શ્રીમદ ભાગવત રહસ્ય (માહાત્મ્ય) 4


નોંધ:

અહીં પૂજ્ય ડોંગરે મહારાજના “શ્રીમદ્ ભાગવત રહસ્ય”ને તેના મૂળ સ્વરૂપે મૂકવાનો પ્રયત્ન કર્યો છે.

[આ પુસ્તક ઇ.સ.1962 (વિક્રમસંવત 2017)માં કોડીનાર(સૌરાષ્ટ્ર) ના શ્રી દુર્લભદાસ છગનલાલ ભગતે સંપાદિત કર્યુ અને જનહિતાર્થે શ્રી વિઠ્ઠલદાસ (બાબુભાઇ) ગીરધરદાસે મુંબઇથી પ્રસિદ્ધ કર્યું, એક લાખ નામ જપ કરનારને આ પુસ્તક વિના મૂલ્યે વિતરિત કરવામાં આવતું હતું.]

શ્રી ગણેશાય નમ:
શ્રીસરસ્વત્યૈય નમ:
શ્રીગુરુભ્યો નમ:
ૐ નમો ભગવતે વાસુદેવાય.
શ્રીકૃષ્ણ: શરણં મમ.

ભાગવતનો ઉદ્દેશ અને તેનું માહાત્મ્ય

સચ્ચિદાન્દરુપાય વિશ્વોત્પત્ત્યાદિહેતવે
તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમ:

જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણે પ્રકારોના તાપોનો નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને અમે વંદન કરીએ છીએ.
પરમાત્માનાં ત્રણ સ્વરૂપો શાસ્ત્રમાં કહ્યાં છે: સત્, ચિત્ અને આનંદ. સત્ પ્રગટરૂપે સર્વત્ર છે. ચિત્-જ્ઞાન અને આનંદ અપ્રગટ છે. જડ વસ્તુઓમાં સત્, ચિત્ છે, આનંદ નથી. જીવમાં સત્, ચિત્ પ્રગટે છે, પરંતુ આનંદ અપ્રગટ રૂપે છે, અવ્યક્ત રૂપે છે, આનંદ પોતામાં જ છે છતાં મનુષ્ય આનંદ શોધે છે બહાર. મનુષ્ય સ્ત્રીના શરીરમાં, ધનમાં વગેરેમાં આનંદ શોધે છે. આનંદ એ તમારું સ્વરૂપ છે. આનંદ અંદર જ છે. એ આનંદને કેવી રીતે પ્રગટ કરવો એ ભાગવતશાસ્ત્ર બતાવશે.

દૂધમાં માખણ રહેલું છે છતાં દેખાતું નથી, પણ તેનું દહીં બનાવી છાશ કરીમંથન કરવાથી માખણ દેખાય છે. તેવી રીતે માનવીએ મનોમંથન કરી એ આનંદને પ્રગટ કરવાનો છે. દૂધમાં જેમ માખણનો અનુભવ થતો નથી તેમ ઇશ્વર સર્વત્ર છે પણ તેનો અનુભવ થતો નથી. જીવ ઇશ્વરનો છે. તે ઇશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી, તેથી તેને આનંદ મળતો નથી. કોઇ પણ જીવ હોય તેને ઇશ્વરને મળવું છે. નાસ્તિક પણ છેવટે શાંતિ જ શોધે છે.

આનંદના ઘણા પ્રકાર તૈતરીય ઉપનિષદમાં બતાવ્યા છે, પરંતુ તેમાંના બે મુખ્ય છે:

(1) સાધનજન્ય આનંદ
(2) સ્વયંસિદ્ધ આનંદ

સાધનજન્ય આનંદ-વિષયજન્ય આનંદ-સાધન કે વિષયનો નાશ થતાં તે આનંદનો નાશ થશે. યોગીઓ પાસે કંઇ હોતું નથી તેમ છતાં તેઓની પાસે આનંદ છે. તે બતાવે છે કે આનંદ અંદર છે.

સત્ ચિત્ આનંદ ઇશ્વરમાં પરિપૂર્ણ છે. પરમાત્મા પરિપૂર્ણ સત્ રૂપ છે, પરિપૂર્ણ ચિત્ રૂપ છે, પરિપૂર્ણ આનંદ રૂપ છે.

