જો કે પૂરા થયાં એથી વધુ મહત્વનું છે કે એ સફરની ક્ષણેક્ષણ સુગંધી અને આનંદસભર કરતા ગયાં. નવી થીમ સાથે થોડીક જ અદલાબદલી કરી અને અક્ષરનાદને એક નવા સ્વરૂપે મૂકવાની ઈચ્છા પૂરી કરી રહ્યો છું. આ પ્રસંગે થોડુંક મનન અને અંતરદર્શન કરવાની ઈચ્છાનો પડઘો આજે અહીં પ્રસ્તુત કર્યો છે.


મારી દીકરી જ મારી ખુશી … – હિમાંશુ દવે 15

ગુજરાત ના ભાવનગરમાં જન્મેલા હિમાંશુ દવે, ૩૭ વર્ષના અને છેલ્લા ૧૦ વર્ષથી બેંગલોર સ્થાયી થયેલ છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનીયર અને એમ.બી.એ. – ફાઇનાન્સ, અત્યારે બેંગલોરમાં મલ્ટીનેશનલ કંપની માં ઉચ્ચ પદવી ઉપર કાર્યરત છે. ગુજરાતી કવિતા અને સાહિત્ય એ હિમાંશુ માટે શોખ, નિજાનંદ અને લાગણી વ્યક્ત્ત કરવાનુ શ્રેષ્ઠ માધ્યમ છે. ઉપરોક્ત કવિતા, પોતાની ૧૦ વર્ષની દીકરી – ખુશી, કે જે હાલમાં અમેરિકાના વેકેશન પ્રવાસે છે અને તેના જન્મદિવસે, તેની યાદ આવતા, એક પિતાની – દીકરીને આપેલ – જન્મદિવસની ભેંટ છે. તેમની કલમે આવી અનેક રચનાઓ આપણને મળતી રહે તેવી શુભકામનાઓ.


કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૨) 4

કવિતા અંગેની પ્રાથમિક સમજ શ્રી સ્નેહરશ્મિએ સાતમી શ્રેણીના બાળકોને કેટલી સુંદર રીતે આપી, કવિતાની વ્યાખ્યા કઈ રીતે તેમણે બાળકો પાસે બંધાવી એ આપણે ગઈકાલની રચનામાં જોયું. આજે એનો બીજો ભાગ અહીં છે, વ્યાખ્યાથી આગળ વધીને એક કવિતાના ભાવને આત્મસ્થ કરવાથી લઈને તેના હાર્દને કવિ કઈ રીતે શબ્દસ્થ કરે છે એ આખીય પ્રક્રિયા અહીં ખૂબ સુંદર રીતે સમજાવી છે. બાળપણમાંજ કવિતા વિશે આવું સુંદર અનુભવજ્ઞાન મળી રહે તો એ જ્ઞાનનો પ્રભાવ ખરેખર જ અદકેરો બની રહેવાનો. ઉમાશંકરની કવિતાનું ઉદાહરણ પણ કેવું સરસ ! કવિતા વિશે આનાથી વધુ સમજ કોણ આપી શકે?


કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૧) 8

ભગવદ્ગોમંડળ મુજબ કવિતા એટલે, “પદબંધ; અમુક નિયમાનુસાર ગોઠવાયેલ અક્ષર અને માત્રા એ બેના નિયમથી થતી રચના; છંદ; વૃત્ત. તેની ત્રણ જાત; ગીતકવિતા, વીરકવિતા અને નાટ્યકવિતા. અંતર્ભાવપ્રેરિત તે જ ખરી કવિતા ગણાય છે.” પરંતુ પ્રસ્તુત અનુભવવાણીમાં સ્નેહરશ્મિ કવિતા એટલે શું ? એ વિશેની એક નોખી, સાહજીક અને બાળમાનસમાં પણ સહેલાઈથી ઉતરી શકે તેવી વ્યાખ્યા બાંધવાનો યત્ન કરે છે. ક્યાંક બાળપણથીજ જો આવા શિક્ષકો મળી જાય તો એ શિક્ષણની મજા અને તેનો પ્રભાવ ખરેખર જ અદકેરો બની રહેવાનો એમાં શંકા હોઈ જ ન શકે. આજે પ્રસ્તુત છે શ્રી સ્નેહરશ્મિના પ્રયોગનો આ પ્રથમ ભાગ


