અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

ઉત્કંઠા (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 5

રીતેશભાઈની વાર્તાઓ સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે અને વાચકમિત્રોને પસંદ પણ આવે છે. આજે એક ખૂબ સાદી પૃષ્ઠભૂમીમાં ઉભી કરેલી આ વાર્તા સાચા પ્રેમની – વિશુદ્ધ પ્રેમની એક સરસ વાત લઈને આવે છે. આજના સમયમાં જ્યાં પ્રેમને સાવ તકલાદી, ચીલાચાલુ અને ઉપભોગની વસ્તુ ગણવામાં આવે છે ત્યારે આવી વાર્તાઓ એક સરળ અને સહજ માર્ગ તરફ આંગળી ચીંધે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


પંખીડું – રોબર્ટ ફ્રોસ્ટ, અનુ. વિજય જોશી 6

અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટ નિસર્ગના સાનિધ્યમાં રહેનારા કવિ હતા. સરળ શબ્દોમાં સામાન્ય દેખાતી ઘટનાને અસામાન્ય કરવાની કલાના ઉત્તમ સાધક હતા. કવિની દ્વિધા એના શીર્ષકથી શરુ થાય છે. બે અર્થો લઇ શકાય છે. એક અર્થ ક્ષુલ્લક (minor) અથવા બીજો અર્થ મંદ (minor musical note). શેક્સપીઅરના હેમ્લેટની દ્વિધા “કરું કે ન કરું” પ્રમાણે કવિ આ કાવ્યમાં પોતાની દ્વિધા દર્શાવે છે. પક્ષીના અવાજથી કંટાળી ગયા છે તો પણ એ ખબર છે કે પક્ષીનો ગાવાનો પણ એટલો જ અધિકાર છે. મનુષ્ય અને નિસર્ગ વચ્ચેનો દૈનંદિન સંઘર્ષ અહી દેખાય છે. કવિ માને છે કે વૈયક્તિક સ્વાતંત્ર્ય – જેના પર અમેરિકાનું બંધારણ રચાએલું છે- ખુબ મહત્વનું છે અને ગીતનો અવાજ અથવા વિરોધી મતને દબાવવું ખોટું છે અને સૃષ્ટિ સાથે સંઘર્ષને બદલે સંપર્ક રાખવાની સલાહ આપે છે.


(આમ જુઓ તો…) દુર્યોધન સત્ય છે…. – હાર્દિક યાજ્ઞિક 31

વાર્તા હોય, પદ્યરચના હોય કે ચિંતનલેખ – દર વખતે કાંઈક નવું પીરસવાની ટેવવાળા હાર્દિકભાઈ આ વખતે દુર્યોધનનો પક્ષ આપણી સમક્ષ મૂકે છે અને એક નકારાત્મક પ્રતિભા સ્વરૂપે ચીતરાયેલા માણસમાં ભંડારાયેલી હકારાત્મકતાને અને તેની સાથે થયેલ અન્યાનને આલેખવાનો સહજ પ્રયત્ન તેઓ કરે છે. આ પ્રયત્ન આજના વકીલો જેવો – ફક્ત દલીલ કરવા કે કેસ જીતવા પૂરતો નથી, પરંતુ લેખની સાથે સાથે એ વાતો ગળે ઉતરે એ રીતે સમજાવવાનો તેમનો યત્ન પણ અનોખો થઈ રહે છે. આવા સુંદર વૃતાંત અને વિચાર બદલ હાર્દિકભાઈને અભિનંદન.


મધુબન ખુશ્બુ દેતા હૈ….! – મુર્તઝા પટેલ 19

હિન્દી અંગ્રેજી ગીતો વિશે લગભગ બે-એક વર્ષ પહેલા પોસ્ટ કરી હતી, એ સમયે આવી ઘણી પોસ્ટ મૂકવાની ઈચ્છા થતી, પરંતુ એ અંગત વિચારને વાચકવર્ગ પર ઠોકી બેસાડવાની ઈચ્છા ન થતી, એટલે ત્યાં અટકાવી દીધું હતું. મુર્તઝાભાઈએ ફરી એ જ ઘા ખોતરી આપ્યો છે એ બદલ તેમનો આભાર માનવો જોઈએ… આજે પ્રસ્તુત છે એક સદાબહાર હિન્દી ગીત વિશે તેમના હટ’કે વિચારો, અને સાથે ગીત તો ખરું જ.


