ભારતીય લેખનની પ્રાચીન કલામાં પત્રોનો ઉપયોગ – પૂર્વી મોદી મલકાણ 15


नाकरिष्यद्यदि ब्रह्मा लिखितं चक्षरत्तमम् ।
तत्रेयमस्य लोकस्य नाभविष्यच्छुभा गतिः ।।

અગર બ્રહ્માજીએ લેખન લિપિને પ્રગટ ન કરી હોત તો આ લોકની શુભગતિ ક્યારેય થઈ ન હોત. બ્રહ્માજીએ જે લેખનકલાને પ્રગટ કરી છે તે કલા અતિ પ્રાચીન માનવામાં આવી છે. આપણાં ઈતિહાસમાં કહે છે કે ત્યાં અભિલેખના શાબ્દિક અર્થની શરૂઆત બ્રહ્માજી દ્વારા થયેલી પરંતુ તેમને આ રીતે શાબ્દિક અર્થ લખતા કરવા માટે માતા સરસ્વતીએ પ્રોત્સાહિત કરી તેમને એક વાંસની લેખણી અને કમલ પત્ર આપેલ.

થોડા સમય પહેલા ફિલાડેલ્ફિયાના આર્ટ મ્યુઝિયમમાં કયા દેશની લેખન શૈલી પ્રાચીન છે તે વિશે એક કોન્ફરન્સ થયેલ આ કોન્ફરન્સમાં એક મત એવો હતો કે મેસોપોટેમિયા અને ઈજિપ્તની લેખનશૈલી સૌથી વધુ પ્રાચીન છે. જ્યારે અમુક લોકોનું મંતવ્ય એવું હતું કે ચાઇનીઝ લખાણ વધુ પ્રાચીન છે, અને અમુક લોકોનું માનવું હતું કે ઇન્ડિયન સંસ્કૃતિનું લખાણ સૌથી પ્રાચીન છે. ઇંડિયન સંસ્કૃતિના મતને માનનારામાં ડો. જોહન વેન્યુરી પણ હતાં. તેમનું કહેવું હતું કે ભારતનો ઇતિહાસ ૧૦,૦૦૦ વર્ષ જૂનો છે અને આ ઈતિહાસના અમુક પ્રૂફ પણ મળ્યાં છે પરંતુ ડો. જોહનની વાતને માનવા છતાં ન માનવામાં આવી તેનું કારણ એ કે ઈતિહાસકારોના મતે ભારતની આટલી પ્રાચીન સભ્યતાનું કોઈ લેખિત પ્રમાણ મળેલું નથી. આથી ફાઇનલ નિષ્કર્ષ એ નિકળ્યું કે ડેન્યુબે વેલીના (Danube Valley) લખાણને સૌથી પ્રાચીન માનવામાં આવ્યું, જે પથ્થરો પર અંકિત કરાયેલું છે. ડેન્યુબે વેલી બાદ બીજા નંબરે મેસોપોટેમિયા અને ઈજિપ્તનો આવ્યો ત્યારબાદ ત્રીજા નંબરે ભારતની પ્રાચીન લેખન શૈલી રહી. ઈજિપ્ત અને ભારત બંનેની સંસ્કૃતિ અતિ પ્રાચીન હોવા છતાં પશ્ચિમી જગત કેવળ ઈજિપ્તને જ પ્રાચીન માને છે. તેનું મુખ્ય કારણ આપતાં કહે છે કે ઈજિપ્તનો લિખિત ઇતિહાસ ૮૦૦૦ વર્ષ જૂનો છે જ્યારે ભારતનો લિખિત ઇતિહાસ કેવળ ૫૦૦૦ વર્ષ જૂનો છે. જો ભારતની લેખન શૈલી કેવળ પાંચ હજાર વર્ષ જૂની હોય તો તે સમય ભગવાન કૃષ્ણના સમયનો હતો પરંતુ જો કૃષ્ણનો સમય હોય તો તેનાથી પહેલા પણ ઉપનિષદો, સંહિતાઓ અને વેદોનું નિર્માણ થઈ ગયું હતું તો આ ગ્રંથોનો ઉલ્લેખ કેમ ન કરાયો તે એક સવાલ બની રહે. આ કોન્ફરન્સમાં રહેલા કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રો. એરિક ફોનેરનું માનવું હતું કે વેદોનું નિર્માણ એ આર્યો દ્વારા થયેલું હતું અને ઉપનિષદો, સંહિતા વગેરે રચાયા હતાં કે નહીં તેનું કોઈ લેખિત પ્રૂફ આપણી પાસે (ભારતીયો) નથી. પશ્ચિમી જગતની માન્યતા ભલે ખોટી હોય પણ તેમના હાથમાં જે કાંઇ સંશોધન આવ્યું તેનું આ પરિણામ હતું અને જો પ્રો. એરિકની વાત માનીએ તો ઋષિમુનિઓ દ્વારા લખાયેલા આપણાં પ્રાચીન ગ્રંથો ક્યાં ગયા? ખરી રીતે જોઈએ તો આપણે ત્યાં લખાણ તો હતું પણ એ લખાણ જેના પર હતું તે સામગ્રી આપણી પાસે ન હોવાથી આપણી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો પણ ખોવાઈ ગયો છે.

આજે આપણે સમય સાથે જે ખોવાઈ ગયા છે અને જેની ઉપર આપણી સંસ્કૃતિના અનેક પાનાઓ લખાતા હતાં તે વસ્તુઓ ઉપર આજે આપણે નજર કરીએ.

તાડપત્રો:-

તાડ એ નાળિયેરી, ખજૂરી ને સોપારીની જાતનું વૃક્ષ છે જેનું થડ ઊંચું હોય છે અને ઉપરની તરફ પાંદડા હોય છે. આ વૃક્ષના ફળ દેખાવમાં નાળિયેર જેવા હોય છે પણ અંદરથી પાણીને બદલે પાણીરૂપી રસ ધરાવતા ૩ થી ૪ ફળ નીકળે છે જેને આપણે તાડગોળા તરીકે ઓળખીએ છીએ. પ્રાચીન કાળમાં આ તાડપત્રોની મુખ્ય લેખન સામગ્રીમાં ઉપયોગ થતો હતો. તેનું કારણ એ હતું કે તાડપત્રોને સરળતાથી ઊધઈ લાગતી નથી આથી આ સૂકાયેલા પાંદડા ઝડપથી ખરાબ પણ થતાં નથી. છઠ્ઠી શતાબ્દીમાં લખાયેલ “કુરુદ ફલક”માં સ્પષ્ટ રીતે કહેલ છે કે તાડપત્રોનો ઉપયોગ વિશેષતઃ રાજદ્વારી કાર્ય હેતુસર થતો હતો. ચાઇનીઝ યાત્રી હ્યુ એન સાંગે પણ પોતાની યાત્રાના સંસ્મરણમાં કહ્યું છે કે ભારતમાં ગ્રંથો લખવા માટે તાડપત્રોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ તાડપત્રો ઉપર કોલસાને ઘસવામાં આવે છે ત્યારબાદ તેને પ્રથમ સુકવવામાં આવે છે ત્યારબાદ તેના ઉપર લખવામાં આવે છે ત્યારબાદ તેના બંને છેડાના ભાગમાં બે-બે કાણાં પાડી, એમાં દોરી પરોવવામાં આવે છે અને ઉપરથી ગાંઠ બાંધવામાં આવે છે, જેથી પાનાં છૂટા ન થઈ જાય. આ લખીને બંધાયેલ તાડપત્રોને “પોથીકા” ને નામે ઓળખવામાં આવે છે. નેપાળમાંથી આ પ્રકારની સ્કંદ પુરાણ, પરમેશ્વર તંત્ર, લંકાવતાર વગેરેની આ પ્રકારની પોથીકાઓ મળી આવી છે જ્યારે બંગાળ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પણ નવમી સદીની અને ત્યારપછીની સદીઑમાં બનેલી આ પ્રકારની પોથીકાઓ મળેલી છે.

ભૂર્જપત્રો:-

એક અનુમાન લગાવવામાં આવે છે કે ભૂર્જપત્રોનો પ્રયોગ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી શરૂ થયેલો હતો. ભૂર્જપત્ર એ ભૂર્ગ (બર્ચ) નામના વૃક્ષની અંદરની તરફની છાલ છે. આ ભૂર્ગ વૃક્ષો મોટેભાગે ઉત્તર ભારતમાં અને હિમાલયની પર્વતમાળામાં જોવામાં આવે છે. એલેકઝાન્ડરના સૈન્યમાં રહેલા કર્ટિયસે પોતાના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે વ્યાસ નદીની આ તરફ રહેલા લોકો અને પેલી તરફ રહેલા લોકો લેખન સામગ્રીના રૂપમાં આ વૃક્ષનો પ્રયોગ કરતા હતાં. કવિ કાલિદાસના કુમારસંભવમાં પણ લેખન સામગ્રીના રૂપમાં ભૂર્જપત્રોનો ઉલ્લેખ કરાયો છે. તાડપત્રોની જેમ ભૂર્જપત્રોને પણ બાંધીને તેની પોથીકા બનાવવામાં આવતી. મુગલકાળમાં બનેલ ભૂર્જપત્ર ઉપર અરબી અને ફારસી લિપિમાં લખવામાં આવતું હતું. આ સમયે ભૂર્જપત્રની પોથીકાની ઉપરના પત્ર ખરાબ ન થાય તે હેતુથી તેના પર ચામડાનું કવર ચડાવવામાં આવતું હતું. આ ભૂર્જપત્ર (પોથીકા) ઉપરની મોટાભાગની કોપીઓ ઇ.સ ૧૫મી સદી પૂર્વેની કોપીઓ મળેલ છે. પેરિસના લૂવ્રે મ્યુઝિયમમાં આસામી, મૈથિલી અને બંગાળી ભાષામાં લખાયેલ રામાયણના સુંદરકાંડની ભૂર્જપત્રની પોથીકા રહેલી છે.

કમલપત્રો:-

એક સમયે ભૂર્જપત્ર અને તાડપત્રોની માફક લેખન સામગ્રીમાં કમલપત્રનો પણ ઉપયોગ થતો હતો, પરંતુ ફર્ક માત્ર એટલો હતો કે કમલપત્રોની કોઈ પોથીકાઑ બનતી ન હતી. આ કમલપત્રો દ્વારા છૂટાછવાયા સંદેશાઑ મોકલાતા હતાં. માતા સરસ્વતીએ પોતાના પિતાને (બ્રહ્માજી) લેખન કરવા માટે પ્રોત્સાહિત કર્યા ત્યારે તેમને વાંસમાંથી બનાવેલી કલમ અને કમલપત્ર આપેલ હતું, વ્રજ સાહિત્યમાં જણાવેલ છે કે ભગવાન કૃષ્ણ પણ રાધાજીને પોતાનો સંદેશો પહોંચાડવા માટે કમલપત્રોનો ઉપયોગ કરતાં હતાં. જ્યારે મધ્યયુગમાં ગણિકાઓ આ પત્રોનો ઉપયોગ ધનિકો સુધી સંદેશ પહુંચાડવા માટે કરતી હતી.

