સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૮) 1


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૮)

મૂળ પુસ્તક – પુરાતન જ્યોત

પહેલા પ્રસ્તુત થયેલ ભાગ ૭થી આગળ…

Courtesy Jhaverchandmeghani.com

Courtesy Jhaverchandmeghani.com

‘મારી ઘોડી પર પલાણ મંડાવો.’ કાઠીરાજે હુકમ આપ્યો. પોતાના એક સ્વામીનિષ્ઠ સાથીને સાથે ચાલવા કહીને કાઠીરાજે ઘોડી હાંકી મૂકી. બંને ઘોડાં માર માર ગતિએ પરબવાવડી જગ્યાને માર્ગે ચડી ગયાં.

સીમાડો વટાવ્યો કે તુરત જ આગળની ગમથી એક શબદ બોલ્યો ‘સત દેવીદાસ!’ ‘સત દેવીદાસ!’

અંધકાર હોય છે ત્યાં શબ્દો પણ દેહધારીઓ બનતા દીસે છે. કોઈ અવાજ નિર્દોષ બાળકનું રૂપ ધરે છે, કોઈ ફૂંફાડતો સાપ બને છે, કોઈ કલ્લોલતા પક્ષી નો અવાજ કાઢે છે, કોઈ સખુન શુક્રના તારાની જ્યોત પ્રગટાવતો લાગે છે. તો કોઈમાંથી કેવડાના ફૂલની સુગંધ મહેકી ઊઠે છે.

અમરબાઇનો બોલ અંધકારમાં કોઈ બચ્ચું શોધતી છાળી (બકરી) જેવો લાગ્યો.

‘આ જાય! હાંક્યે રાખો !’ કહીને ઘોડીને જરાક ડચકારી.

બેઉ ઘોડીઓના ડાબલા ગીરકાંઠાની કાળી પોચી ભોમ ઉપર બોદા અવાજ કરતા હતા.

ફરીથી અવાજ આગળ એટલો ને એટલો સંભળાયો’ સ…ત દેવીદા…સ!’

‘હં, આ રહી. કરો ઝટ ભોળાં.’ કહીને કાઠીરાજે ફરીથી ઘોડીને ડચકારી લગામને સહેજ જ ડોંચી. તેજીલી ઘોડીને પૂરપાટ રેવાળની ચાલમાં નાખવાને માટે આટલો ઇશારો જ બસ હતો.’
અંધકારમાં ઘોડીઓ સન્મુખ, ડાબી ગમને જમણી બાજુ, વારંવાર કાનોટી માંડીને તાકતી જતી હતી. ને ઘોડીન આઁખોની તાક પધોરે બંને અસવારો પણ પોતાની ઝીણી આંખોને ખેંચતા હતા.

ડાબી બાજુએ સતવાળી નદીમાં દેડકાની દુનિયા ગાનના જલસા કરી રહી હતી. તી! તી! તી! અવાજ કરતું કોઈ બગલું એક ઠેકાણેથી ઊડી બીજે ઠેકાણે બેસતું હતું માછલીઓ અંધારામાં રંગબેરંગી હીરા જેવી ઝગમગતી હતી. છૈયા નાં ઘાસનો કેડ્ય કેડ્ય સમાણો જથ્થો ડાકુઓના જૂથની જેમ નદીનાં નીરને દબાવી સૂનમૂન ઊભો હતો.

‘આ તે શું?’ કાઠીરાજને જીવનમાં બહુ જ થોડાં જ વિસ્મયો માંહેલું એક વિસ્મય થયું ‘આટલીબધી એના પગની ઝડપ! ક્યારુની ઘોડા મોર્ય ચાલી જાય છે. દોડતી હશે કે શું? કે આડી અવળી તરી ગઈ હશે?’

જવાબમાં ધ્વનિ સંભળાયો ‘સત દેવીદાસ!

‘આ રહી નજીક જ’, એવા ઉલ્લાસમાં આવી જઈ અસવારે ઘોડી ને દબાવી. ઘોડી રેવાળની ચાલમાંથી બાદડુકમાં ગઈ.

