Daily Archives: January 15, 2009


ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ 20

કનકાઈ અને ગીર વિસ્તાર જંગલ ભ્રમણ દરમ્યાન આ વખતે અમે થોડાક મૂળભૂત મુદ્દાઓ સાથે નીકળ્યા હતાં. અમારા પ્રયત્નોની સફળતા વિશે કોઈ ખાત્રી ન હોવા છતાં અમે એ કરી જોવા વિચાર્યું. એક રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાહેબ પણ અમારી સાથે હતાં અને તેમનો અમને ખૂબ સહયોગ મળ્યો જેમના વગર આ કરવું અશક્ય થઈ જાત. મૂળ મુદ્દા હતા : ગીર વિસ્તારમાં વસતા માલધારીઓ (નેસમાં રહેતા) ની તકલીફો જાણવી નેસમાં રહેતા લોકોની સંસ્કૃતિની આછી પાતળી ઝલક મેળવવી, અને રહેણી કરણી જાણવી કનકાઈ મંદિરમાં રાત્રી રોકાણનો પ્રતિબંધ છે, તેના કારણો શોધવા અને જંગલ તથા કુદરતી સૌંદર્ય અને સિંહ જોવા આ અંતર્ગત પ્રથમ બે મુદ્દાઓની ચર્ચા અત્રે કરી રહ્યો છું. અમરેલીના વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્રી વિપુલભાઈ લહેરી અમારી સાથે હતાં. તેમના અને આર.એફ.ઓ સાહેબના સહયોગથી નેસ વિશે, માલધારીઓ વિશે અને તેમની સંસ્કૃતિ વિશે ઘણુંય જાણવા મળ્યું. ધારી તરફથી વન વિભાગની રેન્જમાં દાખલ થઈએ તેવા તરતજ જમણી તરફ એક વૃધ્ધ યુવાનનું ઘર આવે છે. વૃધ્ધ યુવાન એટલા માટે કે બોંતેર વર્ષની ઉંમરના એ વડીલના બત્રીસેય દાંત હજી સલામત છે, તેમની સ્ફૂર્તી ભલભલા યુવાનોનેય શરમાવે તેવી છે અને તેમની મહેમાનગતીમાં કાઠીયાવાડી સંસ્કૃતિનું અનેરૂં પ્રતિબિંબ પડે છે. નેસની શરૂઆત હોવાને લીધે અને વનમાં હોવાને લીધે તે વડીલનું ઘર જંગલના મુલાકાતીઓ અને વન વિભાગના કર્મચારીઓની અવરજવરથી ઘમઘમતું હોય છે. તે રસ્તેથી પસાર થતાં કોઈ પણ મુલાકાતીને એ ચા પાયા વગર જવા દેતાં નથી. અને એકલા દૂધની એ ચા ક્યાંય પણ પીધેલી ચ્હા કરતા અનેરા સ્વાદની છે જેનું વર્ણન કેમ કરવું? અમને સાત જણાને આવેલા જોઈ તે ખુશ થઈ ગયા. વિપુલભાઈ એ પૂછ્યું કે વસ્તારમાં શું છે? તો તે વડીલે કહ્યું કે તેમના દીકરાને […]