શ્રી 'જીગર' ધ્રોલવી પોએટ્રી સામયિકના કાયમ હઝારી વિશેષાંકમાં નોંધે છે, 'કાયમ સાહેબ સાંપ્રત સમયના એક ઉમદા ગઝલકાર છે, સાથોસાથ તેઓ કુરઆન – બાઈબલ – ગીતા વગેરે આકાશી કિતાબોના એક નોંધપાત્ર અભ્યાસી પણ છે. તેઓનું 1992માં પ્રગટ થયેલ ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ નું પુસ્તક બિનસાંપ્રદાયિકતાના શિલાલેખ સમું છે. આ પુસ્તક વાંચ્યા પછી એક ભાવકે પ્રતિસાદમાં લખેલું કે પાક મુસલમાન પણ ‘કાયમ’ હઝારી છે અને પવિત્ર હિન્દુ પણ ‘કાયમ’ હઝારી છે.' ઉપદેશ નહીં, પણ જાણે સંદેશ હોય તેવી ખૂબીથી સર્જકની કલમે રચનાઓની હેલી વરસાવી છે. આ સુંદર સંગ્રહ અક્ષરનાદને મોકલવા અને ભાવકોને રસતરબોળ કરવા માટે તેને ડાઉનલોડ વિભાગમાં મૂકવાની તક આપવા બદલ શ્રી ‘કાયમ’ હઝારી સાહેબને નતમસ્તક. આ આખું પુસ્તક આજથી ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.
વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ
મહાભારતના વનપર્વમાં યક્ષે યુધિષ્ઠિરને સવાલ પૂછ્યો છે કે આ વિશ્વનું સહુથી મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો છે -
अहन्यहनि भूतानि गच्छन्ति यममन्दिरम् ।
शेषा जीवितुमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥
ગીતાના આ જ બોધને લોકભોગ્ય બનાવીને કબીર સાહેબ લોકો સુધી પહોંચાડે છે, તેઓ કહે છે કે જે શરીર માટીમાં મળી જવાનું છે તેનું અભિમાન શા માટે કરવું? જે સંબંધો છે તે બધા શરીરને સાથે છે - આત્માને કોઈ સંબંધ લાગતો વળગતો નથી, મૃત્યુ બધા સંબંધોને છોડાવી દે છે. કબીરજી આમ સરળ પરંતુ બોધપ્રદ વાણીમાં ગહન વાત ખૂબ સહજતાથી કહી જાય છે.
ખાખ મેં ખપી જાના બંદા… – કબીરજી
‘જિપ્સી’ ઉપનામથી જેમણે 'અમાસના તારા' જેવું રમણીય ગદ્ય આપ્યું છે તેવા શ્રી કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા આપણી ભાષાના એક આગવા નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક અને અનુવાદક હતા. પ્રસ્તુત નિબંધલેખ 'અમાસના તારા' એ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. લેખક પોતાની માતાને અને તેમના મંગળસૂત્ર સાથે જોડાયેલા પોતાના સંસ્મરણો અને પ્રસંગવિશેષને ભાવપૂર્ણ હ્રદયે યાદ કરે છે. લેખકની કલમે લખાયેલા 'બા' એ નામમાં અને તેમના સ્મરણોમાં જ કેટલું વહાલ છલકાઈ જાય છે. આવા સદાબહાર નિબંધો જ આપણી ભાષાની અમૂલી મૂડી છે.
મંગળસૂત્ર – કિશનસિંહ ચાવડા
ચાર વરસની ઉંમરે જેમણે ચિત્રકળા માટે પૂરતો કાગળ મળી રહે એ માટે બગીચામાં કાગળ વાવ્યો હતો એવા કાગળના ઝાડની કલ્પના કરનાર બાળકવિ ખલિલ જિબ્રાન અગ્રગણ્ય કવિ - લેખક હતાં. આપણા દેશની આજની પરિસ્થિતિઓ જોઈને આજે મન થયું જિબ્રાનને યાદ કરવાનું. વિદેશી રોકાણ માટેનો રાજકારણીઓનો ઉત્સાહ, મંદીના વમળોમાં ઘેરાયેલ અર્થવ્યવસ્થા, ગરીબોની વધતી સંખ્યા અને સમાજવાદનો ઘોર પરાભવ, સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ, રાજકારણીઓ અને સત્તાધારીઓના વિશાળ ગોટાળાઓ અને આ બધી અવ્યવસ્થાઓ વચ્ચે મુંઝાયેલ, ઘેરાયેલ એક અદનો સામાન્ય માણસ. તેઓ કહે છે, 'Pity thy nation whose statesman is a fox, whose philosopher is a juggler and whose art is an art of patching and mimicking.' આ રચનાનો અનુવાદ / આસ્વાદ શ્રી મકરન્દ દવેએ કરાવ્યો છે, જાણે દેશ માટેની જિબ્રાનની વેદનાનો સાક્ષાત્કાર થયો હોય એવો સચોટ અનુવાદ તેમણે આપ્યો છે.
