ગુજરાતી ભાષાનું ભવિષ્ય.. એક ચિંતન – દિદાર હેમાણી 33


શ્રી બાબુ સુથારે હરિવલ્લભ ભાયાણીની સ્મૃતિમાં ગુજરાતી શબ્દકોશ બહાર પાડ્યો છે. આ શબ્દકોશની પ્રસ્તાવનાની પહેલી પંક્તિમાં તેમણે ગુજરાતી ભાષાને મેણું મારતાં લખ્યું છે, “ગુજરાતી ભાષા શ્રીમંત લોકોની ગરીબ ભાષા છે.” હાડોહાડ લાગી આવતા આ શબ્દોને આપણે નરી વાસ્તવિકતા તરીકે સ્વીકારી લેવા સિવાય છૂટકો નથી. આપણે ગુજરાતીઓ નરબંકા છીએ પણ જેમ સુરેશ દલાલ કહે છે તેમ આપણને ‘ચોપડા-પૂજન’માં રસ છે પણ ‘ચોપડી-પૂજન’માં રસ નથી. ચાલો ગુજરાતી ભાષાના ભવિષ્ય અંગેની ચર્ચા કરીને નર્મદ, ઝવેરચંદ મેઘાણી, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઉમાશંકર જોષી, કે. કા. શાસ્ત્રી, ગાંઘીજી, ચંદ્રકાંત બક્ષી, હરીન્દ્ર દવે અને એલેકઝાન્ડર ફોર્બસના આત્માને દુઃખી કરીએ.

આપણે જો મનમાં ખાંડ ખાતાં હોઈએ કે ‘ગુજરાતી ભાષાને ઊની આંચ નથી આવવાની’ તો આ એક ભ્રમણા કે નરી ડંફાસ સાબિત થવાની છે. કારણ કે ગુજરાતી ભાષાનું ભવિષ્ય જેના હાથમાં છે અથવા જેને ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઘડવાનું છે એવી પ્રજા આજે ઇન્ટરનેટી દુનિયામાં વિહાર કરતી કરતી અવળે રવાળે ચડતી જાય છે. ‘જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફૂઈ’ એવા ગુજરાતી સાહિત્યકારોની આખી જમાત ઊભી થતી જાય છે અને આ જમાતના જ કેટલાક લોકો પોતાની જાતને ગુજરાતી ભાષાના માંધાતા તરીકે લેખાવે છે ત્યારે ગુજરાતી ભાષાના ભવિષ્ય માટે છાપામાં ચવાઈને ચૂંથો થઈ ગયેલો શબ્દ ‘અંધકારમય’ વાપરવામાં લગીરે અતિશયોક્તિ નથી.

કોઈ ગુજરાતી ઘરના બારણે જઈને પૂછીએ કે “બા ઘરમાં છે?” ત્યારે આઠ-દસ વર્ષનું ગુજરાતી ભટૂરિયું બહાર આવીને જવાબ આપે છે, ‘બા ઘરમાં નથી છે’. મનજીભાઈ મોબાઇલમાં જવાબ આપે છે, ‘આઉંગા તો આઉંગા નકર કહેવડાઉંગા’. બહોળો ફેલાવો ધરાવતાં અને અગ્રિમ કક્ષાનાં બધાં જ ગુજરાતી અખબારો ‘છત્રીસ પોઇન્ટ બોલ્ડ’માં મથાળાં ચીતરે છે, ‘ભાજપ અને ઉમાભારતી આમનેસામને’. (સાચો શબ્દ છે સામસામે) ‘હા, લેકિન મારે તો સુરત જવાનું થશે’. જેવાં વાક્યોને બોલવામાં અને લખવામાં આપણે એટલી હદે સ્વીકારી લીધાં છે કે આવાં વાક્યો આપણને નિર્ભેળ લાગવા લાગ્યાં છે. ‘વચ્ચે વચ્ચે ની બોલો’ વાક્યને ગુજરાતી માસ્તર એકમાંથી એક ગુણ આપતો થઈ ગયો છે. ભૂતિયા લેખકો પાસે ગુજરાતી કવિતાઓ અને લેખો લખાવીને રાજકારણીઓ પણ સાહિત્યકારની પંગતમાં બેસવા લાગ્યા છે. ‘લડે સિપાહી ને જશ જમાદારને’. અને વળી પાછા આ રાજકરણીઓ શેખી કરતા ભાંભરે છે, ‘હું પહેલાં ગુજરાતી સાહિત્યકાર છું અને પછી રાજકરણી.’ આવા રાજકરણીઓને વાંછી જઈને એક ગણિકાએ નિવેદન આપ્યું હતું કે જયારથી રાજકારણીઓએ પોતાની મોટર ઉપર લાલબત્તી (રેડ લાઇટ) મૂકવાનું ચાલુ કર્યું છે ત્યારથી અમને અમારા વિસ્તારને ‘રેડ લાઇટ એરિયા’ કહેવામાં શરમ આવે છે. લખવાની જગ્યા થોડી છે અને ઉદારણો અનંત છે. દસ વર્ષ પછી નહીં પણ પાંચ જ વર્ષમાં મુન્નાભાઈની ભાષામાં કહેવું હોય તો, ‘ગુજરાતી ભાષાની વાટ લાગી જવાની છે.’ આ વાતને કોઈ ઠઠ્ઠામશ્કરીમાં ઉડાવી ન દે એ માટે આ સાથે સેન્ટૃલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને (સી.બી.એસ.ઈ) સાલ ૨૦૦૭-૨૦૦૮ની દસમા ધોરણની પરીક્ષામાં આપેલા એક રેઢિયાળ પ્રશ્નપત્રનો નમૂનો પાઠવ્યો છે જેમાં વીસ ગંભીર ભૂલો છે. પ્રૂફરિડિંગ કર્યા વગરનું આખું પશ્નપત્ર વિદ્યાથીઓના માથા ઉપર મારી દેવામાં આવ્યું. શું થશે દસ વર્ષ પછી ગુજરાતી ભાષાનું?

વાસીદામાં આખેઆખું સાંબેલું ઉકરડે ચાલ્યું ગયું ને કોઈને ખબરેય પડી નહીં. દુઃખ એ વાતનું નથી કે પ્રશ્નપત્રમાં ભૂલો રહી ગઈ છે; દુઃખ એ વાતનું છે કે આટઆટલી ભૂલો રહી જવા છતાં કોઈ ગુજરાતીના પેટનું પાણી પણ હલ્યું નહીં. આ ગુજરાતી ભાષા પ્રત્યેની આપણી ઉદાસીનતા નહીં તો બીજું શું? ૨૩૦૦ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની બોર્ડની પરીક્ષા આપી છે. માવિત્રો તો ઠીક, કોઈ એક મેતો કે મેતી (માસ્તર કે માસ્તરાણી) પણ આ ભૂલો તરફ નિર્દેશ કરવા આગળ આવ્યું નથી. બાપડો કોઈ છાપાવાળો પણ જાગ્યો નહીં. ચલણી નોટોમાં ક્યાંય નાની સરખી ભૂલ નજરે ચડે તો છાપાંવાળા કાગારોળ કરી મૂકે છે. નોટની તસવીર છાપે છે અને જ્યાં ભૂલ હોય ત્યાં મોટું ચકરડું કરે છે. પણ પ્રશ્નપત્રની આવી અને આટલી ભૂલો તરફ એકેય છાપાવાળાને ફીલર તરીકે પણ ન્યૂઝ આઇટમ છાપવાની જરૂર જણાઈ નથી. અને બિચારા ક્યાંથી છાપે, કારણ કે છાપાંવાળા પોતે જ દહાડે દિવસે પોતાના છાપામાં ટાઇમ લિમિટનો અંચળો ઓઢીને પાનાંદીઠ પાંચસો ને પંચોતેર ભૂલો કરે છે. ગુજરાતી ભાષાનો વર્તમાન જ આટલો ખરાબ હોય ત્યારે તેના ભવિષ્યની શું ખાક વાત કરવી? (છેલ્લા વાક્યની પાછળ પાંચ-પાંચ પ્રશ્નાર્થ ચિહ્નો મૂકીને વાંચો.)

કોઈ પણ ભાષા માહિતી કે બાતમીની આપલે કરવા (કમ્યુનિકેશન)નું એક માધ્યમ હોવું જોઈએ. પણ આપણા કેટલાક મહાન ગુજરાતી સાહિત્યકારો અને ભદ્રંભદ્રની હાઇબ્રિડ ઓલાદો તેને પોતાની વિદ્વત્તા સાબિત કરવાનું ઓજાર બનાવી રહ્યા છે. એક નમૂનો –

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે ૨૦૦૪ની સાલમાં ધોરણ ૮ના દ્વિતીય ભાષાના વિદ્યાથીઓ માટે ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક છાપ્યું છે, જેમાં છેલ્લા પાને કવિ કાન્તનો પરિચય મગજનાં ચક્રો ભાંગીને ભુક્કો થઈ જાય એવી ઉચ્ચતમ સંસ્કૃત–પ્રચૂર ગુજરાતી ભાષામાં કંઈક આ મુજબ આપ્યો છેઃ

“કવિ કાન્તની કવિતા કલાકીય સંપ્રજ્ઞતા તથા સક્રિયતાના પરિપાકરૂપ જણાય છે. ગુજરાતી કવિતાને કાન્તે આકાર-અભિવ્યક્તિના ઇલમથી લાઘવ, સ્ફૂર્તિ, સૂક્ષ્મતા ને વેધકતા અર્પી છે. દલપતરામના ‘રૂડા છંદ’ને કલાપુટ આપી તેની રૂડપને સવિશેષ ગહનતા તેમણે બક્ષી છે. ગ્રીક શિલ્પકૃતિનું સ્મરણ કરાવે એવી સૌષ્ઠવશીલતા તેમજ સ્વચ્છ સ્ફટિકમયતાથી સમુજ્જવલ ‘કાન્ત’ – શૈલીનો શાંત પ્રભાવ પશ્ચાદ્વર્તી ગુજરાતી શિષ્ટ કવિતા પર પડેલો વરતાય છે. સ્નેહ, સત્ય અને ધર્મના ઉત્કટ મનોમંથનોને અનુલક્ષતી; શ્રદ્ધા તથા સચ્ચાઈના ઉઘાડે ઉજાસભરી જે કાવ્યસરવાણી નર્મદથી પ્રવાહમાન થઈ તેમાં કાન્તનું પ્રદાન મહત્ત્વનું છે. કેટલાક મનોરમ ઊર્મિકાવ્યો તેમજ કેટલાંક હ્રદયંગમ ખંડકાવ્યોના સંપ્રજ્ઞ કલાકાર અને ‘શિક્ષણના ઇતિહાસ’ના આલેખક; ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ જેવા નાટકના સર્જક; સંવાદ, વાર્તા, પત્ર, ચરિત્ર, નિબંધ, વિવેચન તથા અનુવાદ-સંપાદનના ક્ષેત્રે પણ ધ્યાનાર્હ પદાર્પણ કરનારા કાન્ત ગુજરાતી સાહિત્યની એક વિરલ વિભૂતિ છે. ગુજરાતી કવિતાની સિદ્ધિ તેમજ સમૃદ્ધિનો આહ્લાદક સાક્ષાત્કાર એમની સારસ્વત પ્રતિભા આપણને કરાવતી રહી છે.”

સોગંદ મા જનમભોમકાના, ઉપરના લખાણમાં મેં મારો એકેય શબ્દ ઉમેર્યો નથી. અચ્છામાં અચ્છો સાહિત્યકાર પણ આ પરિચય શબ્દકોશની મદદથી વાંચે તો એટલો જ સંતોષ થવાનો કે તેણે પરિચય ઓછો અને ગુજરાતી શબ્દકોશ વધારે વાંચ્યો છે! અરે, અક્કલના ઓથમીરો, તમે આ લખાણ કોના માટે લખી રહ્યા છો એનું તમને ભાન છે? શું તમે આ લખાણ ચંદ્રકાંત બક્ષીનું પાળિયું, કાકાસાહેબ કાલેલકરની દાઢીવાળી તસવીર કે હાર પહેરેલા હરીન્દ્ર દવેની હસમુખી છબીને ઘ્યાનમાં રાખીને લખ્યું છે? કે અંગ્રેજી માધ્યમોમાં ભણતા અને આઠમા ધોરણમાં, ક…ખ…ગ… થી ગુજરાતી ભાષા શીખવાની શરૂઆત કરતા બાપડા-બિચારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લખ્યું છે? મને લાગે છે આ લખાણમાંના કેટલાક શબ્દો બે જ વખત છપાયા હશે, એક વખત શબ્દકોશમાં અને બીજી વખત આ કવિ કાન્તના પરિચયમાં !

હે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની લેખન-સંપાદન સમિતિના ગુણવાન, વિદ્વાન ગુજરાતી ભાષાના ઘડવૈયાઓ ! તમારામાં થોડીઘણી લાજ હોય તો આ ગુજરાતી કહેવતનો મર્મ સમજી લો. ‘છ વાહાના છોકરાને કોશના ડામ ન દેવાય.’

મૂળ વાત પર આવીએ તો આ પરિચય લખનાર અને એના જેવા કેટલાક ગઢિયાબુઢિયા સાહિત્યકારો ગુજરાતી ભાષાના ભવિષ્યની ઘોર ખોદી રહ્યા છે. ગુજરાતી ભાષાના કહેવાતા આ રક્ષકો જ ભક્ષકોની ભૂમિકા ભજવી રહ્યા છે. આવી ગંભીર બાબતો અંગે સવેળા લક્ષ આપવામાં નહિ આવે તો દસ વર્ષ પછી ગુજરાતી ભાષાનું ભવિષ્ય નધણિયાતા ઢોર જેવું બની જશે. ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે હું આ બાબતમાં જુઠ્ઠો પુરવાર થાઉં.

