ધમ્મપદ એટલે ધર્મને લગતા શ્લોકોનો સંગ્રહ. પાલી ભાષામાં રચાયેલા ગ્રંથ.પુદકનિકાયના પંદર ભાગમાંનો એક પેટા વિભાગ એટલે ધમ્મપદ. આ ગ્રંથ ધાર્મિક અને નૈતિક છે, તેમાં ૪૨૩ શ્લોકો છે. સઘળા શ્લોકો બૌદ્ધ ધર્મ પ્રમાણે નીતિ સંયમના ૨૬ વિષયોમાં વહેંચાયેલા છે. દરેક શ્લોક સાથે કોણે, ક્યારે અને કેવી રીતે એ શ્લોક કહેવાયો હતો એ અંગેની વાત છે, બૌદ્ધ ધર્મનો સાર ધમ્મપદમાં સમાયેલો છે, આ ગ્રંથના ચિંતન નીતિબોધક, સર્વવ્યાપક તથા શાશ્વત છે તથા સમસ્ત માનવજાત માટે માર્ગદર્શક છે. ઋષિકેશ શરણના પુસ્તકનો ગુજરાતી અનુવાદ હર્ષદ દવેએ કર્યો છે જે અક્ષરનાદ પર સમયાંતરે મૂકાશે.
ધમ્મપદ : ૧
મનોપુબ્બંગમા ધમ્મા, મનોસેટ્ઠા મનોમયા |
મનસા ચે પદુટ્ઠેન, ભાસતિ વા કરોતિ વા |
તતો નં દુકખમન્વેતિ, ચક્કં વ વહતો પદં ||૧||
અર્થ:
મન બધી પ્રવૃત્તિઓમાં આગળપડતું છે. બધા ધર્મો (સારા કે ખરાબ) મનમાંથી જ ઉત્પન્ન થાય છે. જો કોઈ દૂષિત મનથી કોઈ કાર્ય કરે તો તેનું પરિણામ દુઃખદાયક હોય છે. જે રીતે બળદગાડાનું પૈડું બળદની ખરીનાં ચિન્હોનો પીછો કરતું હોય છે તે જ રીતે દુખ તેનું અનુસરણ કરે છે.
મનથી મોટું કાંઈ નથી : ચક્ષુપાલની કથા
સ્થળ: જેતવન, શ્રાવસ્તી
આ ગાથા બુદ્ધે શ્રાવસ્તીના જેતવન વિહારમાં ચક્ષુપાલ નામના એક નેત્રહીન ભિક્ષુના સંદર્ભમાં કહી હતી.
એક દિવસ ભિક્ષુ ચક્ષુપાલ જેતવન વિહારમાં બુદ્ધને શ્રદ્ધાપૂર્વક વંદન કરવા માટે આવ્યો. રાત્રે તે ધ્યાન સાધનામાં ફરતો રહ્યો. તેના પગ નીચે ઘણી કીડીઓ અને મંકોડાઓ દબાઈને મરી ગયાં. સવારે કેટલાક અન્ય ભિક્ષુઓ ત્યાં આવ્યા અને તેમણે તે કીડી-મંકોડોને મરેલાં જોયાં. તેઓએ બુદ્ધને જાણ કરી કે ચક્ષુપાલે રાતના સમયે કેવી રીતે પાપકર્મ કર્યું હતું. બુદ્ધે તે ભિક્ષુઓને પૂછ્યું કે શું તેઓએ ચક્ષુપાલને તે જંતુઓને મારતાં જોયો હતો. જયારે તેઓએ તેનો નકારાત્મક જવાબ આપ્યો ત્યારે બુદ્ધે તેમને કહ્યું કે જે રીતે તમે ચક્ષુપાલને એ જીવ-જંતુઓને મારતાં નહોતો જોયો એ જ રીતે ચક્ષુપાલે પણ એ જીવતાં જીવડાંઓને નહોતા જોયા. “તદુપરાંત ચક્ષુપાલે અર્હત્વ પ્રાપ્ત કરી લીધું છે. એટલે તેના મનમાં હિંસાનો ભાવ હોઈ જ ન શકે. આ રીતે તે નિર્દોષ છે.” ભિક્ષુઓ દ્વારા પૂછવામાં આવતા કે અર્હત હોવા છતાં ચક્ષુપાલ અંધ કેમ હતો, ત્યારે બુદ્ધે આ કથા કહી:
પોતાના એક પૂર્વજન્મમાં ચક્ષુપાલ આંખોનો ચિકિત્સક હતો. એક વાર તેણે જાણી જોઇને એક સ્ત્રી રોગીને અંધ કરી દીધી હતી. તે સ્ત્રીએ એવું વચન આપ્યું હતું કે જો તેની આંખો ઠીક થઇ જાશે તો તે પોતાના બાળકો સાથે તેની દાસી બની જશે અને જીવનભર તેની ગુલામી કરશે. તેની આંખોનો ઈલાજ ચાલતો રહ્યો અને આંખો સંપૂર્ણપણે સારી થઇ પણ ગઈ. પરંતુ એ ડરને લીધે કે પોતાને આજીવન ગુલામી કરવી પડશે, તેણે ચિકિત્સકને એવું ખોટું કહ્યું કે તેની આંખો સારી નથી થઇ રહી. ચિકિત્સકને ખબર હતી કે તે ખોટું બોલી રહી હતી. એટલે તેણેએક એવી દવા આપી કે જેથી તે સ્ત્રીની આંખોની જોવાની શક્તિ જતી રહી અને તે સાવ અંધ બની ગઈ. પોતાના આ કુકર્મને લીધે ચક્ષુપાલ તેના કેટલાય જન્મોમાં એક અંધ વ્યક્તિ તરીકે જન્મ્યો હતો.