એ દેશની ખાજો દયા… – ખલિલ જિબ્રાન, અનુ. મકરન્દ દવે
2 એસ. એસ. પી. જૈન કોલેજ, ધાંગધ્રામાં શ્રી મહિમ્ન પંડ્યા ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ ગાંધી દર્શન કેન્દ્રના સંચાલક તરીકે પણ કાર્ય કરે છે. આ અન્વયે ગાંધીજી વિશે ચિંતન, મનન, અને ગાંધી વિચાર અધ્યયન જેવા વિષયો સાથે ચાર વર્ષથી વિષયાનુગત ચર્ચાઓ અને પરીક્ષાઓનું આયોજન થાય છે. ગત બીજી ઓક્ટોબરે અહીં ગાંધીદર્શન કેન્દ્ર દ્વારા ગાંધીજયંતીની ઉજવણી નિમિત્તે 'બાપુ - યુવાનોની નજરે ' વિષય પર એક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલું. સંગોષ્ઠિનો અહેવાલ આજે અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો સામાન્યતઃ આયોજનોનો અહેવાલ અક્ષરનાદ પર મૂકવામાં આવતો નથી, પરંતુ આ એક નવતર પ્રયત્ન છે ગાંધી દર્શન અને તેમની ફિલસૂફીને આજની પેઢી દ્વારા જ તેમની પોતાની પેઢી સુધી પહોંચાડવાનો. આવા આયોજનોને વધુ પ્રોત્સાહન મળે અને આપણા પોતાના મહાનુભાવોના જીવનમાંથી યુવાપેઢી ગ્રહણ કરી શકે એ હેતુથી અક્ષરનાદ પર આજે આ અહેવાલ પ્રસ્તુત થઈ રહ્યો છે.
‘બાપુ – યુવાનોની નજરે’ વિષય પર સંગોષ્ઠિ અહેવાલ
એક માંને પુત્રી તરફથી લખાયેલ પત્ર - પત્રરૂપે માં દીકરી વચ્ચેના સંબંધની એક અનોખી તાસીર અને સમજણ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવી છે પૂનાથી અક્ષરનાદના વાચકમિત્ર શ્રી ઉર્વશીબેન પારેખે. સંબંધોની સમજણ અને ન બોલાયેલા શબ્દોના અર્થો મન સુધી પહોંચે ત્યારે જ આવો માતા પુત્રીનો સંબંધ સંભવી શકે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેકો શુભકામનાઓ
એક માંને… દીકરી તરફથી… – ઉર્વશી પારેખ
8 આપણા સાહિત્યમાં પંચતંત્ર અને હિતોપદેશ જેટલું જ મહત્વ ઈસપની વાર્તાઓનું પાશ્ચાત્ય સાહિત્યમાં છે. ઈસુની છઠ્ઠી સદીમાં ગ્રીસમાં થઈ ગયેલ ઈસપ આમ તો ગુલામ હતો, અને પોતાના માલિકના બાળકોને ખુશ કરવા કહેલી, પણ વાઘ, સિંહ, શિયાળ, વરુ, ગધેડો અને અનેક અન્ય પશુ પક્ષીઓને વિવિધ વાર્તાઓમાં પાત્રરૂપે મૂકીને તેણે ફક્ત બાળકોને જ નહીં, મોટેરાંઓને પણ ગમે તેવી વાર્તાઓ રચી. આ વાર્તાઓ આજે પણ ખૂબ વંચાય છે. આજે પ્રસ્તુત છે ઈસપની આવી જ બે વાર્તાઓ.
ઈસપની બે બાળવાર્તાઓ …
અક્ષરનાદ દ્વારા ગત વર્ષે રજૂ કરાયેલ ચાલો ગઝલ શીખીએ શૃંખલા ઘણા મિત્રોને ઉપયોગી અને મદદગાર નીવડી છે એવો તેમનો મત છે. આવા જ એક વાચકમિત્ર છે શ્રી નરેશભાઈ સાબલપરા. તેઓ કહે છે, 'આપની જ લેખમાળા 'ચાલો ગઝલ શીખીએ' દ્વારા જે શીખવા મળ્યું તે થકી મળેલા ઉત્સાહથી ઘણા પ્રયાસો કર્યા અને મારી રીતે જે મને સારું લાગ્યુ તે આપને મોકલું છું. ઊંડાણથી છંદશાસ્ત્ર અને ઉચ્ચારણભારનો અભ્યાસ નથી એટલે ભૂલો થઈ હોય તો માફ કરશો..' આજે માણીએ તેમની એક સરસ ગઝલરચના જે મુક્તઝિબ બહેર - ગાગાગાલના આવર્તનમાં છે. અક્ષરનાદને આ રચના પાઠવવા બદલ શ્રી નરેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમને સર્જનની આ સફર માટે અનેક શુભકામનાઓ.
લ્હાય – નરેશ સાબલપરા
છેલ્લા ઘણા વર્ષોથી 'પાઠશાળા' ના અંકોમાં આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજશ્રીની કલમે પ્રેરણાદાયક, મનનીય અને સત્વશીલ અમૃતબિંદુઓરૂપી લેખનો દ્વારા વિચારશીલ સાહિત્યરસનું પાન કરી રહ્યા છે. 'પાઠશાળા' ના વિવિધ અંકોમાંથી તારવીને કેટલાક અમૂલ્ય અને બોધપ્રદ વિચારોનો નાનકડો સંગ્રહ પાઠશાળા પ્રકાશન વતી શ્રી રમેશભાઈ બાપાલાલ શાહ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ ગ્રંથનું એક એક પાનું નાનકડા પ્રસંગો અથવા વિચારબિંદુઓથી મઘમઘે છે, એક એક પાનું એક એક દિવસને વિચારવંતો બનાવી શકે એવો માર્મિક અને ગહન સંદેશ તેમાં અપાયો છે. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજના પ્રેરક વચનો અને દ્રષ્ટાંતોના આવા એક એક પાનાનાં અમૃતબિઁદુઓનો સંગ્રહ, 'હૈયાનો હોંકારો' હવે અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.
હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (ઈ-પુસ્તક ડાઉનલોડ)
જગતભરના કવિઓ, દ્રષ્ટાઓ, મનીષીઓએ માતાના મહિમાનું ગાન કર્યું છે. મા એટલે ફક્ત જન્મ આપનારી નહીં, મા એટલે માતૃભૂમી, માતૃભાષા એ સઘળું. આપણા મહાકવિ શ્રી ન્હાનાલાલે 'ઇન્દુકુમાર' ગ્રંથ (ભાગ-૧)માં માતાના મહિમાનું અદભુત સ્તોત્ર લખ્યું છે. કવિએ માતાને ગંગોત્રી અને સ્રષ્ટા સરિખડી કહી બિરદાવી છે. આજે પ્રસ્તુત છે માતૃવંદનાની આ અનોખી સ્તુતિ.
બ્રહ્માંડમાં બ્રહ્માંડકર્મી સરજનહારી કો હોય… – ન્હાનાલાલ દ. કવિ
7 અડાજણ, સૂરતના રહેવાસી શ્રી પંકજભાઈ એન સોનીએ અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા, 'ગોઝારા નીર' પાઠવી છે. સૂરતમાં આવેલા પૂરની કારમી યાદો એમાં ડોકાય છે તો એક પરિવારની પીંખાઈ જવાની ઘટના હૈયું હચમચાવી મૂકે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આશા છે તેમની કલમે આવી વધુ કૃતિઓ આપણને મળતી રહેશે. તેમને આભાર સહ શુભકામનાઓ.
ગોઝારાં નીર – પંકજ સોની
નાનકડી પણ ચોટદાર રચના એ એક સુંદર હાઈકુના લક્ષણ છે. મૂળે જાપાની કાવ્યપ્રકાર એવા હાઈકુ પોતાનું અર્થગાંભીર્ય લઈને આવે છે અને કવિ જે વાત ભાવક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે મૂકી જાય છે. અને એટલે જ હાઈકુનું સર્જન પોતાનામાં એક પડકાર છે. મૂળ વડોદરાના પણ ૪૦ વર્ષથી અમેરીકામાં સ્થાયી અને હવે નિવૃત્તિમય પ્રવૃત્તિશીલ જીવન અને કાવ્યમય પ્રકૃતિ સાથે આનંદ કરી રહેલા વિજયભાઈ ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં કાવ્યરચનાઓ લખે છે. તેમની રચનાઓમાંથી આજે માણીએ થોડાક સુંદર હાઈકુઓ. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર.