તસ્મૈ શ્રી ગુરવે નમ: – હર્ષદ અને હરેશ દવે 8

શ્રી હર્ષદભાઈ દવે અને તેમના મોટાભાઈ હરેશભાઈ દવે રાજકોટમાં હતાં ત્યારે શ્રી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા, જેનું તેમને આજે પણ ગૌરવ છે. તે હાઈસ્કૂલના આચાર્ય હતા શ્રી જયંત આચાર્ય. થોડાક દિવસો પૂર્વે જ ગુરુપૂર્ણિમાનો પાવન દિવસ ગયો, એ નિમિત્તે તેમને એક ભાવાંજલિ આપવાનો અહીં હર્ષદભાઈ અને હરેશભાઈએ નમ્ર પ્રયાસ કર્યો છે કારણ કે શ્રી જયંતભાઈ આચાર્ય વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા, અર્વાચીન યુગના ઋષિ અને પ્રખર કેળવણીકાર એવા શ્રી આચાર્યને આ લેખ ગુરુપૂર્ણિમા પર ભાવાંજલિ રૂપે પ્રસ્તુત કર્યો છે. શ્રી હર્ષદભાઈ દવેને અનુવાદક, કવિ તથા લેખક તરીકે અક્ષરનાદના વાચકો ઓળખે જ છે, તેમના મોટાભાઈ શ્રી હરેશ દવે પત્રકાર છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર.


ઈ-પુસ્તકો અને ગુજરાતી પ્રકાશન – જિજ્ઞેશ અધ્યારૂ 13

નવનીત સમર્પણ સામયિકના જુલાઈ ૨૦૧૨ના અંકમાં મારો ઈ-પુસ્તકો અને ગુજરાતી પ્રકાશન અંગેનો લેખ પ્રસિદ્ધ થયો છે. એ લેખ આપ સૌના વાંચન માટે ઉપલબ્ધ છે. વૈશ્વિક પ્રકાશન ઉદ્યોગ અને ઈ-પ્રકાશનના આંકડાઓ તથા ભારતીય અને અંતે ગુજરાતી પ્રકાશન ઉદ્યોગની ઈ-પ્રકાશન તરફની નિરસતાને આલેખવાનો પ્રયત્ન અત્રે કર્યો છે. જે ઉદ્દેશથી આ લેખ પ્રસ્તુત થયો છે એ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચે એ જ તેની સાર્થકતા.


જૅન બાપ્ટિસ્ટ તાલેઉને શોધવા માટે એક ટહેલ…

આજની પોસ્ટ કોઈ સાહિત્યિક કૃતિ નથી, પરંતુ એક માતાપિતાને તેમના પુત્રને શોધી કાઢવામાં મદદ કરવાના હેતુથી લખાઈ છે. વિશ્વભરના અનેક દેશોના સાયકલ પ્રવાસે નીકળેલા શ્રી જૅન બાપ્ટિસ્ટ તાલેઉ ફ્રેન્ચ સાયકલસવાર હતા, અને ૨૦૦૭માં તેઓ એ સાયકલસવારી દરમ્યાન જ ભારતમાં ગુમ થઈ ગયા. આ પોસ્ટ ફક્ત તેને શોધી કાઢવામાં મદદ કરવાના હેતુથી મૂકી છે. આ પોસ્ટનો મૂળભૂત આધાર ડોમિનિક હોલ્ટજેનનો ઈ-મેલ છે.


ઉમાશંકર જોશીની કાવ્યકણિકાઓ…. 5

ઉમાશંકરભાઈની સુંદર પદ્યરચનાઓમાં પ્રગટ થતી તેમની સર્જનશક્તિ જાણીતી છે. પણ એ કદી ચાતુકિત કે ચતુરાઈમાં નથી સરી પડતી. એમાં ક્યાંક અંતરની દીપ્તિ અને પ્રીતિને સ્પર્શ રહ્યો હોય છે. એમની પ્રદ્યરચનાઓના વિશાળ સંચયમાંથી આજે પ્રસ્તુત છે કેટલીક કણિકાઓ.


ખુશી… (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ 14

અક્ષરનાદ પર નિમિષાબેનની આ સતત છઠ્ઠી ટૂંકી વાર્તા છે અને એક ગૃહિણી સર્જક તરીકે, સમાજજીવનની સામાન્યતમ બાબતોને પાત્રો અને કહાનીઓમાં વણી લઈને પ્રતિબિંબ બતાવવાની તેમની આગવી વિશેષતા તેમની સહજ પ્રસંગો ધરાવતી વાર્તાને સુંદરતા અને વિશેષતા બક્ષે છે. બાળમજૂરી વિશે આપણામાંથી કોણ અજાણ છે, આપણામાંથી ભાગ્યે જ કોઈ એવા હશે જેમણે આસપાસ મજૂરી કરતા ભૂલકાંઓ નહીં જોયા હોય. સંવેદનશીલ નિમિષાબેને એક નાનકડા છોકરાની ફટાકડા ફોડવા જેવી સામાન્ય ઈચ્છાની વાતને પ્રસ્તુત વાર્તામાં ધ્યેય સહ તેમણે વણી છે અને એ દ્વારા તેઓ સુંદર સંદેશ પણ આપી શકે છે. આવા સુંદર અને ઉપયોગી વિષયને અપનાવવા બદલ તેમનો ખૂબ આભાર.


૧૦ ઘટનાઓ જેથી દુનિયા બદલાઈ… – પી. કે. દાવડા 13

શ્રી પી. કે. દાવડા એક રીટાયર્ડ સીવિલ એંજીનીયર છે અને હાલમા અમેરિકાના કેલીફોર્નિયામાં ફ્રીમોન્ટમાં રહે છે. ૭૬ વર્ષની ઉંમર હોવા છતાં અભિવ્યક્તિની તેમની ધગશને લઈને તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી લખે છે. અક્ષરનાદ પર આ તેમનો દ્વિતિય લેખ છે, છેલ્લા થોડાક વર્ષોના લેખનના મહાવરાએ તેમની કલમને ઔદાર્ય મળ્યું છે જે તેમના લેખમાંથી સુપેરે અભિવ્યક્ત થાય છે. આ લેખ થોડા અલગ પ્રકારના વિષયને સ્પર્શે છે. વીસમી સદીના છેલ્લા દસ વર્ષમાં દુનિયામાં ઘણાં મોટા પરિવર્તનો આવ્યા છે, અનેક અવનવી શોધ અને અનોખી સગવડો ઉભી થવાને લીધે વિશ્વના લોકોની રહેણીકરણીમાં – જીવનપદ્ધતિમાઁ એટલો મોટો બદલાવ આવ્યો કે જાણે આખી દુનિયા જ બદલાઇ ગઈ હોય એવું લાગે. આપણે એક એક કરીને એવા વેબવિશ્વના – કોમ્પ્યૂટર ક્ષેત્રના મહત્વના દસ બનાવ પર નજર નાખીએ. શ્રી દાવડા સાહેબનો પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.


હરીની હાટડીએ મારે… – પિંગળશી ગઢવી, આસ્વાદ : જીજ્ઞેશ અધ્યારૂ 16

શ્રી પિંગળશી ગઢવીની આ રચના આપણા ગામઠી સમાજની ભાષામાં સહજ રીતે શ્રદ્ધાનો વિસ્તાર દર્શાવતી અનોખી કૃતિ છે. વિચારતા લાગ્યું કે કવિ કેવી સરળ રીતે ઈશ્વર સાથેના સતત સંસર્ગને, તેના પરની શ્રદ્ધાને વર્ણવી જાય છે? ઈશ્વરને ભજવામાં, તેને સ્મરવામાં કોઈ બંધન હોતા નથી, પછી તે સમયના હોય, સ્થળના હોય કે ઈશ્વરસ્મરણની રીતના હોય. અમારી કાઠીયાવાડી ભાષાનો શબ્દ હટાણું, જેનો અર્થ થાય છે બજારકામ અથવા ખરીદી અને હાટડી એટલે ગુજરી બજારમાંની નાનકડી દુકાન. અહીં કવિ આ શબ્દોને ઈશ્વર સાથે કેવી રીતે સાંકળી લે છે? તેઓ કહે છે કે હરીની હાટડીએ તેમને કાયમ ખરીદી કરવા જવાનું હોય છે. હરિ તે કંઈ દુકાન ખોલીને બેઠા છે, ત્યાં તે કાંઈ ખરીદી હોતી હશે? હરીની હાટડીએ હટાણું કરવા જઈએ અને ભક્તિ – શ્રદ્ધા – આસ્થા – સમર્પણ – ત્યાગ જેવુ નાણું નથી એ ગ્રાહક આવી મહાન હાટડીએથી પણ ખાલી હાથે જ પાછો ફરે છે.


ખણખોદ…. ફરી એક વાર (૧૩) – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ 14

ખણખોદના સંકલનો સમયાંતરે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરતો રહું છું, કેટલાક હસાવે છે, કેટલાક સ્મિત કરાવે છે તો કેટલાક વિચાર માંગી લે છે. અંગત મિત્રો અને સગાઓ આ ખણખોદ વાંચીને પછી રૂબરૂ મળે ત્યારે એ ફરીથી મને જ સંભળાવે છે, એવા લોકોને લાગતું હશે કે હું પેલા બાપુ જેવો છું જે એક જોક પર ત્રણ અલગ અલગ સમયે હસે છે. ચાલો હશે, હસે તેનું ઘર વસે અને ન હસે તેના ઘરે…..


ફૂંક વાગશે ફરી…. – પુષ્પાબેન વ્યાસ 6

કોઈ ગીત કે ગઝલ એટલી સુંદર કૃતિ હોય કે તેને વાંચતા વાંચતા ગાવાની ઈચ્છા થઈ આવે, એ મનમાં આપમેળે ગણગણાવા લાગે ત્યારે એટલું તો ચોક્કસ કે મનના વણજોયા તારને સ્પર્શતું એ ગીત કોઈક તો વિશેષતા ધરાવતું હશે જ. ગીતમાં કવયિત્રી સર્જનહાર પ્રત્યેની શ્રદ્ધાની વાત કહે છે. પ્રસ્તુત કૃતિમાં ક્યાંક રચનાકારને આધ્યાત્મિક જગત સાથે સીધો તર સંધાયો હોય એવી સંવેદના વાચકને થાય છે. પોતાના ભાવજગતમાં રહીને જે રચનાકારોની કૃતિઓ આપોઆપ ઉતરે છે તેમનો કૃત્રિમ રીતે કારખાનામાં બનતી વસ્તુઓની જેમ સર્જન કરતા સર્જકો કરતાં અંદાઝ સમૂગળો અલગ જ અનુભવાય છે. પ્રસ્તુત કૃતિ પણ જાણે આખેઆખી રચનાકારના માનસમાં ઉપસી હોય એવી સુંદર અને શ્રદ્ધાસભર છે.


હું અંધકાર : એક રહસ્ય – ગોપાલ સહર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 5

શ્રી ગોપાલ સહર ભીલવાડા, રાજસ્થાનના વતની છે, સુખડીયા વિશ્વવિદ્યાલય ઉદયપુરથી એમ.એ અને પીએચ.ડી કર્યા પછી તેઓ કપડવંજની શાહ કે. એસ. આર્ટ્સ અને વી. એમ. પારેખ કોમર્સ કોલેજમાં આચાર્ય છે. જેમ મૃત્યુ જીવનને પ્રતિષ્ઠિત કરે છે તેમ અંધકાર પ્રકાશને – શ્રી ગોપાલ સહર તેમના પુસ્તક “अंधेरे में चुपके से चांद” દ્વારા અંધકારનો પક્ષ મૂકે છે, પરંતુ એ તો ફક્ત પુસ્તકનો બાહ્ય પરિચય છે, આ પુસ્તક દ્વારા તેઓ માનવીય સંવેદના, સ્મૃતિ અને સ્વપ્નોને પ્રતિષ્ઠાપિત કરે છે. સર્જનના ક્ષેત્રમાં અભિવ્યક્તિનું આ અનોખું સ્વરૂપ છે તો એક ગદ્ય કવિતા તરીકે પણ શ્રી ગોપાલ સહરની પ્રસ્તુત રચનાઓનું સ્વાગત થવું જોઈએ. અક્ષરનાદને પ્રસ્તુત પુસ્તક ભેટ આપવા બદલ અને આ રચનાઓનો અનુવાદ કરી પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


તનુ ડોશી (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 6

અક્ષરનાદના કતાર (દોહા)થી વાચક મિત્ર શ્રી રીતેશભાઈ મોકાસણા મૂળ સાયલાના વતની છે, વિજ્ઞાનના વિદ્યાર્થી પણ સાહિત્ય પ્રત્યે પ્રીત અને કલમ ચલાવવાનો આનંદ. લખવાનો તેમનો પ્રયત્ન આજે ફરી એક વાર આપણી સાથે તેઓ વહેંચી રહ્યા છે. આ પહેલા અક્ષરનદ પર તેમની એક વાર્તા આવી ચૂકી છે. આજની તેમની કૃતિ વર્ણવે છે એક યુવતીની વાતને, એક ઉંમરલાયક – જેલમાં જ જીવન વીતાવીને વૃદ્ધત્વ પામેલી વૃદ્ધાની લાગણીઓ. અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે વધુ કૃતિઓ ઝરતી રહે એવી શુભકામનાઓ.


એક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ… 25

અક્ષરનાદ આજે એક અનોખા સીમાચિહ્ન પર આવીને આપ સૌની સમક્ષ ઉભી છે. ઈ-પુસ્તકની ડાઉનલોડ સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. એ અંગે અમારો રાજીપો અને ધન્યવાદ વ્યક્ત કરવાની આ તક ઝડપી લઈએ છીએ.


પરમાત્માની ભક્તિનું સાચુ સ્વરૂપ – વિનોદ માછી 2

ઘણા લોકો કહે છે કેઃ પરમાત્મા તો નિર્ગુણ-નિરાકાર છે તેથી તેમને જોઇ શકાતા નથી, પરંતુ આ વાત ઉચિત નથી.જેમ સાકાર શરીરમાં નિરાકાર તાવ થર્મોમીટરની આંખથી જોઇ શકાય છે, ન્યૂમોનિયા સ્ટેથોસ્કોપની આંખથી જોઇ શકાય છે..તેવી જ રીતે સદગુરૂ દ્વારા આપવામાં આવેલ જ્ઞાનથી કણ કણમાં પ્રભુ-૫રમાત્માને જોઇ શકાય છે. જોયા બાદ જ મનમાંની તમામ શંકાઓ સમાપ્તવ થાય છે અને વિશ્વાસ ઉત્પન્ન થઇ પ્રેમ પેદા થાય છે. શંકા અને અવિશ્વાસ પ્રેમના શત્રુઓ છે.તેના રહેતાં પ્રેમ સંભવ નથી.શંકા અને અવિશ્વાસની સમાપ્તિે પ્રભુ દર્શનથી જ થાય છે.પ્રભુના વિશેની શંકાઓ દૂર થતાં વિશ્વાસ વધવા લાગે છે અને પછી પ્રેમના શ્રીગણેશ થાય છે. આ પ્રેમ જ પ્રગાઢ બની ભક્તિ બને છે અને આ ભક્તિ દ્વારા જ માનવ પોતાના લક્ષ્ય્ને પ્રાપ્તક કરી લે છે.આનાથી સિધ્ધ થાય છે કેઃભક્તિનો આધારસ્તંભ સદગુરૂ જ છે.


કમાલની ત્રણ દીકરીઓ… – મનોહર ત્રિવેદી 5

ગઈકાલે ફાધર્સ ડે હતો. અત્યાર સુધી એક પુત્ર તરીકે જ આ દિવસને વિચારતા એ અનોખી વાતનો અહેસાસ જ ન થયો – ગઈકાલે મારી પુત્રીએ જ્યારે તેની મમ્મીના શીખવ્યા મુજબ ‘હેપ્પી ફાધર્સ ડે પપ્પા’ કહ્યું ત્યારે લાગણીઓની વાત અનોખી થઈ રહી. ‘તો પપ્પા હવે ફોન મૂકું’ જેવી સુંદર અને હ્રદયસ્પર્શી રચના આપનાર આપણા કવિ શ્રી મનોહર ત્રિવેદીની એક અનોખી રચના દીકરીઓ વિશે જ છે… કમાલુદ્દીન બદરુદ્દીન કાચવાલા અને તેની ત્રણ દીકરીઓ વિશેની આ રચના હ્રદયસ્પર્શી તો છે જ – પિતા માટે એ લાગણીની સફર છે…. અને આજે પ્રસ્તુત છે એ જ સફર મનોહરભાઈના શબ્દો સાથે અને આપણી લાગણીના ઉંડાણે.


ભિખારણનું ગીત – ‘ગની’ દહીંવાલા

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા એટલે આપણી ભાષાના સિદ્ધહસ્ત ગઝલકાર – ગીતકાર અને સાચા અર્થમાં એક ખુમારીસભર, અભિજાત્ય ટકાવી જીવનાર રચનાકાર. ગનીભાઈની ગઝલો તેમના ગીતો કરતાં વધુ પ્રચલિત થઈ, પરંતુ તેથી તેમના રચેલા ગીતોનું મૂલ્ય જરાય ઓછુ આંકી શકાય તેમ નથી. ભિખારણનું પ્રસ્તુત ગીત તેમના ઋજુ હ્રદય અને ઉંડી સહ્રદયતાની સાથે સાથે જમીનથી જોડાયેલ, વિટંબણાઓ વચ્ચેથી પસાર થઈને સર્જનની સરિતા વહેતી રાખનાર રચનાકાર તરીકેની તરીકેની તેમની છબીને વધુ પુષ્ટ કરે છે. ભિખારણની આંખના ઝળઝળીયાં અને તેના મુખેથી નીકળતાં ગીતના અમૃતનું સાયુજ્ય સુમ્દર ભાવચિત્ર ઊભું કરી આપે છે. એક બાજુ ભિખારણનું દારિદ્રય છે તો બીજી બાજુ ચિત્તનું સૌંદર્ય છે, એક તરફ ગરીબાઈની વાસ્તવિકતા છે તો બીજી તરફ ગગનગામી કલ્પનાનું ઉડ્ડયન છે. કવિએ બંને તથ્યોને જોડાજોડ મૂકીને આ ગીત રચ્યું છે.


કવિનું જાહેરનામું – ઉશનસ 1

એક કવિનું ગદ્ય પણ કવિતાસમું સુંદર અને મનોહર હોઈ શકે છે એ વાત પ્રસ્તુત કૃતિને વાંચતા જ સાબિત થઈ જાય છે, એ ગદ્ય હોય આપણા સિદ્ધહસ્ત કવિ શ્રી ઉશનસનું સર્જન જેનું માળખું કવિતાને લગતું હોય, વળી પાછો તેનો વિષય હોય એક કવિનું જાહેરનામું – તો તેની સુઘડતા, વિષય સંગતતા અને સુંદરતા વિશે કહેવુ જ શું? એક કવિ વિશ્વને પોતાનું જાહેરનામું સંભળાવે છે, તેની ઈચ્છાઓ અને આકાંક્ષાઓનું એ મૂર્ત સ્વરૂપ છે તો તેમાં કવિની સર્જન પ્રત્યેની સંતૃપ્તતા પણ સુપેરે ઝળકે છે.


હઝલાયન… – સંકલિત 7

હઝલ એ આપણો આગવો કાવ્યપ્રકાર છે, હાસ્યની સાથે ગઝલનું માપસરનું સંમિશ્રણ એક અનોખો આનંદ, મરકતું હાસ્ય અને છતાંય ગઝલની આભા અર્પે છે. હઝલરચના એક ખૂબ કુશળતા માંગી લેતી પ્રક્રિયા છે. ફુલછાબની દૈનિક રવિવારીય મધુવન પૂર્તિમાં ‘મહેકનો અભિષેક’ નામે પદ્યના માધ્યમથી ઝીલતાં અને એ ફોરમ ફેલાવતાં, સુંદર કટાર આપતાં કવિ શ્રી હર્ષદ ચંદારાણાની એ કટારના સુંદર લેખોનો સંગ્રહ ‘મહેકનો અભિષેક’ નામે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયો છે. આ સુંદર પુસ્તક અચૂક વસાવવા જેવો સંગ્રહ છે જેમાં અનેકવિધ ભાવોને સાંકળતી પદ્ય રચનાઓ અને તેમાંથી ઘણાંનો આસ્વાદ તેમણે કરાવ્યો છે. આજે પ્રસ્તુત છે તેમાંથી કેટલાક શે’ર જે અનેક ભિન્ન હઝલોમાંથી લેવાયા છે.


માતાનું ઋણ – સુરેશ દલાલ 18

આદરણીય શ્રી મફતકાકાએ તેમના દિવંગત માતુશ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતાને અંજલિ આપવા યોજેલ કાર્યક્રમમાં પૂજ્ય મોરારિબાપુના સાન્નિધ્યમાં શ્રી.હરીન્દ્ર દવે, શ્રી.સુરેશ દલાલ અને શ્રી.ગુણવંત શાહે આપેલ વકતવ્યમાંથી આજે પ્રસ્તુત છે શ્રી સુરેશ દલાલનું ‘મા’ વિશેનું સુંદર વક્તવ્ય.


થોડાક શે’ર… – સંકલિત 3

ફુલછાબ દૈનિકની રવિવારીય મધુવન પૂર્તિમાં ‘મહેકનો અભિષેક’ નામે પદ્યના માધ્યમથી ઝીલતાં અને એ ફોરમ ફેલાવતાં, સુંદર કટાર આપતાં કવિ શ્રી હર્ષદ ચંદારાણાની એ કટારના સુંદર લેખોનો સંગ્રહ ‘મહેકનો અભિષેક’ નામે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયો છે. આ સુંદર પુસ્તક અચૂક વસાવવા જેવો સંગ્રહ છે જેમાં અનેકવિધ ભાવોને સાંકળતી પદ્ય રચનાઓ અને તેમાંથી ઘણાંનો આસ્વાદ તેમણે કરાવ્યો છે. આજે એ પુસ્તકમાંથી મને ગમી ગયેલા કેટલાક બેનમૂન શેર અત્રે પ્રસ્તુત કર્યા છે.


ભોળાભાઈ પટેલ અને ‘ચિલિકા’નું વર્ણન – પ્રવીણભાઈ ઠક્કર

આપણી ભાષાના એક આગવા સર્જક, નિબંધકાર, વિવેચક અને અનુવાદક એવા શ્રી ભોળાભાઈ પટેલનું ગત અઠવાડીયે નિધન થયું, તેમના અનેક સર્જનોમાં વિદિશા (૧૯૮૦) એ તેમનો પ્રવાસનિબંધોનો આગવો સંગ્રહ. આ પુસ્તકનું મુખ્ય ક્લેવર પ્રવાસ નિબંધોનું છે. ‘વિદિશા’, ‘ભૂવનેશ્વર’, ‘માંડું’, ‘ઈમ્ફાલ’, ‘જેસલમેર’, ‘ચિલિકા’, ‘બ્રહ્મા’, ‘ખજુરાહો’, ‘કાશી’, ‘રામેશ્વરમ્’- એમ દસ સ્થળોનાં પ્રવાસ ઉપરાંત લેખકે પોતાના ગામનું ભ્રમણ પણ અહીં વર્ણવ્યું છે. વર્ણનોમાં અનેરુ તત્વ છે જે ચિત્રને આંખો સામે ખડું કરી દે છે. તેમના વર્ણનોમાં સૂક્ષ્મતા અને સૌંદર્ય ભારોભાર છે. તેમાંથી ચિલિકા’ ના વર્ણન અંગેની વાત શ્રી પ્રવીણભાઈ ઠક્કરે અહીં કરી છે. સદગતના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એ પ્રાર્થના સાથે આવો તેમને શબ્દરૂપી શ્રદ્ધા સુમન અર્પીએ.


બાળકોમાં શિક્ષણ દ્વારા સંસ્કાર – પી. કે. દાવડા 11

શ્રી પી. કે. દાવડા એક રીટાયર્ડ સીવિલ એંજીનીયર છે અને હાલમા અમેરિકાના કેલીફોર્નિયામાં ફ્રીમોન્ટમાં રહે છે. ૭૬ વર્ષની ઉંમર હોવા છતાં અભિવ્યક્તિની તેમની ધગશને લઈને તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી લખે છે. અક્ષરનાદ પર આ તેમનો પ્રથમ લેખ છે, છેલ્લા થોડાક વર્ષોના લેખનના મહાવરાએ તેમની કલમને ઔદાર્ય મળ્યું છે જે તેમના પ્રસ્તુત લેખમાંથી સુપેરે અભિવ્યક્ત થાય છે. શિક્ષણ પદ્ધતિના બદલાવના મૂળમાં રહેલ ખૂબ સામાન્ય પરંતુ અગત્યના ફેરફારો તેમણે સાવ બાળસહજ અને જાણીતા ઉદાહરણ દ્વારા સમજાવ્યા છે. ગુજરાતી ભાષાના શિક્ષણથી મળતી માટીની સુગંધ અંગ્રેજીના વ્યાપક પ્રભાવને લઈને નામશેષ – લુપ્ત થઈ રહી છે એ વાતની પ્રતીતી તેમના આ લેખને વાંચ્યા પછી, થયા વગર રહેતી નથી. આવો સુંદર લેખ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી દાવડા સાહેબનો આભાર અને અનેક શુભકામનાઓ.


મરીઝની ગઝલ… (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 15

હાર્દિકભાઈની અક્ષરનાદના વાચકોને સુપેરે ઓળખાણ છે, તેમની કૃતિઓને મળતા પ્રતિભાવ એ વાત સાબિત કરે છે કે તેમની કલમના અમારી જેમ અનેકો પ્રસંશકો છે. આજે પ્રસ્તુત છે હાર્દિકભાઈની કલમેથી નીતરેલી વધુ એક સુંદર વાર્તા, તેમની રચનાઓમાં બંધિયારપણું નથી હોતુ, વાર્તાના વિષયવસ્તુ પણ ચીલાચાલુ અને સામાન્ય ન હોતા અનોખુ હોય છે. મને લાગે છે ત્યાં સુધી તેમની વાર્તાઓ એક અનોખુ સ્થાન બનાવી શકે એટલી સદ્ધર અને સુઘડ હોય છે. આજે પ્રસ્તુત છે તેમની એક નવી રચના, અને વાર્તાનું નામ કદાચ તમને ગેરમાર્ગે ન દોરે એ માટે સ્પષ્ટતા કરી દઉં, કે મરીઝની ગઝલ શીર્ષક ધરાવતી આ એક ટૂંકી વાર્તા છે.


ભજનયોગ (ભાગ ૨) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ)

આજે આપના ડાઊનલોડ માટે પ્રસ્તુત છે ‘ભજનયોગ’ પુસ્તકનો બીજો ભાગ. ‘ભજનયોગ’, એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર વાતાવરણ ખડું કરી આપે છે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે. અક્ષરનાદ પર આ સુંદર પુસ્તક મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશ દલાલ અને તેની સોફ્ટ યુનિકોડ કોપી ઉપલબ્ધ કરાવી આપવા બદલ શ્રી અપૂર્વભાઈ આશરનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. અક્ષરનાદની ઈ-પુસ્તક પ્રવૃત્તિને મળેલું આ આગવું પીઠબળ છે. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ આ ભજનમિમાંસાના સુંદર સંકલનનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.


રે મન ! (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 10

અક્ષરનાદના કતાર (દોહા)થી વાચક મિત્ર શ્રી રીતેશભાઈ મોકાસણા મૂળ સાયલાના વતની છે, વિજ્ઞાનના વિદ્યાર્થી પણ સાહિત્ય પ્રત્યે પ્રીત ખરી. લખવાનો તેમનો પ્રયત્ન આજે સૌ મિત્રો સાથે તેઓ વહેંચી રહ્યા છે. તેમની કૃતિ વર્ણવે છે એક યુવતી પોતાના લગ્નની પહેલી રાત્રે પતિની રાહ જોવા દરમ્યાન મળેલી થોડીક ક્ષણોની વિચારધારા, એ પળોની લાગણીનું મિશ્રણ. અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે વધુ કૃતિઓ ઝરતી રહે એવી શુભકામનાઓ.


બે અછાંદસ – વિજય જોશી 1

વિજયભાઈનો પરિચય અક્ષરનાદના વાચકોને આપવાની કોઈ આવશ્યકતા નથી. અક્ષરદેહે આ પહેલા પણ તેઓ અક્ષરનાદ પર ઉપસ્થિત થયેલા છે જ, આજે ફરી એક વાર બે સુંદર અછાંદસ લઈને તેઓ આપણી સમક્ષ ઉપસ્થિત થયાં છે. પ્રથમ અછાંદસમાં જ્યાં તેઓ જો – તો ની વાતને એક અનોખા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે ત્યાં બીજી રચનામાં જીવનના મર્મને, તેની સાચી મહત્તાને સમજવાનો પ્રયત્ન કરતા જણાય છે. આવી સબળ કૃતિઓ તેમનું મોટું જમાપાસું છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવાબદલ શ્રી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


મીરાંબાઈ – લીલાવતી મુનશી 1

મીરાંનું જીવન અને કવિતા એ એક મહાપ્રયત્નનું પરિણામ છે. બાળપણથી જ મીરાંનું મન સંસારમાં રાચેલું નહોતું. અત્યંત પ્રેમભાવના વેગથી એની આંતરવૃત્તિ રંગાયેલી હતી. આ વૃત્તિ ભક્ત પિતામહને ત્યાં બાળપણમાં પોષાઈ. વૈધવ્યે એને જીવનમાં વણવાની તક આપી. મહારાણીપદ અને રાજકુળે એના સંસ્કારો વિકસાવ્યા અને પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમતા ટકવાની તાકાત અને માનેલા આદર્શનો સાક્ષાત્કાર કરવાનો ઉત્સાહ આવ્યાં અને આ બધાના પરિણામે એના વિકાસ પામેલા વ્યક્તિત્વે આદર્શની પાછળ આત્મસમર્પણ કરી ચિરંજીવતા મેળવી. મીરાંની કવિતા અને જીવનને એકબીજાથી જુદાં ન પાડી શકાય. એના જીવનરસના નિર્ઝરણમાંથી એની કવિતા બની છે. એના કવિતાના રસપ્રવાહમાંથી એનું જીવન રચાયું છે. અને એ બંને, એનું જીવન અને એની કવિતા એક બીજાથી એતલાં અભિન્ન છે કે એમને છૂટાં પાડતાં બંને સામાન્ય થઈ રહે. મીરાં વિશેની આવી જ વાત વિગતે શ્રીમતી લીલાવતી મુનશીએ કરી છે.