મંદિરનો બંદી – પ્રભાબહેન પંજવાણી 1

પ્રભાબહેન પંજવાણીનો જન્મ ૧૯૧૨માં થયેલો. આઝાદી પછીના સમયમાં તેમના અનેક કાવ્યસંગ્રહો આવ્યાં હતાં. “અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓના કાવ્યો” એ પુસ્તકના સંપાદક શ્રી ઉષાબહેન ઉપાધ્યાય તેમના ૨૩ કાવ્યસંગ્રહો નોંધે છે, જે ૧૯૫૧ થી ૧૯૬૬ વચ્ચેના સમયગાળા દરમ્યાન મુખ્યત્વે લખાયેલા છે. શ્રધ્ધાંજલી, પ્રાર્થનાપરાગ, ક્રાતિને પગલે, રણકારો, ગીત-ગુર્જરી, ફૂલ પાંદડી, શીળો સ્પર્શ, કેવડો, ગાંધીરાસ, ઉરસૌરભ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. પ્રસ્તુત ભક્તિરચનામાં કવયિત્રી પ્રભુને ફરીયાદ કરે છે. પ્રભુ હવે ફક્ત મંદિરમાં બંદી બનીને રહી ગયા છે અને માનવજાત પોતાના અનેક દુર્ગુણોની સાથે સ્વાર્થવશ થઈને પ્રભુની સૃષ્ટિમાં નફરત ભરી રહ્યાં છે, એક બીજાનું ખરાબ કરી રહ્યાં છે અને પોતાની ફરજો ભૂલી ગયાં છે. આ બધાં પાપમાંથી પોતાને બચાવવાની પ્રાર્થના તેઓ ભગવાનને કરે છે.


જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક (પુસ્તક ડાઉનલોડ) 2

આપણાં માટે જ્ઞાનના મૂળભૂત સ્ત્રોત વેદો અને પુરાણો જ છે, જે આપણને આપણા પૂર્વજ ઋષિ મુનિઓએ વારસામાં આપ્યો છે. આ ઋષિ મુનિઓ પણ મંત્રદ્રષ્ટા જ કહેવાતા, દ્રષ્ટા એટલા માટે કે એમને આ મંત્રોનું કેવળ દર્શન થતું, જ્ઞાન થતું – એ યુગમાં જ્યારે અક્ષરની ઉત્પત્તિ હજી નહોતી થઈ ત્યારે આ મંત્રો એમને અસ્તિત્વ સાથે અનુસંધાન થતાં કેવળ નાદ કે અવાજ રૂપે જ પ્રાપ્ત થતાં અને એક પેઢીથી બીજી પેઢીને અપાતા. આપણે આજે એને શ્રૃતિ અને સ્મૃતિ સ્વરૂપે ઓળખીએ છીએ. આપણા વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સંગ્રહાયેલું આ પાયાનું જ્ઞાન વહેંચવાનો આ એક પ્રયત્ન માત્ર છે, અને કોઈપણ ક્રિયા કે મંત્ર કોઈ એક માનવીનું સર્જન ન હોઈ શકે, એ તો કેવળ એની સમજ મુજબ એને અન્યો સમક્ષ રજુ માત્ર કરે છે. આવાં કેટલાક સુંદર વિચારોને અધ્યાત્મિક રીતે મૂકતું પુસ્તક “જ્ઞાનનો ઉદય” અત્રે મૂક્યું છે. અહીં શ્વાસ વિશે, શરીર અને મન વિશે, વિવિધ શક્તિચક્રો વિશે અને મનની કાર્યપ્રણાલી વિશેના વિચારો આ પુસ્તકમાં આવરી લેવાયાં છે. પ્રસ્તુત પુસ્તક ડાઉનલોડ વિભાગમાં સમાવેશ કરવાની પરવાનગી આપવા બદલ શ્રી મહેન્દ્ર નાયક નો ખૂબ ખૂબ આભાર.


એક નહિં જન્મેલી દીકરીનો મરસિયો – સરૂપ ધ્રુવ (કાવ્ય) 6

એક નહિં જન્મેલી દીકરીનો મરસિયો ‘, શિર્ષકમાં જ કેટલી ધગધગતી વાત સાથે આ રચનાની શરૂઆત કરાઈ છે. અહીં કવયિત્રી ખરેખર તો એક દીકરીનો નહીં જન્મવા પહેલાનો, ગર્ભમાં આવે અને ગર્ભમાં જ મૃત્યુને ભેટે એ દરમ્યાનનો સમયગાળો, એ જીવનકાળ એક પરપોટો લેખીને આખીય રચના પ્રસ્તુત કરે છે. એ જીવને વિશ્વમાં પગ પણ માંડવા નથી મળવાના, જેમ પરપોટાને આયુષ્યની કોઈ બાંહેધરી હોતી નથી તેમ આવી ગર્ભસ્થ પુત્રીની જરૂરત તેની માં ને નથી, તો પિતાને પણ એ ઝાંખપ જેવી લાગે છે, પુત્રી ભ્રૃણહત્યાની આખીય કુપ્રથાને ખૂબ આકરા પ્રહારોથી, જાણે વખોડતી આ રચના અત્યાર સુધીની આવા વિષય પર વાચેલી કોઈ પણ રચના કરતાં સ્પષ્ટ અને ભાવપૂર્વક પોતાની વાત કહી જાય છે. અને એ આકરી રચના બદલ કવયિત્રી ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે.