પાંચ કાવ્યરચનાઓ – વેણીભાઈ પુરોહિત 4


(જન્મ: 01/02/1916, જામખંભાળીયા નિર્વાણ: 03/01/1980, મુંબઇ)

૧. બ્રહ્મમંગલા

વાય વેણુ પરોઢધૂન માંડી,
ને નાચે છે નોબતની દાંડી,
હો દેવ ! આજે જાગો !

વેદ ગુંજે છે છંદ,
ગેબ ગાજે પડછંદ,
મારાં નયનોના નંદ—
દેવ જાગો… મારા મંદિરના દેવ, આજ જાગો…!

મને રાખી અણજાણ,
રોજ ઊગો છો ભાણ !
આજ મનખાની આણ–
દેવ જાગો… મારા હૈયાના દેવ ! આજ જાગો…!

નાથ ! જુગ જુગનાં ઘેન આજ છાંડો,
સૂનાં તલખે છે ચૌદે બ્રહ્માંડો,
પ્રેમમંગલ બે લોચનિયાં માંડો –
હો દેવ,
આજ જાગો… મારા માનવના દેવ, આજ જાગો !

૨. અમલકટોરી

ભર મન ! બ્રહ્મપ્રેમનો પ્યાલો રે
મને હરિરસ વ્હાલો રે….

અંગૂર ને આંબાના રસને મનથી મૂકી દીધો,
સતવાયકનો લીલો લીમડો ઘૂંટી ઘૂંટી પીધો:
મારગ સુરગંગાનો લીધો. – ભર મન.

માયાનાં ધાવણ ધાવેલું મનડું મારું ઝેરી,
હૈયાના કંગાલ મનોરથ દીધા આજ વધેરી:
વાગી અનહદની રણભેરી. – ભર મન.

કાળતણું કરજુગલ બિચારું રગડે છો તન-માટી,
જીવનની લાખેણી ખલમાં બ્રહ્મભક્તિ મેં વાટી:
મારે ઊંચી આત્મ-સપાટી. – ભર મન.

સંતન! મેં સંજીવન પીધું, ગયો કાળ-ઘા ઠાલો,
’આખર’ની વૃન્દાવનકુંજે ગુંજત મુરલીવાલો:
ઊડે ચેતનરંગ – ગુલાલો. – ભર મન.

રગરગ બ્રહ્મભાવના ફોરી !
પીધી હરિરસ – અમલકટોરી !

૩. કોક તો જાગે !

આપણામાંથી કોક તો જાગે, કોક તો જાગે !
કોક તો જાગે આપણામાંથી

હાય જમાને
ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,
ઘેનસમંદર ઘૂઘવે, એનાં ઘોર ઊંડાણો
કોક તો તાગે, આપણામાંથી કોક તો જાગે !

હાય જમાને
ઝેરને પીધાં, વેરને પીધાં,
આધીનનાં અંધેરને પીધાં,
કૈંક કડાયાં કેરને પીધાં-
આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે–
સાચ-ખમીરનો ઘૂંટડો માગે :
આપણામાંથી કોક તો જાગે !

બાપદાદાની બાંધેલ ડેલી,
એક ફળીબંધ હોય હવેલી,
ગામની ચંત્યા ગોંદરે મેલી,
એ…ય નિરાંતે લીમડા હેઠે
ઢોલિયા ઢાળી–
સહુ સૂતાં હોય એમ કાં લાગે ?
આપણામાંથી કોક તો જાગે !

સોડ તાણી સહુ આપણે સૂતાં,
આપ ઓશીકે આપણાં જૂતાં,
ઘોર અંધારં આભથી ચૂતાં–
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે–
આપણામાંથી કોક તો જાગે !

આમથી આવે ક્રોડ કોલાહલ,
તેમથી વ્હેતાં લોહી છલોછલ,
તોય ઊભાં જે માનવી મોસલ–
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં લમણાંમાં
મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે !

એક દિ’ એવી સાંજ પડી’તી,
લોક-કલેજે ઝાંઝ ચડી’તી ,
શબ જેવી વચમાં જ પડી’તી–
એ જ ગુલામી,
એ જ ગોઝારી,
મૂરછા છાંડી મ્હોરવા માગે :
આપણામાંથી કોક તો જાગે !
કોઇ જાગે કે કોઇ ના જાગે,
કોઇ શું જાગે ?
તું જ જાગ્યો તો તું જ જા આગે–
આપણામાંથી તું જ જા આગે…!

૪. નાનકડી નારનો મેળો

હાલો પરોઢીયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલ :
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
ખીલેથી વાછડાં છૂટે રે લોલ.

હાલોને સહિયર ! પાણીડાં જઇએ,
વીરડે વાતું કરશું રે લોલ :
વાટકે વાટકે ભરશું રે લોલ

આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
હૈયે ફાગણિયો ફોરે રે લોલ.
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ—
હાલોને સહિયર ! ….

નેણનાં નેવંને ઊટકે આંજણિયાં,
હથેળી હેલને માંજે રે લોલ :
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
એજબીજાને ગાજે રે લોલ.
હાલોને સહિયર! …

સાસુએ માગ્યાં ઊનાં પાણી ને
સસરે દાતણ માગ્યું રે લોલ;
કાચી નીંદરને કાંઠેથી સપનું
મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.
હાલોને સહિયર !

હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂતે રે લોલ:
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
આપણી વાતું નો ખૂટે રે લોલ–
હાલોને સહિયર !

૫. સુખડ અને બાવળ

સુખનાં સુખડ જલે રે મારા મનવા !
દુ:ખના બાવળ બળે, બળે રે જી… દુ:ખના બાવળ બળે.

સુખડ જલે ને થાય ભસમનીઢગલી ને
બાવળનાં કોયલા પડે, મારા મનવા !
તરસ્યા ટોળે વળે, વળે રે જી… દુ:ખના બાવળ બળે.

કોઇનું સુખ ખટરસનું ભોજન, (ભૂખ્યાનું ભોજન)
કોઇ મગન ઉપવાસે,
કોઇનું સુખ આ દુનિયાદારી,
કોઇ મગન સંન્યાસે,
રે મનવા !

કોઇ મગન સંન્યાસે,
સુખનાં સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે…. (નહીં કરવાના કરે)
ચડે રે જી… તરસ્યા ટોળે વળે…..
રે મનવા !

કોઇ પરમારથમાં સુખ શોધે,
કોઇ પરદુ:ખે સુખિયા :
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઇ મંદિરના રે મુખિયા:
રે મનવા !

કોઇ મંદિરના રે મુખિયા :
સમદુખિયાંનો શંભુમેળો
ભવમાં ભેગો મળે,
મળે રે જી… લખ ચકરાવે ચડે.
રંગવિલાસી ભોગી દીઠા,
જોગી બ્રહ્મ-વિલાસી :
પામર સુખ, અજરામર સુખના
સહુને દીઠા પ્યાસી :
રે મનવા !

સહુને દીઠા પ્યાસી :
બધા ઝઝૂમે—
બધા ઝઝૂમે ઝંખી-ડંખી
સળ્ગે કે ઝળહળે,
હળે રે જી… ભવમાં ભેગા મળે.
સુખના સુખડ જલે રે
મારા મનવા !
દુ:ખના બાવળ બળે.

– વેણીભાઈ પુરોહિત

આજે પ્રસ્તુત છે બ્રહ્મમંગલા, અમલકટોરી, કોક તો જાગે, નાનકડી નારનો મેળો તથા સુખડ અને બાવળ એવા શીર્ષકો સાથેની શ્રી વેણીભાઈ પુરોહિત સર્જિત પાંચ અદભુત અને હ્રદયસ્પર્શી કાવ્યરચનાઓ.


Leave a Reply to jjugalkishorCancel reply

4 thoughts on “પાંચ કાવ્યરચનાઓ – વેણીભાઈ પુરોહિત