અક્ષરનાદનો સાતમો જન્મદિવસ… 101


પ્રિય આદરણીય વાચકમિત્રો,

અક્ષરનાદ આજે ગુજરાતી વેબવિશ્વમાં છ વર્ષ પૂર્ણ કરીને સાતમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ‘અધ્યારૂનું જગત’થી શરૂ થયેલી યાત્રા જે ઉપયોગી, હેતુલક્ષી અને સ્વચ્છ રીતે સતત આગળ ધપી રહી છે એ જોઈને સહજ સંતોષ થાય એ સ્વભાવિક છે, તો આ સફરના દરેક ડગલે મળતી અલભ્ય મોજ પણ આગળ વધવાનું સતત ઈજન આપતી રહે છે. આવા પ્રસંગો વાચકમિત્રો સાથે સંવાદનું માધ્યમ બની રહે અને અક્ષરનાદના વિકાસને લગતી બાબત વિશેના આયોજનો સૌને જણાવી શકાય એવા પ્રયત્ન કર્યા છે અને આજે પણ એવી જ રીતે અક્ષરનાદ વિશેની, અમારા વિશેની અને આ યાત્રા વિશેની કેટલીક વાતો આપની સાથે વહેંચવી છે, પણ એ પહેલા આભાર એ ૨૯૦૦ મિત્રોનો જે રોજ સ્વેચ્છાએ પોતાના ઈ-મેલ ખાતામાં અક્ષરનાદના ઈ-મેલ મેળવે છે. અક્ષરનાદ પર પ્રસિદ્ધ થતી કૃતિઓ સાથે રોજ સવારે પ્રેમપૂર્વક હાજરી નોંધાવીને, ઈ-મેલમાં મળતા નવી કૃતિઓના સંદેશા જોઈને – તેને વધાવીને – પ્રતિભાવ આપીને, ફોન – ઈ-મેલ દ્વારા સ્નેહાળ ઉઘરાણી રૂપે પુસ્તકની કે લેખની માંગણી કરીને અને એમ દરેક વખતે ઉત્સાહ વધારીને આગળ વધવાની પ્રેરણા આપતા સર્વે વાચકમિત્રોને સાદર પ્રણામ.

ઉપરાંત શ્રી વિનયભાઈ ખત્રીએ કરેલા ગુજરાતી બ્લોગ સર્વેક્ષણમાં વાચકમિત્રોએ અક્ષરનાદને તૃતિય ક્રમ આપ્યો છે એનો હરખ વ્યક્ત કરું છું સાથે સાથે અક્ષરનાદ માટે મત કરનારા સર્વેને સાદર પ્રણામ કે તમે અમને એ યોગ્ય ગણ્યા.

૨૭મી મે ૨૦૧૨, એટલે કે આજે વર્ડપ્રેસના અસ્તિત્વના દસ વર્ષ થયા, સંજોગવશાત એક જ તારીખ અને એક જ મહીનો વર્ડપ્રેસ અને અક્ષરનાદ બંનેના અસ્તિત્વનો મહત્વનો મુકામ છે. અક્ષરનાદનો અસ્તિત્વ માટેનો વર્ડપ્રેસ સાથેનો આ અનોખો સંબંધ મહવનો છે એ બદલ Thanks WordPress, We owe a lot to you.

વ્યવસાયિક જીવનમાં અને તેને લીધે અંગત જીવનમાં છેલ્લા ઘણાં સમયથી અનેક અણધાર્યા ફેરફાર થઈ રહ્યા છે, અંગત વ્યવસાયિક નામનાની ભૂખને લીધે, કમાવાની – અંગત સગવડતાઓ વધારવાની લ્હાયમાં અક્ષરથી દૂર જઈ રહ્યો હોઉં એવું અનુભવાય ત્યારે ફરી સચેત થઈને તેમાં રત થવાનો પ્રયત્ન સતત કરતો રહું છું, છતાંય માનવસહજ વૃત્તિઓને લઈને ક્યારેક નોકરી, ક્યારેક અંગત ગમા-આણગમા અને શોખ તો ક્યારેક સ્મશાનવૈરાગ્ય મન પર ટૂંકસમયની અસરો ઉપજાવી જાય છે. એવા દરેક સમયે જાતને ટપારતો હોઉં છું કે વ્યવસાયિક રીતે અત્યંત શુષ્ક રાજકારણના કીચડથી બચવાની લ્હાયમાં ક્યાંક મારી મૌજ છીનવાઈ ન જાય.

અક્ષરનાદ પરની રોજની હજારો ક્લિક્સ એ વાતની યાદ સતત આપે છે કે આ સાત્વિક સફરમાં હું એકલો તો નથી જ… ૨૯૦૦ લોકો જ્યારે આ કૃતિઓની ઝલક પોતાના ખાતામાં મેળવતા હોય ત્યારે મારી એ ફરજ બની જાય છે કે કાંઈ પણ એવું ન પીરસવું જે આટલા બધા સુજ્ઞ વાચકોને માટે સમયનો વ્યય અથવા કંટાળો આપનાર બની રહે. સુંદર, માહિતિસભર, બોધપ્રદ, મનોરંજક અને ઉપયોગી એવી કૃતિઓ આપવાના સતત પ્રયત્નમાં ક્યારેક ભૂલ પણ થાય છે, ક્યારેક સભાનપણે પ્રથમ કૃતિ આપી રહેલાને પ્રોત્સાહન આપવા પણ નબળી કહી શકાય એવી કૃતિઓ મૂકાય છે. “સાહિત્ય જગત કે સામયિકના પૃષ્ઠો એ કાંઈ ઉગતા લેખકોને આળોટવા માટેની ધર્મશાળા નથી.” એવા શ્રી ચાંપશી ઉદ્દેશીના વિધાનમાં હું સાહિત્યના બ્લોગ અને વેબસાઈટ્સ પણ ઉમેરવા માંગું છું, પણ પછી એમાં એ પણ ઉમેરવું જોઈએ કે નવીનતાનો – ઉગતી સર્જનાત્મકતા અને પ્રયત્નશીલ લેખનને પૂરતો પ્રતિભાવ આપવો એ પણ એક વણલખી જવાબદારી છે. ભલભલા પ્રતિષ્ઠિત અને સ્થાપિત લેખકો પણ જ્યાં ક્યારેક નબળા લખાણો આપતા હોય ત્યાં ઉગતા દરેક લેખક પાસેથી પ્રથમ પ્રયત્ને શ્રેષ્ઠની આશા રાખવી વધુ પડતું કહેવાય, અથવા એમ કરતા પહેલા પ્રસ્થાપિત લેખકોને પ્રમાણિક અભિપ્રાય આપી તેમના નબળા લખાણને ના કહી શકવા જેટલી હિંમત કેળવી લેવી જોઈએ.

દરેક સામયિકને, વેબસાઈટને અને દરેક સંપાદકને પોતાના માધ્યમને પોતાની વિવેકબુદ્ધિ મુજબ કેળવવાનું હોય છે, કેટલાકને નામનો ફાયદો મળે છે, કોઈકને વણમાગી પ્રસિદ્ધિ અને કોઈકને સદંતર અશ્પૃશ્યતાનો અનુભવ. સાહિત્યજગતને હું જેટલું સમજી શક્યો છું એમાંથી એટલું તારવી શક્યો છું કે નામ કે પ્રસિદ્ધિ સાથે ન જતાં શ્રેષ્ઠ વાંચન માટે આપણા અનુભવ પર જ આધાર રાખી વેબસાઈટ કે સામયિકની પસંદગી કરવી જોઈએ. ચોપાનીયા સ્વરૂપે પ્રસિદ્ધ થતાં અને નિઃશુલ્ક મળતા ચાર પાનાનાં સામયિકમાં ક્યારેક એટલું સત્વશીલ વાંચન મળી રહે છે જે પચ્ચીસ-ત્રીસ રૂપિયા ખર્ચીને મળતા સામયિકમાં શુમાર જાહેરાતોમાં ખોવાઈ જતું જણાય છે. ખેર, આ તો મારા મનોદ્રશ્યની વાત થઈ અને બધાંય તેની સાથે સંમત ન હોય એ પણ શક્ય છે, છતાંય મારો દ્રષ્ટિકોણ મૂકવાની લાલચ રોકી ન શક્યો.

છેલ્લા કેટલાક દિવસોમાં જે એક વાત અક્ષરનાદ માટે અન્યત્ર ઉચ્ચારાઈ છે એ મૌલિકતા અંગેની છે. આ બાબતે સંવાદ થઈ શકે – વિવાદ પણ થઈ શકે, પરંતુ એ પળોજણમાં પડવા કરતા વિનમ્રતાપૂર્વક મારે ફક્ત એ જ કહેવાનું કે મારા પોતાની અને પ્રતિભાની રચનાઓ સિવાય લેખકમિત્રો સર્વશ્રી ડૉ. હાર્દિકભાઈ યાજ્ઞિક, શ્રી તરુણ મહેતા, શ્રી નિમિષાબેન દલાલ, શ્રી હર્ષદભાઈ દવે, શ્રી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ જેવા નિયમિત રચનાકારો, અનેક ઉગતા લેખકો અને પ્રસ્થાપિત લેખકોની ‘મૌલિક’ કૃતિઓ પ્રસિદ્ધ કરવાનું સૌભાગ્ય અક્ષરનાદને મળે છે એ બાબત કદાચ તેમના ધ્યાન બહાર રહી ગઈ હશે. ફક્ત ‘જીજ્ઞેશ અધ્યારૂ’ માટે ઉચ્ચારાયેલી કોઈ પણ બાબત માટે મારે કાંઈ પણ કહેવાપણું ન હોય – જરૂર પણ નથી, સદંતર અવગણનાની અમને આદત છે, પરંતુ ઉપર જેમના નામ મૂક્યા છે એ સર્વેની રચનાઓની ‘મૌલિકતા’ વિશે બોલવાની મારી ફરજ બની રહે છે. આ ઉપરાંત મૌલિકતાની વ્યાખ્યામાં અક્ષરનાદનો ‘ઑડીયોકાસ્ટ’ વિભાગ કે ‘ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગ’ શું પૂર્ણપણે બંધબેસતો નથી? જો ન હોય તો કદાચ ‘મૌલિક’ શબ્દની મારી સમજ સીમીત હોય તેમ બની શકે.

દર જન્મદિવસની જેમ અક્ષરનાદ માટેની કેટલીક નવીન શરૂઆતો અને પ્રયાસોને આજે આપ સૌની સાથે વહેંચવાનો આનંદ પણ લેવો છે, કેટલીક મુખ્ય વાતો નીચે મુજબ છે,

– નડીયાદના શ્રી મુકેશભાઈ મેકવાનની કંપની ‘એનિમેટ્રોનિક્સ’ અક્ષરનાદની એન્ડ્રોઈડ અને આઈફોન – આઈપેડ માટેની એપ્લિકેશન ડીઝાઈન કરી રહી છે. એન્ડ્રોઈડ એપ્લિકેશન ચકાસણી હેઠળ છે જેનું ‘બીટા’ વર્ઝન થોડા દિવસોમાં રીલીઝ થશે.

– અક્ષરનાદ હવે બેકઅપ અને ડેટાબેઝની સુરક્ષા માટે ‘વૉલ્ટપ્રેસ’ સાથે જોડાઈ રહ્યું છે. વૉલ્ટપ્રેસની સુવિધા અને કામગીરી વિશે અનેક મિત્રો પાસેથી સાંભળ્યું છે, એ કોઈ પણ કપરા સંજોગોમાં વેબસાઈટને સુરક્ષિત રાખશે એવી આશા છે.

– અક્ષરનાદનું હૉમપેજ રી-ડીઝાઈન થઈ રહ્યું છે. કેટલાક મિત્રોના અક્ષરનાદ પ્રત્યેના સતત અહોભાવ તથા પ્રેમનો પડઘો પાડવાના પ્રયત્ન રૂપે તેમના ફોટોગ્રાફ્સ સાથે તેમની કૃતિઓને ‘પ્રમોટ’ કરવાનો આ પ્રયત્ન છે, ઉપરાંત અન્ય કેટલાક ફેરફારો પણ થઈ રહ્યા છે જે હેઠળ સ્વતઃ સ્થાપેલ સીમારેખાઓમાં કેટલીક છૂટછાટ લીધી છે.

– શ્રી ગોપાલભાઈ પારેખની સહાયતાથી અક્ષરનાદનો ઈ-પુસ્તક વિભાગ ઊભો છે, ચાલી રહ્યો છે… એક વૃદ્ધ ખંતીલા સાહિત્યપ્રેમીની ઝડપને સાદર પ્રણામ.

– રૂ. ૧,૨૫,૦૦૦/- નું એક ભંડોળ ઉભું કર્યું છે જે સંપૂર્ણપણે મારા પગારમાંથી જ ફાળવેલું છે, આ ભંડોળનો ઉપયોગ અક્ષરનાદની એન્ડ્રોઈડ અને આઈફોન – આઈપેડ માટેની એપ્લિકેશન ડેવલપ કરવા અને વૉલ્ટપ્રેસની સાથે જોડાવાથી થતા ખર્ચ માટે ઉપરાંત ઈ-પુસ્તક વિભાગ માટે ઉપયોગ કરવાનો નિર્ધાર છે. છેલ્લા કેટલાય મહીનાઓથી દર મહીને અક્ષરનાદ માટે ૫૦૦૦ પગારમાંથી કાઢીને અલગ મૂકી રાખવામાં આવતા હતાં, જેનો ઉપયોગ હવે આ પદ્ધતિએ વાપરવાનું નક્કી કર્યું છે.

– ઉપરોક્ત ભંડોળને લીધે અક્ષરનાદ ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગ હવે એક નવી રીતે આગળ વધી શક્શે, શક્યતઃ સમગ્રપણે નવેસરથી અને વધુ ઝડપથી અગ્રસર થશે એવા આ વિભાગને વધુ અસરકારક અને ઉપયોગી બનાવવા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે – એ અંતર્ગત

– – ‘ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ઈ-પુસ્તક’ પ્રકાશિત કરી રહેલા અને એવા પ્રયત્ને ઈ-પુસ્તક વેચતા લોકોની વધતી સંખ્યાને જોતા હવે નિઃશુલ્ક ઈ-પુસ્તકો ઘટવાના છે એ ચોક્કસ, એ સંજોગોમાં પણ અક્ષરનાદ આ ક્ષેત્રમાં જ વધુ આગળ વધવા માંગે છે. એ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.

– – પુસ્તક ટાઈપીંગ આઊટસોર્સ કરવામાં આવ્યું છે – આવી રહ્યું છે, પુસ્તક અનુસાર ટાઈપ માટેના યોગ્ય પૈસા આપીને અનેક ઉત્સાહી મિત્રો પાસે ઈ-પુસ્તકો એકસાથે ટાઈપ કરાવાઈ રહ્યા છે, થઈ ગયા છે. અનેક લેખકમિત્રોએ આ માટે સંમતિ આપી છે જે અંતર્ગત તેમના પુસ્તકની ઈ-આવૃત્તિ પ્રસ્તુત કરવાની પરવાનગી તેઓ આપે છે અને તેમને ટાઈપ કરવાનો – ફોર્મેટ કરવાનો સમગ્ર ખર્ચ અમે આ ભંડોળમાંથી ભોગવીશું જેથી ઈ-પુસ્તક સંપૂર્ણપણે વ્યવસાયિક રીતે સજ્જ પરંતુ ડાઊનલોડ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી શકાય.