અર્ધા ગાઉની એક દોટ પૂરી કરીને જ્યારે કાઠીરાજ શૂન્યમાં ઊભા થઈ રહ્યા ત્યારે પેલો અવાજ ખેતરવા જેટલો પછવાડેથી સંભળાયો ‘સત દેવીદાસ!’

‘વાંસે વળી ક્યારની રોકાઈ ગઈ, ગો…!’

‘ગોલકી’ શબ્દનો ઉચ્ચાર કરી એકવાર અધૂરો રહ્યો.

અસવારો થંભ્યા, સારી પેઠે વાર થઈ. કોઈ જ નહોતું આવતું.

‘ગઈ ક્યાં?’

એ પ્રશ્નનો ઉત્તર દેતો ધ્વનિ ફરીથી પાછો ખેતરવા આગળ જઈને ઊઠ્યો ‘સ..ત દેવીદાસ!’

અવાજની સંતાકૂકડીની રમત સારી પેઠે ચગી ગઈ. કાઠીના દિલમાં જે એક મધૂરી અધીરાઈ જાગી હતી તે કડવી કડવી બની ગઈ. એને રોષ ચડ્યો. એ ચતુર વર્ણનો પુરુષ, દોંગાઈ જેને એક વિદ્યા ની માફક વરી છે એવી, જગતનાં કંઈક હાટ-બજારોમાં ભ્રમણ કરતી સોરઠ ધરામાં ઊતરેલી કાઠી જાતિનો એ જાયો, પહેલી વાર ભોંઠો પડ્યો. વધુ દાઝ તો એને એટલા માટે ચડી કે પોતાની થાપ આપનાર એક સ્ત્રી હતી, એક વેરાગન હતી.

‘મેલી વિદ્યાને સાધી હશે ગો… એ? પાંખો કરીને એ વિદ્યાધરીની જેમ ઊડતી હશે?’

ગુંદાળીધાર વટાવી. પીપળિયું પન પાચળ મુક્યું. ધીરો એક દીવો ટમટમ્યો, ને ફરીવાર ત્યાં ધ્વનિ થયો. પગના ધબકાર પણ બોલ્યા ‘ઓ જાય! પણ આ તો એની જગ્યા આવી ગઈ! બચી ગઈ!

ઘોડીઓ જ્યારે જગ્યાની નજીક પહોંચી ત્યારે રસ્તાને કાંઠે એ ઊભી હતી. તારામંડળમાં તેજમાં એનો આકાર સ્વચ્છ દેખાયો. એણે મીઠો અવાજ કર્યો ‘સત દેવીદાસ! કોણ છો બાપુ?’

‘મુસાફરો છીએ.’

‘કેટલેક જાવું છે?’

‘જાવું’તું તો બીજે, રસ્તો ભૂલ્યા છીએ.’

‘કાંઈ ફીકર નહીઁ બાપા, રસ્તો ભૂલેલાંને માટે જ અહીં જ વિસામો છે.’

‘ક્યાં?’

‘સત દેવીદાસની ઝૂંપડીમાં. આવશો?’

અસવારોને ભાવતું તે જ જડી ગયું. ‘ભલે.’

‘ચાલો, બાપ.’

અમરબાઈએ કાથીરાજની બંને ઘોડીઓની લગામ ઝાલી દોરવા માંડ્યું. અસવારો ચૂપ રહીને દોરાતા ચાલ્યા. અમરે પુછ્યું ‘પછવાડે ઘોડા દોટવતા દોટવતા કોણ તમે જ આવતા’તા, ભાઈ?’

‘ક્યાં? ક્યારે ? ક્યાંથી?’ કાઠીરાજ થોથરાયો.

‘ઠેઠ બગેશ્વરીને સીમાડેથી.’

‘કોઈક બીજા હશે.’

‘જે હો તે હો, ભાઈ; પણ બાપડા કોણ જાણે શુંય ગોતતા’તા વગડમાં અંધારે ગોતતા કાંઈ ભાળ મળે નહીંને? ભેળો ભોમિયો નહીં હોય. ને પાછું આ તો ગીર વગડો, વીરા! ઘોડાં તૂટી જાય. હશે! કોઈ બચાડા અતિ વહાલી જણસની ગોતમાં જ નીકળ્યા હશે ને!’

