ખુદ્દારી… (પ્રસંગકથા) – ડૉ. મેહબૂબ દેસાઈ 15


છેલ્લા બે દિવસથી વાતાવરણમાં શાંતિ છે. માનવીને માનવી રહેંસી નાંખે, તેને આર્થિક રીતે તબાહ કરી નાંખે, તેને ઘરબાર, સ્વજનોવગરનો કરી નાંખે એવી ભયાનક સ્થિતિમાંથી સૌ કોઇ મુક્તિ ઇચ્છે એ સ્વાભાવિક છે. કારણ કે અંતે તો માનવી ધબકતું હ્રદય ધરાવે છે. એટલે ગમે તેટલી ક્રૂરતાઅ,ઇર્ષા કે રોષ પછી પણ તેના હ્રદયના કોઇક ખૂણામાં માનવતાની મહેક હોય છે જ. અને એટલે જ પાંચ પાંચ દિવસના ભયના ઓથાર નીચેના ઉજાગરા પછી છેલ્લી બે રાત્રીથી હું મારા બેડરૂમમાં નિરાંતે સૂવાનો પ્રયાસ કરું છું. પણ છતાં ક્યારેક ઝબકીને જાગી જાઉં છું અને ચોતરફ જોવા લાગું છું-જાણે કોઇ અમાનુષી ટોળું મારા ઘરને લૂંટી-બાળી તો નથી રહ્યું ને?

એ રાત્રે પણ આવી જ અધકચરી ઊંઘ પછી મારી આંખ ખૂલી ત્યારે આકાશ સ્વચ્છ હતું.માર્ગ પર રોજિંદી ચહલપહલ હતી. સવારની નિત્ય ક્રિયાઓ પતાવી, ચાપાંઓ લઇ હું ડ્રોઇંગરૂમમાં બેઠો અને ફોનની ઘંટડી વાગી.

“હલ્લો, કોણ બોલો છો?” મેં પ્રશ્ન કર્યો. સામેથી પરિચિત અવાજ સંભળાયો.

“મહેબૂબભાઇ મઝામાં છો?”

“મઝા જેવું તો હજી કંઇ છે નહિ. પણ ઠીક છે. બોલો કેમ યાદ કર્યો જયંતભાઇ?” અવાજને ઓળખી જતાં મેં કહ્યું. ભાવનગરમાં પુસ્તકોની નાનકડી દુનિયા’પ્રસાર’થી જાણીતા શ્રી જયંતભાઇ મેઘાણી સાથેનો મારો નાતો વર્ષો જૂનો છે. મારા દરેક પુસ્તકના પ્રકાશન પૂર્વે અને પછી તેમનાં સૂચનો અવશ્ય મળતાં રહે છે.

“મહેબૂબભાઇ, તમને ત્રણ-ચાર ફોન કર્યા, પણ તમારે ત્યાં કોઇ ફોન ઉપાડતું જ નથી. આજે પણ આશા ન હતી કે તમે મળશો.”

“શું કરીએ જયંતભાઇ, છેલ્લા પાંચ દિવસથી અમારી સ્થિતિ નિર્વાસિત જેવી થઇ ગઇ છે. ઘર હોવા છતાં બેઘર જેવા થઇ ગયા છીએ.”

“હવે કેમ છે ?”

“બે દિવસથી સારું છે.”

“સારું સારું, ઇશ્વર સૌ સારાંવાનાં કરશે. મારે તમને એક વાત કરવી છે. મારાં બંને સ્કૂટરો જે છોકરો હંમેશાં રિપેર કરે છે તે ફારૂખની લારી પરિમલ ચોક પાસે આવેલી છે. ગઇકાલે મેં તપાસ કરાવી તો તેની લારી પણ લૂંટીને બાળી નાંખવામાં આવી છે. એ સાંભળી મારું મન ભરાઇ ગયું. આવા નાના માણસને નુકશાન કરવાથી કોઇને શું મળતું હશે? તમને એક વિનંતી કરવાની કે ફારૂખને શોધીને મારી સાથે તેની મુલાકાત કરાવી આપશો?”

“કેમ, સ્કૂટરનું કંઇ કામ પડ્યું છે?”

“ના, ના. તેની લારી તૂટ્યાના સમાચાર જાણી અમારું આખું ઘર ઉદાસ થઇ ગયું છે. અમારી સાથેનો તેનો નાતો ભલે બહુ નજીકનો નથી. પણ ગમે તે હોય, મારો પુત્ર નીરજ તો ફારૂખની લારી તૂટ્યાના સમાચાર જાણી ગળગળો થઇ ગયો. અને મને કહેવા લાગ્યો, ગમે તેમ કરીને ફારૂખને આપણે બેઠો કરવો જોઇએ. આ વિચારે મને પણ વિચારતો કરી મૂક્યો. એ જ વિચાર-અવસ્થામાં મેં ઈન્ટરનેટપર મારા મિત્ર અને બ્રિસ્ટોલ યુનિવર્સિટી, ઇંગલૅંડમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર રોહિત બારોટને વાત કરી. અને તેમણે તુરત ઇન્ટરનેટ પર મને જણાવ્યુંકે ફારૂખને શોધીને જાણી લો કે કેટલું નુકશાન થયું છે. એટલી રકમ અત્રેથી તુરત મોકલવાની વ્યવસ્થા કરું છું. પણ બે દિવસની શોધ છતાં ફારૂખનો પત્તો ન લાગ્યો. એટલે અંતે મેં તમને ફોન કર્યો.”

પુસ્તકપ્રેમી જયંતભાઇની વાત સાંભળી હું પણ ગળગળો થઇ ગયો. મેં તુરત ફારૂખની લારીનું એડ્રેસ લીધું અને ફોન મૂકી ફારૂખની શોધમાં નીકળી પડ્યો. પરિમલ ચોકમાં ડી.એ.વી. સ્કૂલ સામે દક્ષિણ ભારતીય વાનગીઓની લારીની બરાબર સામે એક ખુલ્લી જર્જરિત લારીમાં પતરાની પેટીમાં રિપેરીંગનાં પાનાં-પેચિયાં પડ્યાં હતાં. એ લારી જે ભીંત પાસે હતી તે કાળીમેંશ હતી.લારી બળ્યાની તે ચાડી ખાતી હતી. લારી પાસીક દૂબળો પાતળો વીસ બાવીસ વર્ષનો યુવાન મેલો લેંઘો અને ખમીસ અને માથે ઇસ્લામી ટોપી ધારણ કરી સ્કૂટર રિપેર કરતો હતો, સાઇડ પર મારુતિ પાર્ક કરી હું તેની પાસે ગયો.

“તારું નામ ફારૂખ છે ?” મારો પ્રશ્ન સાંભળી તેણે મારી સામે નજર કરી. એક ક્ષણ તે મને તાકી રહ્યો. પછી સ્કૂટર રિપેર કરવાનું પડતું મૂકી ઊભો થયો અને બોલ્યો,

“હા.”

“તું જયંતભાઇને ઓળખે છે?”

એ જરા મૂંઝાયો. આવા ડહોળાયેલા વાતાવરણમાં આવી પૂછપરછ કોઇ પણ વ્યક્તિને ડરાવી મૂકે. એટલે મેં તેને મારો પરિચય આપતાં કહ્યું,

“મારું નામ મેહબૂબ દેસાઇ છે. હું ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર છું. મને જયંતભાઇએ તારા અંગે વાત કરી છે. જો તારી પાસે પાંચેક મિનિટનો સ્મય હોય તો આપણે જયંતભાઇ પાસે જઇ આવીએ. એ તને મદદ કરવા માંગે છે.” મારો પરિચય મળતાં ફારૂખના ચહેરા પરની શંકાકુશંકાની રેખાઓ વિખેરાઇ ગઇ. એક માણસને લારી પર બેસાડી તે મારી ગાડીમાં બેઠો. ગાડી સ્ટાર્ટ કરતાં મેં કહ્યું, “ફારૂખ, તારું જેટલું નુકશાન થયું હોય ત તું જયંતભાઇને વિના સંકોચે કહી દેજે. તેઓ એટલા પૈસાની વ્યવસ્થા તને કરી આપશે.”

થોડી વારમાં અમે જયંતભાઇની પુસ્તકોની નાનકડી દુનિયા ‘પ્રસાર’ પર પહોંચ્યા. જયંતભાઇની રૂમમાં પ્રવેશતાં જ મેં કહ્યું, “જયંતભાઇ, તમારા હુકમ મુજબ ફારૂખને શોધી લાવ્યો છું.”

જયંતભાઇ અને તેમના પુત્ર નીરજે અમને જોઇ સહર્ષ આવકાર્યા અને બંનેને ખુરશીમાં સ્થાન લેવા ઇશારો કર્યો. હું બેઠો પણ સંકોચસહ ફારૂખ ઊભો જ રહ્યો. જયંતભાઇએ ફારૂખને આગ્રહ કરી ખુરશી પર બેસાડ્યો. પછી બોલ્યા,

“ફારૂખ, તું મને નથી ઓળખતો. પણ અમે બંને પિતા-પુત્ર તને ઓળખીએ છીએ. અમારાં બંને સ્કૂટરો તારે ત્યાં જ રિપેર થાય છે. હવે મુદ્દાની વાત પર આવું. તારું કેટલું નુકશાન થયું છે?”

“લગભગ સાતેક હજાર “ સંકોચસહ ફારૂખ બોલ્યો.

“તે નુકશાન તને વિદેશમાં રહેતા મારા પ્રોફેસર મિત્ર રોહિત બારોટ આપવા સંમત થયા છે. એટલે ચિંતા કર્યા વગર રિપેરિંગના સાધનો તું લઇ આવ. નીરવ તારે જોઇએ તેટલા રૂપિયા આપે છે. એ સિવાય પણ મારા લાયક કંઇ પણ કામ હોય તો આ પુસ્તકોની દુનિયામાં નિ:સંકોચ દોડી આવજે.”

ફારૂખની બાજુમાં જ ઊભેલા નીરજે ફારૂખના ખભે હાથ મૂક્યો. જાણે એક ભાઇ બીજા ભાઇને હૂંફ ન આપતો હોય ! અને એ જ ભાવવાહી અવાજમાં નીરવ બોલ્યો, “ફારૂખ, બોલ તને સામાન લાવવા કેટલા રૂપિયા આપું?”

ફારૂખ જયંતભાઇ અને નીરજની મહોબ્બતને એક નજરે તાકી રહ્યો, લારી બાળનાર અને લારીનું સર્જન કરવા ઉત્સુક બંને ભિન્ન છેડાના અભિગમો જોઇ ફારૂખની આંખો ઊભરાઇ આવી. તેની આંખોની ભીનાશનો ચેપ જાણે અમારી આંખોને પણ લાગ્યો. અને વાતાવરણ મહોબ્બતની મહેકથી છલકાઇ ગયું. થોડી પળો પછી સ્વસ્થ થતાં ફારૂખ બોલ્યો,

“અત્યારે તો મારે પૈસાની જરૂર નથી. પણ જરૂર પડશે ત્યારે જરૂર તમારી પાસે આવીશ.” એમ કહી લાગણીભીના ચહેરે તે અમને ત્રણેને જોઇ રહ્યો.

એકાદ અઠવાડિયા પછી હું યુનિવર્સિટી જતાં પરિમલ ચોક પાસેથી પસાર થયો. ફારૂખની લારી પાસે મારુતિ ઊભી રાખી. આંખો લારીની આસપાસ ફારૂખને શોધવા લાગી, માથે ઇસ્લામી ટોપી ધારણ કરી ફારૂખ તેની મસ્તીમાં લ્યુના રિપેર કરતો હતો. મને જોઇ મારી પાસે દોડી આવ્યો.

મેં તેને સસ્મિત આવકારતાં કહ્યું, “કેમ છે ફારૂખ ? મજામાં ને ?” જવાબમાં મારુતિના દરવાજા પાસે આવી તેણે સ્મિત કર્યું. એટલે મેં પૂછ્યું,”જયંતભાઇ પાસેથી પૈસા લઇ આવ્યો ?”

મારો પ્રશ્ન સાંભળી પ્રથમ તો તે મને તાકી રહ્યો. જાણે શો જવાબ આપવો તે વિચારતો ન હોય ! પછી ચહેરા પરની નિર્દોષ આંખો નીચે ઢાળી તે મૌન બની ઊભો રહ્યો. હું તેના જવાબની રાહમાં એકાદ મિનિટ મૌન રહ્યો. પછી મારા મનમાં ઊપસેલ વિચારને વ્યક્ત કરતાં બોલ્યો, “ જો ફારૂખ, તારે વધારે પૈસાની જરૂર હોય તો પણ શરમાયા વગર કહી દે. જયંતભાઇ અને હું એ માટે પણ વ્યવસ્થા કરી આપીશું.”

મારા આ શબ્દોથી તેના ચહેરા પરની રેખાઓ થોડી બદલાઇ. અત્યાર સુધી નીચે ઢાળેલી નિર્દોષ આંખોને મારી આંખોમાં પરોવતાં નમ્રતાથી એ બોલ્યો, “મહેબૂબભાઇ, મારા હાથમાં ખુદાએ જે હુન્નર આપ્યું છે તેનાથી હું મારી લારી પાછી ઊભી કરી લઇશ. મારે તમારી મદદની જરૂર નથી. પણ તમે દાખવેલ લાગણી જ મારા માટે મોટી મૂડી છે. હું તમારો અને જયંતભાઇનો ખૂબ આભારી છું.”

આટલું બોલતાં તો ફારૂખની નિર્દોષ આંખોમાં ભીનાશ પ્રસરી ગઇ. અને એ ભીનાશ ઊભરો બની છલકાય એ પહેલાં તો એ મારી મારુતિનો દરવાજો છોડી સામે પડેલા લ્યૂનાના રિપેરિંગમાં લાગી ગયો. તેની આ ખુદ્દારીએ મને સ્તબ્ધ કરી મૂક્યો. અને એ અવસ્થામાં જ મેં મારુતિ સ્ટાર્ટ કરી યુનિવર્સિટીની વાટ લીધી. પણ એ આખો દિવસ મારી ચેમ્બરમાં, વ્યાખ્યાનમાં, અભ્યાસ સમિતિની બેઠકમાં, પી.એચ.ડી.ના વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા જતાં અને એકાંતની એકએક પળમાં ફારુખની ખુદ્દારી મારા મસ્તક પર છવાયેલી રહી. આજે પણ જ્યારે ફારૂખની લારી પાસેથી પસાર થાઉં છું ત્યારે મારું મસ્તક તેની સામે ઝૂકી જાય છે.

( પુસ્તક – મઝહબ હમેં સિખાતા આપસમેં પ્યાર કરના – ડૉ. મેહબૂબ દેસાઈ, યજ્ઞ પ્રકાશન, પાના: 23 થી 26)


15 thoughts on “ખુદ્દારી… (પ્રસંગકથા) – ડૉ. મેહબૂબ દેસાઈ

  • Mehboob Desai

    બધાનો આભાર

    ચાહે ગીતા વાંચીએ
    યા પઢિયે કુરાન
    તેરા મેરા પ્યાર હી
    હર પુસ્તક ક જ્ઞાન

    મહેબૂબ દેસાઈ

  • ashvin desai47@gmail.com

    જિગ્નેશ / પ્રતિભાને વિનન્તિ ,
    મારો પ્રતિભાવ – હુ લકવાગ્રસ્ત હોવાથિ અને શિખા ઉ હોવાથિ બરાબર પ્રિન્ત નથિ કરિ શક્યો , તો તમે મારા વતિ
    સુધારિને ફરિથિ પ્રિન્ત કરશો તો તમારો આભારિ થૈશ
    દેસાઈ – સાહેબ્ને પન મારિ મર્યાદા વિશે જનાવિને ક્ષમા
    માગશો . ધન્યવાદ – અશ્વિન દેસાઈ

  • PUSHPA

    જિવો અને જિવવા દો, મને મારુ જિવન વ્હલુ ચ્હે એવુ સહુને વહાલુ હોય.મહેરબાનિઇ કરિઇને કોયને ત્રાસ ન આપો, ખબર નથિઇ કાલે એવુજ કોનિઇ ઉપર વિતશે.

  • Maheshchandra Naik

    ખુમારી અને ખુદ્દારી માનવીની સાચી પહેચાન આપી જાય છે, સત્યઘટનાત્મક કથની હદય દ્રાવક બની રહે છે………………….

  • M.D.Gandhi, U.S.A.

    એક વાત તો તદ્દન સાચી છે, મોટા ભાગે જે નુકસાન કે હુલ્લડમાં હત્યા થાય છે તે કોઈ પણ કોમના હોય, નાના નાના કે ગરીબ લોકોની થાય છે અને ૨-૪ દિવસ પછી બધું ભુલી જવાય છે. હા એમપી અહસાન જાફરીની હુલ્લડમાં હત્યા થઈ તે હજી સુધી તેનું ભૂત ધુણ્યા કરે છે, બીજા કોઈ તો યાદ આવતાજ નથી…!!! આ સિવાય ભાગ્યેજ કોઈ રાજકારણીને હુલ્લડમાં શારીરીક કે આર્થિક નુકસાન થતું હશે…!!!

    આવા ખુદ્દારને તો સલામ, સાથે સાથે તેને ઓળખનાર કે ન ઓળખનારા અને માગ્યા વગર મદદ કરવાની તમન્ના ધરાવતા લોકોને પણ લાખ લાખ નમન.

  • PRAFUL SHAH

    I ONLY BELIEVE IN
    LIVE AND LET LIVE…..
    DESAI SAHEB..ONLY “PYAAR BADHAVO”
    MAZAB NAHI SHIKHATA APPASME BEIR RAKHNA
    WHO TEACHES US..?

  • harshadjoshi

    મે ૧૯૪૮ના તોફાનો મારી ખૂબ નાની વયમા જોયા શે હમદદીઁ અને દુશ્મનાવટ ને અનુભવી હોવાથી લેખકને પાત્ર શોધવા બદલ અભિનંદન અને ફારુકને સલામ

  • ashvin desai47@gmail.com

    ભાઈજાન મેહ્બુબ દેસાઈ સાહેબનો આપને બ્રુહદ ગુજરાતિઓએ દિલથિ રુન્સ્વિકાર કરવો જોઇએ , કારન્કે આપના સદ્ભાગ્યે અપનિ પાસે હજિ ય એમના જેવા સમર્પિત ,
    સમજુ , વિચાર્વન્ત , દ્રસ્તિ – સમ્પન્ન અગ્રનિઓ ચ્હે – તેથિ
    ક્ષિતિજ ઉપર આશાનુ ઝલહલતુ કિરન દેખાય ચ્હે
    દેસાઈ – સાહેબને મારિ સલામ . અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા
    ashvin.desai47@gmail.com

  • ashvin desai47@gmail.com

    ભાઈ મેહબુબ દેસાઈ સાહેબનો – આપને બધા બ્રુહદ ગુજરાતિઓએ – એમના પુસ્તક ‘ મઝ્હબ હમે …’ માતે દિલથિ
    રુનસ્વિકાર કરવો જોઇએ . આપના સદભાગ્યે આપનિ પાસે
    એમના જેવિ સમજુ , વિચાર્વન્ત , સમર્પિત , દ્રસ્તિવાન
    વિભુતિઓ પન ચ્હે – તેથિ ક્ષિતિજ ઉપર અશાનુ એક કિરન
    દેખાય ચ્હે . દેસાઈ – સાહેબને મારિ સલામ .અશ્વિન દેસાઈ
    સમન્વય ૧૫ સર્વિસ રોદ બ્લેક્બર્ન વિક – ૩૧૩૦ ઓસ્ત્રેલિયા

  • Amee

    There are thousands of good and inocent muslims same as lots of hindus.. during gujarat’s riot only and only medium class or lower medium class suffered……..not any hindu or muslim……

    If Farukh is following QURAN and he called as muslim that’s only his fault……

    If Kashmiri Pandit’s following RAMAYAN or VED
    than they called as hindu. that’s only their faulty…

    I dont thinks so RAMAYAN/MAHABHARAT/QURAN or BIBLE taught us to be EVIL……why cant people be HUMAN?……..

    I saw lots of people in gujarat riots and till today i wake up from my sleep aftrer hearing lots of noise to make request to save lives……..

    I always pray for everyboday to be Human being……