પરમાત્મા શ્રીકૃષ્ણ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે. ઇશ્વર વગરનો સર્વ સંસાર અપૂર્ણ છે. ઇશ્વરનો અંશ જીવાત્મા અપૂર્ણ છે. જીવમાં ચિદ્ અંશ છે પણ પરિપૂર્ણ નથી. મનુષ્યમાં જ્ઞાન આવે છે પરંતુ તે જ્ઞાન ટકતું નથી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે. શ્રીકૃષ્ણને સોળ હજાર રાણીઓ વાત કરતાં પણ એજ જ્ઞાન અને દ્વારિકા વગેરેનો વિનાશ થાય છે ત્યારે પણ એ જ જ્ઞાન.સર્વનો વિનાશ થાય તોપણ કૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી. કારણ પોતે જ આનંદરૂપ છે. સત્ નિત્ય છે. ચિત્ એ જ્ઞાનછે. જેનું જ્ઞાન નિત્ય ટકે તેને આનંદ મળે, તે આનંદરૂપ થાય. જીવને આનંદરૂપ થવું હોય તો તે સચ્ચિદાનંદનો આશ્રય લે. આ જીવ જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી, આનંદ મળતો નથી.

સંસારના પ્રત્યેક પદાર્થ પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઇ શકતા નથી. પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન નારાયણ છે. આ નારાયણને જે ઓળખે અને તેની સાથે મનને જે તદાકાર બનાવે તેનું મન નારાયણ સાથે એક બને છે. ત જીવાત્મા નારાયણરૂપ બની પરિપૂર્ણ થાય છે. ત્યારે જીવનું જીવન સફળ થાય છે. જીવ જ્યાં સુધી અપૂર્ણ છે, ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. જીવ જ્યારે ઇશ્વરને મળે અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે, ત્યારે તે પૂર્ણ થાય છે.
વેદાંતમાં સાક્ષાત્કારના બે પ્રકારો બતાવ્યા છે:

(1) પરોક્ષ જ્ઞાન
(2) અપરોક્ષ જ્ઞાન.

ઇશ્વર જગતમાં કોઇ ઠેકાણે છે તેમ માને તે પરોક્ષ સાક્ષાત્કાર છે. ઇશ્વર વિના કાંઇ નથી ઇશ્વર જ બધું છે, હું પણ ઇશ્વરથી અલગ નથી એ ઇશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર. જોનારો ઇશ્વરને જોતો ઇશ્વરમય બને ત્યારે ઇશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. ઇશ્વરનો સર્વમાં અનુભવ કરતો કરતો જે એકરૂપ બને છે તે જ ઇશ્વરના પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે અને વેદાંતમાં તેને અપરોક્ષ સાક્ષાત્કાર કહે છે.

ઇશ્વર જગતમાં કોઇ ઠેકાણે છે તે જ્ઞાન પણ અપૂર્ણ છે. ઇશ્વર જ્યારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે ત્યારે તે જીવ પૂર્ણ થાય છે. ઇશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે. જીવ અપૂર્ણ છે એટલે તેને શાંતિ નથી. નારાયણ એ પરિપૂર્ણ છે. સાચી શાંતિ નારાયણમાં છે. નર એ નારાયણનો અંશ છે. એટલે નર તે નારાયણમાં સમી જવા માંગે છે. નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું સાધન તે ભાગવતશાસ્ત્ર.

જીવ નારાયણનો અંશ છે. તેમાં તેને મળી જવું છે. તે માટે શાસ્ત્રમાં અનેક ઉપાયો બતાવ્યા છે: કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ. મનુષ્યનું જીવન અતિ વિલાસી થયું તેથી જ્ઞાનમાર્ગથી જીવ ઇશ્વર પાસે જઇ શકે તે સંભવિત નથી. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ન થાય. જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય. એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. શુકદેવજી મહારાજને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. જન્મતાં વેંત જ તેઓએ વન તરફ પ્રયાણ કર્યું. પિતાને કહ્યું, તમે પિતા નહિ અને હું પુત્ર નહિ.

શાસ્ત્ર સર્વ છોડવાનું કહે છે: કામ છોડો,ક્રોધ છોડો, પરંતુ મનુષ્ય કાંઇ છોડી શકતો નથી. જે પાનસોપારી છોડી શકતો નથી તે કામ, ક્રોધ, લોભ કેવી રીતે છોડશે? તે ઘર કેવી રીતે છોડી શકશે? મનુષ્યને કાંઇ છોડવું નથી. એ કાંઇ છોડી શકતો નથી. અને વેદાંત તો કહે છે કે બધું છોડીને સર્વસ્વનો ત્યાગ કરી ઇશ્વર પાછળ પડો તો ઇશ્વરને ઓળખી શકો, સર્વનો ત્યાગ કરવો એ સાધારણ મનુષ્ય માટે સુલભ નથી.