દસમા ધોરણના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં ઠેકઠેકાણે ગંભીર ભૂલો છે. ‘હોળી’ની જગ્યાએ ‘ગોળી’ અને ‘પત્રમાં’ ને બદલે ‘માં’ છાપ્યું છે. ગુજરાતી ભાષાના ભવિષ્યના વિકાસનું દાયિત્વ જેના હાથમાં છે એ જો આટલી બેદરકારી સેવે તો પછી થઈ જ રહ્યું ને? જ્યાં વાડ જ ચીભડાં ગળવા લાગે ત્યાં ફરિયાદ કોને કરવી?

અંગ્રેજી ભાષા નામનો ઉંદર ગુજરાતી ભાષાના પગમાં ફૂંક મારતો જાય છે અને ખોતરતો જાય છે. અંગ્રેજી ભાષા શીખવી એ સમયનો તકાજો છે. અંગ્રેજી ન આવડતું હોય તો સૂરત વટાવ્યા પછી ભારતમાં જ તકલીફ પડે છે. પણ ગુજરાતી ભાષાના ભોગે કે ગુજરાતી ભાષાને અભેરાઈ ઉપર ચડાવીને અંગ્રેજી ભાષાનો અભરખો જાગતો હોય તો બૃહદ ગુજરાતી સમાજે સાવધાન થવાની જરૂર છે. અંગ્રેજી ભાષાથી જરાય અભડાયા વગર જાપાનની પ્રજા અને ચીનની પ્રજાએ પ્રગતિ નથી કરી? દ્વિતીય ભાષા તરીકે ગુજરાતી ભાષાના વિષયને જાળવી રાખીને અંગ્રેજી માધ્યમમાં બાળકોને ભણાવીને ગુજરાતી અસ્મિતાને અકબંધ રાખી શકાય છે. નવી પેઢીના વિદ્યાર્થીઓ માટે દિવસે દિવસે ગુજરાતી ભાષા સગી બહેનને બદલે માસીની દીકરી બહેન બનતી જાય છે એ માત્ર ચિંતાનો જ નહીં, દુઃખનો વિષય છે. આ બાબતે સમયસર લાલબત્તી ધરવામાં નહિ આવે તો ગુજરાતી ભાષા માસીની દીકરી બહેનમાંથી સાવકી બહેન બની જશે ! આવું થશે ત્યારે એ ચિંતા, દુઃખ અને શરમની બાબત બની જશે અને પછી સુધારાવધારા કરવા માટે ઘણું મોડું થઈ ગયું હશે.

ગુજરાતી ભાષા માટે બીજો ચિંતાનો વિષય એ છે કે ગુજરાતી સમાજમાં એક નવી ભાષા અસ્તિત્વમાં આવી રહી છે, જેનુ નામ છે ‘ગુંગલીશ’. “આમ તો અમારે કોઈ પોબલેમ નથી પણ જરા છોકરાની ગુજરાતી ભાષાનું ટેન્શન છે.”; “છોકરાના મેરેજ થઈ ગયા પણ ઈની વાઈફ અંગ્રેજી લેંગ્વેઝ ફાડે છે ઈ વાતનો પોબલેમ છે”. શું છે કોઈ ખુલાસાની જરૂર આમાં? હે નર્મદ! કોઈ આવા ગુજરાતીના સપનામાંય દેખા દેતો નહીં, નહીંતર આ નરબંકો ગુજરાતી તને પૂછશે કે, “હાય નર્મદ, હેવનમાં ગુજરાતી આર્ટિકલ્સ અને પોએમ-બોએમ ક્રિએટ કરો છો કે પછી રીલેક્ષ ફરમાવો છો?”

ગુજરાતી પૂરું આવડ્યું નહીં,
ને શીખવા ગયા અંગ્રેજી વાણી;
વૉટર વૉટર કહેતાં જીવ ગયો
ને ખાટલા નીચે પાણી.

અંગ્રેજી મિશ્રિત ગુજરાતી ભાષાનો પ્રયોગ કરવામાં આપણાં અખબારો બાકાત નથી. મમરો મૂકીને ઉદાહરણ ટાંકવું હોય તો ટાંકી શકાય કે આ નિબંઘ હરીફાઈની જાહેરખબરમાં લખ્યું છે, ‘ટોટલ ૧૧ વિજેતાઓને ૫૧ હજારનાં ઇનામો આપવામાં આવશે.’ ગુજરાતી ભાષાને આ રીતે આપણે ખીચડીછાપ બનાવી રહ્યા છીએ. (આશા રાખું છું, આયોજકોની ટીકા કરવાની અસર નિબંઘ હરીફાઈના પરિણામ પર નહીં થાય)

સીધેસીધા ઉદાહરણને ટાંકીને ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો મુંબઈના ભદ્ર ગુજરાતી સમાજના નબીરા પ્રિન્સેસ સ્ટ્રિટની આર. આર. શેઠની દુકાનમાં તો હજીય બહોળા પ્રમાણમાં મુલાકાત લે છે અને ગુજરાતી સાહિત્યનાં પુસ્તકોની ધૂમ ખરીદી કરે છે પણ આ પુસ્તકો તેમના કાચવાળા કબાટની શોભા માત્ર બની રહે છે. ગુજરાતી પુસ્તકો ખરીદાય છે પણ વંચાતાં નથી. ‘જનકલ્યાણ’, ‘નવનીત સમર્પણ’ અને ‘અખંડ આનંદ’ જેવાં સામાયિકો કાં તો ડચકાં ખાય છે કાં તો તેમનાં નામાં મંડાઈ ગયાં છે. ગલપચી ને ગલગલિયાં થાય એવાં ગુજરાતી સામયિકોની બોલબાલા હજીયે જેમની તેમ છે. ઈશ્વર હરકિશન મહેતાના આત્માને શાંતિ આપે, પણ એક વાત અહીં લખવી જરૂરી લાગે છે. મેં એક વાર તેમને સુરેશ દલાલની સાહિત્ય કૉલમ શરૂ કરવા માટે તાણીઝીંકીને ટપાલ લખી તો મને જવાબ મળ્યો કે વાચકો તરફથી આવી પહેલી જ માંગણી છે. એક બોટી ખાવા માટે આખો બકરો કાપી ન શકાય. મનમાં થયું કે હે અવ્વલ દરજાના અને ઉચ્ચતમ કોટિના ગુજરાતી નવલકથાકાર! ધન છે ! એ તો ભલું થાય કાન્તિ ભટ્ટનું કે એણે ‘અભિયાન’માં ‘ચેતનાની ક્ષણે’ ચાલુ કર્યું એટલે ‘ચિત્રલેખા’માં પણ ‘પ્રભાતનાં પુષ્પો’ ઊગવા લાગ્યાં. નરબંકો ગુજરાતી ‘ચિત્રલેખા’, ‘અભિયાન’ કે ‘ચક્રમ’માંથી નવપલ્લવિત થયેલા ‘ચંદન’નો લેપ લગાડીને પોતાની જાતને ‘ગુજરાતી સાહિત્યરસિક’ ગણાવે છે. જે હો એટમ ગોલીબારની અને જે હો ફટાકડી ભાભીની!

ભાદરવાના ભીંડા જેવા ભાટચારણો ગુજરાતી ભાષાની લાશ ઉપર બેસીને કાંદીવલીથી કેનેડા સુઘીની મફત યાત્રા કરી આવે છે. ઘેલાં થઈને ઘણાં ઘેલાણીઓ હજીયે ગુજરાતી વાચકોને ટાઇમ મેગેઝિનનું ગુંદરિયું-પેસ્ટરિયુ ગુજરાતી સાહિત્ય વાંચવાનું ઘેલું લગાડી રહ્યાં છે. ગુજરાતી ભાષાની સૌરભ ફેલાવવા માટે ઉચ્ચ વિચારધારાની જરૂર છે. પણ આવી વિચારધારા ફેલાવનારા માણસો બાજરાના સુકાઈ ગયેલા પોલા સાંઠા જેવા સાબિત થઈ રહ્યા છે. એકલા વિક્રમો કે એકલા વકીલોથી ગુજરાતી ભાષાનું દળદર ફીટવાનું નથી.

બહુ થયું ખંડનાત્મક દૃષ્ટિબિંદુ. હવે થોડી રચનાત્મક વાતો કરીએ. ગુજરાતી ભાષા હજી એમ કંઈ મરી પરવારી નથી કે દસ વર્ષ પછી કંઈ નેસ્તનાબૂદ થઈ જવાની નથી. વિપરિત પરિસ્થિતિઓમાં પણ ગુજરાતી ભાષાના હિતેચ્છુઓના દીવડા હજી ઝગમગી રહ્યા છે. વિપુલ પ્રમાણમાં શ્રેષ્ઠ પ્રકારનું સાહિત્યસર્જન હજી થઈ રહ્યું છે. ગુજરાતી નાટકો અને લોકડાયરા કે મુશાયરાઓએ હજુ ગુજરાતી ભાષાની લાજ રાખી છે. નંબર મેળવવાની લાલચ રાખ્યા વગર બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ અને હેમરાજ શાહને ગુજરાતી ભાષાની ચિંતા કરવા બદલ બિરદાવવા ઘટે. વિશ્વ ગુજરાતી પરિષદ યોજવામાં મુકેશ પટેલ પછી હેમરાજ શાહનો સિંહફાળો રહ્યો હતો. જોકે આ પરિષદ પત્યા પછી ગુજરાતી ભાષા માટે નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંકો કેટલી હદે પાર પાડવામાં આવ્યા છે એ હજીય સંશોઘનનો વિષય રહ્યો છે.

અલાયદો ફકરો પાડીને ગુજરાતી ભાષાનાં મુખ્ય અખબારોનાં વખાણ એટલા માટે કરવાં જોઈએ કે તેમના તંત્રીલેખના પાનામાં આજની તારીખમાં ગૌરવ લેવા જેવી સાહિત્યકૃતિઓ છપાઈ છે. ઊંચા પુરસ્કાર આપીને ઊંચા સાહિત્યકારના લેખોને સ્થાન અપાય છે અને માતૃભાષાની આવરદા ટકાવી રખાય છે એ આનંદ લેવા જેવી બાબત છે. કેટલાંક અખબારોની રવિવારીય પૂર્તિ આબાલવૃદ્ધ સૌ કોઈને આકર્ષી રહી છે. આવા પ્રયાસો જાળવી રાખવામાં આવશે ત્યાં સુઘી ગુજરાતી ભાષા જીવતી રહેશે.

ગુજરાતી ભાષાની ઉન્નતિ એ વ્યક્તિ, સમાજ, સંસ્થા અને સરકારની સંયુક્ત જવાબદારી છે. વ્યક્તિગત પ્રયાસ માટે દરેક ગુજરાતીએ પોતાની માતૃભાષા કાજે આગળ આવવું જોઈએ અને પોતાની રીતે ન્યૂનતમ કે મહત્તમ ફાળો આપતાં રહેવું જોઈએ. ગુજરાતી સમાજ અને ગુજરાતી સંસ્થાઓ હજી નબળી પડી નથી. સમયાંતરે ગુજરાતી પુસ્તકોના મેળા યોજાતા રહે છે અને સફળ પણ જાય છે. તેમાં વધારે નાવિન્ય લાવીને ગુજરાતના ગામડે ગામડે ગુજરાતી સાહિત્ય ગુંજતું કરવું જોઈએ. આ ફરજ અને જવાબદારી ગુજરાતી સંસ્થાઓની છે. સરકારે ‘શિફ્ટિંગ ઓફ રિસ્પોન્સિબિલિટી’ની નીતિમાંથી બહાર આવવાની જરૂર છે. ગુજરાત સરકાર ગુજરાતી ભાષાના ઉત્થાન માટે નીતિઓ તો ઘડે છે પણ તેનો જોઈએ તેવો અમલ થતો નથી. ઘણી યોજનાઓ કાગળ ઉપર જ દફન થઈ જાય છે. ‘પાણી વલોવ્યે માખણ ન નીકળે.’ એક બીજી વાત. સરકાર માત્ર જૂજ અને જાણીતા કેટલાક સાહિત્યકારોનું સન્માન કરે છે એ પૂરતું નથી. ઘણા ગુજરાતીઓ સાહિત્યકાર નથી પણ ગુજરાતી ભાષા માટે મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા છે તેમને પણ બિરદાવવામાં આવે અને તેમનાં કાર્યોમાં સરકાર સહાયભૂત બને તો ગુજરાતી ભાષાની અધોગતિ અટકી શકે તેમ છે. સરકારે તેની પંચવર્ષીય યોજનામાં ગુજરાતી ભાષાની તાસીર અને તસવીરને તવજ્જુ આપવી પડશે. જો એવું ન થાય તો જાગૃત ગુજરાતી પ્રજાએ સરકારના કાન આમળવા જોઈએ. સરકારને ગુજરાતી ભાષાની વર્તમાન પરિસ્થિતિ માટે ટપારવી જોઈએ. ગુજરાતી વિષયને મહારાષ્ટ્ર બોર્ડના અભ્યાસક્રમમાં માન્યતા આપવા માટે મંબઈની ન્યૂ ઈરા શાળાના નિશાળિયા અને કવિ ઉદયન ઠક્કરની નિગેહબાની હેઠળ એક ગુજરાતી મંડળીએ દસબાર વર્ષ પહેલાં તે વખતની મહારાષ્ટ્ર સરકાર સામે બાથ ભીડી હતી અને જોરદાર લડત ચલાવી હતી. ‘આમચી મુંબઈ, મરાઠી મુંબઈ’ની બાંગ પોકારનારાને ધૂળ ચટાડીને ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવા કરી હતી. આ છે ગુજરાતી ભાષાના ખરા રખોલિયા. આ લડતના પરિપાકરૂપે આજે લાખો ગુજરાતી વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રમાં રહીને પણ માતૃભાષા ભણી શક્યા છે / ભણી રહ્યા છે. આપણે આવું કરતાં શીખી જશું તો દસ વર્ષ પછી પણ ગુજરાતી ભાષાને ડાઘ નહીં લાગે. ગુજરાતી ભાષાની ચિંતા જો ‘બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ’ને થતી હોય તો સરકારને કેમ નહિ?

