દીપિકાબા ઝાલાવાડના ઉભરતા નવલકથાકાર છે, વ્યવસાયે પ્રાથમિક શિક્ષિકા એવા દીપિકાબા બાળકોના મનોભાવોને વાચા આપવામાં અને લોકોના જુદા જુદા મનોભાવોનું વિશ્લેષણ તથા આલેખન કરવામાં રસ ધરાવે છે. સાહિત્યસર્જન વડે સમાજમાં વ્યાપેલા દૂષણો અને કુરિવાજો દૂર કરવાનો તથા હકારાત્મકતા પ્રસરાવવાનો તેમનો ઉદ્દેશ છે. અક્ષરનાદ પર દીપિકાબા પરમારની સર્જનયાત્રાની શરૂઆતથી કૃતિઓ પ્રસ્તુત થતી રહી છે. આ તેમની પ્રથમ નવલકથા છે અને એમાંથી પસાર થઈએ તો ટૂંકી વાર્તા લખવાનો તેમનો અનુભવ કામે લાગ્યો છે એ દેખાઈ આવે. નવલકથાનું પૂર્વાર્ધનું એક પ્રકરણ પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.
નવલકથાની શરૂઆતમાં એક વાક્ય છે, ‘માતા વગરના ઘરમાં ઊછરેલી નવ્યા હવે સાસુ વગરના ઘરમાં આવી પહોંચી હતી.’

“આ ખરેખર મારા માટે આઘાતજનક છે અને તમે જે કહી રહ્યા છો એ જો ખરેખર સત્ય હોય તો તમે કેટલાય માણસોની લાગણીઓ સાથે છળ કર્યું છે. તમે તમારા પિતાને સ્પષ્ટ ના પાડી હોત તો આપણા બંનેની જિંદગી બગડી ના હોત. તમારા અને મારા પિતાની લાગણીઓ દુભાશે અને બંનેને દુઃખ થશે.”
“કોની લાગણી દુભાશે અને કેવી રીતે દુભાશે એ બધું બધાંએ લગ્ન પહેલાં વિચારવું જોઈતું હતું અને તમે મને દોષી શા માટે ઠેરવી રહ્યા છો? તમને એટલી જ ફિકર હોય તો લગ્ન પહેલાં તમારે મારી સાથે વાત કરવી જોઈતી હતી. જિંદગી બગડી છે એવું લાગતું હોય તો તમે આ જ ક્ષણે ના પાડીને મને મુક્ત કરી શકો છો.”
“બિલકુલ નહીં. લગ્ન સંબંધ તમારા માટે મજાક હોઈ શકે છે, મારા માટે બિલકુલ મજાક નથી. આપણે બંને પતિ-પત્ની છીએ એ વાત હવે હકીકત છે.”
“હું તમારી વાતથી બિલકુલ સહમત નથી, હું તો મુક્ત જીવ છું. બંધાઈને રહેવું એ મારી તાસીર નથી. તમે ડૉક્ટર છો એટલે સમજદાર તો હશો જ, વધારે કંઈ કહીશ નહિ. મારો રસ્તો હું ટૂંક સમયમાં કરી લઈશ.”
પહેલાં જ દિવસે થયેલી વાતો પૂર્વદીપ માટે ખરેખર આઘાતજનક હતી. કોઈ સ્ત્રી પર બળજબરી કરવાનું કે એની લાગણીઓ દુભવવાનું કામ તો એ સ્વપ્નમાં પણ ન કરી શકે. સમય-સમયનું કામ કરશે એમ વિચારીને એણે મન વાળી લીધું, પરંતુ નવ્યાનું મન ન વળ્યું. એણે નવ્યાની કાળજી લેવાનું શરૂ જ રાખ્યું. એને વિશ્વાસ હતો કે એના સંયમ તેમજ સૌજન્યશીલ વર્તન વડે એક દિવસ તો એનું મન પીગળશે જ.
એ નવ્યાની ઝીણામાં ઝીણી બાબતોની કાળજી રાખતો. પહેલાં દિવસે પૂર્વદીપે એને પોતાની પત્ની તરીકે તું કહીને સંબોધન કરેલું, જ્યારે નવ્યાએ પોતાના પક્ષે આ સંબંધની હકીકત સ્પષ્ટ કરી ત્યારે એણે એના માટે માનવાચક સંબોધન શરૂ કર્યું, જ્યાં સુધી એ પોતાને એના પતિ તરીકે ન સ્વીકારે ત્યાં સુધી આમ કરવું જરૂરી હતું.
બંને પિતા-પુત્ર સવારે વહેલા ઊઠતા, નાસ્તો બનાવતા, બપોરની રસોઈ પણ બનાવતા અને બધું કામ આટોપતા. નવ્યા રૂમમાં એકલી રહેવાનું પસંદ કરતી માટે પૂર્વદીપ ટિફિન લઈને જતો, જેથી જમવા માટે ઘેર ન આવવું પડે. બંને પિતા-પુત્ર શુદ્ધ દેશી રસોઈ જમતા, પરંતુ નવ્યા માટે ચાઇનીઝ, પંજાબી કે ઇટાલિયન વાનગીઓ અવારનવાર લાવતા. કંઈ ને કંઈ કારણ શોધીને પૂર્વદીપ એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો રહેતો, એને હંમેશાં નિરાશા સાંપડતી છતાં પણ પ્રયત્નો મૂકતો નહીં.
આવો જ પ્રયત્ન એણે એક દિવસ કર્યો હતો, “નવ્યા, તમે ચાહો તો હવે આગળ અભ્યાસ શરૂ કરી શકો છો. હમણાના વર્ષોમાં મેડિકલ વિભાગમાં ખૂબ ઉજ્જ્વળ ભવિષ્ય છે.”
*હું અહીં મારો આખો અવતાર ગાળવા આવી નથી અને તમારે પતિ હોવાનો હક્ક જતાવવાની પણ જરૂર નથી. મારે આગળ શું કરવું છે એ હું નક્કી કરીશ આપશ્રીએ ચિંતા કરવાની જરૂર નથી.” નવ્યાના મોંમાંથી નીકળતા એક-એક શબ્દમાં કડવાશ ઝરતી હતી. પૂર્વદીપ ધીરજ રાખીને એ કડવાશ ગળા નીચે ઉતારતો જતો હતો. તેને વિશ્વાસ હતો કે પોતાના વાણી અને વર્તનની મીઠાશ વડે તેની કડવાશ એક દિવસ જરૂર દૂર થશે.
માત્ર સ્ત્રીઓએ જ આખા ઘરનું કામ કરવું જોઈએ એ બાબતમાં પૂર્વદીપ અને જશવંતલાલ બંને બિલકુલ માનતા ન હતા. એ બંનેની સમજદારીએ નવ્યાની સ્વચ્છંદતાને વેગ આપ્યો. એ બંનેની ઉદારતાને એ એમની નબળાઈ સમજી બેઠી હતી.
જશવંતભાઈ બધું જોઈ શકતા હતા અને સમજી શકતા હતા, પૂર્વદીપને ઘણી વાર કહેતા, “બેટા! એ સંપન્ન પરિવારની દીકરી છે. એણે ઘરકામ ક્યાંથી કર્યું હોય? હું આખો દિવસ ઘેર રહું છું અને વળી ફ્રી પણ હોઉં છું. ઘરકામ કરું છું તો શરીર પણ સારું રહે છે. એને કશું કહેતો નહીં, સમય જશે એટલે ધીમે-ધીમે બધું શીખી જશે.”
