ક્યાં છે ?….સભ્યતા, સંસ્કૃતિ, સંસ્કાર અને માતૃપ્રેમ – નિલેશ હિંગુ 20


મિત્રો,

આ લેખ ના જુદા-જુદા કિસ્સાઓમાં ઘણાં બધાં મંતવ્યો અને ઘટાનાઓ વર્ણવામાં આવી છે. જો આ ઘટના અને મંતવ્યોનો બોધ પાઠ સાચી રીતે જિંદગીમાં ઉતારવામાં આવે તો, આ લેખ ના શિર્ષકનું સરનામું આપણને આપ મેળે મળી જશે.

આજનાં માણસે પૈસા પાછળ એવી આંધળી દોટ મૂકી છે કે તેને સભ્યતા,સંસ્કૃતિ,સંસ્કાર,લાગણી જેવું કંઈ દેખાતું જ નથી.પૈસા પાછળ તે સામાજીક રીતે સાવ અંધ થઈ ગયો છે. આ વાત છે ખાનગી બસનાં એક કર્મચારીની. એક સાસુ તેમની ગર્ભવતી વહુને ચેક-અપ કરાવીને પોતાનાં ઘરે જવા માટે સરકારી બસની રાહ જુએ છે. એકાદ કલાક રાહ જોયા બાદ સરકારી બસ ન મળતાં મજબૂરીથી એક ખાનગી બસનો સહારો લે છે. તેમણે અડધે રસ્તે જ ઉતરી જવાનું હોય, અડધી ટીકીટની કંડકટર પાસે માંગણી કરે છે, પણ કંડકટર વળતો જવાબ આપે છે… “બસ તો સીધી મેન સ્ટેશને જ ઉભી રહેશે.”

ત્યારે ગર્ભવતી સ્ત્રીની સાસુ લાચાર શબ્દોમાં કહે, “બેટા, તું આખી ટીકીટના પૈસા લઇ લે જે, પણ વચમાં થોડીવાર બસ ઉભી રાખજે. મારી દયા ન રાખ તો કંઈ નહિ પણ મારી આ વહુની હાલત પર તો દયા રાખ. મહેરબાની કરીને થોડી વાર બસ ઉભી રાખજે.”

ગર્ભવતી સ્ત્રીની સાસુનાં આવા હૃદયદ્રાવક શબ્દોની પણ કંડકટર પર કંઈ જ અસર ન થઈ. તેણે પૂરી નિર્દયતાથી સાસુ અને વહુને બસમાંથી નીચે ઉતારી મૂક્યાં. આ ઘટનાં કાળજાળ ગરમી શરુ થનારાં મહિનાઓમાં બનેલી અને તે પણ સવારનાં અગિયાર વાગ્યા હશે. અગત્યની વાત તો એ છે કે આવું નિર્દયતાભર્યું પગલું લેતાં પહેલા કદાચ એકવાર એ કર્મચારીએ એવું વિચાર્યું હોત કે જો આ જ ગર્ભવતી સ્ત્રીની જગ્યાએ મારી બહેન, મારી જ પત્ની હોત તો…..? શું આપણને પૈસાની આટલી બધી જરૂરિયાત વધી ગઈ છે કે આપણે સ્ત્રીઓનું રક્ષણ તો નથી કરી શકતાં, પણ સ્ત્રીની માનહાની કરવા આવું પથ્થર દિલ છે !

બીજાં આવા ઘણાબધા કિસ્સાઓ છે, જ્યાં 70-80 વર્ષનાં વૃદ્ધ ઉભા રહીને મુસાફરી કરતાં હોય છે. તે સરખી રીતે ઉભા શકે તેટલા પણ સક્ષમ નથી હોતા છતાં, 60 સીટ પર બેઠેલા કોઈ નવયુવાન કે અન્ય આપણા વડીલને એમ નથી થતું કે કદાચ આ જ જગ્યાએ મારા પિતા, દાદા કે દાદી ઉભા રહીને મુસાફરી કરતાં હોત તો શું તમે તેમને ઉભા રહીને મુસાફરી કરવા દેત ?

“વસુધૈવ કુંટુંમ્બકમ” શાળાઓમાં આપણે ખૂબ ભણ્યા – ભણી લીધું, પણ “વસુધૈવ કુંટુમ્બકમ” ની માનસીકતા – સંસ્કાર હજુ આપણે આપણી જીંદગીમાં અમલ કર્યા જ નથી. “વસુધૈવ કુંટુમ્બકમ” અર્થાત સમગ્ર વિશ્વ એક કુંટુબ સમાન છે .જો આપણે “વસુધૈવ કુંટુંમ્બકમ” નો અમલ કરવા ઈચ્છતાં હોત તો ,ઉભા રહીને મુસાફરી કરતાં વૃદ્ધ આપણા સમાજનાં, આપણા દેશનાં નાગરિક છે ને…? જો આપણે આપણા સમાજનાં વૃદ્ધ માણસ માટે થોડી તસ્દી ના લઈ શકતાં હોય તો “વસુધૈવ કુંટુંમ્બકમ” પ્રમાણે સમગ્ર વિશ્વને કુંટુંબ બનાવાની વાત તો બહુ દૂર છે….!
આપને આપણી રોજબરોજની જીંદગીમાં બહુ અકસ્માત થતાં જોઇયે છીએ. આવા કિસ્સાઓમાં જો કોઈ વૃદ્ધ માણસનો અકસ્માત કોઈ યુવાન સાથે થયો હોય,એમાં પણ જો વૃદ્ધ માણસનો વાંક હોય તો તો બસ યુવાન સભ્યતા ,સસ્કાર બધું ભૂલીને વૃદ્ધ માણસ ઉપર હાથ ઉપાડે છે અને અપશબ્દી પણ કહે છે.આ સમય યુવાન માણસે હાથ ઉપાડતા પહેલા એકવાર વિચાર કરવો જોઈએ કે ઘડપણના દિવસોમાં આંખની નજર કમજોર થતાં આવી કયારેક ભૂલ થઇ જાય .તેમ છતાં યુવાન એ વૃદ્ધ માણસને ઉભા કરવાને બદલે તેમને ધમકાવામાં આવે છે. માણસ ઉચ્ચ સ્નાતકની ડીગ્રી મેળવી એન્જીનીયર ,વકીલ ડોકટર,શિક્ષક તો બની ગયો છે, સામાજીક નાગરીક તરીકેની સભ્યતા અને સંસ્કાર ડગલે ને પગલે છોડતો ગયો છે !

આજનું બાળકએ આપણાં દેશનું ભવિષ્ય છે. આ વાત આપણે સૌ જાણીએ છીએ તેમ છતાં બાળકનો ઉછેર, બાળકમાં સસ્કાર સિંચન આપણે સારી રીતે કરી શકતાં નથી. બાળક આપણે જેવા વાતાવરણમાં ઉછેરીએ છીએ, તેઓ તે વાતાવરણથી ટેવાય જાય છે. તેઓ આજુ-બાજુના વાતાવરણ અને લોકો સાથે રહે છે અને તેને જે શીખવામાં આવે છે તે શીખે છે. આપણે આપના સિંહ જેવા બહાદુર બાળકને બકરી જેવાં ભોળા અને કાયર બનવાની શરૂઆત ઘરમાંથી જ કરી દઈએ છીએ.આપણે નાના બાળકોને તડકામાં થોડા પણ જવા દેવા ઈચ્છતાં જ નથી. બાળકને તડકામાં જવાની ના એવી રીતે પાડવામાં આવી છે કે જો તે કદાચ તડકામાં જશે તો સૂર્યનારાયણ ભગવાન તેના પર ક્રોધ કરી બધી ગરમી વરસાવી મુકવાનાં હોય. અરે, જે ગરીબ લોકોને ઘર નથી, અથવા તો તૂટેલાં ઝુપડામાં રહે છે, શું તે લોકોનાં બાળકો ગરમીથી પીગળી જાય છે? શું ગરીબ માણસોનાં બાળકને તાવ ના આવે? શાળાઓમાં એક પ્રસિદ્ધ સુવિચાર આપણે વાંચ્યો હશે, “ઘસાઇએ એટલે ઉજળાં થઈએ.” આ કહેવત આપણને તથા આપણા સમાજના માં-બાપ બધાંને ખબર છે, પણ આપણે આપણાં સમાજનાં બાળકને વંચિત રાખવા ઈચ્છીએ છીએ, પણ આપણે એટલું યાદ રાખવું જોઈએ કે પરિશ્રમ વગર આપણને જિંદગી માં કશું જ મળતું નથી અથવા તો જે કંઈ પણ હોય છે તે આળસુ શરીરનાં લીધે જતું રહે છે.