ઈલેક્ટ્રોનિક મીડિમાં બિલાડીના ટોપની જેમ ગુજરાતી ચેનલો ફૂટી નીકળી છે જેમાં કેટલીક ચેનલો ગુજરાતી ભાષાને યોગ્ય પરીપ્રેક્ષમાં રજૂ કરે છે તો કેટલીક ચેનલો ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી ભાષાને એવા વરવા સ્વરૂપમાં રજૂ કરે છે કે ક્યારેક આંખો મીંચી લેવાનું મન થાય છે. દામજીભાઈઓ, નાથાભાઈઓ, અને મણિબહેનો ઇન્ટરનેટ પર ગુજરાતી પોર્ટલો લઈને ગુજરાતી ભાષાની પીપૂડી પૂં પૂં પૂં કરીને વગાડી રહ્યાં છે. આપણે તેને “વૈશ્વિક સ્તરે પ્રચાર અને પ્રસાર” જેવું રૂપાળું લેબલ લગાડીને સંતોષ માની લઈએ છીએ. ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર આવા પોર્ટલોનો મોહતાજ નથી. પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનિક મીડિયાએ ગુજરાતી ભાષાના ઉત્થાન માટે ઝુંબેશ ચાલુ કરવી જોઈએ. ભાષા પ્રત્યે બેદરકાર અને નિર્માલ્ય બનતી જતી ગુજરાતી પ્રજાતીઓમાં નવું જોમ પૂરવું જોઈએ. તો પ્રસાર અને પ્રચારમાં વેગ આવશે. ભાષાના વિકાસ માટે હવે નાણાંકીય સમસ્યા રહી નથી. એન.આર.આઈ. ગુજરાતીઓ ભાષાના ઉત્થાન માટે ધન વાપરવા તૈયાર છે. આપણી પાસે નક્કર યોજના હોવી ઘટે. પણ ‘જણનારીમાં જોર ન હોય તેમાં સુયાણી શું કરે?’

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરિયાત એલેક્ઝાંડર ફોર્બસે ગુજરાતી ભાષાના વિકાસ માટે મુંબઈમાં ‘ગુજરાતી સભા’ની સ્થાપના કરી હતી. ‘રાસમાળા’નું સંપાદન કરવા માટે લાંબા અંતરની પગપાળા મુસાફરી કરી હતી. ૧૯૪૮માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની શરૂઆત કરી હતી. ફોર્બસ તો એક બિન ગુજરાતી સ્કોટ્લેન્ડી ધોળિયો હતો જ્યારે આપણી તો ગળથૂથીમાં ગુજરાતી ભાષા છે. શું આપણે આપણી ભાષાના અમર વારસાને બચાવી નહિ શકીએ?

એક હિંમતભર્યુ સૂચન કરવાની ગુસ્તાખી કરું છું. સમયની માંગ પ્રમાણે આપણે હ્રસ્વ ઇ, દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ, અને દીર્ઘ ઊ, વધારાના અનુસ્વાર વગેરેની જેવી જોડણીની ભૂલોની બાબતે જો અર્થ ન બદલાતો હોય તો ઉદારતા દાખવવી જોઈએ. અંગ્રેજી માધ્યમના ગુજરાતી વિદ્યાર્થીઓ આવી બાબતોને લીધે દ્વિતીય ભાષા તરીકે ગુજરાતી વિષય પસંદ કરતા નથી. પરિણામે ગોળો ને ગોફણ બેય હાથમાંથી જાય છે. અંગ્રેજી માધ્યમની શાળામાં દ્વિતીય ભાષા તરીકે ગુજરાતી વૈકલ્પિક વિષય તરીકે લેવાની સગવડ હોય તો ગુજરાતી વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષા જ પસંદ કરવી જોઈએ. ફ્રેન્ચ, ચાઇનીઝ કે જાપાનીઝ ભાષા શીખવા માટે તો હજી આખી જિંદગી પડી છે. ‘માને મૂકીને માસીને ધાવવા ન જવાય.’

જે પ્રજા પોતાની માતૃભાષા અને ઇતિહાસને ભૂલી જાય છે તે પ્રજા નિર્માલ્ય બની જાય છે. ગુજરાતી ભાષા માટે આવું ન બને એવી પ્રભુ પાસે પ્રાર્થના. ગુજરાતી ભાષાનું રખોપું કરવું એ દરેક ગુજરાતીની ફરજ જ નહીં, ધરમ પણ છે. મારી માતૃભાષા અંગે આ નિબંઘ હરીફાઈના માધ્યમથી વર્ષો જૂની દાઝ કાઢવા, પેટછૂટી વાતો કરવા અને સૂચનો આપવાનો મંચ પૂરો પાડવા બદલ આયોજકોનો આભાર માનીને વિરમું છું.

નીરખો જરા આટલું, દીપક બળે છે અને અજવાળું થાય છે;
ગુજરાતી ભાષાની ચિંતામાં દિલ બળે છે, પણ રોશની થતી નથી.

– દિદાર હેમાણી

શ્રી દિદારભાઈ હેમાણી મહારાષ્ટ્રના સતારા જીલ્લામાં આવેલ પ્રખ્યાત એવા પંચગનિમાં આવેલ ન્યૂ એરા હાઈસ્કુલમાં શિક્ષક છે. વર્ષ ૨૦૦૮માં બૃહદ મુબઈ ગુજરાતી સમાજ અને મુંબઈ સમાચારના ઉપક્રમે યોજાયેલી વિશ્વસ્તરીય નિબંધ હરીફાઈમાં આયોજકોને લગભગ આઠસોથી વધુ કૃતિઓ પ્રાપ્ત થઈ હતી. તેમાંથી ઉપરોક્ત કૃતિ પાંચમા સ્થાને આવી હતી અને તેને પ્રશસ્તિપત્ર સાથે રૂ. ૧૦૦૦નું રોકડ ઈનામ અપાયું હતું. ઉપરોક્ત લેખમાં લેખક ભાષાની આજની પરિસ્થિતિ વિશે પોતાનું મનોમંથન મૂકે છે અને તેને લક્ષ્યમાં રાખીને ભાષાના ભવિષ્ય વિશે વિચાર કરે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ દિદારભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


Leave a Reply to Dipak DholakiaCancel reply

33 thoughts on “ગુજરાતી ભાષાનું ભવિષ્ય.. એક ચિંતન – દિદાર હેમાણી

  • Kaushik Lele

    Namaskar,
    I am Kaushik Lele.I visited your blog. Looking at your love and work for Gujarati language and culture, I thought you may like to know about my initiative for Gujarati language . I have started to help people “Learn Gujarati through English- Online and free”
    I have started creating blog
    http://learn-gujarati-from-english.blogspot.com

    I am thoroughly discussing grammar here. And teaching concepts step by step. like tenses, prepositions, asking questions etc.
    It has 49 lessons as of now and I keep adding lessons every day.

    This online-learning will surely help people Learn Gujarati easily as per their convenience.

    I have previously written two popular blogs to Learn Marathi from English and from Hindi.
    viz.
    http://kaushiklele-learnmarathi.blogspot.com (120 lessons)
    http://learn-marathi-from-hindi-kaushiklele.blogspot.com (93 lessons)

    I want to complete Gujarati blog as extensive as my Marathi blog.

    My mother tongue is Marathi but I have learned Gujarati myself. I can understand Gujarati well. Still to avoid any mistakes, I get my lessons verified from native Gujarati speaker via a facebook group.
    https://www.facebook.com/groups/gujarati.learncenter

    I still want as many native Gujarati speaker to visit my blog and verify contents, point out mistakes and help me to make it immaculate.
    So I request you to visit my blogs. Let me know your feedback.
    I would really appreciate if you can give link to my blog on for Gujarati learning on your website.

    Waiting for your reply,
    Kaushik Lele

  • Babu Suthar

    1. દીપકભાઈનો પ્રશ્ન છે કે આજે જે ગુજરાતી બોલાય છે એ હેમચંદ્રાચાર્ય, નરસિંહ, પ્રેમાનંદ વગેરે બોલતા હતા એમ કહી શકાય ખરું? જવાબ છે: ના, ન કહી શકાય. કોઈ પણ બાષા હોય, એનું લેખિત સ્વરૂપ – જો હોય તો – વધારે સ્થિર હોય અને બોલાતું સ્વરૂપ વધારે પરિવર્તનશીલ હોય. બાર ગાઉએ બોલી બદલાય એમ કહી શકાય ખરું પણ બાર ગાઉએ લેખન બદલાય એમ નહીં કહી શકાય. લેખન હંમેશાં ભાષા પર એક પ્રકારની આદર્શ વ્યવસ્થા લાદતી હોય છે. દરેક ભાષામાં આવું બનતું હોય છે: લેખન સ્વરૂપ બહુ ન બલદાય, બોલાતું સ્વરૂપ બદલાયા કરે. એના કારણે એ બન્ને વ્યવસ્થાઓ વચ્ચે ધીમે ધીમે અંતર પડવા માંડે. પણ, માનવચિત્ત એક ગજબનો પદાર્થ છે. એ લેખન અને બોલાતા સ્વરૂપ વચ્ચે પડેલા અંતરને એક તંત્રમાં – એક સિસ્ટમમાં- મૂકવાનો પ્રયાસ કરે. એના કારણે દરેક ભાષક લેખનને બોલાતા સ્વરૂપમાં અને બોલાતા સ્વરૂપને લેખનમાં રૂપાંતર કરવાના નિયમો આત્મસાત કરવા લાગે. પ્રાહ ભાષાવિજ્ઞાને પણ આ જ દલીલ કરી છે. જ્યારે હું ‘ઘર’ શબ્દ બોલું ત્યારે gha.ra એમ નથી બોલતો. હું –ર ને –ર્ તરીકે ઉચ્ચારતો હોઉં છું. એનો અર્થ એ થયો કે મેં લેખનમાં હોય તો પણ અંત્ય ‘-અ’ને ઉચ્ચારવો નહીં એવો એક નિયમ આત્મસાત કરી લીધો છે. કેટલાક ગુજરાતીઓ એવા પણ છે જે gha.ra બોલે છે. એમણે મૂળ સંસ્કૃતનો નિયમ હજી જાળવી રાખ્યો છે. આપણે કહી શકીએ કે હ્રસ્વ-દીર્ઘ ભેદ એક સમયે બોલાતા સ્વરૂપમાં પણ હશે. પણ, કાળક્રમે એ ભેદ લેખનમાં રહી ગયો અને બોલાતા સ્વરૂપમાંથી ચાલ્યો ગયો. એ સાથે જ ગુજરાતી ભાષામાં લેખન અને વાણીને પરસ્પર જોડતા નવા જ નિયમો અસ્તિત્ત્વમાં આવ્યા. હવે બન્યું એવું કે આપણે કાળક્રમે એ નિયમો પરની પકડ પણ ગૂમાવવા લાગ્યા. એ માટે આપણું અક્ષરજ્ઞાન પણ જવાબદાર છે. એને કારણે આપણે જોડણીભૂલો કરવા લાગ્યા. હવે તો આપણે વ્યાકરણની ભૂલો પણ જોડણીભૂલો કરતાં વધારે પ્રમાણમાં કરવા લાગ્યા છીએ. આપણા મોટા ભાગના લેખકો અપાર ભૂલો કરવા લાગ્યા છે. એમને વાક્યરચનાની ખબર હોય પણ જ્યારે એઓ એ વાક્યોને પરિચ્છેદમાં મૂકવા જાય ત્યારે ગોથાં ખાઈ જતા હોય છે. દાખલા તરીકે, ભાષાવિજ્ઞાનમાં ટોપિક અને કોમેન્ટ જેવી સંરચનાની વાત કરવામાં આવી છે. જ્યારે હું એમ લખું કે “મેં મોહનભાઈનો ફોટો જોયો. સુંદર ફોટો હતો” ત્યારે એમાં ટોપિક અને કોમેન્ટનું વ્યાકરણ બરાબર સચવાતું નથી. પહેલા વાક્યનો ટોપિક છે “મોહનભાઈનો ફોટો” અને બીજા વાક્યનો ટોપિક છે “સુંદરતા”. અહીં ટોપિકની સૂત્રતા જળવાતી નથી. એને બદલે આ વાક્યો આમ હોવાં જોઈએ: “મેં મોહનભાઈનો ફોટો જોયો. ફોટો સુંદર હતો.” ગયા વખતે હું ભારત ગયો ત્યારે મેં કેટલાકને કહેલું કે હું લેખકો માટે ગુજરાતી ભાષાનું વ્યાકરણ એ વિષય પર એક અઠવાડિયાનો કોર્સ આપવા વિચારું છું. તમે નહીં માનો પણ બધાંએ એમ કહ્યું કે એની શી જરૂર છે. અમને તો વ્યાકરણ આવડે જ છે. એક મિત્રએ વળી આ વાત બીજા એકને કહી. તો એણે કહ્યું: કોઈ અમેરિકાથી આવે ત્યારે તમે હરખપદુડા થઈ જાઓ છો.

    2. ભાષાનું લેખિત સ્વરૂપ સર્વમાન્ય હોવું જોઈએ એવી એક માન્યતા છે. આપણે હજી લેખકને નૃવંશવિજ્ઞાન સાથે જોડતા થયા નથી. જો ક્યાંકથી મળે તો Goody નામના લેખકનાં પુસ્તકો વાંચજો. લેખનવ્વયસ્થા કેવળ યાંત્રિક વ્યવસ્થા નથી. એ એક સાંસ્કૃતિક વ્યવસ્થા છે. એ મન ફાવે એમ ન બદલી શકાય. જર્મન ભાષામાં જોડણીવ્યવસ્થા બદલવામાં આવેલી. એના કારણે કેટલાક લોકોને નવી જોડની વાંચવામાં મુશ્કેલીઓ પડી.એ લોકો અદાલતમાં ગયા. જીત્યા. અદાલતે કહ્યું કે એમને જે જોડણી કરવી હોય તે કરે. સરકારે એમના પર નવી જોડણી ન લાદવી જોઈએ. જાપાનમાં એક એંશી વરસના દાદાએ જાપાન સરકાર સામે કેસ કર્યો છે. સરકારી ટીવી ચેનલો વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દો બોલે છે જે મને સમજાતા નથી. તમે એ ટીવીને આદેશ આપો કે અંગ્રેજી શબ્દો ન વાપરે. પછી શું થયું એની મને ખબર નથી. તુર્કીમાં આખી લેખનવ્યવસ્થા જ બદલી નાખવામાં આવેલી. એરેબિક પર્શિયનને બદલે રોમન સ્ક્રિપ્ટ અપનાવવામાં આવેલી. પણ, ત્યારે અક્ષરજ્ઞાનનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું અને જે લોકો પાસે અક્ષરજ્ઞાન હતું એમાંના મોટા ભાગના સાઈઠ વટાવી ગયેલા હતા. હું જે કહેવા માગું છું તે એટલું જ કે ગુજરાતી લેખનવ્યવ્સથાનું પુન:આયોજન કરતાં પહેલાં એ ભાષાઓમાં ખરેખર શું બન્યું એનો અભ્યાસ પણ કરવો જોઈએ.

    3. મારા પહેલા લખાણમાં હું એક વાત કહેવાનું ભૂલી ગયેલો. જ્યારે અમેરિકન સંરચનાવાદનો સૂરજ તપતો હતો ત્યારે રોબર્ટ હોલે ૧૯૫૦માં એક પુસ્તક લખેલું: Leave your language alone. ૨૦૦૬માં Joshua Fishman નામના એક ભાષાવિજ્ઞાનીએ Do not leave your language alone પુસ્તક પ્રગટ કર્યું છે. મેં લખ્યું છે એમ આપણા પ્રબોધ પંડિત રોબર્ટ હોલની પરંપરાના હતા. એમના અનુયાયીઓ પણ એ જ પરંપરાના. એ લોકો માનતા હતા કે આપણે ભાષાને એના પોતાના ભરોસે – અથવા તો ભગવાન ભરોસે – છોડી દેવી જોઈએ. ફિશમાન ના પાડે છે. એ કહે છે કે હવે ભાષાઓ પર એટલાં બધાં દબાણો આવવા લાગ્યાં છે કે જો તમે તમારી ભાષાની કાળજી નહીં રાખો તો તમે એ ભાષા ગૂમાવી બેસશો. હું ફિશમાનની પરંપરાનો જીવ છું. જો ગુજરાત સરકાર ન કરે તો કાંઈ નહીં, કોઈક લાખા વણઝારાએ ગુજરાતી ભાષાની વાવ બંધાવી પડશે. જો કૂવા જ સુકાઈ ગયા હશે તો હવાડાઓનું ભાવિ શું હશે?

  • Valibhai Musa

    દીપકભાઈઃ ‘જ્યાં સુધી ક્રિયાપદો ગુજરાતીનાં હોય ત્યાં સુધી નવા (અન્ય ભાષી) શબ્દોથી ડરવાની જરૂર નથી.’

    ઉપરોક્ત વિધાન સામે માત્ર બે ઉદાહરણોથી મારા બે હેતુ સિદ્ધ કરીશ. (૧) પરોક્ષ રીતે ઉપરોક્ત વિધાનનો નમ્રભાવે પ્રત્યુત્તર; અને (૨) સંવેદનશીલ વિષય ઉપર સંવાદ > વિવાદ > વિખવાદ ન સર્જાઈ જાય અને વાતાવરણ ગરમાઈ ન જાય તે માટે હળવું મનોરંજન !

    ઉદા.(૧) અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક કક્ષાએ ભણતા બાળકને ઉત્સાહ થતો હોય છે કે શાળાસમય દરમિયાન નોંધપાત્ર કંઈક બન્યું હોય તો ઘરે ખાસ કરીને તેની (ગુજરાતી જ જાણતી) બા આગળ કંઈક આમ કહી સંભળાવે કે, “આજે ઈંગ્લિશના પિરિયડમાં અમારાં મેમ એક પોએમ રીડ કરતાં હતાં. ઈન બિટવીન એક છોકરાએ વચ્ચે જમ્પ કરીને મેમને કહ્યું, ‘મેમ મેમ, હું રીડ કરું ?” મેમ તો એન્ગ્રી થઈ ગયાં અને તેને આખા પિરિયડ માટે સ્ટેન્ડ અપ કરી દીધો. પેલો બિચારો તો ક્રાઈંગ કરતો રહ્યો, પણ મેમને જરાય પીટી ન આવી. હેં મમા, મેડમે કંઈ ગુડ કર્યું કહેવાય ?”

    (૨) એક એન.આર.આઈ. (નોટ રિઅલ ઈન્ડીઅન !!!) અમેરિકામાં જન્મેલા, ત્યાં ભણેલા; પણ, ઘરમાં ગુજરાતી ચાલતું હોઈ થોડુંઘણું કોકટેઈલ ગુજરાતી બોલી જાણે. વતનમાં આવ્યા. જ્ઞાતિસંમેલનમાં તેમને કંઈક બોલવાનું કહેવામાં આવ્યું અને તેઓશ્રી આમ બોલ્યા : “લેડીઝ એન્ડ જેન્ટલમેન, આઈ મીન, બહેનો ને ભાઈઓ, આજે આપણા ઓલ્ડર પીપલે, મીન્સ ઓલ ધીઝ કાકાઝે મને રિક્વેસ્ટ કરી કે આઈ શુડ ડિલીવર અ સ્પીચ, સોરી પ્લીઝ, કંઈક સમથીંગ સ્પીક કરું. બટ યુ નો, મને એટલો બધો ગુજરાતી લેન્ગવેજ આવડતો નથી. એની વે, આઈ’લ સ્પીક સમથીંગ, સોરી હું કંઈક બોલ્યો છું , નો ..નો…બોલીશ! નામસ્તે ગાયઝ, યુ પીપલ આર ગુડ. (સૂંઘવાનો અભિનય કરતાં) ગુડ સ્મેલ ઓફ …(ચાર આંગળીઓને અંગુઠા સાથે ઊંચે શામિયાના તરફ થપથપાવતાં શબ્દ યાદ કરવાની કોશિશ કરે છે, ત્યાં તો હાઈસ્કૂલમાં ભણતાં છોકરાં એકી અવાજે પ્રચંડ ઘોષે બોલી ઊઠે છે..) શિરો.ઓ.ઓ…! (ભાયો ભોંઠા પડે છે) થેંક્સ, થેંક્સ, થેંક યુ વેરી મચ. એન્જોય શીરા એન્ડ હેવ અ ગુડ ડે. નામસ્તે. બાય. (ખડખડાટ હસી પડતી મેદનીને સંચાલક અટકાવી નથી શક્તો, કેમ કે તેનું પોતાનું જ હસવું તેના જ કાબૂમાં નથી !)

  • Babu Suthar

    1. એક પ્રશ્ન એ પણ છે કે શું ભાષાના ધોવાણને અટકાવી શકાય ખરું? ભાષાવિજ્ઞાનની એક શાખા અથવા તો એમ કહો કે પ્રશાખા મરવા પડેલી ભાષાઓને પાછી જીવતી કરવાનું કામ કરે છે. એના કેટલાક સિદ્ધાન્તો છે, એની કેટલીક રીતો પણ છે. એટલું જ નહીં, કોઈ એક ભાષા બીજી ભાષાની તરફેણમાં ખસી જતી હોય તો એને પાછી મૂળ જગ્યાએ લાવવા માટેના પણ સિદ્ધાન્તો છે. ઘણા બધા ભાષાવિજ્ઞાનીઓ એ વિષય પર કામ કરી રહ્યા છે. એ માટે Reversing language shift જેવાં પુસ્તકો પણ છે. ગુજરાતી ભાષાનું અત્યારે જે ધોવાણ થઈ રહ્યું છે એને અટકાવવા અને જે કંઈ ધોવાઈ ગયું છે એમાંનું કેટલુંક પાછું લઈ આવવા માટેના પ્રયાસો કરવા જોઈએ. પણ, એ કામ કોણ કરશે? રાજ્ય સરકાર વિકાસની વાત કરે છે. પણ, મેં એક લેખમાં લખ્યું હતું એમ એની વિકાસની વિભાવનામાં ભાષાના વિકાસનો સમાવેશ થતો નથી. પિત્રોડાએ પણ ક્યાંક એવું કહ્યું હતું કે અંગ્રેજી ભાષા મજબૂત બનાવવાની જરૂર છે. પિત્રોડા એક ટેકનોલોજીસ્ટ છે. એટલે એમને આ પ્રકારનું વિધાન કરવાનું પરવડે. આપણને ન પરવડે. જો આપણે બધું જ ટેકનોલોજીમાં ન્યૂન કરી નાખીશું તો આપણ બધાં જ અર્થવિહીન બની જઈશું. કારણ કે જો એમ થશે તો આપણા જીવનનો અર્થ પણ ટેકનોલોજી પર આધાર રાખતો થઈ જશે. ફિલસૂફોએ આ અંગે અવારનવાર ચિન્તા વ્યક્ત કરી છે. મેં અવારનવાર કહ્યું છે અને આજે પણ હું એ વાતનો પુરોચ્ચાર કરવા માગું છું કે અંગ્રેજી બીજી ભાષા તરીકે રહેવી જોઈએ. ભાષાવિજ્ઞાનીઓ બે પ્રકારના બહુભાષી સમાજ ની વાત કરે છે. એક સમાજમાં પરભાષા માતૃભાષાનું સ્થાન લઈ લેવાના પ્રયાસો કરે જ્યારે બીજા સમાજમાં પર ભાષા માતૃભાષાને સમૃદ્ધ બનાવવાનું કામ કરે. આપણ આમાંના બીજા પ્રકારના બહુભાષા સમાજ બનવાની જરૂર છે.

    2. આપણે બીજી ભાષામાંથી શબ્દો લાવીએ છીએ. પણ, એ આખી પ્રક્રિયા મન ફાવે તેવી નથી હોતી. જગતની બહુ ઓછી ભાષાઓમાં ક્રિયાપદો ઉછીનાં લાવવામાં આવતાં હોય છે. ભાષાવિજ્ઞાનીઓ બે પ્રકારના શબ્દોની વાત કરે છે. એક તે ‘ઓપન’ અને બીજા તે ‘ક્લોઝ’. જે ક્લોઝ હોય એ પ્રકારના શબ્દો ઉછીના ન લવાય. આ ઉછીના શબ્દ જ સમજવા જેવો છે. આપણે કશીક વસ્તુ ઉછીની ક્યારે લાવીએ? જ્યારે આપણી પાસે એ વસ્તુ ન હોય ત્યારે. જો મારી પાસે ‘બાપુજી’ શબ્દ છે તો પછી મારે ‘ફાધર’ શબ્દ શા માટે ઉછીનો લાવવો જોઈએ? જ્યારે આપણે ‘ફાધર’ જેવો શબ્દ ઉછીનો લાવીએ ત્યારે એના બે અર્થ થાય. કાં તો આપણે ‘બાપુજી’ જેવો શબ્દ ખોઈ નાખ્યો છે અથવા તો એ શબ્દ કોઈક કારણસર ઘસાઈ ગયો છે. પણ, એવું તો નથી. એક જમાનામાં સમાજનો એક નાનકડો વર્ગ ‘ફાધર’ શબ્દ વાપરતો હતો. હવે એ શબ્દએ મૂળ ગુજરાતી શબ્દનું સ્થાપન પચાવી પાડ્યું છે. આ ઘટના કાંઈ અમસ્થા નથી બની. એક તો આપણે આપણી ગુજરાતી ભાષા માટેની વફાદારી ઓછી કરી નાખી. બીજું, તે આપણે અંગ્રેજી ભાષાને ઊંચો સામાજિક દરજ્જો આપી દીધો. મને બરાબર યાદ છે. ત્યારે હું ગોધરામાં ટેલિફોન ઓપરેટર હતો. મારો નાનો ભાઈ ત્યારે મારી સાથે રહેતો હતો. એણે એક ભિખારીને દસ રૂપિયા (૧૯૭૮માં) આપેલા. મેં કહ્યું: ભલાદમી, એટલા બધા અપાય? તો એ કહે: એ અંગ્રેજીમાં ભીખ માગતો હતો. હકીકતમાં તો એ માણસ કેરળથી ગુજરાત આવેલો. એક જમાનામાં ગામડામાં અંગ્રેજીનો પ્રતિકાર થતો હતો. ‘વૉટર’ વાળો જોક્સ તો તમને ખબર હશે જ. એક કાલેજિયન વેકેશનમાં ઘેર આવ્યો. માંદો પડ્યો. પછી પાણી માગવા લાગ્યો: વૉટર વૉટર. બાપા સમજ્યા કે આ છોકરો તો મોટે માગે છે. હું મોટર ક્યાંથી લાવું. એટલે એને મરવા દીધો. પેલું “ધેટ મેને ધક્કો માર્યો, આઈ એમ પડી ગયા, બટ મને વાગ્યું નહીં, લેગ્ઝ મારા તૂટી ગયા” જોડકણું પણ ઘણાને યાદ હશે.દીપકભાઈ કહે છે એમ આ બધાં પરફેક્ટ ગુજરાતી વાક્યો છે. એ જ રીતે પેલા છોકરાએ “લડતાં લડતાં શિવાજી રંગમાં આવી ગયા” એનો અંગ્રેજી અનુવાદ આમ કરેલો: ફાઈટિંગ ફાટિંગ શિવાજી કેઈમ ઈન ટુ કલર”. પરફેક્ટ વાક્ય છે અંગ્રેજીનું. પણ, આપણે ચલાવી લઈશું ખરા? પન્નાલાલની એક નવલકથામાં પણ એક વાત આવે છે. એક ગોરો માણસ કોઈક ગામમાં આવી ચડ્યો છે. કોઈ એની કે એ કોઈની ભાષા સમજતો નથી. ત્યારે ગામલોકો કહે છે કે ચામડી જુદી પણ હસે તો આપડા જેવું જ. અહીં ‘આપડા જેવું’નો અર્થ ‘ગુજરાતીમાં’ એવો કરી શકાય. મારી સાથે એક ચીમન નામનો છોકરો હતો. એ અંગ્રેજીના સાહેબને કહેતો કે એને અંગ્રેજી ભાષા નથી ગમતી કેમ કે એમાં ‘તક’ જેવા નાનકડા શબ્દ માટે અગિયાર અક્ષરનો શબ્દ છે (opportunity). હવે પરિસ્થિતિ બદલાઈ છે.

    3. હું માનું છું કે માણસ એક ભાષા ગૂમાવે ત્યારે એક આખું વિશ્વ ગૂમાવી દેતો હોય છે. આપણે ધીમે ધીમે એક આખું વિશ્વ ગૂમાવી રહ્યા છીએ. બાકી ગુજરાતી ભાષા કાંઈ નબળી ભાષા નથી. નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, ભાલણ, અખો, દયારામ, દલપત, નર્મદ, ગોવર્ધનરામ, ગાંધીજી વગેરેએ ગુજરાતી ભાષા માટે જે કંઈ કર્યું છે એનું ૠણ હજી આપણે ચૂકવી શક્યા નથી. અને ચૂકવી શકીશું કે કેમ એ એક પ્રશ્ન છે. એક જમાનામાં એમ.એસ. યુનિવર્સિટીમાં માસ્ટર ડીગ્રીમાં પ્રવેશ માટે ૪૦૦ જેટલી અરજીઓ આવતી. ગયા વરસે કેવળ ૨૫ જેટલી અરજીઓ આવેલી. પછી સમયમર્યાદા લંબાવી. એટલે બીજી ત્રીસક જેટલી અરજીઓ આવી. બધાને બી.એ.માં ચાલીસ ટકા કરતાં પણ ઓછા. એ પંચાવન વિદ્યાર્થીઓમાંથી કેવળ તેર કે પંદર જ નિયમિત વર્ગમાં આવે છે. એમાંના બે ચાર તો પોતાના બોય ફ્રેન્ડ કે પોતાની ગર્લ ફ્રેન્ડને મળવા આવતા હોય છે. અહીં યુનિવસર્સિટી ઓફ પેન્સિલવેનિયા પણ પચ્ચીસથી પણ વધુ વરસ ચલાવ્યા પછી આવતા વરસથી ગુજરાતી બંધ કરે છે. એક જમાનામાં મેં બાવીસ વિદ્યાર્થીઓ (ખાલી પહેલા વરસમાં જ) ભણાવેલા. હવે બે કે ત્રણ થઈ ગયા છે. સત્તર વરસ આ દેશમાં ગુજરાતી ભણાવ્યા પછી મારા જેવાને શું કામ મળી શકશે? આવતી કાલે હું કોઈ હોટલ કે મોટલના રીસેપ્શન ટેબલ પર જોવા મળું તો કોઈએ નવાઈ નહીં પામવાનું. ગુજરાતી ભાષાના શિક્ષકની નિયતી દેખીતી રીતે જ એની ભાષાની નિયતી સાથે જ જોડાયેલી હોય છે. ભાયાણીએ ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ લખ્યું છે. પણ, એ અપૂર્ણ છે. એમણે લખેલું કે સત્તરમી સદીથી વીસમી સદીનું વ્યાકરણ ભવિષ્યમાં કોઈક લખશે. એ કામ મેં શરૂ કરેલું. પણ, હવે પડતું મૂકવું પડશે. જીવન નિર્વાહ માટે વધારે સમય કાઢવો પડશે. એ જ રીતે, યુરોપના એક પ્રકાશકે મને ગુજરાતી ભાષાનું વ્યાકરણ લખવાનું કહેલું. પણ, મેં એક કામ ન’તું સ્વીકાર્યું. કેમ કે યુરોપમાં પ્રગટ થતાં પુસ્તકો મોંઘોં હોય છે. એટલે મેં એમને કહ્યું કે તમે ભારતની, અને ખાસ કરીને ગુજરાતની કોલેજો માટે સસ્તી આવૃત્તિ કાઢો તો હું મારી રોયલ્ટી જતી કરવા તૈયાર છું. એમણે ના પાડી. જવાબમાં મેં પણ ના પાડી. વ્યાકરણ અરધું તૈયાર છે. પણ, હવે એ કામ પણ આગળ નહીં વધે. હું મારી આત્મકથા કહેવા નથી બેઠો. હું એટલું જ કહેવા માગું છું કે આપણી ભાષાનીતિ ગુજરાતી ભાષાને અને એની સાથે સંકળાયેલા શિક્ષકો, લેખકો, વાચકો વગેરેને સતત સમૃદ્ધ બનાવ્યા કરે એવી નથી.

    • Dipak Dholakia

      શ્રી વિજયભાઈ અને શ્રી બાબુભાઈ જોગ,
      વિજયભાઈ, હું તમારી વાત સાથે સંમત છું કે જોડણી સુધાર (જોડણી આયોજન)નું કામ કરવું હોય તો સરકારને સામેલ કરવી પડે અને તે પહેલાં વ્યાપક સર્વ સંમતિ કેળવવી પડે. આપણે દલા તરવાડીની જેમ જાતે જ પૂછીએ અને પછી વાડી બનીને જવાબ આપીએ અને જોઈએ તેટલાં રીંગણાં લઈ લઈએ એ ન ચાલે.
      તે સાથે સાચી (સર્થ જોડણી કોશ આધારિત) જોડણીનો આગ્રહ રાખનારાની ભૂલો તો થતી જ હોય છે, એ પણ ન ભૂલવું જોઇએ. હું સાર્થ-સ્થાપિત જોડણીનો હિમાયતી હોઉં તો મારે સૌ પહેલાં તો મારી પોતાની જોડણીની ભૂલો પર ધ્યાન આપવું જોઇએ. આમ આ ક્ષેત્રમાં કરવા જેવું તો ઘણું છે.
      અહીં હું વિદ્વાન તરીકે નથી લખતો, કારણ કે સત્તાવાર રીતે મારો આ વિષય નથી રહ્યો. આમ છતાં વ્યવસાયની રીતે ભાષા સાથે જીવનભર કામ રહ્યું. તમારા સંકેતના સંદર્ભમાં આટલી સ્પષ્ટતા કર્યા પછી મારો અંગત મત વ્યક્ત કરવાનો અધિકાર હોય તો હું કહેવા માગું છું કે જોડણી બાબતનો વિવાદ ‘રાઈનો પર્વત’ કરવા બરાબર છે. ઇ-ઈ, ઉ-ઊનાં ચિહ્નો જુદાં હોવા છતાં ઉચ્ચારમાં એટલો મોટો ભેદ કદી નહોતો એ હકીકત છે. આમ છતાં, બે ચિહ્નો હોવાથી લોકો એનો પોતાની રીતે ઉપયોગ કરતા રહ્યા. આ ચિહ્નોને વૈકલ્પિક ચિહ્નો માનવાં જોઈએ અને એની ભૂલોને ભૂલ ન માનવી જોઇએ. આમ હું સાર્થ અને ઊંઝા વચ્ચેના માર્ગે ચાલું છું. જેને વિદ્વાનોએ અરાજકતા ગણાવી તે મારી નજરે અરાજકતા નહોતી, માત્ર સંસ્કૃતપ્રેમી વિદ્વાનોની આંખનો મોતિયો જ હતો. આની સામે ઊંઝકોએ જે રસ્તો લીધો તે પણ શાસ્ત્રીય ન હોવાનું મને લાગે છે. શાસ્ત્રીયતા સરળતાથી અલગ નથી હોતી, પણ સરળતા ખાતર કંઇ ટૂંકા રસ્તા ન લેવાય.
      શ્રી બાબુભાઈ, મેં કહ્યું છે કે જ્યાં સુધી ક્રિયાપદો ગુજરાતીનાં હોય ત્યાં સુધી નવા શબ્દોથી ડરવાની જરૂર નથી. આ વાત માટે મેં એક આત્યંતિક દાખલો આપ્યો. એમાં મારો હેતુ માત્ર ક્રિયાપદો ગુજરાતીનાં રાખ્યાં છે. ક્રિયાપાદોના મહત્ત્વ વિશે મારા દાવા સાથે તમે સમત છો કે નહીં? આની સ્પષ્ટતા તમે કરી નથી.
      બીજી વાત એ કે શું આજે જે ગુજરાતી બોલાય ચી તે જ ગુજરાતી નરસિંહ, પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય બોલતા હતા એમ આપણે ખાતરી પૂર્વક કહી શકીએ છીએ? શું ગુજરાતીમાં અરબી, ફારસી, અમ્ગ્રેજી અને સંસ્કૃતના શબ્દો નથી આવ્યા? આમ ચાતાં જો એ આ જ સુધી ‘ગુજરાતી’ રહી છે તો આજે નવા શબ્દો આવે તેથી એને મરણાસન્ન કેમ માની લેવાય?
      આમ છતાં મને આનંદ એ વાતનો છે કે તંમે ચર્ચામાં જોડાયા છો. વેબગુર્જરી પર શ્રી વલીભાઈએ ભાષા વિશે લખ્યું ત્યારે મેં તમને ખાસ આમંત્રણ આપ્યું હતું કે ચર્ચામાં આવો. હવે આ ચર્ચામાં આવ્યા છો તેનો લાભ સૌને મળે છે. અફસોસની વાત એ છે કે સાર્થ-સમર્થક અથવા ઊંઝા-સમર્થક વિદ્વાનો આ ચર્ચામાં નથી આવતા. કદાચ એમને મન ભાષા સામાન્ય જનનો મુદ્દો નથી.

  • vijay Shah

    આભાર બાબુ ભાઇ

    આપની વાત સાચી છે બે ચાર બુધ્ધીવદીઓ કે જેઓ અત્રે અહીં પોતાના અભિપ્રાયો મુકે છે તેઓનાં પુરા માન અને સન્માન સાથે આપે મુદ્દા નંબર ૨ માં જણાવ્યુ તેમ સરકાર કે કોઇક માન્ય ગુજરાતી સંસ્થાએ કાર્યરત થવું જરુરી છે

  • Valibhai Musa

    સોરી, બાબુભાઈ !

    મેં મારા પ્રતિભાવોને મારા બ્લોગ ઉપર Scheduled કરી રાખ્યા છે, જે તા.૦૬ અને ૧૨ ડિસેમ્બર, ‘૧૩ના દિવસોએ પ્રસિદ્ધ થશે.

  • Valibhai Musa

    મુરબ્બીશ્રી બાબુભાઈ,

    પ્રથમ તો એ પૂછીશ કે આપ હાલમાં અમેરિકા ખાતે છો કે કેમ ? PA ના એલનટાઉન ખાતે મારે આવવાનું થતું હોય છે, એટલે પૂછ્યું.

    આપના પ્રતિભાવને વાંચ્યા પછી નેટસફરે જતાં આપના વિષે ઘણું જાણ્યું અને વિદેશમાં હોવા છતાં આપની ગુજરાતી વિષેની મનોવ્યથા પરત્વે મને માન ઉપજ્યું.

    આ લેખ ઉપરના મારા ઉપરોક્ત બંને પ્રતિભાવોને મારા બ્લોગ ઉપર મૂક્યા છે. આપ સંમતિ આપો તો (11.)માં આપે જણાવ્યા મુજબ જોડણીઆયોજન અને અન્ય કોઈ ક્ષતિઓ હોય તો સુધારી લઈને આપના પ્રતિભાવને પણ ત્યાં મૂકવા માગું છું. આશા સેવું છું કે આપ મને નિરાશ નહિ જ કરો.

    ધન્યવાદ.

    • Babu Suthar

      હા, હું હજી ફિલાડેલ્ફિયામાં જ છું. તમે એલનટાઉન આવો ત્યારે મને ઈ-મેઈલ કરજો. મળીશું. basuthar@gmail.com

      Please feel free to use my comments on your blog.

  • Babu Suthar

    1. મેં આ પહેલાં પણ લખ્યું છે કે ‘જોડણી સુધારો’ શબ્દ પ્રયોગ બરાબર નથી. એને બદલે ‘જોડણી આયોજન’ શબ્દ સારો લાગે.

    2. જોડણી આયોજન બેચાર તથાકથિત બુદ્ધિજીવીઓથી કે ભાષાવિજ્ઞાનીઓથી ન થાય. એ માટે સરકારે અથવા તો ભાષાના નિભાવ માટે જવાબદાર એવી કોઈક સંસ્થાએ એક સમિતિ નીમવી પડે અને એ સમિતિમાં શિક્ષકોથી માંડીને કંમ્પ્યુટર વૈજ્ઞાનિકો સહિત સમાજના અલગ અલગ વર્ગોમાંથી પ્રતિનિધિઓ સમાવવા પડે.

    3. પછી, અથવા તો પહેલાં, આપણે ‘જોડણી’ કોને કહીએ છીએ અને લેખનવ્યવસ્થા કોને કહીએ છીએ એ વિષે બરાબર સ્પષ્ટતા કરવી પડે. હું ‘સન્ત’ લખું કે ‘સંત’ લખું એની સાથે જોડણીનો કોઈ પ્રશ્ન સંકળાયેલો હોય એવું મને લાગતું નથી. હા, હું ‘નદી’ને બદલે ‘નદિ’ લખું તો એમાં જોડણીનો પ્રશ્ન જરૂર સંકળાયેલો છે. એ જ રીતે, જો હું ‘કરણ’ને બદલે ‘કણર’ લખું તો એમાં પણ જોડણીનો પ્રશ્ન સંકળાયેલો છે. આમાંન પહેલા ઉદાહરણને સિલેબલના દૃશ્ય સ્વરૂપની રચના સાથે સંબંધ છે, બીજાને સિલેબલ્સની ગોઠવણી સાથે સંબંધ છે. એજ રીતે ગ્લીફ અને જોડણીવ્યવસ્થા વચ્ચેના સંબંધો પણ સ્પષ્ટ કરવા પડે.

    4. અનુસ્વારો બે પ્રકારના. એક તે વ્યંજન વ્યક્ત કરે એવા અને બીજા તે નાસિક્ય વ્યક્ત કરે એવા. ‘સંત’માં ‘સ’ પર આવતો અનુસ્વાર વ્યંજન વ્યકત કરે છે. જ્યારે ‘આંગણું’માં ‘આ’ પર અને ‘ણ’ પર આવતા અનુસ્વાર જે તે સ્વરના નાસિક્યને વ્યક્ત કરે છે. અહીં પણ બન્ને અનુસ્વારો વચ્ ભેદ છે. ‘આં’ પર આવતો અનુસ્વાર કોઈ સ્વતંત્ર અર્થ પ્રગટ કરતો નથી, જ્યારે ‘ણું’ પરનો અનુસ્વાર નાન્યતર જાતિ પ્રગટ કરે છે.

    5. કેટલાક અનુસ્વારો આપણે નોંધતા નથી એ માટે આપણી સમાજવ્યવસ્થા પણ જવાબદાર છે. ઘણા લોકો નાસિક્યને ગામઠી બોલી કે અભણ માણસોની બોલી સાથે સાંકળતા હોય છે. મારી – ઉત્તર ગુજરાતની – બોલીમાં નાસિક્ય પ્રબળ છે. હું કૉલેજમાં ભણવા ગયો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ મારી મશ્કરી કરતા હતા.

    6. જોડણી આયોજન કરતા પહેલાં આપણે એક વાતનો સ્વીકાર કરવો પડે કે જોડણી બોલાતી ભાષા પર આધાર રાખતી નથી. એક બાજુ ધ્વનિવ્યવસ્થા છે તો બીજી બાજુ લેખનવ્યવસ્થા છે. એ બન્ને વ્યવસ્થાઓ સ્વાયત્ત છે. હા, એ બન્નેને જોડતી એક ત્રીજી વ્યવસ્થા પણ છે. ગુજરાતી ભાષામાં જે લોકો ‘ઊંઝા જોડણી’ની વાત કરે છે એ બધા જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમેરિકન સંરચનાવાદની ભાષાસમજથી પ્રભાવિત થયેલા છે. એ ભાષાવિજ્ઞાન એવું માનતું હતું કે ધ્વનિ પહેલાં, લેખન પછી. એ એમ પણ માનતું હતું કે લેખન ધ્વનિ પર આધાર રાખે છે. પાઈક નામના ભાષાવિજ્ઞાનીએ ધ્વનિઘટક પર એક પુસ્તક લખેલું. એ પુસ્તક લખવા પાછળ પાઈકનો આશય આટલો જ હતો: જે ભાષાઓ પાસે પોતાની લેખનવ્યવસ્થા નથી એ ભાષાઓની લેખનવ્યવસ્થાનું નિર્માણ કરવાની એક પધ્ધતિ આપવી. એમાં એમણે સૌ પહેલાં ધ્વનિઘટકો કઈ રીતે શોધવા એની વાત કરેલી અને પછી કહેલું કે પ્રત્યેક ધ્વનિઘટક માટે એક એક અક્ષર હોવો જોઈએ. એટલે કે જે ધ્વનિતંત્રના સ્તર પર છે એ લેખનતંત્રમાં આવવું જોઈએ. એ બન્ને વચ્ચે એક પ્રકારની સમાનતા હોવી જોઈએ.

    7. આ પ્રકારના ભાષાવિજ્ઞાનનો ૧૯૫૭માં અંત આવ્યો. પણ, ગુજરાતીમાં હજી એના અનુયાયીઓ છે. જો તમે ધ્યાનથી અભ્યાસ કરશો તો તમને સમજાશે કે આપણા જેટલા ભાષાવિજ્ઞાનીઓ પ્રબોધ પંડતિના કે એમના વિદ્યાર્થીઓના હાથ નીચે તૈયાર થયો છે એ બધા જ ઇ-ઈ, ઉ-ઊ ભેદ કાઢી નાખવાની વાત કરે છે. જય પાઈક દાદા! જય બ્લુમફિલ્ડ દાદા! પણ, જે લોકો ૧૯૫૭ પછીના ભાષાવિજ્ઞાનમાં તૈયાર થયા છે એ બધા એ દલીલ સાથે સંમંત નથી. એ લોકો માને છે કે કે લેખન અને વાણી બન્ને અલગ અલગ વ્યવસ્થાઓ છે. એ બેની વચ્ચે જ સમાનતા જોવા મળે છે એ અકસ્માત છે. નિયમ નથી.

    8. આપણી મુશ્કેલી એ છે કે જો આપણી ગાય કે ભેંસ બિમાર પડે તો આપણે અત્યાધુનિક સગવડ ધરાવતા દવાખાને જઈશું પણ જો આપણી ભાષા ‘બિમાર પડે’ તો આપણે કાળગ્રસ્ત થઈ ગયેલા કોઈક દાક્તર પાસે જઈશું.

    9. જોડણી આયોજન બાળકોના કે બેચાર ચળવળિયાઓના ખેલ નથી. એની સાથે ઇતિહાસ સંકળાયેલો હોય છે, સ્મૃતિવ્યવસ્થા સંકળાયેલી હોય છે, શિક્ષણ સંકળાયેલું હોય છે. અને બીજું ઘણું બધું.

    10. હવે વાત ગુજરાતી ભાષાના ભાવિ વિષે. છેક ૧૯૯૫માં મેં એક લેખ લખેલો અને એમાં લખેલું કે ગુજરાતી ભાષાનું ધોવાણ થઈ રહ્યું છે. આપણે કંઈક કરવું જોઈએ. ત્યારે આ પાઈકદાદાના અનુયાઓઓએ મારો વિરોધ કરેલો અને કહેલું કે આ તો ઐતિહાસિક પ્રક્રિયા છે. ભાષા તો બદલાતી રહે. પણ, આપણે જો આપણા ઘરમાં તિરાડો પડે તો આવી દલીલ નથી કરતા. ભીંતો છે, સમય છે, તિરાડો તો પડે. એતિહાસિક પરિવર્તનો પણ બે પ્રકારનાં. એક તે ભાષાની આંતરિક વ્યવસ્થામાં થી ‘ઉથલપાથલ’ન કારણે આવતાં પરિવર્તનો. જેમ કે, “મેં કેરી ખાધી” એ વાક્ય એક જમાનામાં તો કર્મણિ હતું. પેસીવ-ના અર્થમાં. પછી એ પેસીવ રચનાઓ આપણા માટે ફરજિયાત બની ગઈ. એના પગલે આપણે ‘કેરી મારા દ્વારા ખવાઈ’ એવું વાક્ય સાચું હોવા છતાં પણ બોલતા નથી. દરેક ભાષા શક્ય સંરચના અને વાસ્તવિકત સંરચના વચ્ચે ભેદ પાડતી હોય છે. “રમેશ કે જે મગનભાઈનો દીકરો છે કે જે ગુજરાતમાં રહે છે કે જેના મુખ્ય પ્ર્ધાન નરેન્દ્ર મોદી છે કે જે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદાવર છે કે એ કાલે આવશે” આ એક શક્ય વાક્યરચના છે પણ આપણે એવી વાક્યરચનાઓ લખતા કે બોલતા નથી. એમ હોવાથી possible અને actual વચ્ચે ભેદ પાડવો પડે. બીજું પરિવર્તન તે ભાષાસંપર્કોને કારણે આવે તે. કોઈક બે ભાષાઓ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે એમની સંરચનામાં, એમના શબ્છંડોળમાં પણ પરિવર્તન આવે. એમાંનાં કેટલાંક પરિવર્તનો સાહજિક હોય. ગુજરાતીમાં આપણે “હું પ્રેમમાં પડ્યો” એમ કહીએ છીએ. રજનીશ કહેતા હતા કે We never ‘fall’ in love, we always rise in love. સાચું ગુજરાતી વાક્ય આમ છે: મને પ્રેમ થયો. પણ, આપણને પેલી ‘પડ્યો’ વાળી રચના સાથે ઝાઝો વાંધો નથી. પણ, ક્યારેક એવું બને કે એક ભાષા બીજી ભાષાનું એટલું બધું ધોવાણ કરે કે આપણે આપણી વાસ્તવિકતાને જ પ્રગટ કરવા માટેની ભાષા ન હોય. સમયના અભાવે હું આ વાત વિસ્તરે સમજાવી શકું એમ નથી. પણ, હું જે કહેવા માગું છું તે એટલું જ કે ગુજરાતી ભાષાનું ધોવાણ થઈ રહ્યું છે. ગુજરાતી ભાષા મરશે નહીં, પણ એ એટલી બધી ધોવાઈ જશે કે એમાં અમુક પ્રકારની અભિવ્યક્તિ શક્ય નહીં બને. એ માટે આપણા સર્જકો પણ જવાબદાર છે. જો હું એમ કહું કે જયંત ખત્રીને ગુજરાતી ભાષામાં mood અને tense shifting નો બરાબર ખ્યાલ ન હતો, ક. મા. મુન્શીની ઘણી બધી વાક્યરચનાઓ ખોટી છે, ધ્રુવ ભટ્ટ કે હિમાંશી શેલત કે પછી વિનેશ અંતાણીને પણ ગુજરાતી ભાષા બરાબર વાપરતાં નથી આવડતી તો બધા મારા પર ગુસ્સે થશે, મને તોછડો કહીને વગોવશે. પણ, કમનસીબે હું જે કષી રહ્યો છું એ તદ્દન સાચું છે. આપણા લેખકોએ ભાષાવિજ્ઞાની પાસેથી ગુજરાતી ભાષા શીખવાની જરૂર છે. પણ, આપણી પાસે એ પ્રકારની તાલિમ મેળવેલા ભાષાવિજ્ઞાનીઓ જ ક્યાં છે?

    11. એક ઝાટકે જે લખાયું તે અહીં મૂક્યું છે. જોડણીદોષો કે વાક્યરચનાના દોષો સુધારવાનો સમય મળ્યો નથી. એમ હોવાથી ભૂલચૂક સુધારીને મારી વાત સમજવા વિનંતી.

  • M.D.Gandhi, U.S.A.

    આપણે આપણા સંતાનોને “ગુજરાતી”ને બદલે અંગ્રેજી ભણાવીએ છીએ, તેમ ભારતની બીજી ભાષાના લોકો પણ અંગ્રેજીમાંજ ભણાવે છે, તે બધાને પણ તેમની માતૃભાષા માટે ચિંતા અને તકલીફ છેજ. હવે આપણે જો ઘરમાં કે વ્યવહારમાં સંતાનો સાથે માતૃભાષા સાથે અંગ્રેજીમાં વાત કરતાં હોઈએ તો પછી તેઓ પણ અધકચરી જ માતૃભાષા બોલવાના……તેઓ પછી વ્યાકરણ કે જોડણી ક્યાંથી શીખવાના…..????