નોંધ: આપણા બધા અનુભવોનું સર્જન વિચારમાંથી થાય છે. જો આપણે ખરાબ ભાવના સાથે બોલીએ કે કોઈ કાર્ય કરીએ તો તેનું દુખદાયક પરિણામ ભોગવવું પડે છે. આપણે ગમે ત્યાં જઈએ, ખરાબ વિચારોને કારણે પરિણામ ખરાબ જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આપણાં મનમાં ખરાબ વિચારો હોય ત્યાં સુધી આપણે આપણાં દુઃખોમાંથી મુક્તિ મેળવી શકતા નથી.

ધમ્મપદ : ૨
ગાથા:
મનોપુબ્બંગમા ધમ્મા, મનોસેટ્ઠા મનોમયા |
મનસા ચે પસન્નેન, ભાસતિ વા કરોતિ વા |
તતો નં સુખમન્વેતિ, છાયા વ અનપાયિની ||૨||
અર્થ:
મન બધા ધર્મોમાં આગળપડતું છે. પુણ્ય અને પાપ જેવા બધા ધર્મો મનમાંથી જ ઉત્પન્ન થાય છે. જો કોઈ પ્રસન્ન મનથી કાંઈ કહે કે કાંઈ કરે તો તેનું ફળ સુખદ હોય છે. મનુષ્યનો પડછાયો જે રીતે તેનો સાથ ક્યારેય નથી છોડતો એવી રીતે સુખ તેની સાથે જોડાયેલું રહે છે.
મન જ કર્તાધર્તા છે : મટ્ઠકુંડલીની કથા
સ્થળ: જેતવન, શ્રાવસ્તી
મટ્ઠકુંડલી બ્રાહ્મણ અદીનપુબ્બકનો પુત્ર હતો. પિતા બહુ જ કંજૂસ હતા અને તેઓ ક્યારેય દાન-પુણ્ય નહોતા કરતા. ત્યાં સુધી જે જયારે તેમને પોતાના પુત્ર માટે અલંકાર બનાવવાની જરૂર પડી ત્યારે તેમણે એ અલંકારો પોતાની જાતે જ બનાવ્યા જેથી સોનીને અલંકાર બનાવવાની મજૂરી ન દેવી પડે. જયારે તેનો પુત્ર સખત માંદો પડ્યો ત્યારે પૈઆ બચાવવા માટે તેમણે ઈલાજ કરાવવા માટે ડોક્ટરને પણ ન બોલાવ્યા. ધીમે ધીમે છોકરાની તબિયત વધારે બગડતી ગઈ. અંતે પિતાને એમ લાગ્યું કે હવે તેની તબિયત સારી નહીં જ થઇ શકે. તો પણ ડોક્ટરને બોલાવવાને બદલે, અદીનપુબ્બકે પોતાના પુત્રને એટલા માટે ઘરની બહાર ખાટલા પર સુવડાવી દીધો કે જેથી લોકો ઘરની અંદર ન આવી જાય અને પોતાની માલ-મિલકતને જોઈ ન જાય.
તે દિવસે સવારે બુદ્ધે પોતાની આંતરિક દૃષ્ટિથી તપાસ કરી અને એ તપાસમાં તેમણે મટ્ઠકુંડલીને જોયો. તેઓએ જોયું કે મટ્ઠકુંડલીના આધ્યાત્મિક કલ્યાણનો સમય થઇ ગયો હતો. એટલે તેમના ચરણો મટ્ઠકુંડલીના ઘર તરફ ચાલવા લાગ્યા. દરેક ઘરે ભિક્ષાટન કરતા કરતા શાસક અદીનપુબ્બકના ઘરની સામે આવી ગયા.