થોડાંક હાઈકુ – વિજય જોશી
13 વિનિપાત એ ધૂમકેતુ રચિત સમાજની પોતાની ઐતિહાસીક ધરોહરને વેડફી નાંખવાની અને એક અજાણ્યા પરદેશીએ તેને ઓળખીને જાળવવા દાખવેલ ઈચ્છાની વાત કરતી આગવી નવલિકા છે. પણ આટલું કહ્યા પછી એ પણ ઉમેરવું છે કે એ ફક્ત આવા વિષયવસ્તુ સાથેની એક સામાન્ય ટૂંકી વાર્તા નથી, એ વિષયવસ્તુ, સંવેદન, સર્જનની રચનારીતિ કે વર્ણન કૌશલ્યની દ્રષ્ટિએ અનોખી છે અને આપણી ભાષાના સર્વેશ્રેષ્ઠ સર્જનોમાં આગવું સ્થાન ધરાવે છે. શાળામાં પણ આ કૃતિ અમે ભણેલા એવું આછું યાદ આવે છે. ગુજરાતી શાળાકીય શિક્ષણમાં આવી અદ્વિતિય રચનાઓને સ્થાન મળ્યું છે એ ત્યારના વિદ્યાર્થીઓ માટે અનેરી આનંદની વાત હતી જે આનંદ અને માતૃભાષાનો પ્રેમ આજની 'અંગ્રેજી જનરેશન'ને મળતો નથી. આશા છે કે તેમને હાથવગા એવા આ આંતરજાળ દ્વારા તેમને આ આનંદની અનુભૂતિનો સાક્ષાત્કાર થઈ શક્શે.
વિનિપાત – ધૂમકેતુ
1 જે. કૃષ્ણમૂર્તિના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. થિયોસોફીકલ સોસાયટીના એન્ની બેસન્ટે કૃષ્ણમૂર્તિના વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો, જેમના મતે શ્રી કૃણમૂર્તિ વિશ્વ સમક્ષ સાચા જ્ઞાનનો પ્રચાર કરનાર વાહક બનવાના હતાં. વિશ્વભરમાં કૃષ્ણમૂર્તિ એક મહાન વિચારક અને ધાર્મિક શિક્ષક તરીકે આદર પામ્યા છે. તેમણે કોઈ પણ ધર્મ કે ફિલસૂફીને સવિસ્તાર સમજાવવાનો યત્ન નથી કર્યો, પરંતુ આપણને રોજીંદા જીવનમાં લાગૂ પડતી વાતો, હિંસા અને ભ્રષ્ટાચારના વ્યાપ સાથે જીવન જીવવા આડે આવતા વિઘ્નો અંગે તેમણે વાતો કરી. માનવજાતને ડર, ગુસ્સો અને દુઃખોથી મુક્ત થઈને જીવવાની જરૂરત પર ભાર મૂક્યો. કોઈ પણ ધર્મ કે રાજકીય ક્ષેત્રની વાત ન કરતા તેમણે એવા તત્વોને માણસજાતને વિભાજીત કરતા પરિબળો ગણાવ્યા. બહુ ઓછા વાચકો જે. કૃષ્ણમૂર્તિથી કે તેમના બોધથી પરિચિત હશે અને તેથી પણ ઓછા લોકોને એ ખબર હશે કે તેમણે એક સમયે કાવ્યો પણ લખ્યા હતાં. આજે તેમનું એક કાવ્ય - શાશ્વતીનું - સમજીએ. આ કાવ્યનો અનુવાદ શ્રી હર્ષદ દવે અને શ્રી ભારત કાપડિયાએ કર્યો છે જે 'નવનીત સમર્પણ' એપ્રિલ ૧૯૮૯ માં પ્રકાશિત થયો હતો.
અન્વેષણ – જે. કૃષ્ણમૂર્તિ, અનુવાદ : હર્ષદ દવે / ભરત કાપડીઆ
1 પ્રસ્તુત પુસ્તક 'પાંદડે પાંદડે જ્યોતિ', એ શ્રી મહેશ દવે દ્વારા સંક્ષેપ, સરળીકરણ અને સંકલન પામેલી અકેક પાનાની બોધપ્રદ અને સુંદર કથાઓનો સંગ્રહ છે. શ્રી મહેશ દવેની આ પુસ્તકોની શૃંખલા પાંદડે પાંદડે મોતી થી શરૂ થયેલી અને આ શૃંખલા ખૂબ પ્રચલિત થઈ વાચકો દ્વારા અનેરા પ્રેમ અને આદરને પામી છે. અક્ષરનાદ પર આ પુસ્તિકા ખૂબ લાંબા સમયથી મૂકાવા માટે તૈયાર હતી, પરંતુ અંગત મુશ્કેલીઓ અને છેલ્લા એક મહીના ઉપરાંતથી સમયની ભારે ખેંચતાણને પગલે તેની પ્રસ્તુતિમાં વિલંબ થયો. અગાઊ એ નવરાત્રી અને પછી દિવાળીના દિવસે મૂકવા માટે પ્રયત્ન કરેલો, પરંતુ ઈ-પુસ્તક સ્વરૂપ આપવામાં થયેલ વિલંબને પગલે તે છેક હવે પ્રસ્તુત થઈ રહી છે.
