સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૭) 2


સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૭)

મૂળ પુસ્તક – પુરાતન જ્યોત

પહેલા પ્રસ્તુત થયેલ ભાગ ૬થી આગળ…

Courtesy Jhaverchandmeghani.com

Courtesy Jhaverchandmeghani.com

બરછીને જોરે જમીનો દબાવી દબાવી કાઠીઓ ઠરીઠામ બેસતા હતા. જમીન ખેડનારા ધીંગા ખેડૂતો મળી જવાથી કાઠીઓ નવરા પડ્યા હતા. રજપૂતોની નકલ કરવા લાગેલા કાઠીઓએ પોતાના ઘરમાં ઓઝલ પરદા પેસાડ્યા. સૂરજના સ્વતંત્ર પૂજકો મટીને તેઓએ શિવ, વિષ્ણુ આદિ ઉજળીયાત જાતિઓના ઈષ્ટદેવોને સ્વીકારવામાં પોતાની ઈજ્જત માની હતી. ધર્માલયો દાનપુણ્યનાં ને સખાવતોના સ્થાન બની જાય છે ત્યારે એમાંથી મળતી પ્રતિષ્ઠાના પરદા પાછળ માનવી પોતાનાં હજારો પાપો છુપાવે છે.

બગેશ્વર ગામનો કાઠી જમીનદાર, જેનું નામ આપણે જાણતા નથી, તેની દેશભક્તિ ઉપર ઉજળિયાત વસ્તી મુગ્ધ બની હતી. બગેશ્વરના શિવલિંગની સામે દરરોજ એક પગે ઊભો રહીને એ દસ માળા ફેરવતો હતો. મહાશિવરાત્રિની શિવયાત્રામાં, શિવની પાલખીની આગળ આળગોટિયાં ખાતો ખાતો આખી વાટ મજલ કરતો.

ભિક્ષાની ટહેલ નાખતી અમરબાઈ કોઈ કોઈ વાર બગેશ્વર સુધી આવવા લાગી. પરબ – વાવડીના સ્થાનક ઉપર આશ્રિતોની ભીડ વધતી જતી હતી. સહુને પેટે ધાન પૂરવા માટે અમરબાઈનો ભિક્ષાપંથ લંબાયે જતો હતો. દત્તાત્રયના ધૂણાથી બગેશ્વર દસ ગાઉ હતું.

વગડા ખેડતી કેટલીક સ્ત્રીઓએ અને ગોવાળોએ એને ચેતાવેલાં કે ‘માતાજી, ભલાં થઈને એ દિશામાં જતાં નહીં. ત્યાં સ્ત્રીનું રૂપ રોળાયા વિના રહેતું નથી. વળી ત્યાં જનોઈવાળાઓનું અને કંઠીવાળાઓનું જોર છે.’

‘મને, ધરમની ગવતરીને કોણ છેડવાનો છે?’ એવું સમજીને અમરબાઈ નિર્ભય ભમતી હતી. પણ બગેશ્વરના કાઠીઓ વિશે એણે બહુ બહુ વાતો જાણી તે પછી એનું દિલ થરથરતું હતું.
પણ દિલ તો ઘોડા જેવું છે, એક વાર જ્યાં ચમકીને અટકે છે ત્યાં એ સદાય અટકે; માટે ડાહ્યો ચાબુક સવાર પોતાના પ્રાણીની ચમક પહેલે જ ઝપાટે ભાંગી નાખે છે.

અમરબાઈના આત્માએ પણ ચમકતા કલેજા ઉપર આગ્રહનો ચાબુક ફટકાવ્યો. એક દિવસની સાંજે બાગેશ્વરની શેરીઓમાં ‘સત દેવીદાસ’ નો સખુન ગુંજી ઉઠ્યો. તે વખતે સૂર્ય આકાશની સીમમાંથી થાકી લોથ થઈ ક્ષિતિજની નીચે જતો હતો. સજ્જનની વિદાય પછી પણ પાછળ રહી જતી સુવાસ જેવી સૂર્યપ્રભા હજુ પૃથ્વી પર ભભકતી હતી. થોડા જીવતરમાંય ઘણી ઘણી રમતો રમી જનારી સંધ્યા પણ હવે તો છેલ્લા શ્વાસ ભરતી હતી. તે વખતે બગેશ્વરનો પૂજારી બાવો દરબારની ડેલી તરફ ઝપાટાભેર ચાલ્યો. ને ત્યાં પહોંચી એણે લાલઘૂમ લોચનો ફાડી બગડેલી હિંદી વાણીમાં વરાળો કાઢી કે ‘કાઠી, તેરા સત્યાનાશ નિકલસે!’

‘શા માટે, ગુરુજી?’

‘વો નકલી મીરાંબાઈને સારા ગાંવકો ધર્મભ્રષ્ટ કર દિયા. ઘર ઘર ભીખતી ભીખતી વો અબ કહાં ચલી માલૂમ સે તૂંને?’

‘ક્યાં?’

’ચમારવાડેમેં, વહાં વો મુડદાલ માંસકી ભીખ લેસે.’

બગેશ્વરનો પૂજારી હજી તો પૂરું બોલી નહોતો રહ્યો, કાઠી દરબારના મોં પરની રેખાઓ હજુ પૂરેપૂરી કરડાઈ ધારણ નહોતી કરી રહી, ત્યાં તો નજીકમાંથી અવાજ આવ્યો, ‘સત…. દેવીદાસ!’
માઢ મેડીની બારીમાંથી કાઠીરાજે ડોકિયું કર્યું, જોગણને આવતી દેખી.