– – પાછલા દિવસોમાં કેટલાક શુભેચ્છકોએ / મિત્રોએ / સંસ્થાઓએ ઉપર સૂચવ્યા મુજબ યથાશક્તિ એક કે તેથી વધુ ઈ-પુસ્તકનો ટાઈપ ખર્ચ સ્પૉન્સર કરવાની ઑફર પણ આપી છે, જે હજુ વિચારણા હેઠળ છે.

શક્ય એટલું વધુ સત્વશીલ અને ઉપયોગી વાંચન શક્ય તેટલી વધુ સુવિધા સાથે, જાહેરાત કે ડૉનેશન વગર પ્રસ્તુત કરવાનો પ્રયત્ન સતત કરતા રહીને ‘સ્વ’ને અક્ષરના નાદમાં સતત રત રાખવાનો પ્રયત્ન વ્યવસાયિક જીવનની પળોજણમાંથી જે ટૂંકા ગાળાની મુક્તિ અપાવે છે એ જ લાંબા ગાળાની ખોજ ને મોજમાં પરીવર્તિત કરી શક્શે એવો વિશ્વાસ છે. આ જ આનંદ વ્યવસાયિક જીવનમાં પણ અનેક નોંધપાત્ર સફળતાઓ અને ગર્વની ક્ષણો અપાવે છે એ તેનો પરોક્ષ ફાયદો પણ ખરો.

અંતે, ફરી એક વખત, આટઆટલા વર્ષોથી સતત ઉત્સાહ, પ્રેરણા, પ્રોત્સાહન અને સંતોષ આપતા સર્વે લેખક, વાચક, શુભેચ્છક એવા સહ્રદય મિત્રોનો હ્રદયપૂર્વક આભાર. લાંબો પંથ કાપી લીધા પછી પણ પાછળ જોઈને ‘ઘણું અંતર કાપી લીધું’ બોલનારના સંતોષની લગોલગ કે એથી ઘણે વધુ મારો આ સાત વર્ષની સફરનો સંતોષ પહોંચે છે, અને દરેક ડગલે મંઝિલ પ્રાપ્ત કર્યાનો આનંદ ઈશ્વરની જ કૃપા હોઈ શકે. એ માટે પરમપિતાને નમન.

– જીજ્ઞેશ અધ્યારૂ, પ્રતિભા અધ્યારૂ


Leave a Reply to harshad joshiCancel reply

101 thoughts on “અક્ષરનાદનો સાતમો જન્મદિવસ…

  • R.M.Amodwal

    Respected Gingneshbhai & Pratibhaben

    I have started to enjoy reading from our web site . it is so lovable that myself is anxious to read all & various creation in Gujarati.
    Congratulation , sir
    keep it up to provide variety of stuff with the hope of continueal improvement reference to viewer / reader & their about standerd , Ends.
    Wish you all the best for the future ………..

  • Ketan Patel

    જિગ્નેશ ભાઈ – Many Congratulations! સાથે સાથે ઘણૉ આભાર કે તમે આ ભગીરથ કાજ એકલે હાથે ઉપાડીને અમોને ગુજરાતી સાહિત્ય સાથે જોડ્યા. લાખો શુભેચ્છાઓ સહ.
    કેતન પટેલ, સુરત.

  • Bina

    અભિનન્દન! ખુબ સરસ સાઈટ્ છે.
    એક પ્રશ્ન થયો છે મન મા. જો આ વેબસાઇટ ૨૦૦૮ મા શરુ થઇ હતેી ત પછેી એને ૬ વર્ષ પુરા કેવેી રેીતે થયા? just curiosity…may be i dont know the history before that or something

  • P.K.Davda

    આપના કાર્યમાટે ધન્યવાદ શબ્દ નાનો પડસે. એક કાર્ય પાછળની નિષ્ઠા કોને કહેવાય એનું આપ એક ઉદાહરણ છો. એક એંજીનીઅરની વ્યવસાયિક જવાબદારીનો મને ખ્યાલ છે, એમાથી સમય કાઢી આટલું જવાબદારી વાળું કામ, આટલી સારી રીતે કરી શકનારી વ્યક્તિઓમા આપ એક છો. ઈશ્વર આપને ખૂબ ઊંચાઈઓ સુધી પહોંચાડે.

    • Gopal Parekh

      તમે ૧૯૫૦ થેી ૬૦ ના ગાળામાઁ ઘાટકોપરમાઁ ભણતા હતા? જણાવવા નમ્ર વિનઁતી
      ગોપાલ પારેખ

    • Jignesh Adhyaru Post author

      તમારી શુભેચ્છાઓ અને પ્રોત્સાહક શબ્દો બદલ ખૂબ ખૂબ આભાર દાવડા સાહેબ…

  • અશોક જાની 'આનંદ'

    સતત છ વરસની મહેનત જ તમારા સાતમા વરસમાં પ્રવેશ માટેનું મુખ્ય પરિબળ રહ્યું, સાતમા વરસનો આ પ્રવેશ મંગલમય હો અને વરસોની મજલ કાપતા રહો એવી શુભેચ્છા..!!

  • Nirav

    જીજ્ઞેશભાઈ અને પ્રતિભાજી આપ બન્ને સાહિત્યપ્રિય જોડીને છ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન . . . આટઆટલા વર્ષોની મહેનત હવે એક ઘેઘુર વૃક્ષનો છાયો બનીને સૌ વાંચકોને ઠારે છે .

    સાતમું વર્ષ પણ ખુબ અદભુત રહે તેવી શુભેચ્છાઓ .

  • Heena Parekh

    અક્ષરનાદના સાતમા જન્મદિને ખૂબ ખૂબ અભિનંદન. અક્ષરનાદ સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ સરસ કામગીરી બજાવી રહ્યું છે. નવોદિત કવિ/લેખકોને પ્રોત્સાહન આપવાનું કાર્ય પણ ધન્યવાદને પાત્ર છે. કોઈ પણ ટીકાને ધ્યાનમાં રાખ્યા વિના આગળને આગળ વધતા રહો.

    • AksharNaad.com Post author

      પ્રિય હીનાબેન,

      અક્ષરનાદની બ્લોગજગતમાં શરૂઆતથી – છ વર્ષ પહેલાના સમયથી અનેક વાચક-બ્લોગર મિત્રોનો નિસ્વાર્થ સહકાર અને પ્રોત્સાહનનો વરસાદ સતત મળતો રહ્યો છે, અને તેમાં તમારું ખૂબ અગ્રસ્થાન છે. આપની એ મદદ, પ્રોત્સાહન અને શુભકામનાઓ બદલ સદાય ઋણી અને નતમસ્તક.

      ટીકાઓથી નકારાત્મક રીતે ચલિત થવાનું કે હાંફળાફાંફળા થઈ જવાનું બને એવો સમય અક્ષરનાદ માટે તો નથી જ, એ ટીકાઓને હકારાત્મક રીતે લઈ વાચકોને માટે વધુ ઉપયોગી બની શકીએ એવા સતત પ્રયત્નમાં રહીએ છીએ. એક બ્લોગર તરીકે આપને પણ આવી ટીકાઓનો અનુભવ હશે જ… એમાંથી જરૂરી તારવીને ઉપયોગ કરી લેવું એવો જ અભિગમ રાખ્યો છે… વાચકોનો આવો જ સતત પ્રેમ મળતો રહ્યો ત્યાં સુધી આમ જ વધતા રહીશું એવો વિશ્વાસ છે… ઈશ્વર એ માટે બળ આપે…

      આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.