હકીકતમાં જે ચાલી રહ્યું હતું એ બાબતે જશવંતભાઈ અને પૂર્વદીપ બંને બધું સમજતા હતા છતાં પણ બધુ ઠીક થઈ જશે એવું એકબીજાને ઠસાવવાનો પ્રયત્ન કરતા રહેતા. માતા વગરના ઘરમાં ઊછરેલી નવ્યા હવે સાસુ વગરના ઘરમાં આવી પહોંચી હતી. એને દરેક વાતની છૂટ આપનાર એના પિતાએ એના લગ્ન તેમની જાતે એવા સમયે નક્કી કરી નાખ્યા હતા કે એના માટે એ બિલકુલ તૈયાર ન હતી. તેણે હજુ સુધી લગ્ન વિશે વિચાર્યું નહોતું, લગ્ન માટેનું પાત્ર જાતે પસંદ કરવા ઇચ્છતી હતી. એ ઇચ્છતી હતી કે પોતે કોઈ એવા યુવકને પસંદ કરે જે એની આકાંક્ષાઓ ઉપર સફળ નીવડતો હોય. એ પોતે પસંદ કરેલા યુવકની સાથે વાતચીત કરે, સાથે હરે-ફરે, સારો સમય વિતાવે અને પછી યોગ્ય લાગે તો લગ્ન અંગે નિર્ણય કરે એવું એણે વિચારેલું, પરંતુ પપ્પાએ તો તેને સીધો ઝટકો આપ્યો. એનો અહમ્ બરાબરનો ઘવાયો હતો અને એથી એનો ગુસ્સો પ્રગટ થઈ રહ્યો હતો, પરંતુ કઠિનાઈ હતી કે એના ગુસ્સાનો ભોગ નિર્દોષ પૂર્વદીપ અને એના પિતા બની રહ્યા હતા.
વિજયરાજ પોતાની દીકરીની ખામીઓ સારી રીતે જાણતા હતા અને એથી જ એ અવારનવાર પૂર્વદીપ સાથે વાત કરતા રહેતા,
“જમાઈસાહેબ, એક દીકરીને સાસરે મોકલતા પહેલાં જે શીખવું જોઈએ એ શીખવવા માટે એની માતા અમારા ઘરમાં હાજર નથી. છતાં પિતા તરીકે પૂરતા પ્રયત્નો કર્યા છે. અણસમજમાં મારી દીકરીથી કોઈ ભૂલ થઈ જાય તો માફ કરશો.” આવું એ ન કહે તોપણ પૂર્વદીપ એની દરેક ભૂલ માફ કરવાનો જ હતો, કારણ કે એ એને ચાહતો હતો.
પૂર્વદીપ એવા દરેક પ્રયત્ન કરતો કે જેનાથી નવ્યા ખુશ રહી શકે.
એ ઊઠે એ પહેલાં રૂમમાં તાજા ફૂલો મૂકતો, એના માટે અવનવી વાનગીઓ બનાવતો છતાં પણ એ તો એનાથી વિમુખ જ રહેતી. એ આખો દિવસ પોતાના ફોનમાં લાગેલી રહેતી, પોતાનો પતિ ક્યારે બહાર જાય છે અને ક્યારે આવે છે, શું ખાય છે, એ કોઈ બાબત તરફ એનું લક્ષ રહેતું નહીં.
હવે પૂર્વદીપની ધીરજ અને સહનશક્તિની કસોટી થવાનું ચાલુ થયું. નવ્યાના મિત્રો એને ઘેર પણ મળવા આવવા લાગ્યા, જાણે પૂર્વદીપનું અસ્તિત્વ જ ન હોય એવી રીતે નવ્યા પોતાના મિત્રો સાથે બેસતી-ઊઠતી. પૂર્વદીપ મોટું મન રાખીને એમની પાસે બેસીને વાતો કરવાનો પ્રયત્ન કરતો. પૂર્વદીપ આવીને બેસતો તો નવ્યા મિત્રોને લઈને રૂમમાં જતી રહેતી. એ બધું સમજતો પણ કંઈ બોલતો નહીં, એવી જ હાલત જશવંતભાઈની હતી. એમની સજ્જનતા અને શાલીનતા જાણે એમની નબળાઈ બની રહી હતી.
– દીપિકાબા પરમાર
પુસ્તક પ્રાપ્તિની વિગતો: પ્રકાશક – પરમાર દીપિકાબા, મો. 9662175043, મૂલ્ય રૂ. 329/-, ડિસ્કાઉન્ટ સાથે ફક્ત રૂ. 263/- માં..
Very Nice Begining of the Novel.