આપણે યુવાન છોકરા-છોકરીને શાળા/કોલેજે જવાં બાઈક મોપેડ અપાવીએ છીએ .તેની બધી જરૂરિયાત બાઈક/મોપેડ,મોબઈલ,લેપટોપ પુસ્તકો,ટયુશનની સુવિધા બધી જ સારી રીતે તૈયાર કરી આપએ છીએ. આટઆટલી સુવિધાઓ આપ્યા પછી પછી જયારે તે શાળા – કોલેજથી પાછા ફરે ત્યારે એમ પૂછીએ છીએ, “થાકી તો નથી ગયો ને…..?”

અરે, શું તે અથાક પરિશ્રમ કે મજુરી કરવા ગયો હતો…?

આપણા વડીલોની આવી કુટેવ તેમને આળસુ બનવાનું નોતરુ આપે છે. આપણા વડીલોને વિચાર કરવો જોઈએ કે આપણે આપણા નવ-યુવાન સંતાનોને પહેલેથી જ એટલાં આળસુ,કમજોર બનાવશું તો તે આપણા દેશની રક્ષા કરવાં. આપણા સમાજની રક્ષા કરવા સક્ષમ કઈ રીતે બનશે ?

અરે, દેશ – સમાજની વાત તો દુર રહી, તે પોતાનાં પત્ની – બાળકોની રક્ષા કરવા, ભરણપોષણ કરવા સક્ષમ કઈ રીતે બનશે ?

આપણા દેશનાં માતા-પિતાને પૂછવામાં આવે કે તમે તમારા સંતાનને શું બનાવવા ઈચ્છો છો તો જવાબ કંઇક આવા જ મળશે…. ડોકટર, વકીલ, એન્જીનીયર, ચાર્ટડ એકાઉટન્ટ, ડીઝાઈનર. ભાગ્યે જ કોઈ મા – બાપ એવા હશે કે એવો જવાબ આપશે કે “હું મારા પુત્ર-પુત્રીને સૈનિક બનાવવા ઈચ્છું છું.” બધા જ માતા-પિતા, પુત્ર કે પુત્રી ખુશ રહે તેવું ઇચ્છતાં હોય છે. પણ જો સેનિક બને તો સરહદ પર કઠોર પરિસ્થિતિમાં રહેવું પડે. ઘરથી, સગાં-સબંધીઓથી દૂર જવું પડે, ઉપરાંત સરહદ પર જાનનું જોખમ પણ ખરું! એટલે બધા મા-બાપ એવું ઈચ્છે છે કે પોતાના સંતાન સારી એવી જોબ મળે અથવા બિઝનસ કરે, એર-ક્ન્ડીશનીંગ વાળી ઓફિસમાં કામ કરે, એકાદ સારી એવી ફોર-વ્હીલ હોય. બધા જ માતા-પિતા પોતાના સંતાન માટે સુખ-શાંતિ ઈચ્છતા હોય છે, પણ આ પરિસ્થિતિને બીજી રીતે વિચારવામાં આવે તો શું સરહદ પર જે સૈનિક લડત આપે છે તેને તેમનાં માતા-પિતા પ્રેમ નહીં કરતા હોય? સૈનિકના માતા-પિતા તેને ખુશ જોવા નહીં ઈચ્છાતા હોય? માતા-પિતા તેમનું ભાવિ સારું જ ઈચ્છાતા હોય છે પણ માતૃભૂમિનું કરજ ચૂકવવા પોતાનાં હ્રદયને પથ્થર બનાવી લાગણીઓ પર અંકુશ રાખી તેઓ પોતાનાં સંતાનને માતૃભૂમિની રક્ષા કરવા મોકલે છે. બીજી બાજુ જે માતા-પિતાનાં સંતાનો ડોકટર, વકીલ, ડીઝાઈનર બની જાય છે તે જવલ્લે જ સાચાં દેશ-ભક્ત બને છે. ૧૫ ઓગષ્ટ અને ૨૬ જાન્યુઆરી જેવાં રાષ્ટ્રીય પર્વના દિવસે જોવાં મળતી જૂજ હાજરી આ સાતત્ય ને સાકાર કરે છે. આપણે આપણા સંતાનોને એવા આળસુ બનાવી દીધા છે કે તે દેશની રક્ષા તો નથી જ કરી શકતાં, પણ જે લોકોએ દેશની રક્ષા કરી હતી અને જે દેશની રક્ષા કરી રહયાં છે એમની યાદમાં સલામી આપવા આપવાની દરકાર પણ નથી કરી શક્તા. આવા સંતાનો ભલે ગમે તેટલાં ધનવાન થઇ જાય પણ માતૃપ્રેમની બાબતમાં ગરીબ જ રહેશે.

સમાજમાં એક મહત્વનું અંગ હોય તો એ છે સ્ત્રી – સ્ત્રીને લીધે આપણે આ દુનિયામાં આવ્યા, માતા બનીને તેણે આપણું પાલન-પોષણ કરી મોટા કર્યા. આપણા સંસ્કાર અને સભ્યતાનું સિંચન કર્યું. તેમ છતાં આપણે ક્યારેક જીંદગીમાં કોઈક સ્ત્રીનું અપમાન કર્યું હશે અથવા તો સ્ત્રીની લાગણીને ઠેસ પહોચાડી જ હશે. यत्र नार्यस्तु पूज्यन्ते तत्र रमन्ते देवता આ સુવિચાર આપણે બધાને યાદ હશે તેમ છતાં આપણે આવી ભૂલો કરીએ છીએ. ખરું જોતા આપણે સમાજની બધી જ સ્ત્રીઓને માનની દ્રષ્ટિથી જોવી જોઈએ, કારણ કે સ્ત્રી માતા, પત્ની, બહેન બનીને ડગલે ને પગલે સાથ નિભાવતી આવી છે. આપણે આપણી માતા-બહેન અને પત્નીને તો સન્માન આપીએ છીએ, પણ બીજી સ્ત્રીઓને સન્માન આપતાં નથી .બીજી સ્ત્રીઓની ઠેસ પોહોચાડતા પહેલાં કે તેમની મર્યાદાનું અપમાન કરતાં પહેલા આપણે એક વાર જરૂર વિચાર કરવો જોઈએ કે,તે સ્ત્રી પણ કોઈની બહેન,કોઈની પત્ની કે કોઈની માતા છે . સ્ત્રીનેઅપમાનીત કરવામાં મુખ્ય ફાળો ”પુરુષ”નો હોય છે .તે સ્ત્રીને અપમાનીત તો કરે છે,પણ તેને પાછળથી વાતનો કંઈ દંભ કે પસ્તાવો થતો નથી,પરંતુ ક્યારેક તે આ વાત પર ગર્વ અનુભવે છે .એક સારો સમાજ સ્થાપિત કરવાં આપણે આ વિચાર-સરણી બદલવાની જરૂર છે .

સ્ત્રી એ બે જુદા-જુદા ઘરને એક દોરીથી સાંકળી રાખે છે અને પત્ની તરીકેનાં બધા જ ધર્મ નિભાવે છે, પતિના ઘરને પોતાનું બનાવી પોતાની નવી જીંદગી શરૂ કરે છે. સ્ત્રી પોતાનાં સપનાઓને અધૂરાં મૂકી, પોતાના પતિના સપના સાકાર કરવા તેની અર્ધાગિની બને છે, એટલું જ નહિ પોતાની મૂળ અટક બદલીને પતિની અટક ધારણ કરે છે અને પિતા નામની જગ્યાએ પતિનું નામ પાછળ જોડે છે. આટલા બધાં ત્યાગ પછી પણ ક્યારેક પત્નિને તેનાં પતિ અથવા સાસુ – સસરા તરફથી ત્રાસ અપાય છે. સાસરીયા વાળા તરફથી એવું વલણ રાખવામાં આવે છે કે લગ્ન તો માત્ર પત્ની તરીકે ઘરનું કામ-કાજ કરવાં બાળકોની સાસ્સંભાળ રાખવા માટે જ આવ્યા હોય!