  • Dipak Dholakia

    ભાઈ શ્રી જિજ્ઞેશ અને બહેન પ્રતિભા,

    અભિનંદન.અહીં ઘણું વાંચવા જેવું મળે છે અને ક્યારેક ચર્ચામાં કૂદી પણ પડ્યો છું. તમે એક સારા સંપાદક તરીકે નીરક્ષીરન્યાય દ્વારા જે સેવા કરો છો તે પ્રશંસાને પાત્ર છે.
    તમારી ભવિષ્યની યોજનાઓ સવાસો ટકા પાર પડે એવી શુભેચ્છાઓ.

    • AksharNaad.com Post author

      મુ. શ્રી દીપકભાઈ,

      અક્ષરનાદ પર સદાય આપને આ જ રીતે વાંચવા જેવું મળી રહે એવો પ્રયત્ન કરતા રહીશું. ચર્ચા તો સ્વચ્છ વિનિમયની નિશાની છે, એટલે અક્ષરનાદ પર ભાગ્યે જ વર્ષે એકાદ-બે પ્રતિભાવો અપ્રૂવ નહીં થતા હોય… ક્ષમતા અને આવડત મુજબ સદાય આવો જ પ્રયત્ન કરતા રહીશું. આપના જેવા શુભેચ્છક વિદ્વાન મિત્રોની સદાય મદદ મળતી રહી છે એ પણ એક મોટું જમાપાસું છે.

      શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર.

    • AksharNaad.com Post author

      આદરણીય પ્રિય અશોકભાઈ,

      આપના પ્રતિભાવ તથા શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર.

  • pragnaju

    સાતમા જન્મદિનની વધાઇ
    અભિનંદન અને અનેકાનેક શુભેચ્છાઓ
    આપના ચિંતનનાત્મક પ્રેરણાદાયી વિચારો બદલ ધન્યવાદ આજના લેખે મૌલિકતા અંગે ચિંતન કરવા પ્રેર્યા છે

    • AksharNaad.com Post author

      આદરણીય બહેનશ્રી,

      આશીર્વાદ અને શુભેચ્છાઓ બદલ આપને નતમસ્તક.

      આપના જેવા માર્ગદર્શકો દ્વારા મૌલિકતા અંગે નિષ્પક્ષ, હેતુલક્ષી અને ફળદાયી ચિંતન થઈ શકે અને એ દ્વારા લાધેલું નવનીત સૌને ઉપયોગી થઈ રહે એવી અપેક્ષા…

  • Ritesh Mokasana

    જીગ્નેશભાઈ, ખુબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. પરમકૃપાળુ પરમાત્મા આપના ધ્યેયો પર પાડવા મદદરૂપ થાય એજ પ્રાર્થના ..રીતેશ મોકાસણા

    • AksharNaad.com Post author

      પ્રિય રીતેશભાઈ,

      આપના જેવા મિત્રો અને શુભેચ્છકોની પ્રાર્થનાઓ જ અક્ષરનાદને આ મુકામ સુધી લાવવામાં પ્રોત્સાહક બનતી રહી છે… શુભેચ્છાઓ બદલ આભાર.

  • Harsha Vaidya

    અભિનંદન જીગ્નેશભાઈ,

    મેં જયારે ૬૦ માં વર્ષે બ્લોગ બનાવવાનો વિચાર કર્યો ત્યારે એ કઈ રીતે બનાવાય?કેવો હોવો જોઈએ?વગેરે માટે સૌથી પહેલાં ગુગલમાં “ઉત્તમ ગુજરાતી બ્લોગ”ક્લિક કર્યું અને સામે અક્ષરનાદ! એમાંથી જ પ્રેરણા લઇ મેં શરૂઆત કરી.આજે સાતમાં જન્મ દિવસે એ વાત કરીને તમારો,અક્ષરનાદનો આભાર દિલથી માની લઉં છું.

    • AksharNaad.com Post author

      આદરણીય પ્રિય હર્ષાબેન,

      સારા કાર્યો માટે કોઈક ને કોઈક આંગળીચીંધણ તો મળી જ રહે છે, મૂળ મુદ્દો તો એ માર્ગે આગળ વધવાનો છે.. અક્ષરનાદ આપને ઉપયોગી થઈ શક્યુ એ આનંદનો વિષય છે. પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.

  • urvashi parekh

    ખુબ ખુબ અભિનન્દન.
    ઘણુ સારૂ કામ કરી રહ્યા છો.
    ભગવાન તમને શક્તી આપતા રહે, આ કામ કરવા માટે અને આગળ વધતા રહો તેવી શુભેછાઓ સાથે.

    • AksharNaad.com Post author

      આદરણીય ઉર્વશીબેન,

      આપની સદાય મળતી રહેતી શુભેચ્છાઓ અને પ્રોત્સાહન બદલ ખૂબ ખૂબ આભાર.

  • hardik yagnik

    અક્ષરનાદ અને જિગ્નેશભાઇને અર્પણ…….

    એક માણસના મનને દિવડે અજવાશ આખે ગામ
    અંતરની ધ્વની નો અ-ક્ષર ધ્વની જંયા બન્યો અક્ષરનાદ
    વ્હાલી ભાષાને વ્હાલ કરવા કોઇક દિ તમે જુવો તો અક્ષરનાદ …(૨)

    હું તું અને મારુ નહી જંયા આપણૂં છે સધળુ કામ
    પા પા પગલી ભરતા લેખક્ને મન આ છે સ્વર્ગ ધામ
    અલગારીના ઓટલે જાણે જગ માંટે સવલત તમામ
    આવેલા ને સઘળુ મળતુ ના પઇ પૈસાનો દમામ ….
    તમે જુવો તો અક્ષરનાદ …(૨)

    પ્રભાતીયાના ટાણે વહેલી ટહુકતી રોજ એની ટપાલ
    ખોબે ખોબે છલકતો જેમાં પ્રેમ માતૃભાષાનો કમાલ
    વેબસાઇટના નામે વહેતી ગુજરાતી ભાષા કેરી સલામ
    સરનામુ કોઇ પુછે સાહિત્યનુ તો કહું તમે જુવો તો અક્ષરનાદ…..
    તમે જુવો તો અક્ષરનાદ …(૨)

    – ડૉ.હાર્દિક યાજ્ઞિકના અક્ષરનાદને વંદન

    • AksharNaad.com Post author

      પ્રિય હાર્દિકભાઈ…. હવે ડૉ. હાર્દિકભાઈ યાજ્ઞિક

      અક્ષર પ્રત્યેની, નાદ પ્રત્યેની, અક્ષરનાદ પ્રત્યેની, મારા અને મારી અંદર જે પણ હોય તે સર્જકતા તરફની અને સાહિત્ય પ્રત્યેના – સર્જન પ્રત્યેના તમારા ઉત્સાહની લાગણીને સદાય કૃતજ્ઞ અને નતમસ્તક…

      અક્ષરનાદ માટે મેં લખ્યું છે તેમ, ‘અવગણનાની અમને આદત છે’ એ દ્રષ્ટિકોણ બદલવાની મહેનત કરવા બદલ પણ આપને પ્રણામ. અને ઉપરોક્ત ગીત બદલ તો શું કહું…

      સર્જકતાના અને ઉત્સાહના અનેક પરિમાણોમાં આપની પાસેથી ઘણુંય શીખ્યું છે, ભલભલા માંધાતાઓ પણ જ્યાં પાછા પડી જાય એવા કાર્યોમાં આપને સ્વખર્ચે, સ્વસમયના ભોગે અને વ્યવસાયની સાથે સાથે સમર્પિત થતા જોયા પછી જ અક્ષરનાદ પ્રત્યેનો આ ઉત્સાહ ટકી શક્યો છે…

      આપને જેટલા ધન્યવાદ કહું એટલા ઓછા જ છે….