આ પુસ્તક અક્ષરનાદ પર મૂકવાની તક આપવા બદલ શ્રી મહેશ દવેનો ખૂબ ખૂબ આભાર. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો - પ્રેરણાદાયક અને બોધપ્રદ એવી આ કથાઓનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે (ઈ-પુસ્તક ડાઉનલોડ)
પ્રભુની અકળ લીલાનો કોઈ પાર પામી શક્તું નથી. ગર્ભમાં પોષાતા બાળકમાં જીવ ક્યાંથી આવ્યો અને મૃત્યુ પામેલા મનુષ્યનો જીવ ક્યાં ગયો તે કોઈ શોધી શક્યું નથી. તર્કથી પર એક અલગ વિશ્વ વસે છે જેમાં શ્રદ્ધાનું તત્વ સત્વશીલતા બક્ષે છે. નાનકડા એવા બીજમાંથી વટવૃક્ષ બનવાની આખીય ઘટના તાર્કિક રીતે ન મૂલવો તો શ્રદ્ધાની સીમાઓમાં વસે છે. લખમા માળીને પ્રભુની આવી અકળ લીલાનો અનુભવ થયેલો. તેમને આંતરવાણી ફૂટી નીકળી, તેમણે થોડા પણ સુંદર ભજનો રચ્યા. ઉપરના ભજનમાં લખમાજી પ્રભુની વિવિધ લીલાઓ અને કૃપાનું વર્ણન સરળ પણ અસરકારક ભાષામાં કરી જાય છે.
જેને દીઠે મારા નેણાં ઠરે – લખમો માળી
પૂર્વ આફ્રિકાના ઝાંઝીબાર ટાપુમાં મુસ્લિમ સલ્તનત, બ્રિટિશ શાસન અને હિંદુ સંસ્કૃતિના સંમિશ્રિત વાતાવરણ વચ્ચે ઉછરી, ભદ્રા વડગામાએ પોતાનું વ્યક્તીત્વ વિકસાવ્યું. મકેરેરે યુનીવર્સીટી કંપાલામાં બી.એ.ની ડીગ્રી મેળવી. લગ્ન પછી એડ્યુકેશન ડીપ્લોમા કરીને કેન્યામાં નવેક વરસ શીક્ષિકા રહ્યા બાદ તેઓ ૧૯૭૩માં યુ.કે. આવી વસ્યાં. અહીં તેમણે લાઈબ્રેરી સાયન્સનો અભ્યાસ કર્યો, લંડનમાં લઘુમતી પ્રજા માટે એક અનોખી લાઈબ્રેરી–સેવા શરુ કરી અને તે ક્ષેત્રે ત્રેવીસ વરસ કામ કરી એવોર્ડ પણ મેળવ્યો. પ્રસ્તુત પ્રસંગકૃતિમાં સર્જક એક નાનકડી ઘટનાને લઈને ઉપસતા તેમના વિચારોને બૃહદ પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. લંડનની બસના ઉપલા માળેથી મુસાફરી દરમ્યાનના નાનકડા અનુભવને એક અનોખો વિચાર વિસ્તારનો આયામ તેઓ આપે છે.
લંડનની બસના ઉપલા માળેથી મુસાફરી કરવી એટલે જીવવું – ભદ્રા વડગામા
રોન અચિસોનના એક અત્યંત સુંદર કાવ્ય, 'We will meet again' નો અનુવાદ શ્રી જયંતભાઈ મેઘાણીએ કર્યો છે, તેને શીર્ષક આપ્યું છે 'મળીશું'. અહીં વાત ક્ષુલ્લક કે સ્થૂળ મુલાકાતની નથી, એ વાત છે એક અનોખા મિલનની ચાહનાની, કયા મિત્રને અને ક્યારે મળવાની વાત અહીં કહેવાઈ છે એ સમજી શકે એટલા તો વાચકમિત્રો સુજ્ઞ છે જ. પ્રસ્તુત રચના બદલ આદરણીય શ્રી જયંતભાઈ મેઘાણીનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.
મળીશું… – રોન અચિસોન, અનુ. જયંત મેઘાણી
8 સિદ્ધાર્થભાઈ ભરોડિયા જાગરણ જંક્શન નામની વેબસાઈટ પર હિન્દીમાં બ્લોગિંગ કરે છે. વિવિધ વિષયો અને વિચારપ્રેરક લખાણ તેમની બ્લોગપોસ્ટ્સની મુખ્ય વિશેષતાઓ છે. આજે પ્રસ્તુત છે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિશેનો તેમનો સમાજ પાસેથી જવાબ માંગતો ચોટદાર લેખ. લાલ બહાદુર શાસ્ત્રી વિષે કેટલીક વાતો છે જે આપણે જાણતા નથી અને જાણવાના પણ નથી. એ વાતો જણાવાઈ નથી કે છુપાવી દેવાઈ છે? શાસ્ત્રી વિષે આપણે આપણા ભારતીય દ્રષ્ટિકોણ થી ઘણું સાંભળ્યુ, વાંચ્યુ છે. વિદેશીઓના દ્રષ્ટિકોણથી પણ જોઈએ.
