બાળક અને વૃદ્ધ – કલ્યાણી વ્યાસ 11


થોડા સમય પહેલા કોઈ અંગ્રેજી ચિત્રકારે દોરેલું ચિત્ર સરસ ચિત્ર જોયું હતું કે એક અતિશય વૃદ્ધ માણસ લાકડીના ટેકે સ્વર્ગના દરવાજા તરફ જઈ રહ્યો છે, અને તે જ સમયે એક હસતા ગલગોટા જેવું નિર્દોષ બાળક બહાર નીકળી રહ્યું છે. બન્ને એકમેકની સામે મૂક હાસ્યથી જોઈ રહ્યા છે. બે ઘડી નજર હટાવવાનું મન ના થાય. ખરેખર જ વિધિની કમાલ છે !

એક બાળક અને એક વૃદ્ધ – એક જીવનમાં પ્રવેશ કરવા માટે પગ માંડે છે, જ્યારે બીજો જીવનમાંથી નીકળવા પગ ઉપાડતો હોય છે. બંન્નેની દિશા ભિન્ન છે, બન્નેના સ્વભાવ, વય, વિચારો, કલ્પનાઓ સઘળું અલગ છે છતાં એક બિંદુ એવું હોય છે જ્યાં આગળ આ બન્ને સામસામે મળે છે, એ બિંદુ પર બન્ને સરખા બની જાય છે. એકરૂપ જાણે, તેમનામાં કશો ભેદ રહેતો નથી. બન્ને જણાં જાણે મૌનમાં જ ઘણી ઘણી વાતો સમજાવી દે છે અને થોડા સમય માટે એકબીજાનો હાથ પકડી, આંગળી પકડી લઈને આનંદના સાગરમાં ગરકાવ થઈ જાય છે.

સ્વાર્થી દુનિયા તેમની વચ્ચેથી ઓગળી જાય છે. તમે કલ્પના કરો, અથવા કદાચ તમે ક્યારેક જોયું પણ હશે કે એક અતિશય વૃદ્ધ અને એક નાનું ડગુમગુ ચાલતું બાળક (બન્નેની ચાલ સરખી જ હોય છે !) એકબીજાની આંગળી પકડી રસ્તામાં ચાલતા હોય….એ કેટલું સુખદ દશ્ય હોય છે ! એ દશ્ય વિચારમાં નાખી દે છે કે કોણ કોનો સહારો? બાળક વૃદ્ધનો કે વૃદ્ધ બાળકનો? છતાં એક ફરક આંખે ઊડીને વળગે છે… એ છે… એક બિનઅનુભવી અને બીજો જમાનાને જાણેલો. છતાં બન્નેને એકબીજા સાથે સારું બને છે. અને આનું કારણ એ છે કે વૃદ્ધ – જે જમાનાને જોઈ ચૂક્યો છે તેના ખાટામીઠા, કડવા સ્વાદોને ઓળખી શક્યો છે, તે જિંદગીના અંતમાં આ કાવાદાવા અને અટપટા સંસારથી દૂર રહેવા એક નિર્દોષ હૂંફ શોધતો હોય છે. તે થોડી શાંતિ મેળવવા ફાંફા મારતો હોય છે. તેને આ શાંતિ અને આવી નિર્દોષતા બાળકમાં જોવા મળે છે કે જે દુનિયાદારીથી અજાણ એવું પ્રભુનું પ્યારું, પોતાની મસ્તીમાં મસ્ત બની જીવતું હોય છે, કીલકીલાટ કરતું હોય છે. વૃદ્ધને આ તબક્કે તેનો સંગાથ સ્વર્ગ જેવો લાગે છે. તેના ઉકળતા, અશાંતિમય જીવનમાં થોડી સ્થિરતા આવે છે.

બાળપણના દિવસોને પાછા બોલાવી બાળક જેવા બની, તેમાં તન્મય થઈ પ્રભુનું નામ લેવાની સ્ફૂરણા તેના હૃદયમાં થતી હોય છે. આ રીતે અંતિમ તબક્કે બાળકનો સંગ કરાવીને પ્રભુ તેને શાંતિ અને મુક્તિનો માર્ગ ચીંધે છે.

