વિનિપાત – ધૂમકેતુ 13


આટલાં વર્ષે શિલ્પી હીરાધર! ભાઈ ! તું તો ક્યાંથી હોય ? પણ તારી પ્રાણધારી કૃતિઓએ તો હદ કરી નાખી. એમણે તો તારી વિજયગાથા લલકારી – વડોદરા, પૂના કે દિલ્હીને આંગણે નહીં – છેક સ્કૉટલૅન્ડમાંની લીલીછમ ડુંગરમાળાઓમાં.

ઈ.સ. ૧૭૮૩નો સમય હતો.

મરાઠી રાજ્યના છેલ્લા બે મહાપુરુષો – મહાદજી સ્ંધિયા અને નાના ફડનવીસ – પોતપોતાનું સ્વત્વ જાળવી રહ્યા હતા. મરાઠી સૈનિકોના તેજથી અંગ્રેજો ધૂજતા હતા. હરિપંત ફડકે ને પરશુરામ ભાઉના નામ રણક્ષેત્રમાં જાદુઈ અસર ફેલાવતાં. ગુજરાતને આંગણે બેઠેલી અંગ્રેજી સત્તા મહાદજી સંધિયાને નમતું આપતી હતી.

એ વખતે શિલ્પી હીરાધરની યશકલગી જેવા ડભોઈમાં એક બનાવ બન્યો.

અંગ્રેજો ભરુચ અને આસપાસનો સઘળો પ્રદેશ ખાલી કરી મહાદજી સંધિયાના પ્રતિનિધિ ભાસ્કરરાવને સોંપવાની તૈયારી કરી રહ્યા હતા.

ડભોઈ એ વખતે જેમ્સ ફૉર્બસના હાથમાં હતું. કિલ્લા સમારવાની ને રણમાં શોણિત વહેવરાવવાની યુદ્ધવિદ્યા એને વરી હતી, પણ સાથે સાથે – છેક સંધ્યા વખતે, પોયણીનો મંદમંદ પરિમલ ડભોઈના સુંદર તળાવમાંથી આવતો હોય તે વખતે, અનિમેષ નયને, શિલ્પી હીરાધરની અણમોલ કૃતિઓ જાણે કોઈ સ્વસ્થ પ્રતિમાઓ હોય તેવી, એની નજર સામે તર્યા કરતી – એવી કવિતાદ્રષ્ટિ પણ એને વરી હતી. એ યુદ્ધ સમયે અવિશ્રાન્ત પરિશ્રમ લેનાર યોદ્ધો હતો. શાંતિ વખતે સૌંદર્યસૃષ્ટિમાં રાચનારો આત્મા. થોડા સમય પહેલા ડભોઈના કિલ્લા ફરતી મરાઠી સવારોની ધજાઓ ફરકી ત્યારે અગ્ન્યસ્ત્ર, કિલ્લાની મરામત, સુરંગો, તોપો – ને એવું તો કેટલુંયે સાહિત્ય એણે નજર તળેથી કાઢી નાંખ્યું હતું – ને જ્યાં યુદ્ધમંત્ર રચાતો હતો ત્યાં ખૂણામાં જ શિલ્પી હીરાધરની પેલી યક્ષકન્યા કેવું સ્મિત કરી રહી હતી!

પણ યુદ્ધના દિવસો આવ્યા – ન આવ્યા ને ગયા. ડભોઈના કિલ્લાની કુંચીઓ મહાદજી સંધિયાના પ્રતિનિધિ ભાસ્કરરાવને સોંપવાનો વખત આવી પહોંચ્યો.

ડભોઈનું મહાજન બ્રાહ્મણમંડળ – ‘ગોરાસાહેબ’ ને મળવા આવ્યું હતું. એ અંગ્રેજ હતો, પણ મરાઠાના સવારોથી કંટાળેલી પ્રજાને એણે શાંતિનો સ્વાદ ચખાડ્યો હતો. એ પ્રાથમિક શાંતિમાં હજી મુડદાંની દુર્ગંધ પેઠી ન હતી.

બ્રાહ્મણો, મહાજનો – સૌ આવ્યા, ગોરાએ ધારણ કરેલી રાજનીતી અને સાચવેલી શાંતિનાં વખાણ થયાં અને કાંઈક યાદગીરીરૂપે નજરાણું લેવાનો તેઓ આગ્રહ કરવા મંડ્યા.