લાલ બહાદુર શાસ્ત્રી વિશેની કેટલીક અજાણી વાતો – સિદ્ધાર્થ ભરોડિયા
શ્રી રસિક ઝવેરી ગુજરાતી પ્રવાસસાહિત્યમાં અનેરી ભાત પાડતી યાત્રા 'અલગારી રખડપટ્ટી' લઈને આવ્યા, આ રખડપટ્ટીની રોચક, ચોટદાર અને સરળ ભાષા તથા સહજ અનુભવોસભર પ્રવાસગ્રંથથી તેમની ગણના આગવા ગદ્યકાર તરીકે થવા માંડી. ત્યાર બાદ મુંબઈ સમાચારમાં તેમની કૉલમ 'દિલની વાતો' શરૂ થઈ. શબદની સાધના એ એક લેખકનું આંતરદર્શન છે. એ દરેક લેખકને, દરેક સર્જકને લાગુ પડે છે. સર્જનનું મુખ્ય કારણ કયું? નિજાનંદ કે બીજાનંદ? આ બાબત પર તેઓ અનોખી રીતે પ્રકાશ પાડે છે. સાહિત્યનો ખરો શબ્દ કોને કહેવાય તે તારવવાની આ મથામણ નવનીત પામે છે એવી એમની કલમની તાકાત છે.
શબદની સાધના – રસિક ઝવેરી
મુંબઈના અગ્રગણ્ય વિસ્તાર એવા મૂળજી જેઠા માર્કેટમાં ચંપાગલી નામના વિસ્તારમાં આશરે ઇ.સ. ૧૯૩૫માં શ્રી શિવશંકર પુરુષોત્તમ જોશીએ 'દિવ્યપ્રભા હિન્દુ લોજ' શરૂ કરી. એ લોજમાં ભાવનગર સ્ટેટના એક નાનકડા ગામડામાંથી મુંબઈ આવીને શ્રી મૂળશંકર પ્રેમજી જોશી નોકરીએ રહ્યા. મુંબઈ વસતા અમારા વડીલો યાદ કરે છે તેમ તેમના માતા-પિતા ઘણી વખત દિવ્યપ્રભા લોજમાં સાંજના સમયે મૂળશંકરભાઈના ભજનો સાંભળવા જતા. નાનપણથી માતાપિતા ગુમાવ્યા હોવા છતાં, સંસ્કારોને આધીન શ્રી મૂળશંકરભાઈએ અનેક ખ્યાતનામ ભજનોની રચના કરી છે જે આજે ભારતભરમાં - વિશ્વમાં ખૂબ ભક્તિભાવપૂર્વક ગવાય છે પણ તેના રચયિતાનું નામ ભાગ્યે જ કોઈને ખબર છે. 'શંભુ ચરણે પડી, માંગુ ઘડીએ ઘડી...', 'હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી...', 'છે મંત્ર મહામંગળકારી ૐ નમ: શિવાય ૐ નમ: શિવાય...', 'શું શું ગાવું શું ના ગાવું એમાં મન મારું મૂંઝાણું...', 'નારદ કહે છે નારાયણને વધ્યો ભૂમિ પર ભાર...', 'હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી...' જેવા કુલ ૬૩ ભજનો તેમના દ્વારા રચાયેલા છે. આજે પ્રસ્તુત છે તેમાંથી જ એક અનોખું ભજન... 'સદાશિવ આશરો એક તમારો...