બાળક માત્ર નિમિત્ત છે પણ વિધિની વિચિત્રતા ને કોણ પારખી શક્યું છે ?

બાળક – કે જે વૃદ્ધની મુક્તિનું દ્વાર બન્યું છે, જે બીજી બાજુ આ સંસાર- સાગરમાં ઝંપલાવવા તૈયાર થઈને ઊભું છે. તેનામાં ઉત્સાહ થનગનતો હોય છે. વડીલોને પગલે ચાલવાનું તેનું કર્તવ્ય બની રહે છે, પણ હજી તે બાળક છે, તેના પગ અસ્થિર છે અને વડીલોને તે જલ્દી દુનિયાદારી શીખે તેની ઉતાવળ હોય છે… ત્યારે અણસમજુ બાળક પોતાની મૂંઝવણ ઉકેલવા વૃદ્ધની દોસ્તી બાંધે છે. વૃદ્ધ સઘળું જાણે છે અને તેને અપનાવવા ઉત્સુક હોય છે. બાળકને વૃદ્ધની સાથે ગોઠડી ફાવે છે કારણકે તે તેના અજ્ઞાન, અણસમજુ બાળમાનસને ટેકો આપે છે. તેના જેવો થઈને તેની સાથે રમે છે, કાર્યો કરે છે અને બન્ને આનંદ અનુભવે છે.

જિંદગીનો આ એક એવો તબક્કો હોય છે જ્યારે માનવીના બે અલગ-અલગ સ્વરૂપો એકરૂપ બને છે. જીવનદોરીનું એક પ્રારંભબિંદુ અને બીજું અંતિમબિંદુ.

– કલ્યાણી વ્યાસ

બાળપણ અને વૃદ્ધત્વ, જીવનના બે એવા ભિન્ન સીમાચિહ્નો જે ખૂબ અલગ હોવા છતાં સમાન ભાસે છે, એકમેકને પૂરક હોય એમ અનુભવાય છે. આ જ બાળપણ અને વૃદ્ધત્વની વાત લઈને કલ્યાણીબેન વ્યાસ આજે આપણી સમક્ષ એ બંનેની સમરૂપતા વિશેના સુંદર ભાવનાત્મક વિચારો પ્રસ્તુત કરે છે. બાળકમાં એક વૃદ્ધની તન્મયતા અને આનંદ તથા એ જ વૃદ્ધ પ્રત્યેનો એક નાનકડા બાળકનો કાલોઘેલો સ્નેહ – એ બંને અનોખી વાતોના સંગમને લઈ તેઓ આજે ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ કલ્યાણીબેનનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

બિલિપત્ર

“It takes a very long time to become young.”
― Pablo Picasso


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “બાળક અને વૃદ્ધ – કલ્યાણી વ્યાસ

  • kalyani vyas

    આભાર વાચકમિત્રો,
    જેમ યુવાનોનું પોતાનું એક વિશ્વ હોય છે તેમ નાના બાળકો અને વ્રૂધ્ધોની પણ પોતાની એક અલગ દુનિયા હોય છે. અને તેનું ભાવવિશ્વ લગભગ સરખુંજ હોય છે.

    .

  • GUNVANTBHAI

    We feel those days have gone!!! Golden days are the days of childhood. Isn’t it? Gradually we become old. See,,, step by step we become old and there is similarity
    between old aged person and the child….as regards Physical comparison and to certain extent mentally too. Salute to Kalyaniben who has minutely observed the scene in this short essay. Go ahead…

  • સરયૂ પરીખ

    પ્રિય કલ્યાણીનુ અવલોકન તથ્ય છે. બાળકો અને વડિલોનુ હાસ્ય દરેક ઘરમાં ગુંજતુ રહે, એવું અમારો અનુભવ કહે છે.
    સુંદર લખાણ.
    સરયૂ પરીખ

  • harshajagdish

    બાળક અને વૃદ્ધ બંને સ્વભાવ અને સંજોગોમાં સરખાં જ હોય છે.બંને પરાવલંબી હોય છે.વૃદ્ધોનું શરીર બાળક જેવી કાળજી માગે છે પણ તેમનું મન જો બાળક જેવું હોત તો ! પણ તે નથી હોતું.કાશ ! દરેક મનુષ્ય આજીવન બાળક જેવો નિર્દોષ રહી શકતો હોત તો?