તાંબુલપત્રો:-

લેખન સામગ્રીમાં તાંબુલપત્રોનો ઉપયોગ રાજા વિક્રમાદિત્યના સમયથી શરૂ થયેલો હતો તેવી એક માન્યતા છે. આ સમયે તાંબુલપત્રમાં ગુપ્ત સંદેશો મોકલાતો હતો તેમ વૈતાળ પચીસીમાં જણાવાયું છે. મુગલકાળમાં તાંબુલપત્રોનો જે ગુપ્ત સંદેશો હતો તેવો જ બીજો પ્રેમનો સંદેશ લખીને બાદશાહ સુધી પહોંચાડાતો હતો. પુષ્ટિ સાહિત્યમાં એક પ્રસંગ છે કે આચાર્યચરણ શ્રી વિઠ્ઠલનાથજી પોતે ખાધેલા પાનની પિક વડે તાંબુલપત્રમાં વિરહનો સંદેશો લખીને શ્રીનાથજી બાવા સુધી પહુંચાડતા હતાં.
આપણી સંસ્કૃતિનો એક ભવ્ય વારસો પત્ર પર લખાયેલો હોય આ વારસો આજે આટલા વર્ષો પછી જોવા નથી મળતો. કારણ કે આ પત્રોની જાળવણી બરાબર ન થાય તો તે ચૂરો ચૂરો થઈ જાય છે. આ પ્રકારની અમુક સામગ્રીઓ ભલે મ્યુઝિયમની અંદર કેદ થયેલ હોય પણ હકીકત એ પણ છે કે આપણે ત્યાં પાશ્ચાત્ય જગતની જેમ પ્રત્યેક ઐતિહાસિક વસ્તુઓનું કોઈ મૂલ્ય જાળવીને રાખી શકાયું નથી તો આ પર્ણોનો ઇતિહાસ પણ ક્યાંથી હોય?

– પૂર્વી મોદી મલકાણ

પ્રસ્તુત લેખ ભારતીય લેખનની પ્રાચીન કલામાં વિવિધ પ્રકારના પત્રોના ઉપયોગ વિશે વાત કરે છે. વતનથી દૂર અનેક ગુજરાતીઓ પોતાની માટીની સોડમને અકબંધ રાખી શક્યા છે, પોતાની ભાષા પ્રત્યેના પ્રેમને વિકસાવી શક્યા છે. આજની આ કૃતિના લેખિકા પૂર્વીબેન તેમનો પરિચય આપતા કહે છે, “પૂર્વી, પૂર્વી મોદી, પૂર્વી મોદી મલકાણ…..નામની પાછળ જોડાતી અટકો તે મારા બંને પરિવારની ઓળખ છે., અને આ બંને અટકો વગર હું અધૂરી છું. પણ તેમ છતાંયે મારી ઓળખાણ કેવળ એક ગુજરાતી તરીકેની છે. મારી ભૂમિથી હજારો કી.મી દૂર રહેતી હું મન-હૃદય અને આત્માથી કેવળ ગુજરાતી છું અને ગુજરાતની છું. ગુજરાતી અને ઇતિહાસ મારા પ્રિય વિષયો હોવા છતાં ભણતર મેં વિજ્ઞાનશાખામાં પૂર્ણ કરેલું. મારા મનપસંદ વિષયો સંશોધન, ઐતિહાસિક સંશોધન, આકાશ અને નેચર દર્શન છે. સંશોધનને લગતા અને નેચરને લગતા તમામ તથ્યો મને ખૂબ આકર્ષિત કરે છે. નાનપણથી લઈને અત્યાર સુધી વાંચન અને લેખન સાથે મારો અતૂટ સંબંધ રહ્યો છે. જીવનયાત્રામાં ફરતા ફરતા જ્યારે જ્યારે મારી પાસે કોઈ મિત્રો ન હતાં ત્યારે આ કાગળ, કલમ અને શબ્દો જ મારા સાથીઓ હતાં. મારા પ્રોફેશનલ લખાણની શરૂઆત ૨૫ વર્ષ પહેલા થઈ હતી. પરંતુ લગ્ન પછી લખવાનું છૂટી ગયું. અમેરિકામાં સ્થાયી થયા બાદ પરિવારમાં અને જોબમાં બીઝી થઈ ગઈ. ૨૦૦૮ થી ફરી લખાણ શરૂ કર્યું ત્યારે બે લખાણ ૨૫ વર્ષનો લાંબો બ્રેક આવી ગયેલો. આથી ૨૦૦૮માં મારા બાળકોને ગુરુ બનાવીને તેમની પાસેથી કોમ્પ્યુટર શીખી જેને કારણે આજે ફરી હું ગુજરાત સાથે, ગુજરાતી ભાષા સાથે ફરી મિત્રતાના તંતુએ બંધાઇ ગઈ તેનો અત્યંત આનંદ છે. ૨૦૧૨ માં ફૂલછાબ પરિવારમાં ફરી મને કોલમનિસ્ટ સમાવવામાં આવી ત્યારે મને પાછું ઘર મળ્યું હોવાનો અહેસાસ થયો. હાલમાં હું વોલિન્ટિયર તરીકે લોકલ હોસ્પિટલમાં બેરિયાટ્રિક પેશન્ટસ માટે કામ કરું છું.”

આજનો લેખ તેમના પુસ્તક “વૈવિધ્ય” (ISBN-10:150012…..x) માંથી તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.

આ લેખનો બીજો ભાગ – ભારતીય લેખનની પ્રાચીન કલામાં પત્રોનો ઉપયોગ (ભાગ ૨) – પૂર્વી મોદી મલકાણ એ કડી પર ક્લિક કરીને વાંચી શકાશે.


Leave a Reply to Harshad DaveCancel reply

15 thoughts on “ભારતીય લેખનની પ્રાચીન કલામાં પત્રોનો ઉપયોગ – પૂર્વી મોદી મલકાણ

  • hemgya

    બહુ જ સરસ લેખ છે. બેન તમારા લેખમાંથી ઘણું બધુ જાણવા મળે છે. હજુયે તમારી પાસેથી નવા નવા વિષયોની જાણકારી લેવાની ઈચ્છા છે. આશા છે કે તે ઈચ્છા વહેલી પૂરી થાશે.

  • Mahesh

    સુંદર, માહિતી સભર લેખ. આ વિષયમાં ઊંડા ઉતારવાની પ્રેરણા મળે છે.
    ૨૫ વર્ષનાં વિક્ષેપ પછી ફરી સાહિત્ય અનુસંધાન સાધવા માટે, સાધી શકવા માટે અને તે પણ આવી વિશાળ માહિતી સભર લેખન માટે અભિનંદન. લખાણ ઉપરથી લાગે છે કે લેખિકા સીનીયર સીટીઝન છે, સ્વાભાવિકપણે શરીર પૂર્ણ સાથ નહીં આપતું હોય છતાં આટલું અને આવુ (ક્વોન્ટીટી અને ઉચ્ચ ક્વોલીટી) લખી શકવા બદલ અભિનદન. કદાચ તેઓ પોતાના ઇષ્ટ દેવ કૃષ્ણને શ્રેત આપે પણ આપણને તો સરસ વાંચવા મળે છે.
    પ્રસ્તુતલેખ વિષે:
    ૧. કમળ પત્ર અને તાંબુલ પત્ર અસ્થાયી સંદેશ (આજની ભાષામાં કહીએ તો ચિઠ્ઠી ચપાટી)માટે કેઝયુલ જરૂરત માટે વપરાતા હોવા જોઈએ.
    ૨. વનસ્પતિના પાન કે છાલ હોવા છતાં સદીઓ સુધી તાકી રહ્યા મતલબ તેની જીંદગી લંબાવતી કોઈ પ્રક્રિયા/પ્રોસેસ થઇ હોવી જોઈએ.
    ૩. ભોર્જ પત્રને હું અત્યાર સુધી ભોજ પત્ર તરીકે જાણતો હતો. કદાચ તે વધુ પ્રચલિત નામ છે.

    અંતે:
    આભાર અક્ષર નાદનો આ અને અન્ય અનેક લેખ, વાર્તા, કવિતા અને ચિત્રો (ફોટા, કહું?) આપના સુધી લાવવા માટે. પણ અધ્યારૂ નો અર્થ અધ્યાપન કરાવનાર જ થતો હશે.
    મહેશ શાહ, વડોદરા.

  • Himat

    પુર્વિ મોદી માલકન આપનો લેખ વાંચીયો. આપની મેહનત અને ગુજરાતી ભાષાના માટેના પ્રેમથી હું પ્રભાવિત થયો છું.