સદાશિવ આશરો એક તમારો… – મૂળશંકર પ્રેમજી જોશી
11 વિ. સં. ૨૦૬૮નું આ નવુ વર્ષ આપ સૌને સફળતા, સુખ, આનંદ અને સંતોષ આપનારું બની રહે તેવી અનેક શુભકામનાઓ. વીતી ગયેલો સમય અનુભવોનું ભાથું આપતો જાય છે તો આવનારો સમય અનેક મનોરથો અને ઈચ્છાઓની પૂર્તિનો આશાવાદ લઈને આવે છે. પ્રભુ આપ સર્વેને આપની ઈચ્છિત સફળતા અને સુખ અપાવે તેવી પ્રાર્થનાઓ સાથે સૌ મિત્રોને નવા વર્ષના સાલમુબારક અને વડીલોના ચરણોમાં
નવા વર્ષના સાલમુબારક – સંપાદકીય
5 ઝવેરચંદ મેઘાણીનું એક ઓછું જાણીતું પણ અત્યંત ચોટદાર ગીત ‘છેલ્લી સલામ’ આજે સાંભળીએ. ગાંધીજીએ બ્રિટિશ સરકારના 1935ના કોમી ચુકાદા સામે અનશન આરંભેલું. ગોળમેજી પરિષદમાં ગયેલા ત્યારે તો તેમણે કહેલું જ કે, 'હરિજનોને તમે હિન્દુથી અલગ બેઠકો આપશો તો હું મારો જીવ હોડમાં મૂકીશ.' પણ બ્રિટિશ સરકારને એમ કે ગાંધીએ તો બીજા રાજકીય નેતાઓની જેમ પોલી ધમકી આપી હશે, એટલે હરિજનોને અલગ મતાધિકાર આપ્યો. અને બાપુ તેને બદલાવવા – મૂળે તો જેમાંથી આ પ્રશ્ન ઊભો થયો હતો તે હિન્દુઓનું માનસ બદલાવી અસ્પૃશ્યતા મિટાવવા — અનશન પર ઊતર્યા. એ અવસરે મેઘાણીએ સરજ્યું 'સો-સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે.' આ ગીત સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કવિના મતે સ્વતંત્રતા કે સ્વાધીનતા કઇ ચીજ છે. કવિએ એમાં ગાંધીજીના આરાધ્ય રામને પણ ઠપકો આપ્યો છે, ધર્મની ધજાવાળાને ફટકાર્યા છે, ગુસાઇ - મહંતોને સંભળાવવામાં પણ મણા નથી રાખી.
સો સો રે સલામુ મારા ભાંડુડાને… – ઝવેરચંદ મેઘાણી (Audiocast)
2 શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી 'ધૂમકેતુ' સર્જિત ગુપ્તયુગ નવલકથા ગ્રંથાવલીના ૧૩ ભાગ છે. તેમાંના ત્રીજા ભાગ, મગધપતિમાંથી ઉપરોક્ત કૃતિ લેવામાં આવી છે. ગુપ્તયુગ ગ્રંથાવલી - નવલકથાસમૂહના ત્રણ પુસ્તકો મેં વાંચ્યા છે. ઈતિહાસને વિગતે દર્શાવવાની ધૂમકેતુની વિશેષતા આ ગ્રંથોમાં ઉડીને આંખે વળગે છે તો ઈતિહાસની વાતોને ચડેલું નવલકથાનું ક્લેવર વિગતોને નિરસ થતાં બચાવે છે અને તેમાં રસ જળવાઈ રહે છે. મહારાજ બિંબિસાર, તેમનો પુત્ર અજાતશત્રુ અને મહાઅમાત્ય બ્રાહ્મણમંત્રી વર્ષકાર, તેમની નગરી રાજગૃહ, તેમની સામે પડેલું ગણતંત્ર વૈશાલી, વૈશાલીની નગરશોભિની આમ્રપાલી, શ્રમણ તથાગત ગૌતમ અને રાજતંત્ર તથા ગણતંત્રની વિવિધ બારીક વાતોનું તેમણે સુંદર આલેખન કર્યું છે જેથી આ સમગ્ર ગ્રંથસંગ્રહ એક ખજાનો બની રહે છે, અને તેને વાંચવાનું સૌભાગ્ય મને મળી રહ્યું છે. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયથી આ તેર ખંડોમાં વહેંચાયેલી વિશાળ ગુપ્તયુગ ગ્રંથાવલી મેળવી શકાય છે.
શ્રમણ ગૌતમની પાસે – ધૂમકેતુ
ગત મંગળવારે, તા. ૧૮ ઑક્ટોબરે મારા નાનીજીનું અવસાન થયું. બેએક મહીનાની ટૂંકી બીમારી બાદ તેઓ અવસાન પામ્યા તે પહેલા લગભગ પંદર દિવસ પહેલા જ અમે સપરિવાર તેમને મળેલા. કદાચ એ અસફળ લાગતી મુંબઈયાત્રાની આ સૌથી મોટી ઉપલબ્ધિ હતી. છેલ્લા દિવસોમાં તેમની યાદશક્તિ લગભગ નહિવત થઈ ગયેલી. આજે પ્રસ્તુત કરેલી આ રચના, ઈશ્વરને તેમના આત્માને અનંત શાંતિ અને મોક્ષ આપવાની પ્રાર્થના સાથે સમર્પિત.
મારો કર ધરની, હરિવર… – અરદેશર ખબરદાર
8 અંધ લોકોને ભાષા અને બ્રેઈલ સ્વરૂપે સંવાદનું એક માધ્યમ આપનાર લૂઈ બ્રેઈલની ઓળખાણની સાથે સાથે તત્કાલીન સમસ્યાઓને સાંકળી લઈને, જીવનના મૂલતઃ સારને રજૂ કરતી એક વાત અનોખા અને આગવા સ્વરૂપે રજૂ કરતી આ વાત અક્ષરનાદના વાચકમિત્ર શ્રી સિદ્ધાર્થભાઈ ભરોડિયાની કલમે અવતરી છે અને મિત્રો સાથે વહેંચવા માટે તેમણે એ પાઠવી છે.
અંધ ગુરુ – સિધ્ધાર્થ ભરોડિયા
શ્રીમદ ભગવદગીતાનો લોકભોગ્ય સારસ્વરૂપ અનુવાદ - સમજણ આપવામાં સ્વામી આનંદનો સિંહફાળો છે. ગીતા વિશે તો બીજું શું કહેવાનું શેષ છે? અને સ્વામી આનંદની કલમથી પણ આપણે અજાણ નથી. આજે પ્રસ્તુત છે શ્રી ગોપાલભાઈ પારેખ પ્રેષિત આ સ્વામી આનંદ દ્વારા પ્રસ્તુત લોકગીતા
લોકગીતા – સ્વામી આનંદ
પહેલાં ગઝલના વિષયોમાં ઈશ્વર, સુંદરી અને શરાબ એ ત્રણનો જ સમાવેશ થતો હતો. પરંતુ હવે વિષય-વૈવિધ્ય વધ્યું છે. શ્રી હર્ષદભાઈ દવેએ એક પ્રાયોગિક ગઝલ મે ૧૯૮૫ માં લખી હતી જે આતંકવાદ અને તેના પરિણામોની વિભીષિકા દર્શાવે છે. આ એક 'અલગ' રચના છે જે આજથી પચીસ વર્ષ પૂર્વે 'રંગતરંગ' માસિકમાં પ્રકાશિત થઇ હતી. બીજી એક રચના 'અટાણે' પ્રાકૃતિક તત્વોમાં પણ 'બળિયાના બે ભાગ' જેવો ન્યાય હોય છે તે જુદી રીતે દર્શાવવાનો તેમનો પ્રયત્ન છે. નમતું હંમેશાં નબળાએ જ જોખવાનું આવે અને તેનું સમર્થન અન્ય સમજુ તત્વો જ કરે એ કેવું! અક્ષરનાદને પ્રસ્તુત બંને ગઝલો પાઠવવા અને રજૂ કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.
બે ગઝલ – હર્ષદ દવે
6 આદર્શો અને ધર્મ આજ્ઞાપાલનના દસ એવા બોધક સૂત્રો છે જે યહુદી ધર્મના મૂળભૂત સિદ્ધાંતો મનાય છે. યહુદી ધર્મ વિશ્વના પ્રાચીનતમ ધર્મોમાંનો એક મનાય છે. ખિસ્તી, ઈસ્લામ અને બહાઈ ધર્મ પર તેની અસર હોવાનું વિદ્વાનો માને છે. હિબ્રુ અને યહુદી એમ બંને બાઈબલમાં તેનો ઉલ્લેખ છે. આ દસ આજ્ઞાઓ સિનાઈ પર્વત પર પયગંબર મોઝેઝને કહેવામાં આવી હતી. મોઝેઝ સિનાઈ પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાતો રહ્યા હતાં જ્યાં તેમને દૈવી સાક્ષાત્કાર થયો હતો. ઈઝરાયેલના સંતાનોને મોઝેઝ દ્વારા પ્રભુની આ આજ્ઞાઓ પહોંચાડવામાં આવેલી. આ દસ આજ્ઞાઓ જીવનની મૂળભૂત બાબતોને સ્પર્શે છે. એ દસ આજ્ઞાઓ અને તેના અર્થો સહિતની વાત આજે અહીં રજૂ કરી છે.
યહુદી ધર્મની દસ આજ્ઞાઓ – અનુ. જીજ્ઞેશ અધ્યારૂ
આજે એક સાથે ચાર વાચકમિત્રો દ્વારા પાઠવવામાં આવેલી પાંચ રચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે. વડોદરાના શ્રી કમલેશભાઈ વ્યાસનું સર્જન વતન મારું ઘવાયું છે' દેશપ્રેમની ભાવનાઓનો અનોખો ચિતાર છે, શ્રી હસમુખભાઈ યાદવ દ્વારા રચિત 'તે છે ગઝલ' ચાર શે'રની સુંદર ગઝલ છે. જનકભાઈ ઝીંઝુવાડિયાની કાવ્યરચનાઓ આ પાહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, તેમની બે નવી રચનાઓ આજે પ્રસ્તુત કરી છે અને અંતે શ્રી યોગેશભાઈ ચુડગર દ્વારા પાઠવવામાં આવેલ ધર્મ અને વિજ્ઞાન એ એક અનોખી સરખામણીઓની હારમાળા સર્જે છે. આમ આજે વિવિધરંગી સર્જનોની વાછટમાં વાચકોને મહાલવાનો અવસર મળશે.