મટ્ઠકુંડલી ફળિયામાં સૂતો હતો. તે તથાગતની દિવ્ય આભાથી પ્રભાવિત થયા વગર ન રહી શક્યો. અંદરખાનેથી તેનું હૃદય શાસકનું દર્શન કરવા માટે વ્યાકુળ થઇ રહ્યું હતું પરંતુ તેનું શરીર સાથ આપતું ન હતું. તેનો દેહ ખાટલા પર પડ્યો હતો પરંતુ મનથી તે બુદ્ધ સાથે જોડાઈ ચુક્યો હતો.
અંતિમ સમય થઇ ગયો. મટ્ઠકુંડલીએ આંખો મીંચી દીધી. મરતી વખતે તેનું હૃદય બુદ્ધ પ્રત્યે શ્રદ્ધાથી ભરેલું હતું. એટલું પૂરતું હતું. તેનો જન્મ તાવંતિસ દિવ્ય લોકમાં થયો.
તાવંતિસ દિવ્ય લોકમાંથી મટ્ઠકુંડલીએ જોયું કે તેના પિતા તેના મૃત્યુ પર વિહ્વળ થઈને રડી રહ્યા છે. તેથી તે પોતાના જૂના સ્વરૂપમાં પિતાની સામે પ્રકટ થયો. તેણે પોતાના પિતાને પોતાના પુનર્જન્મ વિષે કહ્યું તથા આગ્રહપૂર્વક કહ્યું કે તેઓ બુદ્ધને ભોજન કરવા માટે આમંત્રિત કરે. બુદ્ધને ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા. ભોજન કર્યા બાદ અદીનપુબ્બકના કુટુંબીઓએ બુદ્ધને પ્રશ્ન પૂછ્યો, ‘શું કોઈ વ્યક્તિ દાન કર્યા વગર, ઉપવાસ કર્યા વગર, કર્મકાંડ કર્યા વગર, ફક્ત બુદ્ધમાં જ પૂર્ણ સમર્પણ ભાવ રાખે તો તે તાવંતિસ દિવ્ય લોકમાં જન્મ લઇ શકે?’ પ્રત્યુત્તર આપતાં બુદ્ધે મટ્ઠકુંડલીને ઉપાસકો સમક્ષ પ્રકટ થવા માટે કહ્યું. આદેશ મળતાં મટ્ઠકુંડલી દિવ્ય અલંકારો સાથે આમજનતાની સામે પ્રકટ થયો અને તેણે સ્પષ્ટતા કરી કે તેનો જન્મ તાવંતિસ દિવ્ય લોકમાં થયો છે. તેને જોઇને સહુએ એ વાત પર વિશ્વાસ બેઠો કે સંપૂર્ણપણે બુદ્ધને સમર્પિત થવાથી જ મટ્ઠકુંડલીને આટલો બધો લાભ મળ્યો હતો.
નોંધ: મનુષ્યના જીવનમાં જે કોઈ ઘટનાઓ બને છે તે વિચારોનું જ પરિણામ છે. જો વિચાર પવિત્ર હોય તો વાણી અને કર્મ પણ પવિત્ર હશે. પવિત્ર વિચાર, વાણી અને કર્મ દ્વારા જીવનમાં સુખ પ્રાપ્ત થશે.
ગાથા અને કથા: લેખક: ઋષિકેશ શરણ : અનુવાદ: હર્ષદ દવે
Dhammapada, Gujarati, Harshad Dave
શ્રી. હર્ષદભાઇએ કરેલો ધમ્મપદનો ક્રમશઃ અનુવાદ પ્રશંસાને પાત્ર છે. મહાન આત્માઓ વિદાય લે છે, પણ એમના વિચારો શાશ્વત રહે છે, અને પુસ્તકો દ્વારા એમનું શાણપણ આપણા સુધી પહોંચાડવાનો અનુવાદકારો અને ગ્રંથકારોનો પ્રયાસ સ્તુત્ય છે. હર્ષદભાઇ દવેને અભિનંદન!
ધમ્મપદ ના શ્લોકો નું વિવરણ સમયાંતરે કરવા ના પ્રયાસ ને લાખ લાખ અભિનંદન..
આજે વર્ણવેલા બે શ્લોક વિશે વાંચી ને ખૂબ આનંદ થયો અને પ્રેરિત થયો.. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર