તત્ત્વમસિ : ૬ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 1
તેની ડાયરીમાં જે નથી તે પ્રસંગો મારે કહેવાના છે. તે, લક્ષ્મણ, બિત્તુબંગા – આ બધા આદિવાસી કેન્દ્રથી દૂર અરણ્યોમાં કામ કરતા હતા ત્યારે કેન્દ્રનું કામ યથાવત્ ચાલતું હતું. સુપ્રિયા ગામડાંઓમાં જતી, સ્ત્રીઓને તાલીમ આપતી. તેણે શાળાને પણ વ્યવસ્થિત કરી. છોકરીઓ કેન્દ્ર પર રહીને ભણી શકે તે માટેની સગવડ પણ થઈ. કાગળકામ કરતો ઝૂરકો સુપ્રિયા સાથે રહેતો.
સુરેનની સ્મૃતિમાં સંગીત-સમારોહ ગોઠવવાનો વિચાર સુપ્રિયાના મનમાં રમ્યા જ કરતો હતો. આ આખું વર્ષ તો બધાં છૂટાં-છવાયાં થઈ રહ્યા અને આયોજન થઈ ન શક્યું. આવતા વર્ષે તો સમારોહ ગોઠવવો જ છે તેવું વિચારીને તેણે ગણેશ શાસ્ત્રીને ત્યાં ચર્ચા ગોઠવી. ગુપ્તાજી અને તેમનાં મા પણ ગણેશ શાસ્ત્રીને ત્યાં આવ્યાં.