જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૧-૧૨) 2
ફોનની રીંગ સાંભળી સરિતા બેન રિસીવર તરફ ગયાં. આજે એમણે ઘણા દિવસથી ગુમસુમ રહેતા વ્હાલસોયા પુત્ર નિલયની ભાવતી રસોઈ બનાવી હતી. ફોન ઉપાડી પોતાના લાક્ષણિક લહેકામાં હલ્લો બોલ્યાં. ફોન પર થયેલી વાતથી જાણે એમના પગ તળેથી જમીન ખસી ગઈ. અનુષાએ સગાઈ ફોક કરી હતી!
અનુષાએ વારંવાર વિચાર્યું હતું, એક તો નિલય દ્વારા થયેલ બળજબરી, ત્યારબાદ નિલય માટે એનો બદલાયેલો અભિગમ અને બીજું પોતાની સંપૂર્ણ સ્વસ્થ હોવાની તબીબી ખાતરી પછી એ કદાચ નિલયને પરણે તો ભવિષ્યમાં એની દયા ખાઈ પરણી હોય એવું લાગે. જે કદાચ નિલયને પણ ન ગમે. આવા માનસિક દ્વંદ્વ બાદ એણે નિર્ણય કર્યો. અસમંજસમા કેટલીય રાતો ગઈ અને ત્યાં અચાનક વાસંતી વાયરાની જેમ મંદારનું આગમન થયું. એને મનોમન રંજ હતો નિલયની પરિસ્થિતિ માટે, પણ એ માટે એ ખુદ જવાબદાર નહોતી.