પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ – દીપક સોલંકી 10


૧. ફરવા…

બાળકે પપ્પા સામે જીદ કરી, “મને આજે ફરવા લઈ જ જાવ…”

“બેટા, મારી પાસે ટાઈમ નથી, જો ને હજુ આ ટોમીને બહાર ફરવા લઇ જવાનો છે.” એમ કહીને પપ્પા ટોમીને ફેરવવા લઈ ગયા અને જતા જતા બાળકને વાંચવા બેસવાની સૂચના આપતા ગયા.

૨. સંદેશ

હરહંમેશની જેમ આજે પણ મોડા આવનાર વિશ્વેશ પર શંકા કરનાર પ્રિયાએ આજે તેની સાથે વાત કરી લેવાનું નક્કી કર્યું.

ફ્રેશ થવા ગયેલા પતિના મોબાઈલમાં આવેલ, “બ્લડ ડોનેશન કરી એક જીંદગી બચાવવા બદલ આભાર.” સંદેશો વાંચતા જ તેને પ્રેમથી ભીંજવી દીધો.

૩. દીકરી

પોતાના પિતાના ઘરે પ્રિતીને કાયમ દીકરી હોવાનુ મહેણું સહન કરવુ પડ્યુ હતું,

કાયમ સાપના ભારા તરીખે ઓળખાયેલી પ્રિતી આજે આજે ચોથા બાળક સ્વરૂપે ત્રણ દિકરા પર જન્મેલી દીકરીને રમડતા સંજયને જોઇ રહી, તેની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા.

૪. અનાથ

રચના માટે દુનિયા છોડવાની વાત કરતા સંજયને, તેના પપ્પાએ જો તેમની પસંદની છોકરી સાથે લગ્ન ન કરે તો તેને છોડીને – ઘર છોડીને ચાલ્યા જવાની ધમકી આપી.

એ ધમકીથી ડરીને પપ્પાએ પસંદ કરેલી છોકરી સાથે સંજયે લગ્ન કરી લીધા અને પ્રેગનન્ટ રચનાના આવનાર બાળકને અનાથ કરી મૂક્યો.

૫. સગર્ભા

પોતે કદી માતા નહીં બની શકે એવી ડૉક્ટરની વાત જાણ્યા પછી તેના ઘરવાળા દુઃખી થઈ ગયા પણ ચિંતામુક્ત થયેલી અવનીએ પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધો ચાલુ કર્યા…

થોડા સમયમાં અવનિના સારા દિવસો રહેતા ઘરમાં ખુશી પ્રસરી રહી, પણ… અવની દુઃખી થઇ ગઈ…

– દીપક સોલંકી

અમદાવાદમાં, અયોધ્યાનગર, ન્યૂ મણિનગર ખાતે રહેતા શ્રી દીપકભાઈ સોલંકીની અક્ષરનાદ પર આ પ્રથમ પ્રસ્તુતિ છે, અક્ષરનાદ દ્વારા જેને પ્રોત્સાહન અને મંચ મળ્યો છે એવા આપણી ભાષામાં વાર્તાસર્જનના માઈક્રોફિક્શન ફોર્મેટને અનેક નવોદિત લેખક મિત્રો મળી રહ્યા છે એ ખૂબ ઉત્સાહ અને આનંદની વાત છે. અક્ષરનાદ પર પ્રથમ કૃતિ આપી રહેલ દીપકભાઈનું સ્વાગત છે અને તેમની કલમને શુભકામનાઓ સહ અક્ષરનાદને આ માઈક્રોફિક્શન પાઠવવા બદલ તેમનો આભાર.


Leave a Reply to natwarlalCancel reply

10 thoughts on “પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ – દીપક સોલંકી

  • jacob

    ત્રણ દિકરા પર દીકરી આવી એટલે માબાપ હરખનાં આંસુ પાડે છે. પણ ચોથી દીકરી હોત તો ? હરખનાં આંસુ ત્રણ દીકરા પછી દીકરી થઇ એનાં છે !
    સગર્ભામાં પ્રશ્ન થાય છે કે ડોકટર ખોટા, ઘરવાળાં ખોટાં, અવની ખોટી કે અવનીનો બોયફ્રેન્ડ ખોટો કે આ બધી પળોજણમાં ઉતારનાર સમાજ ખોટો !!

  • natwarlal

    માત્ર પાનાઓ ભરી દેવાથી કે પ્રકરણો વધારી દેવાથી વાર્તા નવલકથા નથી બની જતી. વાર્તાનું હાર્દ જ તેને નવલ (નવી) કથા બનાવી દે છે

  • M.D.Gandhi, U.S.A.

    વાર્તાઓ બધીજ સુંદર છે, તેમાંયતે છેલ્લી વાર્તામાં તો એકદમ સસ્પેન્સ મુકેી દીધું છે…….
    સુંદર્……

  • dhaval soni

    ખુબ જ સુન્દર વાર્તાઓ, આપની બધી જ વાર્તા સરસ પ્રસ્તુત થઈ છે… મને દીકરી અને સગર્ભા બહુ જ ગમી…..