એટલું બોલી અમરબાઈએ પાછળ નજર કરી. જગ્યાનો ઝાંપો આવી ગયો હતો, ઝાંખો દિવો ઝાંપે બળતો હતો. ઝાંખા પ્રકાશમાં બેઉએ એકબીજાને નિહાળ્યાં.

‘ઊતરો, બાપ!’ કહીને અમરબાઈએ ઘોડી થોભાવી દીધી.

કાઠીરાજ નીચે ઊતર્યો ત્યારે એનું દેહપરિણામ સ્પષ્ટ દેખાયું.

સૂરજમુખો, પાતલા સોટા જેવો, સિથિયનોનો વારસ, આભે રમતું, મસ્તક, આજાનબાહુ, જેના પૂર્વજોએ હિમાલયની અભેદ્ય પહાડમાળા વીંધી પંચસિંધુને તીરે મેખીઓ ચરાવી, જેંની માતાઓ યુરોપની સંસ્કૃતિમાંથી રાચરચીલાંની, ગૃહશોભાની ને દેહ સૌંદર્ય સમજવાની કળાઓ લઈ હિન્દમાં ઊતરી, જેની પત્નીઓ ચેક પંજાબમાંથી નીકળી સોરઠમાઁ ઊતરતાં પણ સંગાથે પોતાનાં લંબુસુરિલાં લોકગીતો હૈયાની દાબડીમાં સંઘરી રાખ્યાં, જેના પિતૃઓએ કોમના રંક તેમ જ રા’ને એક જ પંગતે જમાડનારી તેમ જ એક હોકે ધૂંટ લેવાની પરજપરંપરા સ્થાપી, જેન અરનશૂર વડવાને સૂર્યદેવ થાન પાસેના ડુંગરાની એક જાળ પાસે હાથો હાથ સાંગનું શસ્ત્ર બંધાવ્યું, ને જેની કોમે સોરઠમાં અઢાર તાંસળીઓ (કોમો) વચ્ચે રોટીબેટીના વ્યવહાર સ્થપાયાં.

એવી એક બહુરંગ જાતિનો રૂપાળો રસીલો જુવાન જે વેળા ઘોડીએથી ઊતર્યા તે વેળા વીસેક જીવતાં માનવક્લેવરો જગ્યાના ઓટા ઉપરથી ચિત્કાર કરી ઊઠ્યાં.

‘મા’તમે આવ્યાં ! ઝટ હાલોને મા ! બહુ ભૂખ લાગી છે. પેટમાં લાય લાગી છે.’

ત્રીજાએ કહ્યું ‘દેવીદાસ બાપુને ઓચિંતાનું ગામતરું આવ્યું ને અમે સાવ એકલાં પડી ગયાં, રાજના સપાઈસપરા કાંઈ હાકોટા કરી ગયા, માડી!’

‘બાપુ ગામતરે ગયા? ક્યાં ગયા?’ અમરબાઈએ ઝોળી ઉતારતાં ઉતારતાં પુછ્યું.

‘જૂનેગઢ તેડી ગયા. તલવારુંવાળા દસક જણ આવ્યા’તા.’

કાથીરાજ એ વખતે પરસાળપર ચડતો હતો. એ પોતાના સાથી તરફ ફર્યો. એનો હાથ સહેજ ઝીણી મૂછો ઉપર ગયો.

દીવાની જ્યોતને કોઈએ જાણે ચાબુક ફટકાર્યો હોય ને, તેવી રીતે એણે મરોડ લીધો.

અમરબાઈએ આજે પહેલી જ રાત દેવીદાસ વિનાની હતી. એના હદયમાં પહેલીવાર એક ઊંડી ફાળ પડી. દેવીદાસ નથી, અને એક જોબનજોદ્ધ પુરુષ અહીં રાત રોકાશે. શું થશે?’
નિત્યના નિયમ પ્રમાણે પંગત બિછાવી ને વચ્ચોવચ અમરબાઈ એ ઝોળી ઠાલવી, ત્યારે અતિથિઓ ઝીણી નજરે એ અન્નની ખબર લીધી.