જેમ્સ ફૉર્બસ શાંત ઉભો રહ્યો. એને ડભોઈ છોડવું ગમતું ન હતું. ડભોઈમાં એની નજરે ગ્રીસ રોમની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રતિમાઓ કરતા ચડે એવું કાંઈક હતું. એનું તલાવ, લીલીછમ હરિયાળી, ચડતી ઊતરતી ભોં, મંદ પવનમાં ઝૂલતાં કમળ, શિલ્પી હીરાધરની યક્ષકન્યાઓ, પેલું પૂર્વદ્વાર – એ સઘળું વાતાવરણ એને એની સ્કૉટલૅન્ડની ભૂમિની યાદ આપતું હતું. અત્યારે એ યોદ્ધો મટી ગયો હતો – મુલકી ઑફિસર પણ મટી ગયો હતો. માતા સ્કૉટલૅન્ડનો બાળક બની ગયો હતો. એને – વિખૂટા પડેલા બાળકને – આ ભૂમિનો ખોળો માતાન ખોળા જેવો પ્યારો લાગતો હતો.

માણસને કૃત્રિમ જુસ્સાનો ગુલામ બનાવવામાં ન આવે તો હરેક જગ્યા એને માતાના ખોળા જેવું સંત્વન આપી શકે છે. પૃથ્વીમાં એવો અખૂટ અમૃતરસ ભર્યો છે. માનવહ્રદયમાં એવું સચરાચરના સ્વામીનું પ્રતિબિંબ જળવાઈ રહ્યું છે.

જેમ્સ ફૉર્બસને શાંત જોઈ સૌ બોલ્યા, ‘અમારે કંઈક ભેટનજરાણું કરવાનું છે. તમારે લેવાનું જ છે. અમારી એટલી યાદ તમારી સાથે રાખો.’

અને મૂલ્યવાન વસ્ત્રો – અમદાવાદી અતલસ અને સુરતી ગજી નીચે છુપાયેલાં આભૂષણો ચમકવા લાગ્યાં.

જેમ્સ ફૉર્બસે માથું ધુણાવ્યું, ‘મારે એ ન જોઈએ. મારે આવતી કાલે ઊઠીને બીજે દોડવું પડે. એને હું શું કરું?’

મહાજન ખિન્ન થયું, ગમે તે ઉપાયે ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ. એમણે ફરી આગ્રહ કર્યો – કાંઈક નિરાશાભર્યા અવાજે, ખિન્ન હ્રદયે.

ફૉર્બસે એમના અવાજમાં રહેલા સત્યનો રણકો પારખ્યો. જરા વાર રહીને તે બોલ્યો, ‘મગાય કે નહીં એની મને ખબર નથી; પણ જો મને ખરેખરી યાદી આપવા માગતા હો, તો તમારી પાસે થોડી અમૂલખ ચીજો છે તે આપો.’

‘બોલો સાહેબ, બોલો, શું આપીએ?’

‘તમને ધાર્મિક બાધ ન આવે તો જ આપવાની છે, હોં! -‘

‘બોલો.’

‘મને મંદિરોના બહારના ખંડિત ભાગમાંથી વેરણછેરણ રખડતી થોડીક મૂર્તિઓ અપાવો અને હીરાદ્વારની બહારની કોતરણીમાંના ખંડિત નમૂનાઓ છે તે લઈ જવાની રજા આપો.’

મહાજનમંડળનો – બ્રાહ્મણમંડળનો – મોટો ભાગ સ્તબ્ધ બની ગયો, દિલગીરીથી નહીં, આશ્ચર્યથી. માગી માગીને હીરાદ્વારના ખંડીત નમૂનાઓ – જેમના ઉપર બેસીને ડભોઈનો હરકોઈ રખડુ છોકરો ગામને ગોંદરે ગાયો મૂકવા જતી કેશલી કે મોતડીની મશ્કરી કરી શક્તો – એવા ટુકડામાં સાહેબે શું માંગ્યું? એમને મન એ કોયડો થઈ પડ્યો.

એમનામાંથી મોટેરાઓએ ડોકું ધુણાવ્યું, ‘સાહેબ, એવું તે કંઈ અપાય?’

ગ્લાનિનું એક વાદળ ફૉર્બસના મોં ઉપરથી ચાલ્યું ગયું.