  • La'Kant

    હાર્દિક અભિનંદન….ઈશ્વર તમને સહુને અમાપ શક્તિ – સામર્થ્ય આપે …ગુજરાતી ભાષાનું સેવાકાર્ય નિરંતર..આગળ વધતું..બેહતર બનતું રહે.
    વેલ-બેલેન્સ્ડ પોપ્યુલર વેબસાઈટ કહી શકાય .
    -લા’કાંત / ૨૭-૫-૧૩

    • AksharNaad.com Post author

      પ્રિય આદરણીય લક્ષ્મીકાંતભાઈ,

      આપના આશિર્વાદ અને શુભકામનાઓ બદલ ખૂબ ખૂબ આભાર.

  • ASHISH ACHARYA

    jigneshbhai,
    “AKSHARNAAD”ni bhavya safalta mate tamne ane pratibhabahen ne khub khub abhinandan. AKSHAR no NAAD vadhu ne vadhu gunje tevi MAA SHARDA ne prarthna. “AKHARNAAD” mate mare layak je seva hoy te kaheva namra araj.

    • AksharNaad.com Post author

      પ્રિય આશીષભાઈ,

      અક્ષરનો નાદ સર્વેને આમ જ સ્વ સુધીની સફરમાં મદદ કરતો રહે એવી માતા શારદાના ચરણોમાં અભ્યર્થના. આપની શુભેચ્છાઓ અને લાગણી બદલ ખૂબ ખૂબ આભાર.

  • harish thanki

    જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન..અક્ષરનાદની ભવ્ય સફળતામાં આપની જહેમત સ્પષ્ટ દેખાય છે. બહાર વસતા ગુજરાતીઓ માટે તો આ આપની અણમોલ ભેટ જ છે…

    • AksharNaad.com Post author

      અક્ષરનાદ પ્રત્યેના આપના વિચારો અને અભિપ્રાયને નતમસ્તક. વાચકો જ અક્ષરનાદ માટે સર્વસ્વ છે… સફળતામાં એમનો જ સિંહફાળો છે…

  • Atul Jani (Agantuk)

    સહુ પ્રથમ તો સાતમા વર્ષના પ્રવેશે શુભેચ્છાઓ અને છ વર્ષની સફળ યાત્રા માટે અભીનંદન.

    મૌલિકતા બાબતે મારો વિચાર તેવો છે કે જે વ્યક્તિ કે વ્યક્તિના સમૂહનો બ્લોગ હોય તેણે લખેલા સ્વતંત્ર લેખો કે કૃતિઓ ૮૦% થી વધારે જે બ્લોગ પર હોય તે મૌલિક બ્લોગ કહેવાય.

    બ્લોગ ધારકો સીવાયની વ્યક્તિઓના લેખ જે જગ્યાએ ૨૦% થી વધારે મુકાયા હોય ત્યાં સંપાદન કાર્ય થયું ગણાય.

    જો કોઈ એક ,બે કે બેથી વધુ લેખકો સાથે મળીને કોઈ પુસ્તક લખે તો તે પુસ્તક પર તેમનું નામ છપાય અને તે તેમનું મૌલિક પુસ્તક કહેવાય. જો કોઈ મેગેઝીન અનેક લોકોના લેખ સંપાદન કરીને મુકે પછી ભલેને તે લેખો લખનારાએ મૌલિક રીતે જ લખ્યા હોય તો યે તે મૌલિક પુસ્તક નહીં પણ સંપાદન કરેલું મેગેઝીન જ ગણાય.

    વેબ ગુર્જરી પણ હવે મૌલિક નથી રહ્યું, સંપાદન કરનારું મંડળ બની ગયું છે.

    મૌલિક બ્લોગ અને સંપાદન કરનારા બંનેનું પોતપોતાનું આગવું મહત્વ છે પણ બંને સરખા નથી.

    ઉદાહરણ તરીકેઃ
    શબ્દો છે શ્વાસ -મારા – ડો. વિવેક ટેલરની વેબ સાઈટ મૌલિક સાઈટ ગણાય પણ લયસ્તરો અને ટહુકો અનેક કવિઓની કૃતિઓ રજૂ કરે છે તેથી મૌલિક ન ગણાય.

    • AksharNaad.com Post author

      પ્રિય અતુલભાઈ,

      શુભેચ્છાઓ અને અભિનંદન બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

      નોંધશો કે અહીં ફક્ત અક્ષરનાદને લગતા જ ‘મૌલિકતા’ વિશેના વિચાર વ્યક્ત કર્યા છે, મેં પહેલુ વિધાન જ લખ્યું છે કે એ વિશે વિવાદ પણ થઈ શકે અને સંવાદ પણ થઈ શકે, પરંતુ એવી ચર્ચાઓ અને નિષ્કર્ષ વગરના અનંત વિચારોની આપ-લે કરવા જેટલો સમય ઉપલબ્ધ ન હોવાને લીધે મેં અહીં મારા વિચાર મૂક્યા છે. તજજ્ઞો અને વિદ્વાનો એ વિશે ઉચિત નિષ્કર્ષ પર આવશે જ, ત્યાં સુધી મારા વિચારોને મારા માટે સાચા માનવાની છૂટ હું લઈ લઉં છું.

      આપે વેબગુર્જરી વિશે લખ્યું છે – વેબગુર્જરી મૌલિક હોય કે સંપાદન કરનાર મંડળ હોય – એ વાત નક્કી કરવાનું કાર્ય તજજ્ઞો, વિદ્વાનો અને વાચકમિત્રો પર છોડીએ તો પણ ગુજરાતી બ્લોગજગતના સહીયારા પ્રયાસની દ્રષ્ટિએ એ સૌથી વિશાળ સાહસ છે – અને સફળ સાહસ છે એ બાબતમાં બે મત નથી.

      જો બ્લોગ મૌલિક હોય કે સંપાદન કરનાર મંડળ હોય – બંનેનું મહત્વ હોય તો પછી એ સરખા હોય કે ન હોય એથી કોઈ વિશેષ ફરક પડતો નથી… ડૉ. વિવેકભાઈની વેબસાઈટ હોય કે જયશ્રીબેનની ટહુકો – દરેકને અક્ષરનાદની જેમ જ વાચકોનો પ્રેમ અને પ્રોત્સાહન સતત મળે છે – એ પછી અન્ય બાબતો ગૌણ થઈ રહે છે.

      આ બાબતે આપના અભિપ્રાય બદલ ખૂબ ખૂબ આભાર. પોતાની વાત મૂકવાની સ્વતંત્રતાનો ઉપયોગ કરવો એ પણ એક બ્લોગરનું મહત્વનું અને પ્રાથમિક લક્ષણ છે, જેનો આપે ઉપયોગ કર્યો છે.

      આપના પ્રતિભાવ અને વિચારો બદલ ખૂબ ખૂબ આભાર.

      • Dipak Dholakia

        તમારો પ્રતિભાવ ગમ્યો. હું તો મૌલિકતાના દાવાનો જ સ્વીકાર નથી કરતો. આપણે અમુક સંયોગોમાં, અમુક પ્રકારના સંબંધોના માળખામાં જીવતા હોઈએ છીએ અને એનો પ્રભાવ આપણા પર પડતો જ હોય છે. આની પ્રતિક્રિયાની રીતો જુદી હોઈ શકે અને એટલા પૂરતા આપણે મૌલિક.
        તમે હાલમાં ખલિલ જિબ્રાનની શૈલીમાં લખ્યું તે મૌલિક અને સારું જ હતું. તે સિવાય બીજાંના મૌલિક લેખો કે અન્યત્ર પ્રકાશિત થયેલી સામગ્રી આપો છો તે વાંચવાલાયક હોય છે.
        સારી વસ્તુ ફરતી રહે એમ વિચારવું એ પણ એક જાતની સામાજિક પ્રતિક્રિયા છે. પ્રતિક્રિયામાં જ આપણી મૌલિકતા હોય છે. ઘણાયે બ્લૉગ પર આવું સંપાદિત અથવા બ્લૉગરે પ્રાપ્ત કરેલું વાંચવા મળી જાય છે. ઘેરબેઠાં આવો લાભ ચૂકવા કોણ તૈયાર થાય?
        તમે વેબગુર્જરી સાથે પણ સંકળાયેલા છો એ વાત કદાચ તમે ઘણા વાચકોને જણાવતાં સંકોચ અનુભવ્યો હોય એ બનવાજોગ છે. પરંતુ વેબગુર્જરી ટીમના એક સભ્ય તરીકે આ સિક્રેટ આજે હું સગર્વ જાહેર કરી દઉ છું!

      • AksharNaad.com Post author

        🙂

        મુ. શ્રી દીપકભાઈ…. વેબગુર્જરી સાથે હું જોડાયેલો છું એ વાત મોટાભાગના વાચકોને ખ્યાલ હશે જ કારણ મારું નામ ત્યાં ઉલ્લેખ પામેલું છે. એ તો ગૌરવની વાત છે કે આવા તજજ્ઞ, વિદ્વાન અને વડીલોના ઉત્સાહી મેળામાં મારા જેવા યુવાનને પણ સ્થાન મળ્યું છે… જો કે અક્ષરનાદ પર એનો ઉલ્લેખ ક્યાંય નથી એ વાતે સીક્રેટ કહી શકાય…

        ‘મૌલિકતા’ શબ્દ મૃગજળ જેવો છે… અંતે તો વાચકને જે ગમશે એ જ આગળ વધશે. એ વિશેનો મારો મૂળભૂત વિચાર છે – કોઈકનું લખેલું નહીં એવું આપણું પોતાનું સ્વતંત્ર સર્જન…. આ એક લીટી પર મૌલિકતા વિશે મહાગ્રંથ પણ લખી શકે એવા મિત્રો આપણા બ્લોગજગતમાં છે, પણ મુદ્દાની વાત એ છે કે એ આખાય ગ્રંથમાંથી કોઈ તારણ નીકળશે ખરું? અને જો નીકળશે તો એ સર્વસ્વીકૃત હશે ખરું? જો એમ નથી થવાનું તો પછી બધાને પોતાના વિચારજગતમાં જીવવા દઈએ અને આપણે આપણામાં જીવીએ.

        અઘરા શબ્દો અને સાહિત્યપ્રચૂર ભાષાના ઉપયોગથી કોઈ બાબતને દબાવી શકાતી નથી, વાચક બધું જ જાણે છે એ પ્રથમ સત્ય ધ્યાનમાં હશે તો કોઈ પણ બાબતમાં પાછા થવું નહીં પડે.

        મારો મત મેં ઉપર પોસ્ટમાં મૂક્યો છે, એક બ્લોગ પર સર્જક એક હોય કે અનેક એથી મૌલિકતાને ફરક પડે ? લખાણ સર્જનાત્મક હોય કે રચનાત્મક એથી મૌલિકતાને ફરક પડે ? મારી દસ ગઝલો કે વાર્તાઓનો એક બ્લોગ બનાવું તો એને મૌલિક ગણી શકાય પણ અનેક સર્જકોની કૃતિઓ સમા અક્ષરનાદ કે રીડગુજરાતીને મૌલિક ગણવામાં….

        વિવાદોથી દૂર રહેવાની વૃત્તિ કદાચ મારામાં સમયના અભાવને કે વ્યવસાયની અનેકો ગૂંચવણોને લીધે હશે, પણ આડકતરી રીતે એ લાભદાયક જ નીવડે છે… એટલે આવી ચર્ચાઓથી હું દૂર રહેવાનો જ પ્રયત્ન કરું છું.

        આપના પ્રયત્નો, ભાષા પ્રત્યેની લાગણી અને વેગુમાં આપ જે શ્રમ લઈ રહ્યા છો એ સર્વેને પ્રણામ. પ્રતિભાવ બદલ આભાર.

      • Atul Jani (Agantuk)

        મૌલિક બ્લોગર અને સંપાદક વચેનો તફાવત ઉત્પાદક અને વેપારી જેવો છે.

        ઉત્પાદક પણ ઉત્પાદન તો કાચા મટીરીયલમાંથી જ બનાવે છે. પણ તેને પોતાના કારખાનામાં અથવા તો જુદી જુદી જગ્યાએ પાર્ટ્સ બનાવરાવીને છેવટે એક પ્રોડક્ટ રુપે પોતાના માર્કા સાથે રજુ કરે છે.

        વેપારી અનેક ઉત્પાદકોનો માલ તેમની દુકાનમાં રાખે છે. અને ગ્રાહકોને વિતરણ કરે છે.

        અહી વાત માત્ર નફાની જ હોય તો નફો તો ઉત્પાદક અને વેપારી બંને કરે છે. બંને શ્રમ કરે છે અને કમાય છે. પણ એકે પ્રોડક્ટ ડીઝાઈન કરી છે જ્યારે બીજો માત્ર તેનું વેચાણ કરે છે. કેટલાક વેપારી એવા છે કે જે પોતે ય થોડું ઉત્પાદન કરે છે. પણ જ્યારે તે દુકાનમાં માલ વેચે ત્યારે તો તેને સેલ્સ ટેક્ષના જ નીયમો લાગુ પડે. તેવી રીતે કારખાનામાં ઉત્પાદન થાય ત્યારે તેને એક્સાઈઝ અને અન્ય નીયમો લાગુ પડે. વળી જ્યારે માલ વેચે ત્યારે સેલ્સટેક્ષ પણ લાગુ પડે. ઈન્કમટેક્ષ તો ઈન્કમ કરનાર દરેકને લાગુ પડે.

        અહીં મુખ્ય તફાવત તે છે કે વેપારીને એક્સાઈઝ નથી લાગુ પડતી જ્યારે ઉત્પાદકને લાગુ પડે છે. તેવી રીતે વેપારી પર માત્ર ખરીદ વેચાણ અને સ્ટોક મેઈન્ટેઈન કરવાની જવાબદારી હોય છે જ્યારે ઉત્પાદક પર સતત પ્રોડક્ટનું ઉત્પાદન કરવાનીયે જવાબદારી હોય છે.

        વેપારીને એક કારખાનું માલ આપવાનું બંધ કરે તો તેનો વેપાર બંધ ન થઈ જાય તે બીજા કારખાના પાસેથી માલ મેળવી લે પણ જો ઉત્પાદકના મશીન ખોટવાઈ જાય કે કારીગરો હડતાલ પર જાય તો ઉત્પાદન અટકી જાય.

        લેખક કક્ષાના એટલે કે મૌલિક બ્લોગરો જો તેમના મસ્તિષ્કરુપી કારખાનામાંથી વિચારરુપી રો મટીરીયલને સાહિત્ય રુપી પ્રોડક્ટમાં પરિવર્તિત ન કરી શકે તો તેમના બ્લોગ પરનું ઉત્પાદન અટકી જાય જ્યારે સંપાદન કરનારા પાસે તો અનેક લેખકો કે કવિઓના લેખ ઉપલબ્ધ હોય તે તેમણે માત્ર ટાઈપ કરીને કે કોપી-પેસ્ટ કરીને મુકી દેવાના હોય છે.

        હીનાબહેનને ટીકા નથી ગમતી પણ હીનાબહેન થોડાક લેખ જાતે લખીને સાઈટ પર મુકી જુઓ ખ્યાલ આવશે કે કોપી-પેસ્ટ કરવા જેટલું સરળ કામ તો નથી.