જે કામસુખ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકતો નથી. ભોગી યોગી થવા જશે તો તે રોગી થશે.

જ્ઞાનમાર્ગમાં જેનું પતન થાય છે તે નાસ્તિક બને છે.

યોગમાર્ગમાં જેનું પતન થાય છે તે રોગી બને છે.

ભક્તિમાર્ગમાં જેનું પતન થાય છે તે આસક્ત બને છે.

કળિયુગનો મનુષ્ય યોગ કરી શકશે નહિ. ભાગવત શાસ્ત્રની રચના કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે કરવામાં આવી છે.

અમે ઘર ધંધો છોડી શકતા નથી કહેનારને ભાગવતશાસ્ત્ર કહે છે નિરાશ થશો નહીં. સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી. જંગલમાં જવાથી જ આનંદ મળે છે એવું નથી. જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે ત્યારે મનમાં પ્રવૃત્તિના જ વિચાર આવે છે.

ભાગવતશાસ્ત્રનો આદર્શ દિવ્ય છે. ગોપીઓએ ઘર છોડ્યું નથી. ગોપીઓ ધંધો કરતી. સ્વધર્મનો ત્યાગ કરી તેણીઓ વનમાં ગઇ નથી. તેમ છતાં તેણીઓ ભગવાનને પ્રાપ્ત કરી શકી છે. ભાગવતશાસ્ત્ર માર્ગદર્શન આપશે કે યોગીને જે આનંદ સમાધિમાં મળે છેતે આનંદ તમે ઘરમાં રહી મેળવી શકો છો. ઘરમાં રહીને પણ તમે પ્રભુને પ્રસન્ન કરી શકો છો. પણ તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઇએ.

ભાગવત તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવશે. ભાગવત વ્યવહાર અને પરમાર્થનો સમન્વય કરી આપશે, તમને ઘરમાં તે જ આનંદ અપાવશે, તમને ઘરમાં તે જ આનંદ અપાવશે જે આનંદ યોગીઓ વનમાં બેસીને ભોગવે છે.

સંસારના વિષયસુખમાં વૈરાગ્ય આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તે જ ભાગવતની લીલાકથાનો ઉદ્દેશ છે. ભાગવત એટલે ભગવાનને મેળવવાનું સાધન. સંતનો આશ્રય કરનાર સંત બને છે. ભાગવતનો આશ્રય કરનારો ભગવાન બને છે.

ભક્તિ મંદિરમાં નહિ પણ જ્યાં બેસો ત્યાં થઇ શકે. તેને માટે એક દેશ કે કાળની જરૂર નથી. ભક્તિ ચોવીસ કલાક કરવાની. ભક્તિનો કાળ અને ભોગનો કાળ એવો ભેદભાવ રાખે તે ભક્તિ કરી શકતો નથી. ભક્તિ સતત કરો. ચોવીસ કલાક બ્રહ્મસંબંધ રાખો. હંમેશા ખ્યાલ રાખો, સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ ન થાય.

જ્યારે વસુદેવજીએ કૃષ્ણને મસ્તક ઉપર પધરાવ્યા ત્યારે બ્રહ્મસંબંધ થયો એટલે હાથપગની બેડીઓ તૂટી. પરંતુ યોગમાયાને લઇને ઓઅરત આવ્યા એટલે બંધન આવ્યું. વસુદેવજીને બ્રહ્મસંબંધ થયો પરંતુ વસુદેવજી બ્રહ્મસંબંધને ટકાવી શક્યા નહિ. બ્રહ્મસંબંધને ટકાવી રાખો. ઇશ્વરનું સ્મરણ છોડશો નહિ.

વૈષ્ણવો ભગવાન સાથે રમે છે. જીવ જે જે ક્રિયા કરે તે ઇશ્વરને માટે કરે તો તે પ્રત્યેક ક્રિયા ભક્તિ બને છે.

ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે. જેનાથી મનથી ભક્તિ થતી નથી. તેને તનથી સેવા કરવાની જરૂર છે. માનસી સેવા શ્રેષ્ઠ છે. સાધુસંતો માનસી સેવામાં તન્મય બને છે. એમ થાય તો જીવ કૃતાર્થ થાય. ભક્તિમાર્ગના આચાર્યો ગોપીઓ છે. તેનો આદર્શ માનસ સમક્ષ રાખવો. જ્ઞાનમાર્ગથી, યોગમાર્ગથી જે ઇશ્વરના આનંદનો અનુભવ થાય છે તે સ્હેજે આ ભક્તિથી પ્રાપ્ત થાય છે. જ્ઞાની, યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે તે આ જીવાત્માને પ્રાપ્ત થાય તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે. એમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે, ભગવાન કેવા છે?

તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમ:

આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક –ત્રણે પ્રકારના તાપોનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ઘ્ણા કહે છે વંદન કરવાથી શો લાભ? વંદન કરવાથી પાપ બળે છે. રાધાકૃષ્ણને વંદન કરશો તો તમારાસર્વ પાપ, તાપ નષ્ટ થશે, પણ વંદન શરીરથી નહિ પણ મનથી કરો, એટલે રાધાકૃષણને, હ્રદયમાં પધરાવો અને પ્રેમથી નમન કરો, વંદન પ્રભુને બંધનમાં નાખે છે.

દુ:ખમાં સાથ આપે તે ઇશ્વર, સુખમાં સાથ આપે તે જીવ. ઇશ્વર સર્વદા દુ:ખમાં જ. પાંડવો દુ:ખમાં હતા ત્યાં સુધી શ્રીકૃષ્ણે તેમને મદદ કરી છે. પાંડવો ગાડી ઉપર બેઠા પાંડવો ગાદી ઉપર બેઠા ત્યારબાદ શ્રીકૃષ્ણ ત્યાંથી ગયા છે. ઇશ્વર જેને જેને મળ્યા છે તે દુ:ખમાં જ. સુખનો સાથી જીવ અને દુ:ખનો સાથી ઇશ્વરછે એનું સતત મનન કરો.
મનુષ્ય પૈસા મેળવવા જેટલો પ્રયત્ન કરે છે(અને દુ:ખ સહન કરે છે) તેથી પણ ઓછો પ્રયત્ન જો ઇશ્વર માટે કરે, તો જરૂર તેને ઇશ્વર મળે. પૈસા પાછળ બહુ પડ્યા હવે થોડા ભગવાન પાછળ પડો, કન્હૈયો વગર આમંત્રણે ગોપીઓને ઘેર જતો હતો. પણ મારે ઘેર તેઓ કેમ આવતા નથી એવું કદી વિચાર્યું? તમે પણ નિશ્ચય કરો, હું મારા હાથે એવાં સત્કર્મ કરીશ કે તેઓ મારે ત્યાં આવશે.

ભગવાનને હાથ જોડવા, મસ્તક નમાવવું એટલે શું? હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. હાથ જોડવા એટલે કે મારા હાથે હું સત્કર્મો કરીશ. મસ્તક નમાવવું એટલે મારી બુદ્ધિશક્તિ હે નાથ ! મેં તમને અર્પણ કરી છે. વંદન કરવું એટલે ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું ભગવાનને અર્પણ કરવું તે. મારા ભગવાનને વંદન કરવાથી પાપ તાપનો નાશ થાય છે. નિર્ભય થવુ6 હોય તો પ્રેમથી શ્રી કૃષ્ણને વંદન કરજો. મારા ભગવાન દયાના સાગર છે. વંદન કેવળ વાણીથી, શરીરથી નહિ પણ હ્રદયથી વંદન કરવાથી ભગવાન સાથે બ્રહ્મસંબંધ થાય છે.

ઘર બહાર નીકળો ત્યારે ઠાકોરજીને વંદન કરીને નીકળજો. ઇશ્વર પ્રેમ માંગે છે અને આપે છે. ઇશ્વર માને છે, મારો છે અને મારા પાસે ભીખ માંગે છે. વંદન કરવાથી

ઇશ્વર સાથે સંબંધ થાય છે. આ જીવનો સ્વભાવ એવો છે કે તે વંદન કરતો નથી. ઘરમાં દાખલ થાય છે ત્યારે સ્ત્રી ઘરમાં ન હોય તો પોતાના બાળકને પૂછે છે, બબલા, તારી મા ક્યાં ગઇ છે? પણ એની શી જરૂર છે? બહાર ગઇ હોય તો રામ રામ કરને. બહારથી ઘરમાં આવો ત્યારે પણ ઇશ્વરને વંદન કરો. રસ્તે ચાલતાં પણ વંદન કરો. ઇશ્વર સાથે એવો સંબંધ રાખો કે ઠાકોરજી નિત્ય મારી સાથે છે. જીવની છાતી ઉપર વિષયો ચઢી બેસે છે તેથી ઇશ્વર જ્યારે સાથે હોય ત્યારે આ વિષયો ચઢી બેસતા નથી. પ્રત્યેક કાર્યના આરંભમાં પ્રભુને વંદન કરો.