બીજો બોલ્યો, ‘સાહેબ એવા નમૂના તો તમને જોઈએ એટલા આપીએ; પણ એમાં તમે શું માગ્યુ? કાંઈક બીજું માંગો.’

જેમ્સ ફૉર્બસ બોલ્યો નહીં, પણ એના અંતઃકરણમાં જાણે ઝીણી શી લોઢાની મેખ પેસી ગઈ. એણે વ્યાકુળતાથી જરાક પાછું પણ જોયું. – ‘શિલ્પી હીરાધરનો મૃતાત્મા અ સાંભળતો તો નહિં હોય નાં?’ એવું જાણવા.

એટલામાં મહાજનનો અગ્રણી બોલ્યો – ‘ખંડિત મૂર્તિઓ વિશે કાલે સોમેશ્વર શાસ્રીને પૂછી જોઈશું ને આપને હીરાદ્વારમાંથી જે નમૂનાઓ જોઈએ તે આપશું – પણ એને તમે શું કરશો? શી રીતે સાચવશો? એવો મફત પથારો…’

ફાર્બસ બોલ્યો, ‘બની શકે તો એટલું આપો, બીજું મારે કાંઈ જોઈતું નથી.’

પછી સૌ ગયા.

ધીમે શાંત પગલે જેમ્સ ફૉર્બસ ચાલ્યો ગયો. સતીમાંના ચોક તરફ, પિલાજી ગાયકવાડના પુત્ર સયાજીની વિધવા સ્ત્રી ત્યાં સતી થયેલી. ફૉર્બસને એ વાતાવરણ પણ અપૂર્વ લાગતું.

[૨]

તદ્દન એકાંત જીવન ગાળનારો સોમેશ્વર મહાજનનું ટોળું આંગણે જોઈ સ્તબ્ધ બની ગયો. વાત સાંભળી ત્યારે વધારે સ્તબ્ધ બન્યો.

‘તમે શું ધારો છો ખંડિત મૂર્તિઓ વિશે? બીજા નમૂનાઓનું તો જાણે ઠીક.’ મહાજને પૂછ્યું.

સોમેશ્વરે પોતાની ઝૂંપડીમાં એક ખૂણા તરફ શિલ્પી હીરાધરની એક સુંદર પ્રતિમા રાખી હતી. અંધાધૂંધી અને અશાંતિના સમયમાં આ સાત્વિક બ્રાહ્મણે કેવળ વૃક્ષના આશ્રય નીચે રહીને પોતાનું જ્યોતિષનું અને વૈદકનું જ્ઞાન વધાર્યું હતું. ડભોઈમાં એની પ્રતિષ્ઠા અદ્વિતિય ગણાતી. એની સાત્વિકતા બધાને મન વસી ગઈ હતી. એનો અભિપ્રાય શાસ્ત્રવચનરૂપ મનાતો. એની ઈતરાજી શાપરૂપ ગણાતી.

મહાજને પૂછ્યું, ‘તમે શું ધારો છો? ખંડિત મૂર્તિઓ વિધર્મીઓને અપાય?’

સોમેશ્વર કાંઈ બોલ્યા નહીં, એની નજર ડભોઈ ભણી – જાણે હીરાદ્વાર તરફ જોતી હોય તેમ આકાશમાં મીટ માંડી રહી.

‘જાય ત્યારે બધું જાય – પેલા ‘મુદ્રારાક્ષસ’ માં શ્લોક નથી આવતો? જેમાં રાક્ષસ ગરીબીનું વર્ણન કરે છે – આ દેશ પણ એવી જ રીતે ગરીબ થયો… પછી કોણ રહે? હવે ખંડિત મૂર્તિઓ પણ ચાલી જશે.’

સોમેશ્વર જાણે સ્વગત બોલી રહ્યો હોય તેમ તેના શબ્દો નીકળ્યા. એ ભાનમાં બોલે છે કે સ્વપ્નમાં તે સમજી નહિં શકવાથી મહાજને ફરી પૂછ્યું – ‘ખંડિત મૂર્તિઓ આપી શકાય? જો લેનાર વિધર્મી હોય, તો? એ આપણો પ્રશ્ન છે.’

‘હું એ જ પ્રશ્નનો વિચાર કરું છું. હીરાધરનો દૂર-દૂરનો પણ કોઈ સગો છે? કોઈ સારો સલાટ છે?’

‘કોઈ નથી. હોય તો જાણમાં નથી; અને એનું આપણે કામ પણ શું છે? આપણે તો વિધર્મીઓને ખંડિત મૂર્તિઓ અપાય કે નહીં એ વિષયમાં શાસ્ત્રાજ્ઞા શી છે એટલું જ જાણવાનું છે.’

‘ત્યારે તમને ખબર છે? આ પેલી ખૂણામાં પડેલી યક્ષકન્યા હીરાધરની કૃતિ છે, કૃતિ નથી – એની જાણે કે પ્રાણપ્રતિમા છે. એમાં હીરાધરે મૂંગા પથ્થરને અમરવાણી આપી છે. વેદની ઋચા જેવું પેલું સ્મિતા – અને મોહક આરોહ-અવરોહ જેવો શરીરનો ત્રિભંગ – તમે એ જુઓ તો ખરા – જાણે હીરાધર હજી ઊભો ઊભો પ્રતિમા નિહાળે છે. એના હાથની શી છટા છે…!’

યક્ષકન્યા જેવી સોમેશ્વર શાસ્ત્રીની પુત્રીએ પાછળના દ્વારથી પ્રવેશ કર્યો. ‘પિતાજી ! વળી તમે આવી વાતોએ ચડ્યા કે? યક્ષકન્યા ને શિલ્પી! મહાજનના પ્રશ્નનો ઉત્તર આપો ને.’

નાનું છોકરું માનું કહ્યું માને તેમ શાસ્ત્રી શાંત થઈ ગયા. એની નજર પૃથ્વી પર ચોંટી રહી.

‘ત્યારે વિધર્મીઓને ખંડિત મૂર્તિઓ આપી શકાય?’

અગ્રણીએ એ જ પ્રશ્ન ફરી કર્યો.

શાસ્ત્રીજી પાછા તરંગે ચડ્યા, ‘જે રસિકતા જયદેવની બાનીમાં છે, એ જ રસિકતા હીરાધર શિલ્પીમાં છે. એણે પથ્થરમાં કાવ્ય લખ્યાં છે – હીરાધર!’ શાસ્ત્રી હજી આગળ વધત પણ એટલામાં એની પુત્રીએ વળી ટકોર કરી – ‘તમે જવાબ નહીં આપો નાં?’

‘આપું છું, આપું છું, લે; આપું.’

શાસ્ત્રી થોડી વાર શાંત રહ્યાં, પછી એણે ધીમેથી જવાબ વાળ્યો – ‘હીરાધરની આ યક્ષકન્યા – કાલીદાસની અલકાનગરીની જાણે રૂપરેખા હોય તેવી – હું એ ધેનુ રબારણના વાડામાંથી ઉપાડી લાવ્યો છું. સોનેરી રજમાં યત્ન શોધતી એ રૂપમૂર્તિ પાસે ગધેડાં ઉભા હતાં – એકબીજાની સામે જોઈને, કોણ વધારે રૂપાળું છે એવી ચર્ચા કરતાં અને યક્ષકન્યા પર હીરાધરે જે અણમોલાં અંબર ઓઢાડ્યાં હતાં, તે સઘળાં ગાયના છાણથી લિપાઈ ગયાં હતાં.’

શાસ્ત્રીજી થોડી વાર થોભ્યા – ‘એટલે આ ગોરાને પથરા આપવામાં કાંઈ જ વાંધો નથી…’

‘વાંધો નથી નાં? – હાસ્તો ભલે ને એનો જીવ સંતોષાતો. આપણે બીજા બહુ પડ્યા છે.’ મહાજને કહ્યું.

શાસ્ત્રીજી કંઈક ખિન્ન અવાજે બોલ્યા, ‘કાંઈ જ વાંધો નથી; કારણ કે એ ગોરો આ પથરાને સાચવશે, કોઈક દિવસ કોઈકને પ્રેરણા પાશે – કો’ને ખબર છે શિલ્પી હીરાધરનું દર્શન કરવા કોઈ ને કોઈ આવી ચડશે – આપણે એ ખંડિત મૂર્તિઓનું બીજું કાંઈ નહીં – ગધેડાં કૂતરાં કરતાં તો સારા હાથમાં સોંપીએ છીએ…’

‘હા, હા, ભલા માણસ, સો વાતની એક વાત – આપણે પથરા નકામી જગ્યા રોકે છે – ગોરાને કામ આવે છે.’

‘પણ એક શરતે…’

‘શી?’

‘કાલે તમે ત્યાં જાઓ ત્યારે મને તેડી જજો.’

‘બહુ સારું, બહુ સારું-‘ હુડુડુડુ મહાજન ઉઠ્યું અને શાસ્ત્રીજીને નમીને ચાલતું થયું. શાસ્ત્રીજીએ નિર્ણય આપી દીધો હતો. શાસ્ત્રીજીએ બીજુ જે કાંઈ કહ્યું એ કોઈ સમજ્યા ન હતા, પણ એની એ વિદ્વત્તાભરેલી વાણી વિશે સૌ સમજ્યે-વણસમજ્યે વખાણ કરી રહ્યા હતા.

[૩]

બીજે દિવસે જેમ્સ ફૉર્બસ, શિલ્પી હીરાધરની કૃતિઓ છેલ્લીવેલ્લી જોઈ રહ્યો હતો. હવે એ આંહીં કોણ જાણે ક્યારે આવશે એમ જાણીને પૂર્વનું હીરાદ્વાર ફરી ફરી નિહારી રહ્યો હતો. એક કરતાં એક સરસ એવી કોતરેલી કમાનો – રજપૂતાણીના માથાની સેર જેવી મૌક્તિકમાળાઓ જોઈ રહ્યો. જ્યં જ્યાં નજર કરો ત્યાં નજર ઠરી જાય એવું અજબ આકર્ષણ પથ્થરમાં ભર્યું હતું.

મહાજન આવ્યું, સોમેશ્વર અગ્રસ્થાને હતો.

ફૉર્બસે સૌને આવકાર આપ્યો.

‘અમને બહુ આનંદ થાય છે કે અમે તમારી માગેલી ભેટ તમને આપી શકીશું. શાસ્ત્રીજીએ કહ્યું છે, વાંધો નથી.’

ફૉર્બસે શાસ્ત્રીજી સામે જોયું. ચતુર અંગ્રેજ તરત સમજી ગયો. આવનાર વ્યક્તિની ધાર્મિકતા પ્રસિદ્ધ હતી. એણે નમન કર્યું.

‘હું આપનો ઘણો ઉપકાર માનું છું. મને હીરાદ્વારની આ કમાનોમાં…’

ફૉર્બસ બોલતો અટક્યો. સોમેશ્વર હીરાદ્વાર તરફ એકી નજરે – એવી નજરે – જોઈ રહ્યો હતો કે, ફૉર્બસને શબ્દો બોલી એ વાતાવરણ ભંગ કરવાનું ઠીક ન લાગ્યું.’

‘શિલ્પી હીરાધરના ટાંકણામાં, સાહેબ, સંગીતની રમ્ય પદાવલિ રમતી હશે તે વિના – પેલી યક્ષકન્યાની કટીમેખલા તો જુઓ – જાણે હમણાં એની સોનેરી ઘૂઘરીનો રણકાર સંભળાશે! જુઓ ને – જાણે એના મોં પર એ રણકાર સાંભળવાનો આનંદ પણ છવાઈ રહ્યો છે…’ શાસ્ત્રીજી ચિંતનમાં હોય તેમ અચાનક અટકી ગયા.

‘આપને હીરાધરની સર્વોત્તમ કૃતિ કઈ લાગી છે?’ ફૉર્બસે પૂછ્યું.

એ સમજી ગયો હતો કે મહાજન કરતા જુદી જ રીતભાતનો માનવ તેની સામે ઉભો છે. હીરાધર વિશે વાત કરનારો મળ્યો એ જાણી એને આનંદ થયો.

‘એની સર્વોત્તમ કૃતિ?’ શાસ્ત્રીજી ભયંકર શૂન્યતાના પડઘા જેવું હસ્યા – ‘કદાચ એકાદ ભેંસની ગમાણમાં સચવાઈ રહી હશે! – હીરાધર ! એ માનવ નહીં હોય, માનવેંદ્ર વિના આવી કૃતિઓ ન બને.’

‘તમે એટલું ન કરો? આ કૃતિઓને સાચવી રાખવાનો પ્રયાસ ન કરો?’ ફૉર્બસે પૂછ્યું.

શાસ્ત્રીજી ખિન્ન હ્રદયે ફીક્કું હસ્યા – ‘મરણ પામેલી પ્રજાની હરેકેહરેક દ્રષ્ટિ હણાઈ ગઈ હોય છે. આંહી એ પથ્થર ઉપર છોકરાં થૂંકશે – તમે એને લઈ જાઓ – હીરાધરનો કોઈ સમાનધર્મી હજાર વર્ષે પણ જાગશે. તો છેવટે ત્યાંથી આંહીં યાત્રા કરવા આવશે. એ કૃતિઓને સાચવવાની કે સમજવાની એક પણ શક્તિ આ જમીનમાં હવે રહી નથી.’

ફૉર્બસ બ્રાહ્મણ સામે જોઈ રહ્યો. એના ઘણા મિત્રોએ પૂનાના પ્રસિદ્ધ નાના ફડનવીસની વાતો એને સંભળાવી હતી અને બ્રાહ્મણોની બુદ્ધિ પ્રત્યે એને આશ્ચર્ય ઉત્પન્ન થયું હતું. આજે એવા જ વર્ગનો સ્વપ્નશિલ્પી એની સામે ઉભો હતો એ જોઈ એને ઘણું આશ્ચર્ય થયું.

‘ત્યારે મારા દિલની એક વાત હું પણ કહી લઊં!’ ફૉર્બસ રહી રહીને બોલ્યો.

સોમેશ્વરના મોં પર આછું સ્મિત આવ્યું – ‘મને એ ખબર હતી! શિલ્પી હીરાધરની કૃતિઓને સમજનારો સામાન્યજન ન હોય – એટલે જ હું આવ્યો હતો કે તમારી શી વાત છે એ તો સમજું!’

અત્યાર સુધી મહાજન બાઘાની માફક ઊભું હતું – વાર્તાની એક પણ કડી સમજ્યા વગર – તેમને પણ આશ્ચર્ય થયું, તેમાંના અગ્રણીએ કહ્યું – ‘સાહેબ, અમારે પણ પૂછવું છે – તમે આ મૂર્તિઓને લઈ જઈને શું કરશો? એને ક્યાં રાખશો?’

ફૉર્બસે એક અર્થવાહી દ્રષ્ટિ સોમેશ્વર તરફ ફેંકી. સોમેશ્વર પણ જાણે એ જ જાણવા ઉત્સુક હતો એમ જણાયું.

ફોર્બસે જવાબ વાળ્યો –

‘મારો દેશ અત્યંત રમણીય છે. એના લીલાછમ ડુંગરાની હારમાળામાં મારું નાનું સરખું ગામ જાણે નીલમના હારમાં માણેક જડ્યું હોય એવું આવી રહ્યું છે. એ ગામમાં ડુંગર ઉપર અષ્ટાકોણૃતિ બંધાવી એમાં આ મૂર્તિઓ આઠ ખૂણે પધરાવીશ – હીરાદ્વારની કોતરણીના નમૂનાઓ સૌંદર્યખચિત ઈલિયડની કૃતિ જેવા – ત્યાં શોભી રહેશે. પાસેના ઝાડની ઘટા આવી હશે અને તમારા ડભોઈમાં મંદ પવનથી કમળનો પરિમલ ફેલાય છે તેમ ત્યાં આવેલ તળાવમાં પણ કમળની નાજુક પાંખડીઓ ચાલી રહેશે. મારી વૃદ્ધાવસ્થા એવા શાંત રમણીય સુમ્દર સ્થળમાં ગાળવાને અને જ્યાં મારી જુવાની પસાર થઈ રહી છે એ સ્થળની અનુપમ લાવણ્યવતી કૃતિઓ વચ્ચે મારા થાકેલા જીવનને સમાધિનો આનંદ આપવાને – આ કૃતિઓ હું લઈ જાઊં છું. મારા દેશબાંધવો એ જોઈને નવાઈ પામશે, સુંદરીઓ એ જોશે અને દિવસો સુધી ભૂલશે નહીં – હું એટલા માટે મારા આ સ્થળનાં સંસ્મરણોની પવિત્ર યાદી તરીકે એમને લઈ જાઊં છું’… ફૉર્બસ વધારે બોલી શક્યો નહીં. એની નજર સ્ટાનમોરનો ડુંગર નિહાળી રહી હતી.

સોમેશ્વરના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. પોતે હીરાધર શિલ્પીને સમજવા – અનેક સલાટોને સમજાવવા નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો – તે સમજણ એક સહ્રદયી પરદેશીને મળી હતી. તે ફૉર્બસ સામે આનંદથી જોઈ રહ્યો.

‘બસ, આટલું જાણવા જ હું આવ્યો હતો. તમારો આત્મા કલાધર હીરાધરને જોઈ શક્યો છે. હું પણ હવે આ સ્થળનો બેચાર દિવસનો મહેમાન છું.’

‘કેમ એમ?’

‘સહ્યાદ્રિની પર્વતમાળા મને બોલાવી રહી છે. કોઈ સલાટ – શિલ્પી મળી જાય તો હીરાધરનો જીવનસંદેશ સાચવવા માટે એને કહેવાનું છે. પ્રજાના પ્રાણ હણાઈ ચૂક્યા છે. હવે એની પરાધીનતા એ વર્ષોનો નહીં – દિવસોનો સવાલ છે; પણ હજી જ્યાં હરિપંત ફડકે, પરશુરામ ભાઉ, શ્રીમંત નાના ફડનવીસ વિરાજે છે – જ્યાં સહ્યાદ્રીની પર્વતમાળા શોભી રહી છે – ત્યાં હું એક વખત જવા માગું છું. કદાચ શિલ્પી હીરાધરની સર્વોત્તમમાં સર્વોત્તમ કૃતિ મારી પાસે છે તે લઈને હજી જ્યાં સ્વતંત્રતા છે ત્યાં જઈને એ કોઈને બતાવી દઉં, સ્વતંત્રતા માટે મરી ફીટવાની તમન્ના ન હોય એવી કોઈ પણ પ્રજા હીરાધરનો જીવનસંદેશ નહીં જ સમજે; એટલે હું મરી જાઊં તે પહેલાં સ્વતંત્ર ગણાતી પ્રજામાં હીરાધરની એકાદ કૃતિ તો પહોંચાડી દઉં – વધુ સાચવવાની તો મારી તાકાત નથી – વખત છે ત્યાં કોઈ ને કોઈ જાણકાર મળે -‘

ધીમે પગલે શાસ્ત્રીજી ત્યાંથી ખસવા લાગ્યા. ફૉર્બસ સાદા – વૃદ્ધ – તેજસ્વી શાસ્ત્રી તરફ જોઈ રહ્યો. મહાજન તરફ પણ જોઈ રહ્યો. બંને વચ્ચેનું અંતર ચતુર અંગ્રેજ કળી ગયો.

‘કદાચ એ આજે જ પૂના જવા નીકળશે!’ ફૉર્બસે મહાજનને કહ્યું.

‘ધૂની છે, સાહેબ! વિદ્વાન છે પણ ધૂની છે!’ મહાજને જવાબ વાળ્યો.

ફૉર્બસ હીરાદ્વારની અનુપમ કૃતિઓ નીહારી રહ્યો હતો, અને દૂર દૂર ચાલ્યા જતા તેજસ્વી બ્રાહ્મણના વાંસ પર પડતું સૂર્યનું તેજ અનેક વાણીની વાણી જેવું એક સત્ય જાણે બોલી રહ્યું હતું – ‘પડે છે ત્યારે સઘળું પડે છે.’

ધૂમકેતુ

વિનિપાત એ ધૂમકેતુ રચિત સમાજની પોતાની ઐતિહાસીક ધરોહરને વેડફી નાંખવાની અને એક અજાણ્યા પરદેશીએ તેને ઓળખીને જાળવવા દાખવેલ ઈચ્છાની વાત કરતી આગવી નવલિકા છે. પણ આટલું કહ્યા પછી એ પણ ઉમેરવું છે કે એ ફક્ત આવા વિષયવસ્તુ સાથેની એક સામાન્ય ટૂંકી વાર્તા નથી, એ વિષયવસ્તુ, સંવેદન, સર્જનની રચનારીતિ કે વર્ણન કૌશલ્યની દ્રષ્ટિએ અનોખી છે અને આપણી ભાષાના સર્વેશ્રેષ્ઠ સર્જનોમાં આગવું સ્થાન ધરાવે છે.

