ભગવાનનું કયું રૂપ શ્રેષ્ઠ – સગુણ કે નિર્ગુણ? – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1
પ્રથમ શ્લોકમાં પુષ્પદંત મહારાજે બધા જ પ્રકારની મર્યાદાઓથી પર રહેલા પરમાત્માની સ્તુતિનો મંગલ પ્રારંભ કર્યા બાદ બીજા શ્લોકમાં તે જ વિષયને અલગ રીતે જુદા શબ્દોમાં વર્ણવતા જણાવે છે કે શાસ્ત્રના શબ્દો પણ ઈશ્વરની મહિમાનું ગાન કરવામાં અસમર્થ છે. શાસ્ત્રમાં પણ આ વિષયની ચર્ચા કરવામાં આવી છે. વાસ્તવમાં સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એવા શબ્દો શાસ્ત્ર પ્રયોજે છે. અહીં પ્રશ્ન એવો થાય કે શું ખરેખર આવા બે બ્રહ્મ કે બે ઈશ્વરો છે કે જેની વચ્ચે આપણે એકની પસંદગી કરવાની છે? ખરેખર એવું નથી. ઈશ્વર તો એક જ છે. જો બે ઈશ્વર હોય તો તેને ઈશ્વર જ કેવી રીતે કહેવાય? બે ઈશ્વરના અર્થ થાય છે કે બન્ને ઈશ્વર એક બીજાને મર્યાદીત કરે છે અને જે મર્યાદીત હોય તેને ઈશ્વર કહી જ ન શકાય. વાસ્તવમાં એક જ ઈશ્વર છે જેને બે સ્વરૂપે જોવામાં આવે છે.