ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર – ક. મા. મુનશી (હાસ્યલેખ) 4
કનૈયાલાલ મુનશીને આપણે તેમની ઐતિહાસીક પાત્રો અને ઘટનાઓને આલેખતી કેટલીક અમર કૃતિઓને લઈને ઓળખીએ છીએ. ગુજરાતનો નાથ હોય કે પ્રૃથિવિવલ્લભ કે પછી જય સોમનાથ હોય, ક. મા. મુનશીની કલમની એ પ્રસાદી આપણા સાહિત્યને તત્કાલીન રસિકોથી લઈને આવતી પેઢીઓ સુધી વહેંચવા મળેલો ખજાનો છે, પરંતુ તેમની કલમની હાસ્યલેખનમાં હથોટી બતાવવા આ એક લેખ જ પૂરતો છે. “રા. નાનાલાલની કવિતા પર તો મારો કાબૂ અપ્રતિમ છે, કારણ કે આજકાલ તો તેવી કવિતાના ઑર્ડર ઘણાં આવે છે”, “માસિક પત્રોમાં લેખો નહીં હોય અને પાનાં વધુ દેખાડવાં હોય તેને બહુ રુચિકર લાગે છે, કારણકે કાવ્યની એક પણ લીટી ત્રણ શબ્દોથી વધતી નથી.” કે “કવિતા લખવાનું શાસ્ત્ર મેં એવું નિયમસર અને સાયન્ટિફિક પાયા પર મૂક્યું છે, કે પંદર દિવસની મહેનતથી ગમે તેવો ગધેડો પણ સારામાં સારી ગુજરાતી કવિતા લખી શકે છે.” જેવા અનેક વાક્યોની મૂડી સાથેની પ્રસ્તુત વાત કવિ બનવા માટેનું પ્રશ્નપત્ર ઉકેલવાના અપેક્ષિત પ્રશ્નોના સચોટ ઉત્તરો છે.