  • Valibhai Musa

    દીપકભાઈ,

    મને આશા હતી જ કે આપણે અહીં ભેગા થઈશું અને થયા પણ ખરા. ઘડીભર માની લઈએ કે આપણે ઊંઝકોની ઈ-ઉ, શ, ષ, સ કે અનુનાસિક વ્યંજન/અનુસ્વાર કે બીજું જે કંઈ હોય તે બધું અપનાવી લઈએ છીએ; પરંતુ વ્યાકરણ, વિરામચિહ્નો અને કેટલાક વિશિષ્ટ દોષોનું શું ? નેટપ્રસારના કારણે આમપ્રજાનું ગુજરાતીમાં લખવાનું પ્રમાણ ઘટ્યું છે. ગુજરાતીમાં લખવાનું હવે શાળાકોલેજોમાં ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ, સાહિત્યસર્જકો, અખબાર-સામયિકો અને બ્લોગર્સ પૂરતું સીમિત થઈ ગયું છે. વિદ્યાર્થીઓની ભાષાભૂલોને જોવાવાળા શિક્ષકો-અધ્યાપકો છે, સાહિત્યસર્જકો અને અખબાર-સામયિકોવાળાઓ પાસે પ્રુફરીડર્સ છે; જ્યારે બ્લોગર્સ ઉપર ભૂલસુધારનું કોઈ નિયંત્રણ નથી. હું પોતે પણ બ્લોગર છું અને બધાયના ભેળો હું પણ ભળીને આપણા બ્લોગર્સ વિષે, સૌ જાણે છે એટલે કહેવામાં વાંધો નથી, એટલું જ કહીશ કે મોટાભાગના બ્લોગર્સનો ગુજરાતી ભાષાને બગાડવામાં કંઈ ઓછો ફાળો તો નથી જ. કેટલાક બ્લોગર્સનાં બ્લોગશીર્ષકો, તેમના પરિચયલેખો, તેમના લેખો કે કાવ્યોનાં શીર્ષકો અને આંતરિક લખાણો, વાટકીવ્યવહારના ભાગ રૂપે લખાતા મોટાભાગના બ્લોગર્સના જ ‘દૂધમાં પાણી કે પાણીમાં દૂધ ?’ જેવા અશુદ્ધ ભાષામાં પ્રતિભાવો, આપસી મેઈલવ્યવહાર ઇત્યાદિમાં પ્રુફરીડરનું માથું ફાટી જાય તેવી શબ્દેશબ્દે, વાક્યવાક્યે, જાણેઅજાણ્યે, થયે જતી બેસુમાર ભૂલો વગેરે જોતાં એમ થયા કરે કે જો આમને આમ આખું આભ ફાટી જશે તો ક્યાં, કેવડાં અને કેટલાં થીગડાં કોણ, કઈ રીતે, ક્યાં લગાવશે !

    હાલ આ જે લખાણ લખાઈ રહ્યું છે તેમાં વાચકોની ગેરસમજ ન થવી જોઈએ કે હું સંપૂર્ણ ભાષાશુદ્ધિની વાત કરું છું. અનુસ્વાર કે આનુનાસિક વ્યંજનની પસંદગીની વાત છોડો, કોઈ બેમાંથી એકેય લખે નહિ, ત્યારે ત્યાં શું સમજવું ? કોઈ બ્લોગના હોમપેજ ઉપર જે તે બ્લોગ શરૂ થયે પાંચપાંચ-છછ વર્ષો થયાં હોવા છતાં કોઈ ‘અમારા પુસ્તકો કે સામયિકો’, ‘વેબસાઈટ્’, ‘વાંચકો’ (હું પોતે જ એમ લખતો હતો, જે જુગલભાઈથી સુધર્યું.), સુવિચારોના … (પાછળ નાન્યતર જાતિનું નામ હોવા છતાં),’આપનુ સ્વાગત’, બ્લોગના શીર્ષક હેઠળની બ્લોગની ઓળખ માટેની Taglineમાં ભૂલો ! ગણી ગણાય નહિ. વીણી વીણાય નહિ એવી બેદરકારીઓ ! હોમ પેજ તો આપણા બ્લોગરૂપી ઘરનું આંગણું કહેવાય અને ત્યાં જો આવા ગો(સમો)ટાળા હોય તો વાચક અંદરનો મામલો કેવો હશે તેનો અંદાજ લગાવી શકે ખરો કે નહિ ? નરજાતિ, નારીજાતિ કે નાન્યતરજાતિ નામો માટે તો વ્યાકરણ એમ કહીને છૂટી જાય છે કે નામને કેવો, કેવી કે કેવું પૂછીને અજમાવી જુઓ અને જાતિ નક્કી કરી નાખો. નદીનો કિનારો, નદીના કાંઠા, નદીની રેતી, નદીનું પાણી, નદીનાં માછલાં અનુક્રમે કેવો, કેવા કેવી, કેવું, કેવાં પ્રશ્નો થકી જાણી શકાય. આ તો ઠીક છે કે ગુજરાતી આપણી માતૃભાષા હોઈ આ બધાં નામો આપણાથી પરિચિત છે, પરંતુ કોઈ હિંદી કે અન્ય ભાષી જે ગુજરાતીથી અજાણ હોય કે શીખતો હોય તે તો એમ જ બોલશે કે આકાશમાં કેવી ગડગડાટ થઈ રહી છે, આંખોને આંજી નાખે તેવો કેવો વીજળી ઝબૂકી રહ્યો છે, કેવી વાદળો આમથી તેમ દોડી રહી છે (વાદળીઓ હોય તો સાચું કહેવાય.), વગેરે વગેરે. હવે આપણે ગુજરાતી માતૃભાષીઓ જાદુગરની જેમ નરને નારી અને નારીને નર બનાવી દઈશું, તો કોઈ આપણને બિનગુજરાતી ગણીને માફ કરી દેશે ખરું ? મેં મારા બ્લોગ ઉપર ક્યાંક લખ્યું છે કે ‘ગુજરાતી પ્રત્યે મને પ્રેમ તો માતા જેટલો જ, પણ …’ ! કસમેં, વાદે, પ્યાર, વફા; સબ બાતેં હૈં, બાતોંકા જાલ !!!

    આ પ્રતિભાવના સમાપન પૂર્વે અગાઉ મારા વેગુ ઉપર લખેલા ‘ગુજરાતીમાં પુનરોક્તિદોષ’ની યાદ અપાવી દઉં તો ત્યાં પહેલી નજરે જ દેખાઈ આવે તેવી ‘સહકુટુંબસહિત’, ‘યથાશક્તિપ્રમાણે’ જેવી ક્ષતિઓને તો ન જ ચલાવી શકાય; હા, નોકરચાકર, કામબામ વગેરે જેવા શબ્દો રૂઢ થઈ ગયા હોઈ તેમને ક્ષમ્ય ગણી શકાય. હવે જો બધું ચલાવી જ લેવાનું હોય, તો ન ચલાવી લેવાનું શું બાકી રહેશે તે આપણે નક્કી કરી લેવું પડશે ! આપણા દેશમાં અનામત જાતિઓની યાદી એટલી લાંબી થઈ ગઈ છે અને તેને ટૂંકી કરવા માટે બિનઅનામત જાતિઓની યાદી તૈયાર કરી લેવામાં આવે એ મતલબનું હું અહીં કહેવા માગુ છું. આવી જ ગુજરાતી ભાષામાં અન્ય ભાષાઓના શબ્દો અપનાવી લેવાની વાતો કરવામાં આવે છે, તો આ કોઈ નવીન સૂચન નથી. શબ્દકોશોમાં રૂઢ થએલા એવા બધા શબ્દો મોજુદ છે જ. સાથેસાથે એ પણ જોવાનું રહેશે કે આમ આડેધડ મર્યાદિત માણસો દ્વારા બોલાતા શબ્દોને પણ શબ્દકોશમાં ઘુસાડતા જઈશું, તો પેલા આરબ અને ઊંટ જેવું થઈને ઊભું રહેશે ! ઉદા. મારી મધરને એવો સિવીઅર ફીવર આવ્યો કે મારે ઇમીડિએઇટ ડોક્ટરને કોલ કરવો પડ્યો. ડોકટરે મારી મોમને ઇગ્ઝૅમિન કરીને પ્રિસ્ક્રિપ્શન લખી આપીને ઇમીડિએઇટ્લી મેડિસિન્સ મંગાવી લેવાનો ઓર્ડર કરી દીધો.

    અતિવિસ્તાર બદલ ક્ષમા પ્રાર્થીને વિરમું છું. જય ગુર્જરી.

    • Dipak Dholakia

      શ્રી વલીભાઈ,
      વ્યાકરણ અને વિરામ ચિહ્નો પર તો સવિશેષ ધ્યાન આપવું જોઇએ. શબ્દો કે જોડણી પર નહેીં. આપણે આજે નવા આવતા અંગ્રેજીના શબ્દોની વાત કરીએ છીએ અને એનાથી આગળ વધતા જ નથી. અરબી, ફારસી, સંસ્કૃત શબ્દો પણ આવ્યા જ. એમનાથી જો ગુજરાતીને નુકસાન ન થયું હોય તો હવે શા માટે થશે?

  • Dipak Dholakia

    શ્રી વલીભાઈએ જે વેદના વ્યક્ત કરી છે અને અંતે પરાઈ ભાષા તરેીકે ગુજરાતી શીખવાનું સૂચન કર્યું છે તે બરાબર ચ્હે.

    આમ છતાં એક સવાલ એ થાય છે કે આપણે ભાષાની વધારે ચિંતા કરીએ છીએ કે જોડણીની? અંગ્રેજીના સ્પેલિંગ અને ગુજરાતી લેક્સીકૉનના ઉપયોગની વાત જોડણીની ચિંતાને કારણે જ આવે. મે તો અન્યત્ર લખ્યું જ છે કે દેીર્ઘ-હ્રસ્વ ઇ-ઈ, ઉ-ઊના ભેદ દેખાય છે એવા કદેી વાસ્તવમાં નહોતા. અને નથી. આથી આ ચિહ્નોનો ઉપયોગ કદી સામાન્ય જનતાને સમજાયો નહીં. પણ એમનો વૈકલ્પિક રીતે ઉપયોગ કરતી રહી.. આ અરાજકતા નહોતી અને નથી.. અને હોય તો એને પાછી લાવો.
    અંગ્રેજીમાં સ્પેલિંગ ગોખવાનો નિયમ છે, જે ગુજરાતીમાં નથી એવો આપણો દાવો ખોટો છે. ‘પ્રગતિ’ કે ‘પ્રગતી’ એ ગોખવું જ પડે, કારણ કે ‘તિ’ અને ‘તી’ વચ્ચે ઉચ્ચારમાં કોઈ ભેદ નથી.ગોખવાનો નિયમ કાઢવો હોય અને ઉચ્ચાર પ્રમાણે જોડણી કરવાની હોય તો ઉચ્ચારમાં ભેદ થતો હોય તે દેખાડવો જોઇએ. એ ન દેખાડી શકાય તો આ ચિહ્નોને વૈકલ્પિક માનીને ચાલવું જોઇએ.
    નહીં સાર્થક નહીં ઊંઝા, જયજયકાર જનતા જોડણીનો. આથી સૌ વાચકોને હ્રસ્વ-દેીર્ઘ ઇ-ઈ, ઉ-ઊનાં ચિહ્નોનો વૈકલ્પિક રીતે, જેમ્ પસંદ આવે તેમ ઉપયોગ કરતા રહેવાની વિનંતિ છે.

  • Naresh Machhi

    દિદાર ભાઇ ગુજરાતી ભાષા માટૅ દુઃખી થયા છો તે બદલ આભાર.

  • Harish Dhadhal

    દિદાર ભાઈ,

    આપની વ્યથા અસ્થાને તૉ નથી જ.
    પરમાત્મા અમને સદબુદ્ધિ આપે.
    કટાક્ષ સમજવાની!

  • M.D.Gandhi, U.S.A

    શ્રી વલીભાઈનું વક્તવ્ય એકદમ સત્ય છે. “ગુજરાતી”માં તો તમે જે બોલો તેવી જ રીતે લખાય, જ્યારે અંગ્રેજીમાં તો બોલાય કંઈક અને લખાય કંઈક. અંગ્રેજીમાં તો જે નામ કે સરનામું બોલો તો પણ સામેવાળો spelling પુછશે, “ગુજરાતી”માં બોલશો તો કોઈ એમ નહીં લખાવે કે “વ” વહાણનો “વ”, “લ લખોટીનો લ અને લને દીર્ઘાઈ લી”….અને માતૃભાષા તરીકે માત્ર “ગુજરાતી”જ શા માટે,
    આજે ભારતની બધી જ ભાષાઓ અંગ્રેજી સામે ડચકાં લઈ રહી છે. આપણાં સંતાનોને જો “ગુજરાતી” બોલતાં નહી શીખવીએ તો એ પણ અંગ્રેજી બોલતાંજ રહેશે…જો સંતાનોને નાનપણથીજ કહીએ કે ભલે અંગ્રેજી રાખો, પણ બીજી તો બીજી ભાષા તરીકે “ગુજરાતી” રાખો, તોજ તેઓ પણ નાનપણથીજ “ગુજરાતી” પણ સમજશે. …..”દાવડા” સાહેબની વાત બરાબર છે, જેમ પણ બોલે તેમ બોલવા દો…અને આમજ “ગુજરાતી” પણ સદાને માટે જીવતી રહેશે

  • Valibhai Musa

    મિત્રો,

    વણવિચાર્યા ગુજરાતી ભાષા વિષેના અભિપ્રાયો આપીને ગુજરાતી ભણતા કે શીખતા વિદ્યાર્થીઓ અને ગુજરાતી શીખવતા કે શીખતા (!!!) શિક્ષકોને બેજવાબદાર બનાવશો નહિ. પેલી ચીની કહેવતને સમજીએ :’જો દેશના વિકાસ માટે એક વર્ષની યોજના બનાવવી હોય તો અનાજ વાવો, દસ વર્ષની યોજના બનાવવી હોય તો વૃક્ષો વાવો અને સો વર્ષની યોજના બનાવવી હોય તો બાળકો વાવો.’ આમાં વાત એમ છે કે બાળકોને ભણાવીને જે રીતે તૈયાર કરવામાં આવે તેનું પરિણામ સો વર્ષે મળે. આટલા એક સૈકાના સમયગાળામાં આગળની પેઢીઓ નામશેષ થઈ ગઈ હોય અને પેલાં તૈયાર થએલાં બાળકો જેવી રીતે ઘડાયાં હોય તે પ્રમાણેની દેશની નીતિરીતિ બની રહે. અહીં મેં એ કહેવતનો અભિપ્રેત અર્થ સમજાવ્યો છે.