પત્ની જે પોતાનું ઘર, ભાઈ-બહેન, માતા-પિતા બધું જ છોડી પતિ સાથે નવી જીદંગી શરૂ કરવા, સંસાર ચલાવવામાં સાથ આપવા આવે છે ત્યારે તે પોતાની ઈચ્છાઓ, સપનાઓ બધાનો જ ત્યાગ કરી દે છે અથવા તો મનમાં દબાવી દે છે, તેમ છતાં પતિ અને સાસુ-સસરા તરફથી પૂરતો સ્નેહ અને સહકાર મળતો નથી. અર્ધાંગિની કહેવાતી પત્નીને ક્યારેક અપમાનભર્યા શબ્દ પતિ તરફથી સંભાળવા મળે છે. આપણા સમાજમાં તો એવાં કિસ્સાઓ પણ જોવા મળે છે કે, પત્નીને ઢોરની જેમ માર મારવામાં આવતો હોય છે. આવા પતિએ આમ કરતા પહેલા એક વાર વિચારવું જોઈએ કે તેમની પત્ની કોઈપણ અપેક્ષા વગર તમારા માતા-પિતાની સર-સંભાળ રાખે છે… તમારા સંતાનની માતા બને છે….. તેમનો ઉછેર કરી, મોટા કરે છે… અને એના બદલામાં પતિ શું આપે છે? અપમાનભર્યા શબ્દો, તિરસ્કારની લાગણી તો કયારેક ઢોર જેવી મર-પીટ.

સ્ત્રીને અર્ધાંગિની તો કહેવાય છે પણ પતિ કયારેય પોતાની પત્નીની લાગણી ઈચ્છાઓને સમજવાનો સમય કાઢતો જ નથી. જે પત્ની આખી જીંદગીનો સમય કાઢી તમારી જીવનસાથી બનીને તમારી જિંદગીને સુખમય અને શાંતિમય બનાવે છે, એવી પત્ની માટે ક્યારેક – અઠવાડિયામાં એક વાર પણ રજા પત્ની સાથે પસાર કરવાનો સમય નથી મળતો. શું પતિની આ વિચાર સારણી યોગ્ય છે ? નહીંને..? આપણે સૌ જાણીએ છીએ છતાં તેમનો અમલ કરતાં નથી. આપણે સ્ત્રીને “દેવી” નો દરજજો શા માટે આપીએ છીએ ખબર છે ? આટ-આટલું સહન કર્યા પછી પણ તે સ્ત્રી પોતાના પતિ “દેવ” માનતી હોય છે .માટે જ સ્ત્રીની સરખામણી દેવી સાથે કરવામાં આવી છે. આપણે यत्र नार्यस्तु पूज्यन्ते तत्र रमन्ते देवता આ સુવિચાર અમલમાં મૂકવાની જરૂર છે. આજનો માણસ તો જરૂરિયાત પૂરતો જ સંબંધ રાખતો થઇ ગયો છે, જરૂરિયાત બદલાતાં જે માણસ ભગવાન પણ બદલી શકે છે… તેના વિશે કહેવું જ રહયું, પણ જો વિચારસરણીએ આપણે જીંદગી જીવતા રહેશું તે ત્રણેક દાયકા પછી આપણા છોકરાં આપણને સભ્યતા, સંસ્કાર, માતૃપ્રેમ આ શબ્દોનાં અર્થ શું છે એ પણ પૂછશે.

– નિલેશ હિંગુ

મારી સાથે પિપાવવ શિપયાર્ડમાં કાર્ય કરતા નિલેશભાઈ હિઁગુની આ અક્ષરનાદ પર પ્રથમ રચના છે. અને અહીં તેઓ સ્ત્રી સન્માન, સભ્યતા અને સંસ્કૃતિની આજની વણસતી જતી હાલત પર ચિઁતન પ્રસ્તુત કરે છે. એન્જીનીયરીંગ વ્યવસાયીની કલમનો આ સ્વાદ આપ સૌને ગમશે એવી આશા સાથે શ્રી નિલેશભાઈને શુભકામનાઓ તથા આભાર.


Leave a Reply to BhavnaCancel reply

20 thoughts on “ક્યાં છે ?….સભ્યતા, સંસ્કૃતિ, સંસ્કાર અને માતૃપ્રેમ – નિલેશ હિંગુ

  • ashok pandya

    પ્રિય નિલેશજી,
    ખૂબ જ વાસ્તવિક ચિંતન, સૂક્ષ્મ અવલોકન, અર્થપૂર્ણ વિશ્લેષ્ણ, ઉમદા વિચારોને ખૂબ જ માવજતથી અને શુભાશય સાથે કરેલી મનનીય રજૂઆત પ્રશંસનીય છે. તમારી આ પહેલી જ રચના હોય તો ઘણી જ ઉત્તમ છે. વધુ સારી વાતો તમારી પાસેથી મળશે તેવી અપેક્ષા અને શુભેચ્છા..