  • viranchibhai

    કદાચ ઍટ્લે જ વ્રધ અને બાલક એકબીજા ના વિચાર સમજી શકતા હશે. સમજો તો બ્ન્ને મા ભગવાન નો વાસ છે.

  • s u shukla

    I AM GLAD THAT I HAVE READ WONDERFUL ARTICLE. I HAVE ENJOYED.
    THANKS TO AKSHARNAD AND KALYANIBEN FOR CHOOSING SUCH A GOOD AND TOUCHY SUBJECT.
    ALL OLDY SHOULD PLAY ,CHAT AND WALK WITH KIDS TO KNOW HOW NICE IT IS.

  • jitu48

    ક્દાચ એવું બને કે એકે દુનીયાને જોઈને, જાણીને, સમજીને મન નિર્દોષ બનાવ્યું છે, જ્યારે બીજાએ હજુ દુનીયાને જોઈ/જાણી જ નથી, મન હજુ નિર્દોષ જ છે અને આ નિર્દોષતા બન્નેને નજીક લાવે છે.

    • Kamlesh shukla

      ..બચોકે નન્હે હાથોકો ચાન્દ સિતારે છુ ને દો,
      ચાર કિતાબે પઢકર યેભિ હમ જૈસે હોજાયેગે..

      – નિદા ફાઝલિ

  • La'Kant

    કલ્યાણીબેન વ્યાસ ટૂંકમાં, ઘણી સારી વાત સુપેરે લઇ આવ્યા છે. અભિનંદન તેમને + જીગ્નેશ્ભાઈને પણ સત્વયુક્ત તત્ત્વ પીરસવા માટે .

    પરિપક્વ વૃદ્ધ વ્યક્તિને પણ પોતાના બદ્ધ વિચારો,માન્યતાઓ,સિધ્ધાંત ને નામે ,એક પ્રકારનું જડભરત જેવું જક્કી વલણ-વર્તન કે બધા તેમને સાંભળે માન આપે, કહ્યું માને કારણકે,તે મોટા છે…અનુભવી છે …વળગણ બની જાય છે, સમય સંજોગ બદલાતાં, એમની ઈચ્છા પ્રમાણે થતું ના હોઈ , ભીતરમાં અશાંતિ જ હોતી હોય છે…
    બાહ્યમાં …બધું ઠીક નથી એમ માંની લઇ સ્વયમ દુઃખી થતા હોય છે. એક પ્રકારના વિષાદી ચક્ર માં અટવાય છે, ત્યારે જો નસીબ જોગે નાના બાળકમાં મન પરોવી, હળવા થઇ , નિર્દોષ આનંદ નો બાય -પાસ રસ્તો સ્વીકારી અલગ જ દુનિયા માં પ્રવૃત રહે તો થોડેઘણે અંશે રાહત અનુભવાય છે. -લાકાંત / ૭-૯-૧૨

  • Harshad Dave

    મારા મોટા ભાઈ સાથે નાના ભાઈ વિષે વાત થતા મેં કહ્યું – ‘તે હવે તમારા ખભા સુધી પહોંચે છે, તે મોટો થઇ ગયો છે.’ ભાઈએ જવાબ આપ્યો: ‘તાડનું વૃક્ષ પણ વધે છે! તેની ઊંચાઈ વધી છે, મોટા થવું સહેલું નથી.’ આમ મને ખ્યાલ આવ્યો કે ઊંચાઈ વધવી અને મોટા થવામાં ફરક છે. જૈફ વય એટલે બહુ વધારે ઉમર ધરાવતી વ્યક્તિ…સાંતાક્લોઝ જેટલી! તેનું આગવું સૌન્દર્ય અને ગૌરવ હોય છે અને બાળકને તો ઈશ્વર સાક્ષાત મોકલે છે એ દર્શાવવા કે તેણે હજુ માનવજાત ઉપરથી શ્રદ્ધા ગુમાવી નથી. ધ્યાનથી સાંભળશો તો ‘તૂઝે સૂરજ કહું યા ચંદા…’ ગીતમાં આ લખાણમાં વ્યક્ત થતી ભાવનાનો પડઘો સંભળાશે. … … … હદ.