પણ એ ખબર અધૂરી હતી. અધૂરી માહિતીને અમરબાઈ આ રીતે પૂરી કરી. ઝોળીમાંથી એક એક રોટલો અને ધાનનો લોંદો સર્વ જમનારાને દેખાડતી દેખાડતી પોતે કહેતી હતી કે ‘હરિનાં બાળા ! આ રોટી રામપરના ગામોટ-ઘરની, આ રોટલો ઘંટિયાળ ગામના ભરવાડનો દીધેલો, આ બગેશ્વરના ચમાર-ઘરનું બંટીનું ધાન, અને આ એક રોટલો–’ એણે રોટલાને ઊંચો કરી વધુ ચીવટથી તપાસ્યો.

‘હરિનાં બાળ ! આ એક રાજદરબારી રોટલો છે. હું એમાં કીડા ખદબદતા દેખું છું. કરણ કે એ ઘડનારીને મેં આજ નજરે દેખી. એના એક લમણા ઉપરથી વાળ ચાલ્યા ગયા હતા. મેં પૂછ્યું કે ‘આઈ લમણાંની લટો ક્યાં?’ એણે કહ્યું કે, ‘બળી ગઈ.’

મેઁ પૂછ્યું , ‘શી રીતે?’

એ કહે કે ‘ચૂલે રોટલા કરતાં કરતાં !’

મેં પૂછ્યું, ‘એમ કેમ બળે?’

એ કહે કે ‘ઝોલું આવી ગયેલું. રાતના ત્રીજે પહોરે દરબાર ડેલીએ દાયરો ભરીને કસુંબા ને દારૂની મેફલ કરતા’તા. મે’માનોને રોટલા ખવરાવવાનું બાકી હતું.’

‘હરિનાં બાળ !’ આ રોટલો ચમારના ધાન કરતાં ઊતરતો છે. એ આપણે નહીં ખાઈ શકીએ. એ આપણને જરશે જ નહીં , એ તો સમાશે આપણી ગવતરીના જ ઉદરમાં.’

‘હરિનાં બાળ!’ આજ આપણે જમવા પહેલાં એ કાઠીરાણીનાં દુ:ખને સંભારીએ. કહો સહુ, કે ભગવાન એનું ભલું કરજો!’

સહુએ કહ્યું ‘ભગવાન એનું ભલું કરજો!’ પછી જમવાનું શરૂ થયું.

પરસાળમાં બેઠેલા મહેમાને આ આખો પ્રસંગ સળગતાં સળગતાં સાંભળ્યો. પણ કિન્નાને માટે એની પાસે આખી રાત પડી હતી. એણે સાંત્વન ધર્યું.

(ક્રમશઃ)

– ઝવેરચંદ મેઘાણી

આ નવલકથાના બધા જ ભાગ સંગ્રહ કડી ‘સંત દેવીદાસ‘ પર ઉપલબ્ધ છે અને આવનાર ભાગ પણ જેમ જેમ ઉપલબ્ધ થતા જશે તેમ તેમ અહીંથી વાંચી શકાશે.

{અહીંથી પ્રસ્તુત કથા દરેક ઘટનાએ અમરમાંની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સંત દેવીદાસ સાથે રક્તપીતિયાંની સેવા કરવા આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ સંસારની સઘળી વ્યવસ્થાઓ અને સુખ ત્યજીને એ સમયે જે સાહસ દેખાડ્યું એ તેમના દ્રઢ નિશ્ચયનું દ્યોતક છે અને તેમના એ હ્રદયપરિવર્તનનું સચોટ વર્ણન શ્રી ઝવેરચંદ મેઘાણી અહીં આલેખી રહ્યા છે. સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી. સ્ત્રીઓના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ સોરઠી ઉદાહરણ વિલક્ષણ છે.}


આપનો પ્રતિભાવ આપો....

One thought on “સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૮)