  • R.M.Amodwal

    ehical reading always flow in mind ,in interaction, in behaviour. It is path that every body should imply in their public & private life.this artical will definatly chang or brush the mind & behaviour.
    Thanks
    R.M.Amodwala

  • shirish dave

    સ્વચ્છતા, નાગરિક ધર્મ (બોલચાલ અને વર્તનના સુસંસ્કાર) અને નીતિમત્તા વિષેની સમજણ અને પાલનની વૃત્તિ આચારમાં આવે તેની શિક્ષણમાં પ્રાથમિકતા હોવી જોઇએ.

  • vinoddhanak

    ખુબ જ સારો લેખ છે.
    આપણે આપણી જાતને પૂછીએઃ
    મોટા શહેરોમાં મોટર લઈ નીકળનારામાંથી ૮૦% વાહનોમાં એક જ વ્યક્તિ હોય છે. આ સમાજનો એવો વર્ગ છે જેણે સમાજને દાખલારૂપ ગણે છે. શું આ વ્યક્તિ મોટરના બદલે રીક્ષા કે બસ વિગેરે ના વાપરી શકે જેથી કુદરતી સમ્પતિ બચે. પાણીનો વ્યય, બુફે ડીનરોમાં થતો અનાજનો વેડફત કરનારા જાને છે અનાજ કેમ પ્ક્વાય છે. ઘરે રસોઈ ફેકી દેનારી ગૃહણીએ ક્યારેય ઘરના સભ્યોને સમજાવ્યું છે કે આ ખોટું છે.

    સમાજનો ભણેલો વર્ગ જે અલગ અલગ ખાતાઓમાં કામ કરે છે તે વિચારે છે કે તેને મળેલી લાયકાતના આધારે સમાંજે તેને એક નોકરી આપી સમાજની સેવા કરવાની તક આપી છે અને તેને મળવા આવનાર વ્યક્તિ સમાજનું એક અંગ જ છે તેનું કામ કરી આપવાની તાલાવેલી તેનામાં છે. મોટા ભાગના કર્મચારીઓ કામ ના કરી આપવું પડે તેના માટે કારણો ગોતી આવનાર વ્યક્તિને હેરાન કરવા પ્રયત્નો કરે છે. તે કર્મચારી ૧૨ મહિનામાં રવિવાર, શનિવાર અર્ધો દિવસ કે બીજા ચોથા શનિવારની રજાઓ અને જાહેર રજાઓ તથા તેને મળતી હક્કરજાઓ વિગેરે ગણતરીમાં લઈએ તો ૧૨ મહિનામાં ૬/૭ મહિના કામ કરી ૧૨ મ્હીન્નાનો હજારો રૂપિયા પગાર ઘરભેગો કરે છે લંચમાં લાખો હજારો રુપીયા ખાય છે અને એ.સી.માં બેસી સરકારને ગાળો દ્યે છે. આ વ્યાજબી છે.

    લેખ માં જે ગર્ભવતી સ્ત્રીને પડતી તકલીફ વિષે વર્ણન કર્યું ત્યારે બીજા મુસાફરોની નૈતિક ફરજ હતી કે ઘટતું કરી ક્ન્દ્ક્ત્રને સાચી દિશા બતાવવી.

    આવા ઘણા બધા પ્રશ્નો છે જેનો સમાજના ભણેલ વર્ગે જવાબ દેવાનો છે.

    વિચારજો

    વિનોદ ધાનક

  • Harshad Dave

    વો હોતે હૈ કિસ્મતવાલે….(કૃપા કરીને ઉપરનું લખાણ થોડું સુધારીને વાંચવું…મારી ભૂલ માટે ક્ષમા….) – હદ.

  • Harshad Dave

    નારી તું નારાયણી… સ્ત્રી અનેક સ્વરૂપે પૂજનીય છે, વંદનીય છે, સન્માનનીય છે, આદરણીય છે…માનવીની સભ્યતાની સરવાણી, સરોવર અને સાગર છે. ‘વો હોતે હીન કિસ્મતવાલે જિનકે માં હોતી હૈ….’ – અભિનંદન… હદ.

  • Maheshchandra Naik (Canada)

    અભિનદન, શ્રી નિલેશભાઈને, મનોમન્થન કરાવતી વાત સરળ ભાષામા મુક્વા બદલ, આ જ અત્યારના સમયની કહાણી છે, વિચાર માગી લેતી વાત પર સતત મનન કર્વુ પ્ણ એટ્લુ જ જરુરી છે……………