ગાંધીવાણી – મો. ક. ગાંધી 10


બુરાઈ આ જગતમાં શાથી છે અને શી ચીજ છે, એ પ્રશ્નો આપણી મર્યાદીત બુદ્ધિથી પર છે. આપણે એટલું જાણીએ એટલે બસ છે કે બુરાઈ તથા ભલાઈ બંને છે અને જ્યારે આપણે એ બન્ને મુદ્દા ઓળખી શકીએ ત્યારે આપણે ભલાઈને પસંદ કરવી જોઈએ અને બુરાઈને ત્યજવી જોઈએ.

योगः कर्मसु कौशलम् કર્મ એટલે સેવાકાર્ય, યજ્ઞ. આપણી બધી મુસીબતો આપણી અકુશળતામાં છે. કુશળતા આવે તો આપણને અત્યારે જે અકુશળ લાગે છે તે આનંદદાયી લાગે. મારો દૃઢ અભીપ્રાય છે કે સુવ્યવસ્થીત સાત્ત્વીક તંત્રમાં ખેંચ જણાવી ન જોઈએ.

ખળભળાટ વિનાનું જીવન નીરસ વસ્તુ થઈ પડે. એવી આશા જ ન રાખવી. એટલે વિષમતાઓ સહી લેવામાં જ ડહાપણ છે. રામાયણમાંથી આ જ શીખવાનું છે. આપણાં રોજનાં કામ ગમે તેટલાં નાનાં હોય; પણ તેમાંથી આપણે પૂરો સંતોષ મેળવી લઈએ એના જેવું બીજું કશું નથી. જેઓ રાહ જુએ છે, જાગ્રત રહે છે અને પ્રાર્થના કરે છે તેને ઈશ્વર હંમેશાં મોટાં કામો અને મોટી જવાબદારીઓ મેળવી આપે છે.

– મો. ક. ગાંધીજી

‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ પહેલું – અંકઃ 018-2

આજે ગાંધી નિર્વાણ દિવસે પ્રસ્તુત છે ગાંધીવાણી. ગાંધીને આપણો સમાજ કે વિશ્વ સાચા અને પૂર્ણ અર્થમાં ક્યારેય સમજી શક્યા નથી, ગાંધી સાવ સાદીભાષામાં ગહન વાતોની પ્રસ્તુતિ સહજ રીતે કરી શકે છે, આજે તેમને સરકારી ઓફીસોની દિવાલ પર અને ચલણી નોટો પર મૂકીને આપણે ભલે તેમને સન્માન આપ્યાનો સંતોષ લેતા હોઈએ પણ ખરેખર શ્રદ્ધાંજલી તો તેમની વાતોનું સાચું અર્થઘટન કરી બે લીટી વચ્ચેનો અર્થ વાંચવાથી, તેને સમજીને આચરણમાં મૂકવાથી જ થઈ શક્શે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર.


Leave a Reply to ASHISH ACHARYACancel reply

10 thoughts on “ગાંધીવાણી – મો. ક. ગાંધી

  • Maheshchandra Naik

    ગાંધીજીને શ્રધ્ધાસુમન,એ મહામાનવની વિચારસરણી આજે પણ એટલી જ સ્વિકાર્ય દેશ અને દુનિયામા બની રહી છે આપણે સૌ ગુજરાતીઓ ગૌરવ લઈ શકીએ એવુ પ્રદાન ભારતવર્ષમા કર્યુ છે ,એમને કોતિ કોતિ વદના……

  • ધવલ વ્યાસ

    એકદમ સાચી વાત છે જીજ્ઞેષભાઈ, ગાંધીજીએ કહેલી વાતને શ્રદ્ધાપૂર્વક વ્યવહારમાં મુકીએ તો સમાજની શકલ પલટી શકીએ એમ છીએ. જે માણસે નિર્મોહી થઈને, પોતાના કોઈ અંગત સ્વાર્થ વિના, પોતાના કોઈ વંશજ કે સ્વજનને ગાદી કે કોઈપણ પ્રકારની સત્તા અપાવ્યા વગર, મોતની પણ પરવા કર્યા વગર, ભારતને આઝાદી અપાવી, તે વ્યક્તિને તો કોટિ-કોટિ વંદન કરીએ તો પણ તેનું ઋણ ચુકાય નહિ. જે લોકો તેમનો વિરોધ કરે છે, અથવા તો ફક્ત દિવાલો પર ફોટો ટાંગીને કશુંક કર્યાનો આનંદ પામે છે તેમને આ બધુ નહિ સમજાય.

  • ashvin desai47@gmail.com

    ભઐ જિગ્નેશ
    બાપુને નિર્વાન્દિને સાચિ અન્જલિ તમે આપિ
    રુનસ્વિકાર સાથે ધન્યવાદ
    અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા

  • Dhiru Shah

    It is unfortunate that we as a country man of Shri Gandhiji never understood him during his life time and exploited him for one reason for “SWARAJ”. After achieving it, everyone was busy getting power as a price for their so called sacrifice for indepence movement. And to-day so called leaders remember him only on “sahid din”-his death anniversary forgetting his words, advice, his principals and exploiting his name encashing for “votes” to grabe power and position. No leader tried to understand him and not taken pains to explain successive generations. This is a sad reality for India.

  • jjugalkishor

    પશ્ચાત્તાપ ?

    [શિખરીણી]

    ‘તમોને વીંધી ગૈ સનન’, અવ આ આમજનને
    વીંધી ર્ હૈ છે બાપુ ! સતત વરસોથી,પજવતી
    રહેતી, નિષ્ઠાનાં શિથિલ કરતી પોત; તમને
    હણ્યા એનો ના ર્ હે કંઈ વસવસો એટલી હદે !

    વછૂટેલી હિંસા સનન, ગણતી જે ત્રણ, તમે
    ભરી રાખી હૈયે ! રુધીર વહ્યું તેને પણ અહો
    ઝીલી લીધું સાદા, શુચિ વસન માંહી; થયું હશે
    તમોને કે હિંસા તણી કશી નિશાની નવ રહે
    ભૂમિમાં – જે મોંઘું ઉજવી રહી સ્વાતંત્ર્ય નવલું !

    તમે તો ઉચ્ચારી દઈ ફકત ’હે રામ !’, ઉજવ્યું
    અહિંસાનું મોંઘું પરવ; પણ આ ખાસ જન ના
    શક્યું ઝીલી એને. કળણ બહુ ઊંડાં શબદનાં !

    તમે ઝીલ્યા હૈયે ક્ષણ ક્ષણ પ્રહારો – ત્રણ નહીં !
    અમે એવાં એવાં, નહીં ગમ કશો, કો’ ગણ નહીં !

    – જુગલકીશોર.
    ===============================