અંચળો નથી, ચીપીયો નથી, કાનોમાં કડીઓ નથી, ડોકમાં કંઠી નથી, માળા પણ નથી. ગેરુવા રંગમાં આછું રંગેલું ઓઢણ સંસારીની અદબથી ધારણ કર્યું છે, ને માથા પર કાળા કોઈ વાસુકિનાં બચળાંને મળતાં વેંત વેંત ટૂંકાં લટૂરિયાં છે. પૂર્વે ત્યાં એક આણું વાળીને પિયુઘેર જતી આહીરાણીનો ઘૂંટણે ઢળકતો ચોટલો હતો.

પૂજારી કાઠીરાજના ચહેરાને નિહાળતો હતો. એ ચહેરાની રેખાઓએ પહાડી ઝરણાંઓના પ્રવાહોની સુંવાળી રસાળી બંકાઈ ધારણ કરવા માંડી હતી.

અમરબાઈ કાઠીરાજની ડેલીમાં ક્યારે પેઠી, અને રામરોટી માગીને પછી ક્યારે બહાર નીકળી ગઈ તેનું ભાન કાઠીરાજને રહ્યું નહોતું. એ ભાન એને પૂજારીએ જ કરાવ્યું. ‘દેખ, તેરે ઘરમેં ભી ડાકણ જાઈ આવી.’

‘હેં! ગોલ..!’

કાઠીની ગાળોમાં પ્રિય શબ્દ, લાડકવાયો શબ્દ, સદાય જીભને ટેરવે રમતો શબ્દ ‘ગોલકી’ અથવા પુરુષવાચક ‘ગોલકીના’ એવો હતો. એ શબ્દમાં રમૂજભર્યો તિરસ્કાર હતો.

પણ એ શબ્દનો ઉચ્ચ્કાર કાઠીરાજના હોઠ ઉપર અધૂરો રહી ગયો. એ હોઠની નજીકમાં જોગણનાં વદનની કલ્પના છબી રમતી હતી. જીવનમાં પહેલી વાર કાઠીરાજને એવું એક માનવી જડ્યું, કે જેના પ્રત્યેનો અપશબ્દ પોતાની જીભ ઊંચકી ન શકી.

નીચે બેઠેલા ચોકીદારોને એણે હાક મારી, ‘કેમ એ બાવણને અંદરના વાસમાં જવા દીધી?’

માણસોએ જવાબ આપ્યો, ‘એણે અમારી રજા માંગી નહીં. એને અમે રોકવાનું કહી જ ન શક્યા; અમારી જીભ કોણ જાણે શા કારણે તાળવામાં ચોંટી રહી.’

‘એટલે? ડાચાં ફાડીને બધાં બસ એની સામે ટાંપી જ રહ્યાં? તમારા માંહેલા એંશી વરસના બુઢ્ઢાઓને ત્યાં શું જોવા જેવું રહી ગયું’તુ?’

માનવી જેને ચમત્કારોમાં ખપાવે છે એ બાબતો મૂળ તો આવી જ સીધી ને સાદી હશે કે? આત્માનું બળ જ્યારે એકઠું થઈને દેહ ઉપર ઝળેળી ઉઠે છે ત્યારે વાઘ વરુ જેવા મનુષ્યો પણ શું એ વિભૂતિના પ્રભાવથી દબાઈ નથી જતાં? પહાડ શા પડછંદ પુરુષો એકાદ દૂબળા અને ખૂબસૂરત દેહની પાસે અવાક બને છે, એનું શું રહસ્ય હશે? શ્રીકૃષ્ણે અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવવાની જરૂર જોઈ હશે એવું માનવામાં જ નથી આવતું. અર્જુન તો ચમક્યો, ધ્રુજ્યો ને નમ્યો હશે, એનાં સારથીના સાદા નાના માનવ સ્વરૂપની સામે. કેમ કે એ માનવી, એ મુરલીધર જીવન તત્વોનો સુંદર મેળ મેળવી શક્યો હતો. લાંબા લાંબા દાંત અને દાંતની વચ્ચે ચગદાતો અનંત માનવસમૂહ, એવું કશું જ દેખાડી અર્જુન શા મહાવીરને, પ્રજ્ઞ પુરુષને સ્તબ્ધ કરી દેવાની જરૂર નહોતી.

‘પૂજારી! તમે પધારો. હું એ વાતની વેતરણ કરી નાંખીશ.’

‘હા, નહીંતર તેરા નિકંદન નિકલ જાસે.’ એવી દમદાટી દેતો પૂજારી પાછો ગયો. ને પૃથ્વી ઉપર પૂરેપૂરા અંધારા ઉતરી ચૂક્યા.

(ક્રમશઃ)

– ઝવેરચંદ મેઘાણી

આ નવલકથાના બધા જ ભાગ સંગ્રહ કડી ‘સંત દેવીદાસ‘ પર ઉપલબ્ધ છે અને આવનાર ભાગ પણ જેમ જેમ ઉપલબ્ધ થતા જશે તેમ તેમ અહીંથી વાંચી શકાશે.

{અહીંથી પ્રસ્તુત કથા દરેક ઘટનાએ અમરમાંની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સંત દેવીદાસ સાથે રક્તપીતિયાંની સેવા કરવા આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ સંસારની સઘળી વ્યવસ્થાઓ અને સુખ ત્યજીને એ સમયે જે સાહસ દેખાડ્યું એ તેમના દ્રઢ નિશ્ચયનું દ્યોતક છે અને તેમના એ હ્રદયપરિવર્તનનું સચોટ વર્ણન શ્રી ઝવેરચંદ મેઘાણી અહીં આલેખી રહ્યા છે. સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી. સ્ત્રીઓના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ સોરઠી ઉદાહરણ વિલક્ષણ છે.}


2 thoughts on “સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૭)