વંદન ભાવપૂર્વક કરો. વિચાર કરો કે મને પ્રભુએ આપ્યું છે તેના માટે હું લાયક છું? નાથ, હું નાલાયક છું, પાપી છું છતાં ઠાકોરજીએ મને સંપત્તિ આબરૂ જગતમાં આપ્યાં છે. જીવ લાયક નથી તોપણ જીવને પ્રભુએ ઘણું આપ્યું છે. નાથ તમારા અનંત ઉપકાર છે. નાથ તેનો બદલો હું આપી શકું તેમ નથી.માત્ર તમને વંદન કરું છું. વંદન કરવાથી અભિમાનનો ભાર ઓછો થાય છે. ઠાકોરજીમાં બિલકુલ ભાર નથી કારણકે તેમાં અભિમાનનથી. કૃષ્ણ બોડાણાની પત્નીની નાકની વાળીથી તોળાયા છે. ભાગવતનો આરંભ વંદનથી કર્યો છે. અને સમાપ્તિ પણ વંદનથી કરી છે.

નમામિ હરિં પરમ્

પ્રભુએ કેટલા ઉપકારો મનુષ્યો ઉપર કર્યા છે ! જીભ, આંખ, કાન, મન વગેરે આપ્યાં. બુદ્ધિ અને વિચારશક્તિ આપી. ઇશ્વરના ઉપકારોને યાદ કરો અને કહો કે ભગવાન હું તમારો ઋણી છું. વંદન કરી તમારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું અર્પણ કર્યા બાદ પછી કાંઇ અઘટિત કાર્ય ન કરવું અને ન વિચારવું .
વાંચે અને વિચારે એના કરતાં જીવનમાં ઉતારે તે શ્રેષ્ઠ છે.

વેદનકા અંત નહિ ઔર પુરાણોંકા પાર નહિ.

મનુષ્યજીવન થોડું છે અને શાસ્ત્રનો પાર નથી, પરંતુ તે એકને એટલે ઇશ્વરને જાણો એટલે સઘળું જાણી જશો.

કળિયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે એ બતાવ્યું છે ભાગવત શાસ્ત્રે. સૂતજી કહે છે—સાત દિવસમાં પરીક્ષિતે સ ગતિ પ્રાપ્ત કરી એ મેં નજરે જોયું છે. પરીક્ષિતનો ઉદ્ધાર થયો પણ આપણા સર્વનો ઉદ્ધાર ઉદ્ધાર કેમ થતો નથી? પરીક્ષિત જેવા શ્રોતા થવું જોઇએ અને વક્તાએ શુકદેવજી જેવા થવું જોઇએ તો ઉદ્ધાર થાય.

આપણે સર્વ પરીક્ષિત છીએ. આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેણે મારી રક્ષા કરેલી તે ચતુર્ભુજ સ્વરૂપવાળો પુરુષ ક્યાં છે? ક્યાં છે? એમ કહેતાં ઇશ્વરની શોધમાં નીકળેલો જીવ એ પરીક્ષિત.

પરીક્ષિત એટલે ભગવાનનાં દર્શન કરવા માટે આતુર થયેલો છે તેવો જીવ.

પરીક્ષિતની આતુરતાનું એક કારણ હતું. તેને ખબર પડી હતી કે સાત દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, તક્ષકનાગ કરડવાનો છે.

જીવ માત્રને તક્ષકનાગ કરડવા આવવાનો છે. તક્ષક એ કાળનું સ્વરૂપ છે તેમ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે. કાળ તક્ષક કોઇને છોડતો નથી. તે સાતમે દિવસે જ કરડે છે. વાર સાત છે, અને સાત વારમાંથી એક વારે તો અવશ્ય તે કાળ કરડવાનો જ. આ સાતમાંથી કોઇ એક વાર આપણા માટે નક્કી જ છે ને ! તો પરીક્ષિતની જેમ કાળને ભૂલશો નહીં.

કોઇપણ જીવને કાળની બીક લાગે છે. મૃત્યુની બીક મનુષ્યને જ છે તેવું નથી. બ્રહ્માજીને પણ કાળનો ડર લાગે છે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. ભાગવતમાં લખ્યું છે. ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ મૂકીને સ્વર્ગમાં ગયા છે. ભાગવતનો આશ્રય કરે તે નિર્ભય બને છે.

લોકો મૃત્યુને અમંગળ માને છે પરંતુ તે અમંગળ નથી . મૃત્યુ એ પરમાત્માનો સેવક છે એટલે તે પણ મંગળ છે. ઠાકોરજીને થાય કે મારો દીકરો લાયક થયો છે એટલે મૃત્યુને આજ્ઞા કરે છે કે જીવને પકડી લાવ. જેને પાપનો વિચાર આવતો નથી તેનું મૃત્યુ મંગળમય થાય છે. જીવનમાં મનુષ્ય મરણની સાચી બીક રાખતો નથી એટલે તેનું જીવન બગડે છે મરણ બગડે છે.

અંત:કાળમાં મનુષ્યને જે ગભરામણ થાય છે તે કાળની નહિ પણ પોતે કરેલાં પાપોની યાદથી તેને ગભરામણ થાય છે. પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી. ડરે છે ત્યારે કે જ્યારે પાપની સજા થવાનો વખત આવે છે. વ્યવહારમાં લોકો એકબીજાની બીક રાખે છે, મુનીમ શેઠની, કારકુન અમલદારની, વગેરે.ત્યારે મનુષ્ય કોઇ દિવસ ઇશ્વરનો ડર રાખતો નથી. નિર્ભય થવું હોય તો પાપ કરવાનું છોડી દેજો.

પ્રતિક્ષણે ઇશ્વરનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે છે. ભાગવત મરણ સુધારે છે.

રોજ સ્મશાને જવાની જરૂર નથી. પણ સ્મશાનને રોજ યાદ કરવાની જરૂર છે. શંકર સ્મશાનમાં વિરાજે છે. શંકર જ્ઞાનના દેવ હોવાથી સ્મશાનમાં રહે છે. સ્મશાન એ જ્ઞાનભૂમિ છે. સમભાવ જાગે તેનું નામ સ્મશાન. સમભાવ જાગે છે તેથી જ્ઞાન પ્રગટ થાય છે. તેથી તે જ્ઞાનભૂમિ છેસમભાવ એટલે વિષમનો ભાવનો અભાવ. સમભાવ એજ ઇશ્વરભાવ. મનુષ્ય સર્વમાં સમભાવ રાખી વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે છે.

સર્વમાં ઇશ્વરભાવ જાગે તો જીવ દૈન્ય બને, અને પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન પણ દૈન્ય છે. મનુષ્ય સઘળાની તૈયારી કરે છે, જમવાની, લગ્નની વગેરે. પણ મરણની તૈયારી કોઇ કરતું નથી. મરણની તૈયારી કરો. મૃત્યુ માટે સાવધાન રહેજો.

મનુષ્યને અમર બનવું છે. ભાગવતની કથા અમર છે. અમર કથાનો આશ્રય કરે તે અમર બને છે. પરીક્ષિત, શુકદેવજી અમર છે. ભાગવતની કથા તમને અમર બનાવે છે, ભક્તિરસનું દાન કરે છે. મીરાંબાઇ દ્વારકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ ભક્તિથી સએહે જગદીશમાં સમી ગયા અને અમર બન્યા છે. ભાગવતની કથા સાંભળો. અનાયાસે સમાધિ લાગશે. યોગ તપ વિના ભગવાનને મેળવવાનું સાધન છે ભાગવત શાસ્ત્ર.

ભાગવત ભગવાન એવા સરળ છે કે તે બધા સાથે બોલવા તૈયાર છે, જ્યારે ભગવાન કોઇક અધિકારી સાથે બોલે છે. સાધક ને સાધનમાર્ગમાં કેવા સંશયો આવે છે તે વિચારી વ્યાસજીએ કથા કરેલી છે. વ્યાસજીએ માન્યું છે કે જે મારા ભાગવતમાં નથી તે જગતના કોઇ ગ્રંથમાં નથી. ભાગવતમાં છે તે બીજા ગ્રંથોમાં છે. ભાગવતશાસ્ત્ર એ પરિપૂર્ણ નારાયણનું સ્વરૂપ છે. તે અતિશય દિવ્ય છે.

(ક્રમશઃ)


4 thoughts on “શ્રીમદ ભાગવત રહસ્ય (માહાત્મ્ય)