  • Yogesh Vaidya

    Congratulations….We need at least 10 Jignesh to serve Gujarati in this format at this point of time… Let the God bless you to have capability to work in 10 fold…You have a correct approach and vision to take this format into next generation…God bless you.. live long AksharNaad…

    • AksharNaad.com Post author

      પ્રિય યોગેશભાઈ,

      આપના અમારા પ્રત્યેના વિચારો, અપેક્ષા અને શુભકામનાઓ બદલ નતમસ્તક. આપે વિચાર્યું એ શક્ય કરવાનું બળ ઈશ્વર અમને આપે એ જ અભ્યર્થના…

    • AksharNaad.com Post author

      બહેનશ્રી,

      આપના ફોનની કંપની તથા મૉડલ વિશેની માહીતી મારા ઈ-મેલ પર મોકલી આપશો તો આપને મદદ કરી શકીશ.

      આભાર.

  • Rajesh Vyas "JAM"

    જીજ્ઞેશભાઈ સૌ પ્રથમ તો આજથી છ વર્ષ પહેલાં સમયની માંગ મુજબ ટેકનોલોજી નો સ્વીકાર કરીને ગુજરાતી સાહિત્યને આવનારી અનેક પેઢીઓ સુધી પહોંચાડી શકાય અને તેને ચિરંજીવ રાખી શકાય તે માટે “અક્ષરનાદ” શરૂ કરવા બદલ કોટિ-કોટિ ધન્યવાદ અને આ પ્રવ્રુતિ એક પરંપરા બનીને ચિરંજીવ રહે તેવી હ્ર્દય પૂર્વક શુભેચ્છાઓ.

    • AksharNaad.com Post author

      પ્રિય રાજેશભાઈ,

      અક્ષરનાદની કૃતિઓ પર આપના પ્રતિભાવો સતત મળે છે એ બદલ ખૂબ ખૂબ આભાર. છ વર્ષ પહેલા મળેલા એક માધ્યમને વિસ્તારી પોતાના શોખને એક માળખાકીય સજ્જતા આપવાનો પ્રયત્ન કર્યો હતો એને આજે છ વર્ષ પૂર્ણ થયા.

      હું માનું છું કે સત્વશીલ સાહિત્ય કદી મરતું નથી, એ તો લોકોના માનસમાં રહે છે… લેખનની વ્યવસ્થા નહોતી ત્યારે પણ કંઠ:સ્થ સ્વરૂપે એ પેઢીઓમાં ઉતર્યું જ છે. અક્ષરનાદ તો ફક્ત એક નાનકડું માધ્યમ છે જેને આપના જેવા અનેક શુભેચ્છક લેખકો – પ્રતિભાવકો જીવતું રાખે છે…

      શુભેચ્છાઓ અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.

  • Valibhai Musa

    ભાઈશ્રી જીજ્ઞેશ અધ્યારૂ અને પ્રતિભાબેન અધ્યારૂ,

    ખૂબ ખૂબ અભિનંદન.

    અક્ષરનાદના સાતમા જન્મદિવસ નિમિત્તેના આપના આ લેખમાં આપે પ્રસ્થાપિત લેખકોના નબળા લખાણને હિંમતપૂર્વક ટપારવાની કરેલી વાત અનુમોદનને પાત્ર છે. કોઈકે તો વાઘને કહેવું જ પડે કે તારું મોં ગંધાય છે.

    ‘અક્ષરનાદ’ ની યાત્રા વણથંભી આગળ ને આગળ ધપતી રહો તેવી શુભકામનાસહ,

    સ્નેહાધીન,

    વલીભાઈ

    • AksharNaad.com Post author

      આદરણીય વલીભાઈ,

      પ્રસ્થાપિત કે ઉગતા લેખકોને કાંઈ કહી શકવા જેટલી ક્ષમતા કે ઉંચાઈ મેં હાંસલ કરી નથી, પરંતુ અન્ય સંપાદકોને એક સહપ્રવાસી તરીકે જે યોગ્ય લાગ્યું એ કહેવાનો મેં પ્રયત્ન કર્યો છે…

      અક્ષરનાદને આપની શુભકામનાઓ સદાય મળતી રહી છે… એ બદલ અનેક ધન્યવાદ અને શુભકામનાઓ…

  • Harshad Dave

    શ્રી જીજ્ઞેશભાઈ,

    અક્ષરનાદ છ પૂરા કરીને સાત સમંદર પાર કરવા તરફ સફળતાપૂર્વક આગળ વધે છે તેનો હરખ તમારી જેમ અમને પણ છે. સપ્તાહના સાતેય દિવસ સૂર્યનારાયણની જેમ તમે જ્ઞાનપ્રકાશ ફેલાવો છો તેથી ઝળહળતું કામ બીજું કયું હોઈ શકે? અક્ષરનાદનાં મૌન પડઘા સચરાચરમાં ગૂંજે છે એ નાદકર્મ તમે કરો છો. એ માટે તમે જે ભોગ આપો છો તે પણ કદરપાત્ર છે. તમે નમ્રતાથી કહો છો હું તો એકલો ચાલ્યો હતો પણ લોકોનો સાથ મળતો ગયો અને ‘કારવા’ બન ગયા. હવે કાફલો આગળ ને આગળ વધતો રહેશે, રહે તેવી શુભકામના સહ… -હદ.

    • AksharNaad.com Post author

      આદરણીય હર્ષદભાઈ,

      અક્ષરનાદ આ છ વર્ષ પૂર્ણ કરી શક્યું એમાં જેટલો ફાળો અમારો છે એથી ક્યાંય વધુ સત્વશીલ અને સમાજને ઉપયોગી લેખ અમને પાઠવી, પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આપનો અને આપના જેવા અનેક લેખકમિત્રોનો છે… અનેકવિધ વિષયો અને વિચારો ધરાવતા આપ સર્વેના લેખ વિના અક્ષરનાદ છ દિવસ પણ ચાલી શકે નહીં…

      કાફલામાં એક મુસાફર હું પણ છું, એક મુસાફર તમે પણ છો… સહપ્રવાસી થવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

  • Vinaykant Shah

    Congratulations for 7th Birthday. Your web sight is good and useful to society.
    At present due to lake of knowledge of
    Healthy food and health,all over the world
    You will find new type of deases is coming.so, I request you to get one good
    Article for health or food should publish
    each month. Vinaykant Shah.

    • AksharNaad.com Post author

      પ્રિય વિનયકાંતભાઈ,

      શુભેચ્છાઓ બદલ આભાર.

      ઉપયોગી અને જરૂરી એવા આપના સૂચનને ચોક્કસ ધ્યાનમાં લઈશું.

  • upendraroy nanavati

    Jigneshbhai Ane Pratibhaben,

    Namaste…Pranam !!!!

    Dhnya Chhe Tamane,Akshrnad Jevi Pavitre Niramal Sahitya Ni Web Site Ane Apani Gujarati Bhasha ma Shu Saru Chhe,Te Janavava Mate !!!
    Aaja Na Janma Divas Ni Beshumar Shubhechha O Ane Hradya Thi Tamara Bann Ne Na ovarana Lau Chhu !!!

    Tamari Avaka Ma Thi Pramanik Pane,5000 Rupia Masik bachavi Ne,Tame Avu Umada Anumodiya Karya Karyu Chhe,Teni Vaat,hu Sahune porasai Porsai Ne Karish.Aje Mara Tya SHEERO banse Ane Je koi Avase,Tenu Mo Meethu Karavi,Tamara kamani Vat karish !!Tamaru Kam,Daan birala Tata thi utaratu Nathi !!

    Aap Physically kya Chho,Sampark no. No. Shu,Pan,Amadavad Avo To jaroor,Jamava Avasho.Tamane Malvu Khub Gamashe.

    Dhanyavad !!!

    • Umakant V.Mehta "ATUL " NEW JERSEY.

      ભાષા ગુજરાતી અને લીપી અંગ્રેજી વાંચતા જરા તકલીફ પડી. તમારૂં સુચન વ્યાજબી અને યોગ્ય છે શ્રી જીગ્નેશભાઈ આવા અંગ્રેજી લખાણો સાથે તેનું ભાષાંતર કરવાની કળ (KEY) આપે તો વાંચનમાં સરળતા રહે.મારૂં સુચન શ્રી જીગ્નેશભાઈને પહોંચાડશો તો આપનો આભારી થઈશ.
      ઉમાકાન્ત વિ.મહેતા “અતુલ “

    • AksharNaad.com Post author

      આદરણીય મુ. શ્રી ઉપેન્દ્રભાઈ,

      આપની શુભેચ્છા, લાગણી અને અક્ષરનાદ પ્રત્યેના વિચારોને નતમસ્તક. મારી સંપર્ક વિગતો વેબસાઈટ પર ‘સંપર્ક’ નામના પાના પર ઉપલબ્ધ છે, મોબાઈલ દ્વારા સંપર્ક કરશો તો આનંદ થશે…

      અમદાવાદ આવીશ ત્યારે આપને ચોક્કસ મળીશ.

      આભાર.

  • JAYENDRA PANDYA

    પ્રિય જીગ્નેશભાઈ અને સાથીયો,
    અક્ષરનાદ ને છ: વર્ષ પુરા કર્યા અને સાતમાં વર્ષમાં પ્રવેશ બદલ ખુબ ખુબ અભિનંદન.
    રોજ સવાર પડે ને જેમ ચા ની તલપ લાગે તેમજ રોજ સંવારે જેવું કોમ્પુટર ઓન કરીએ એટલે અક્ષરનાદ નાં ઈ-મેલની આદત પડી ગઈ છે.
    ગુજરાતી સાહિત્યના ખજાનામાંથી રસસભર કૃતિઓ પીરસવા માટે આપને અને આપના સાથીદારો ને લાગણીપૂર્વક અભિનંદન અને આભાર.
    અક્ષરનાદ પ્રવાહ વાયુવેગે સમગ્ર જગતમાં જ્યાં જ્યાં ગુર્જર વસતા હોય ત્યાં ફેલાય તેવી અભ્યર્થના.
    નવા વર્ષમાં કંઇક નવું પીરસવાનો પ્રયત્ન કરશો તો ઘણો આનંદ થશે.
    અક્ષરનાદનો જય હો!!!!!!!!!!!
    જયેન્દ્રના સસ્નેહ-નતમસ્તક નમસ્કાર સ્વીકારશો

  • ASHOK M VAISHNAV

    જીવનની સફરમાં એક વધુ મુકામ સર કરવા બદલ અભિનંદન્.
    સાથે સાથે વધારે આનંદની વાત એ છે કે હવે પછીની પ્રવૃત્તિઓમાટે પણ આપની પાસે એક ચોક્કસ દિશા નિર્દેશ છે. એ નિશ્ચયો ખુબ જ સુપેરે સફળ થાઓ અને હજુ વિશાળ કાર્યફલક પર ‘અક્ષરનાદ’ પ્રભાવશાળી બની રહે તેવી શુભેચ્છાઓ.

    • AksharNaad.com Post author

      આદરણીય અશોકભાઈ,

      અક્ષરનાદને મળતી આપની અનન્ય કૃતિઓ અને પ્રોત્સાહન બદલ સદાય નતમસ્તક…

      હવે પછીની પ્રવૃત્તિઓ માટે દિશાનિર્દેશ વાચકો અને પ્રતિભાવકોની મુનસફીને આધારે જ નક્કી કર્યા છે, અક્ષરનાદને આપની શુભકામનાઓ બદલ આભાર.

  • ashvin desai

    મારો પ્રતિભાવ તમારિ પોસ્ત્ના જવાબ રુપે જુદો મોકલ્યો ચ્હે
    મારિ પોતાનિ મર્યાદાઓન્ે કારને હુ આ સ્થલે યોગ્ય રિતે
    મારા પ્રતિભાવ ચ્હાપિ શકતો નથિ – તે માતે મને માફ કરશો ?
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

    • AksharNaad.com Post author

      આદરણીય અશ્વિનભાઈ,

      આપના પ્રતિભાવો સદાય પ્રોત્સાહક રહ્યા છે, ઉત્સાહ અને પ્રેરણા આપનારા આપના અનેક ઈ-મેલ બદલ પણ આપના સદાય ઋણી રહીશું.

      આશીર્વાદ અને શુભકામનાઓ બદલ ખૂબ ખૂબ આભાર.

  • નિમિષ દલાલ

    મારા જેવા અનેક લેખક લેખિકાઓને ઇંટરનેટની દુનિયામાં એક ઓળખ અપાવનારા અક્ષરનાદ.કોમ ને તેમના ૭ મા જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભકામનાઓ.. અને આગળૌપર પણ એ દિવસોદિવસ પ્રગતિ કરે અને અમને વધુ ઓળખની તક આપે તેવી ઘણી ઘણી દિલથી શુભેચ્છાઓ…

    • AksharNaad.com Post author

      આદરણીય નિમિષાબેન,

      અક્ષરનાદ તો ફક્ત એક માધ્યમ છે, ખરી ક્ષમતા તો આપના જેવા લેખકોની કલમમાં છે જેને એક મંચ આપવા જેટલું જ કામ અક્ષરનાદ કરે છે.

      શુભકામનાઓ બદલ આભાર અને આપની કૃતિઓ બદલ સદાય ઋણી…

  • harshad joshi

    આપના વિકાસપથની દોડને ખૂબ ખૂબ અભિનંદન

    ફક્ત વિનંતિ ઍટલી જ કોક વખત અમારા આટીઁકલને સ્થાન આપશો તો ખૂબ ખૂબ આભારી થઈશ

    • AksharNaad.com Post author

      મુ. શ્રી હર્ષદભાઈ,

      શુભેચ્છા બદલ આભાર. ચોક્કસ આપની કૃતિઓ ટૂંક સમયમાં અક્ષરનાદ પર પ્રસિદ્ધ થશે જ.

  • Govind Maru

    ‘અક્ષરનાદ’ને છ વર્ષ પુર્ણ કર્યા તેના અઢળક અભીનંદન અને સાતમો જન્મદીવસે હાર્દીક શુભકામનાઓ…

    • AksharNaad.com Post author

      આભાર જુ.કાકા,

      આપના જેવા વડીલોની દોરવણી અને માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી થઈ રહે છે… આશા છે એ મળતાં રહેશે…

  • Umakant V.Mehta

    માતૃભાષા ગુજરાતીની અનન્ય સેવા બદલ લાખ લાખ અભિનંદન
    ઉમાકાન્ત વિ. મહેતા. ” અતુલ.”ન્યુ જર્સી.

  • Vijay Shah

    Congratulations…
    વિવેકાનંદે એક વખત કહ્યુ હતુ ..મને ૧૦૦ યુવાનો જે દેશ માટે મરી મીટે તેવા આપો હું દેશની શીકલ બદલી નાખીશ..
    આજ વાત જીગ્નેશને લાગુ પડે છે..માતૃભાષા માટે કામ કરનારા આવા સધ્ધર વિવેકાનંદો જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી મારી માતૃભાષાને કંઇ જ થવાનું નથી…
    હજી ઉંચે નવી ક્ષીતિજોને આંબો એવી શુભેચ્છાઓ

    • AksharNaad.com Post author

      આભાર વિજયભાઈ,

      આપના પ્રતિભાવનો જવાબ આપવા શબ્દો મળતા નથી. આપની લાગણીને નતમસ્તક.

  • Chetu

    આપને અક્ષરનાદ માટે ખુબ ખુબ અભિનંદન ..! આગળ પણ ખુબ પ્રગતિ કરો એવેી શુભેચ્છાઓ…!