  • Dhiru Shah

    Very informative article. But it is our pity that in absence of written documentation by our ancestors, we cannot prove our case of to international community on any matter inspite of the fact that India was the pioneer and first in every field namely mathematics, science, medicine, astronomy and many other fields. But this the reality though we do not like it and yet have to accept it.

  • Darshana Bhatt

    સ…રસ માહિતી સભર લેખ.વેદોને અપૌરેશેય માનવામાં આવ્યા છે.પ્રથમ ક્યારે લિપિબદ્ધ થયા
    તે વિષે મતાન્તરો પ્રવર્તે છે.સંશોધકો કોઈ નિષ્કર્ષ પર સંમત થતા જાણવા મળ્યા નથી.

  • dushyant dalal

    પુર્વેી બેન નુ મહિતેીસભર અને સન્શોધન પ્રચુર લખાણ વાચ વા નો ખુબ આનન્દ આવ્યો. પુર્વેી બેન ને આવા સુન્દર લખાણ બદલ અન્તર ન અભિનન્દન્.

  • navnit shah

    Excellent article.Very well researched informative, interesting writing. Various mediums of old writings, before the birth of modern papers, have been very articulately narrated. Reader can enrich his/her knowledge about the leaves of the trees for writing purpose.
    Congratulations to Purvibahen for such unique article.
    Keep up the good wor(d)k.
    navnit Shah, Ocean, NJ, USA

  • Harshad Dave

    લિપિબદ્ધ થયા પહેલાં પણ સંગીત અસ્તિત્વમાં હતું જ. મને તો એમ લાગે છે કે (આવું લાગવા પાછળ કોઈ નક્કર આધાર નથી) માનવ જાતે શબ્દ પહેલાં શોધ્યો અને લિપિ ત્યારબાદ શોધી હશે જે કદાચ લુપ્ત થઇ ગઈ હશે અને ફરી શોધાઈ હશે. તેથી આધારભૂત માહિતી સ્વીકારવાની આપણને ફરજ પડે. ગણકારશો તેને? નહીં, તો આધાર આપો. ચિત્ર લીપીના મૂળ તપાસવા પડે તો કદાચ ફોડ પડે.

  • Harshad Dave

    આ તો સારું થયું કે તારે નગર જવા શબ્દો મળ્યાં ચરણ લઇ ચાલવા બેસું તો વરસોનાં વરસ લાગે તેમ શબ્દો સાચવવા માટે બીટ્સ અને બાઇટ્સ મળ્યાં. પણ એ તથ્ય પણ એટલું જ સ્વીકારવું રહ્યું કે નાદબ્રહ્મની ઉપાસના માટે અક્ષરબ્રહ્મ સહાયક છે. આપણી પ્રાચીન પરંપરા કેટલી જૂની છે તે કોઈ કેવી રીતે કહી શકે? લિપિ ન શોધાઈ હોય તે પહેલાના નાદમાં ગોપિત સંસ્કૃતિની શોધ કેવી રીતે થઇ શકે? ત્યારે નવજાત શિશુએ ભરેલી સંશોધન-ફાળે જે વિકાસ સાધ્યો તે પ્રાચીન કાળમાં ક્યાં હતો? ત્યારે મનની અને મનનની અગાધ શક્તિ સર્વોપરિ હતી જે આજેય અકબંધ છે અને કદાચ રહેશે. મનોવિજ્ઞાનમાં અત્યારે પણ યથેચ્છ વિકાસ ક્યાં સાધી શકાયો છે?

  • Jayendra Thakar

    Thanks to Purviben for providing interesting information on the history of our language(s). I had a pleasure of meeting her in Vraj. She is a Krishna devote and narrates lovely Krishna stories.
    A gifted multitalented individual.

  • નિમિષા દલાલ

    સુંદર માહિતિ પૂર્વીબહેન .. આભાર તમારો અને આભર જિજ્ઞેશભાઈનો અહીં તે શેર કરવા બદલ….