શાળામાં પણ આ કૃતિ અમે ભણેલા એવું આછું યાદ આવે છે. ગુજરાતી શાળાકીય શિક્ષણમાં આવી અદ્વિતિય રચનાઓને સ્થાન મળ્યું છે એ ત્યારના વિદ્યાર્થીઓ માટે અનેરી આનંદની વાત હતી જે આનંદ અને માતૃભાષાનો પ્રેમ આજની ‘અંગ્રેજી જનરેશન’ને મળતો નથી. આશા છે કે તેમને હાથવગા એવા આ આંતરજાળ દ્વારા તેમને આ આનંદની અનુભૂતિનો સાક્ષાત્કાર થઈ શક્શે.


Leave a Reply to Capt. NarendraCancel reply

13 thoughts on “વિનિપાત – ધૂમકેતુ

  • ગીત અને ગુંજન

    ગુજરાતી સાહિત્યની શિરમોર સમી વાર્તાઓમાંની આ એક અદભૂત કૃતિ. હજી આજે આપણે આપણો વારસો સમજવાનું, સાચવવાનું અને એને વધુ વિસ્તારવાનું શીખ્યા નથી અને સમજ્યા નથી એનો અફસોસ. શ્રી ‘ધૂમકેતુ’ ને શત શત વંદન.

  • Dhruvkumar Dave

    આજે પહેલીવાર લાઈફમાં ડભોઈથી પસાર થયો અને 50 વર્ષ અગાઉ સ્કૂલમાં ભણેલતે વિનિપાત વાર્તા અને સોમેશ્વર શાસ્ત્રી, પડે છે ત્યારે સઘળું પડે છે,તે બધું આવી ગયું અને સર્ચ કરી આખી વાર્તા વાંચી લીધી…

  • Nagji

    ખૂબ સરસ કૃતિ છે. હું માધ્યમિક શાળા માં આ કૃતિ ને શિક્ષકે ખૂબ સરસ રીતે ભણાવી હતી મને ખુબજ વાંચવાની મજા આવે સે કારણ કે મારે મન તો ગુજરાતી ભાષા તો મારા પ્રાણ થી વધારે પ્રિય સે… કવિ લેખકો ની જે રચના ખુબજ સરસ હોય સે પ્રકૃતિ નું વર્ણન મને ખુબજ સુંદર લાગે સે…. જય જય ગરવી ગુજરાત……..

  • Chhelshankar Purohit

    મારિ બચપન થેી સહુ થેી વધુ પસન્દ નવલિકા, પચાસેક્ર્ વરસે ફરિ રસાસ્વાદ કરાવવા બદલ અભિનન્દન્

  • PRAFUL SHAH

    WONDERFUL CREATION OF SALAT HIRADHAR,AND A FOREIGNER WHO FIND INTEREST IN SUCH WONDERFUL ARTICLES AND A WELL KNOWN PANDIT WHO WAS SO CRAZY ABOUT THE RUINS AND WAS IN SEARCH OF A MAN TO HAND-OVER THESE PRECIOUS ARTICLES, AND SHRI DHUMKETU HAS WONDERFULLY CREATED AN HISTORICAL STORY,ALL THESE REFLECTS OUR ENCIENT INDIAN ART AND LOVE FOR ART,NOW WHEN WE LOST EVERY THING IS LOST..WELL DONE

  • Arun Sidhpura

    ફોર્બ્સ સાહેબ બહુ પ્રિતિ પામેલા અધિકારી હતા અને સાતમા ધોરણમા તેને લગતો એક પાઠ અમે ભણતા.

  • Ashok Vaishnav

    ગુજરાતી પ્રશિષ્ઠ સાહિત્યને આ રીતે ઇન્ટરનૅટપર પ્રસિધ્ધ કરવું તેને હું , ગુજરાતી સાહિત્ય તેમ જ ભાષાની અમૂલ્ય સેવા કહીશ.
    પછીનું પગલું છેઃ વાંચનને એક ટેવ તરીકે વિકસાવડાવવી……..!!

  • Capt. Narendra

    અદ્ભૂત! વાહ, કોઇ કલાકૃતિનું સૌંદર્ય નિહાળવા એવી જ દૃષ્ટિ જોઇએ, તેમ તેનું વર્ણન કરવા માટે એવા જ કલાકાર જોઇએ અને ધુમકેતુએ લખેલી કથામાં તેનું ભારોભાર દર્શન થાય છે. તેનો રસાસ્વાદ કરાવવા માટે આપનો હાર્દીક આભાર.

    http://www.captnarendra.blogspot.com