    ચીનને આપણે ૧૯૬૨થી દુશ્મન દેશ ગણતા આવ્યા હોઈ તેની કહેવતને એ જ અર્થમાં ન સમજતાં ‘બાળકો’ અંગેની વાતમાં ગુજરાતી ભાષાના સંદર્ભે વિચારતાં સો વર્ષનો એ સમયગાળો ટૂંકાવીને આપણે દસ વર્ષનો જ કરવો પડશે. જો ગુજરાતી ભાષાને બદલાવ, પરિવર્તન, સમયનો તકાજો એવાં રૂડાંરૂપાળાં બહાનાંઓ થકી ‘ઘઉંમાંથી કાંકરા વીણવા’ના બદલે ‘કાંકરામાંથી ઘઉં વીણવા’ જેવી સ્થિતિમાં લાવી જ દેવાની હોય તો ગુજરાત વિધાનસભામાં ‘મન ફાવે તેમ ગુજરાતી પ્રયોજો’ એવો ઠરાવ જ પસાર કરાવી લઈએ તો દસના બદલે પાંચ જ વર્ષમાં આપણે ધાર્યું પરિણામ મેળવી શકીશું !

    અરે મારા ભાઈઓ અને બહેનો (જો તેમનામાંથી પણ બહેનો કોઈ ગુજરાતી ભાષા ઉપર ઝાડુ ફેરવીને તેને કહેવાતી રીતે ચોખ્ખી કરી દેવામાં માનતી હોય તો જ !), આપણી નહિ તો બીજાની છાતી ઉપર હાથ મૂકીને આપણે કહીએ કે આપણે જો અંગ્રેજી ભાષા જાણતા હોઈએ તો આપણે ગુજરાતી માટે હમણાં જે ગાવાવગાડવાનું શરૂ કર્યું છે, તેવી ઠોકંઠોક ત્યાં ચલાવીશું ખરાં ? કોમ્પ્યુટર ઉપર એકાદ લીટી પણ છાપ્યા પછી તરત જ ‘Check Spelling’ ના ખોળાનો આપણે આશરો નહિ લઈએ ? આ જ રીતે આપણે ગુજરાતી લેક્સિકોનનો સહારો લઈને શું આપણે ભૂલસુધાર ન કરી શકીએ ? ભાઈ-બાઈ, ગુજરાતી તો શું દુનિયાની કોઈપણ ભાષા શીખવા જઈશું તો તેની પ્રવર્તમાન પદ્ધતિને જ અનુસરવું પડશે.

    અંગ્રેજીમાં તો Spelling ની બાબતમાં એટલી બધી અનિયમિતતાઓ છે કે આપણે એ બધું અંગ્રેજી શીખવા માટે હરખપદુડા થઈને સાંખી લઈએ. આપણે સ્ટેશન શબ્દમાં Station એમ લખીએ છીએ અને આપણા મગજમાં ‘શ’ માટે tio રૂઢ થઈ જાય અને પછી ટ્યુશન માટે આપણે ‘Tution’ લખી નથી નાખતા, કેમ કે આપણને ખબર છે કે વચ્ચે I (આઇ) ઘૂસી ગયો છે અને તેને બરાબર યાદ રાખીને Tuition જ લખીશું. આવી તો અંગ્રેજીમાં શબ્દેશબ્દે મારામારી છે. આપણે ‘સાયકોલોજી’માં કાકા કહીને આગળ ‘P’ મૂકીશું. અંગ્રેજીના કેટલાક શબ્દો દેશેદેશે અલગ રીતે બોલાય છે તેને પણ આપણે યાદ રાખીશું. બ્રિટીશ ઉચ્ચારમાં Schedule ને શેડ્યુલ બોલીશું, ભારતીય ઉચ્ચારમાં શિડ્યુલ બોલીશું અને અમેરિકન અંગ્રેજીમાં સ્કેડ્યુઅલ કે સ્કેજ્યુઅલ બોલીશું. ગુજરાતીમાં આ બધી સરખામણીએ ઘણી ઓછી તકલીફો છે. ગુજરાતી બોલીઓને બાજુએ રાખો તો આપણી શુદ્ધ ગુજરાતી દુનિયાના કોઈપણ દેશમાં બોલાય ત્યાં જો બોલવાવાળો સજાગ રીતે બોલે તો બધે જ ‘પત્નીના ભાઈ’ ને ‘સાળા’ તરીકે જ સંબોધશે, શાળો (Looms) નહિ કે સાલો પણ નહિ (નહિ તો સગો સાળો પણ ગાળ સમજી બેસશે !).

    આ તો ભાઈ ‘ઘરનો જોગી જોગટો’ જેવી વાત આપણે કરી રહ્યા છીએ ! ફોર્બસ દલપતરામ પાસે ટ્યુશન લઈને શાસ્ત્રીય રીતે ગુજરાતી શીખે, સેમ્યુઅલ હેરી અમદાવાદ આકાશવાણી ઉપર આપણું માથું શરમથી ઝૂકી જાય તેવા ફાંકડા ઉચ્ચારોમાં સમાચારવાંચન કરી શકે, રેવ. ફાધર વાલેસ સરસ મજાના ચારિત્ર્યવિષયક નિબંધો લખે, BBC રેડિયો નિષ્ણાત ગુજરાતીભાષી પાસે ગુજરાતી સમાચારવાંચન કરાવે ! આ બધું કેમ બની શકે ? તો આનો જવાબ એ છે કે તેઓ ગુજરાતીને પરદેશી ભાષા તરીકે સ્વીકારીને પદ્ધતિસર શીખતા હોય છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન કહે છે કે દુનિયાનો કોઈપણ ભાષાનો માણસ માતૃભાષાને બેદરકારીથી જ શીખતો હોય છે. અમેરિકા-ઈંગ્લેન્ડવાળા પણ વ્યાકરણમાં ઢઢ્ઢા જ હોય છે. એ લોકો સ્કૂલોમાં અંગ્રેજી વ્યાકરણ શીખવવા માટે બિનઅંગ્રેજી શિક્ષકો રાખતા હોય છે.

    અતિવિસ્તાર થયો હોવા છતાં ઉપસંહારરૂપે એટલું જ કહેવાનું મન થાય છે કે આપણે ‘માતૃભાષા ગુજરાતી’ એમ બોલવાનું બંધ કરીને માત્ર ‘ગુજરાતી’ જ બોલવાનું રાખીએ અને ‘ગુજરાતી’ને પરાઈ ભાષા સમજી લઈને તે જ રીતે વ્યવસ્થિત શીખીશું તો જ શીખી શકાશે. નહિ તો …..!

  • P.K.Davda

    તોતડાને પણ બોલવા દો, એની મજાક ન ઉડાવો. ભૂલો ભરેલી ગુજરાતી પણ ગુજરાતી જ છે, ભૂલોને લીધે એ મરાઠી થઈ જતી નથી.
    શુધ્ધ ગુજરાતીના હિમાયતીઓ અને ઈજારાશાહી વાળા વચ્ચે કોઈ ફરક મને તો દેખાતો નથી.

  • Dipak Dholakia

    જ્યાં સુધી ક્રિયાપદો ગુજરાતીનાં વપરાતાં રહેશે ત્યાં સુધી નવા આવતા શબ્દોથી ડરવાની જરૂર્ નથી.

    મારી નજરે “ઓપરેશન સક્સેસફુલ રહ્યું પણ તે પછી પણ ટ્રીટમેન્ટ કન્ટીન્યૂ રાખવી પડશે” એ પરફેક્ટ ગુજરાતી સેન્ટેન્સ છે.

    આપણે જે ગુજરાતી બોલીએ છીએ તે જ નરસિંહ મહેતા, પ્રેમાનંદ કે સિદ્ધરાજ જયસિંહ અને એમના ગુરુ હેમચંદ્રાચાર્ય પણ્
    પણ બોલતા એમ કોઈ ખાતરીપૂર્વક કહી શકશે> તો કારણ વગરનો અફસોસ શા માટે?

    હ્રસ્વ-દીર્ઘ્ ઇ-ઈ, ઉ-ઊ અને અંતિમ અક્ષર પર આવતા અનુસ્વારો વિશેનાં શ્રી હેમાણીના સૂચન સાથે સંમત છું.

  • Yogesh Vaidya

    અભિનંદન દિદારભાઈને…આવા સળગતા કોલસાઓથી આપણી ભાષાની આગગાડીને ચાલવાનું બળ મળે તેવી કલ્પના પણ કેવી આનનંદદાયક લાગે છે ???

  • Jignesh Ribadiya

    ગુજરાતી લોકો ની એક રમુજી વાત ” ગુજરાતી ભાષા નું ધીમે ધીમે અધ-પતન થઇ રહ્યું છે તેવો તે જોઈ નથી શકતા અને પોતાનો ભાષા વ્યવહાર બીજા સાથે અગ્રેજી કે હિન્દી માજ કરતા હોય છે..,,,,,,,,,,,,,,,,,,,,,,, BE HAPPY YAR,,,,,

  • Gopal Parekh

    આપણે ”સવધર્મ સમભાવની જેમ ” સર્વભાષા સમભાવ’ કેળવવો જોઈએ. બીજી ભાષાના થોડા શબ્દો અપનાવવામાઁ વાઁધો શુઁ?

  • Gopal Parekh

    માત્ર આપણે સૌ પોતાના ઘરોમાઁ જ ગુજરાતી ભાષાનો બહોળો ઉપયોગ કરીએ તો (ખાસ કરીને નવી પેઢીના સઁતાનોમાઁ) આ પરિસ્થિતિમાઁ સુધારો થઈ શકે.

  • સુરેશ જાની

    નેટ ઉપર બહુ ચર્ચાયેલો વિષય.પણ માત્ર ચર્ચાઓ જ !
    હવે કશું કહેવા જેવું બાકી છે? (કરવા જેવું તો ઘ્ણું છે ! પણ કરનારા ક્યં? )

    • jjugalkishor

      સુરેશભાઈ, બ્લૉગ પરની કોમેન્ટબોક્સમાંની ભાષાચિંતા વાંચતા રહેજો. લગભગ દરેક જગ્યાએ આ ચિંતા કોમેન્ટાતી હોય છે પણ ચિંતા પ્રગટ કરતી ભાષામાં, ત્યાં જ – કોમેન્ટબોક્સમાં જ – થયેલી ભૂલો તપાસજો….મજા પડશે !! ચિંતા કરનારાંઓની ભાષાનીય ચિંતા કરવી પડતી હોય છે.

      આનો કોઈ ઉપાય નથી જણાતો.

  • vijay Shah

    આપના હિંમતભર્યા સુચન ને હું સર્વ રીતે અયોગ્ય ગણૂ છુ. ભાષાને સમૃઉધ્ધ કરવા નવું કંઇક ઉમેરાવુ જોઇએ દુર કરીને તો આપણે માતૃભાષાનું અહિત જ કરીયે છે.જો કે તે છુટ લઇને પ્રમાદીતતા વધારવાની જરુર નથી. કદાચ આપ જાણ તા હશો કે ચાઈનીઝ ભાષા માં ૧૦૦થી વધુ મૂળાક્ષરો છે અને આજે પણ ત્યાં તે સર્વે શીખવાડાય છે.
    હું તો એમ કહીશ કે ગુજરાતી ભાષામાં ઘુસેલા સર્વ અન્ય ભાષી શબ્દો દુર કરી ગુજરાતીને સમૃઉધ્ધ કરો.. અને હવે આ ભાષા મરી જશે નો અરણ્ય રુદનો બંધ કરો..તે ચલાવાતો જુઠો પ્રચાર છે. જ્યાં કુતરુ લઇને કેમ જાય છે? એવું વાર્ંવાર પુછીને બકરું પડાવી લેવાનો પ્રયત્ન છે.
    જે ખોટુ છે તેને ખોટુ કહેવામાં શરમ રાખવાથી થયેલી ખરાબી છે. ભાઈ દિદાર્ તારા વિચારો હજી ચકાસજે..
    જોડણી કોશનો ઉપયોગ વધશે તો ગુજરાતી શબ્દોની આભડછેટ ઘટશે..૨૦૦૮માં મને પણ આ વિષય ઉપર લખેલા મારા લેખ “માતૃભાષાનું દેવુ ” ઉપર તમારી જેમ જ સન્માન મળેલુ આભાર તે લેખની લિન્ક નીચે આપુ છુ
    (www.vijayshah.wordpress.com/matrubhashanudevu)

  • ashvin desai

    ભાઈ દિદાર હેમાનિ જેવા જાગ્રત ગુજરાતિ ભાશાપ્રેમિ , અભ્યાસુ અને ચાહક બ્રુહદ ગુજરાતના આકાશમા ચલકતા તારલાનિ જેમ તમતમે ચ્હે ત્યા સુધિ ગુજરાતિ ભાશાને ઉનિ આન્ચ આવવાનિ નથિ , અને મહાત્મા ગાન્ધિનિ સર્વોદયિ ભાશા દુનિયાનિ અગ્રિમ ભાશાઓનિ યાદિમા કાલક્રમે અગ્ર સ્થાને બિરાજશે એવિ મારિ પાકિ ખાત્રિ ચ્હે – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા