અમરતાનું વસિયતનામું – રોબર્ટ એન ટેસ્ટ, અનુ. ડૉ. વસંત પરીખ 11


એક દિવસ હોસ્પિટલના કોઈ પલંગમાં, દૂધ જેવી ધોળી ચાદર નીચે મારો દેહ ઢંકાયેલો હશે. એવી ક્ષણે ડોક્ટર આવી અભિપ્રાય આપશે કે મારા મગજે કામ કરવાનું નકાર્યું છે અને મારું જીવન પૂર્ણવિરામ પામ્યું છે.

આવું જ્યારે બને ત્યારે યંત્રની સહાયથી મારા શરીરમાં બનાવટી જીવન રેડશો નહીં. મારી જગ્યાને મૃતશૈયા ન લેખશો, એને જીવનશૈયા લેખજો. બીજા કોઈનું જીવન ચેતનવંતુ બને તે માટે તેને ઉપયોગમાં લેજો.

જેણે ઉઘડતું પ્રભાત નથી જોયું કે નથી નિહાળ્યું હસતા ભૂલકાનું નિર્દોષ મોઢું કે નથી નીરખ્યું નારીના નયનમાંથી નીતરતું નેહનું અમૃત એને મારી આંખ આપજો.

જેણે પોતાના હ્રદય પાસેથી પારાવાર વેદના સિવાય કશુંયે મેળવ્યું નથી એને મારું હ્રદય આરોપજો.

અકસ્માતમાં ભંગાર થયેલી મોટરગાડીમાંથી ખેંચી કઢાયેલ યુવાનને મારું રક્ત આપજો, જેથી એ પોતાના પૌત્રોને ખોળે બેસાડી ખેલાવે એટલું આયખું પામે.

દર અઠવાડિયે મશીનની મદદથી ડાયાલિસિસ કરાવી પોતાના અસ્તિત્વને ટકાવવા મથતા કોઈ વિરલાના દેહમાં મારા મૂત્રપિંડો આરોપજો. મારાં અસ્થિઓ, મારાં સ્નાયુઓ, એક એક તંતુ, અનેક જ્ઞાનતંતુ, કોઈ અપંગ બાળકને જીવનમાં ઓજસ પાથરવા આપજો.

મારા મસ્તિષ્કનો ખૂણેખૂણો ખોળી વળજો. એના કોષેકોષનો ઉપયોગ કોઈનો મૂંગો લાડકવાયો, ટહૂકતી કોયલ કે કેકારવ કરતા મયૂરના હૂબહુ ચાળા પાડી શકે કે કબીરના પદ હલકથી ગાતો થઈ શકે તે માટે આપશો. એ કોષો કોઈ બધિર બાળા વરસાદની બારી પર પડતી થપાટોનું સંગીત માણી શકે તે માટે વાપરજો.

બાકીનું શેષ બાળજો, પછી રાખ પવને ઉડાડજો. એ નવાં ફૂલ ખીલવશે. અને કંઈ દાટવાનો અભરખો જ હોય તો મારા દુર્ગુણો, દુર્બળતાઓ, મારી મર્યાદાઓ અને મનુષ્ય સામેના પૂર્વગ્રહો દાટજો. મારા પાપો સેતાન ખાતે અને મારો આત્મા પ્રભુને નામે જમા કરજો.

કદાચ મને યાદ કરવા માંગતા હો તો કોઈ રોતી આંખના આંસુ લૂછીને, કોઈ સૂરદાસને સરિયામ રસ્તે હાથ આપીને, કોઈના ઘાને લાગણીસભર શબ્દોથી રૂઝવીને મને યાદ કરજો.

મેં આ અપેક્ષ્યું છે તે પ્રમાણે જો તમે કરશો તો બધાના દેહે વ્યાપી હું ખરેખર અમર રહેવાનો છું.

– રોબર્ટ એન. ટેસ્ટ, ભાવાનુવાદ ડૉ. વસંત પરીખ

એક આદર્શ વસિયતનામું કેવું હોય? એમાં મને જે ઉપયોગી મળ્યું છે, જે શ્રેષ્ઠ મળ્યું છે, તેની જરૂરતમંદોને વહેંચણીની વાત હોય, એમાં ‘મારું છે’ તેમાં ભાગ પાડવાની નહીં, જે ‘મને મળ્યું છે’ તેને યોગ્ય પાત્રને અર્પવાની વાત હોય. મૃત્યુ એટલે તો ‘હું’પણાથી મુક્તિ, તો એ મુક્તિ વખતે ‘મારું’ મટીને સઘળું વિશ્વમય થઈ જાય એવી સરસ વાત અહીઁ ડૉ. વસંતભાઈ પરીખે ભાવાનુવાદ દ્વારા સમજાવી છે. નેત્રદાન અને શરીરદાનના આ સમયમાં પ્રસ્તુત વસિયતનામું એથી પણ એક કદમ આગળ જઈને પોતાની વાત કહે છે.

અને ઘણાં દિવસથી જે મૂકી શક્તો નહોતો તે હવે ફરી એક વખત…

બિલિપત્ર

अनायासेन मरणं विना दैन्येन जीवनम्
द्वयं मे भवतात शंभो
त्वत्पादांभोजसेवनात्

અર્થાત હે પ્રભુ, તારી ભક્તિથી નિર્મળ બનેલા એવા મારો
શ્રમ પછી થાકેલાને ઉંઘ આવે એ રીતે વગર રિબાયે દેહત્યાગ થાઓ
અને તારા ચરણકમળની સેવાના ફળ રૂપે મારા જીવનને દીનતા ન સ્પર્શો
આ બે જ વાનાં માગું છું.


Leave a Reply to Harshad DaveCancel reply

11 thoughts on “અમરતાનું વસિયતનામું – રોબર્ટ એન ટેસ્ટ, અનુ. ડૉ. વસંત પરીખ

  • PRAFUL SHAH

    SOORY, I HAVE COMMENTED ON THIS ARTICLE, IN DETAILS ON MY FACEBOOK.,request to visit face book too. I AS A HON-SECRETARY OF OUR INDIAN RED CROSS SOCIETY AT PETLAD BRANCH PETLAD, for more than 20 yrs. WE WERE RUNNING BLOOD BANK AND STARTED EYE DONATION ACTIVITY AND SWAMI SHREE SADCHIDANANDJI HAS HELPED US IN MAKING START OF THIS MANGAL ACTIVITY AND PAID RS.5000/ TO START WITH. And all PRESENT in the hall have signed their wills and are all on record. we also started DEH-DAN (BODY DONATION) and also collected wills , myself ,wife and all family members have executed wills for eyes as well body, beside blood bank activvities and won three time shield for Blood Donations from Gujarat State. This is very needy and noble act without any financial cost,to you..,so do it now is my appeal to you all God bless you

  • Harshad Dave

    વસિયતનામું મરણશૈય્યાએ પડેલા માનવી જ કરે એ મનમાં ઘર કરી ગયેલી વાત ઉપર જનોઈવઢ ઘા કરી એક પ્રેરક ભાવનાની અભિવ્યક્તિ આત્મસ્થ કરવા જેવી છે…હરકોઈએ ..હૃદયસ્પર્શી છે. ટાગોરે એક કાવ્યમાં કહ્યું છે કે જયારે મરણ તમારે દ્વારે આવીને ઊભું રહેશે ત્યારે તમે શું તેણે ધન આપશો?…જવાબમાં કહે છે કે નહિ, હું તેણે મારો સમૃદ્ધ પ્રાણ આપીશ. (મરણ જે દિન દિનેર શેશે આસબે તોમાર દુયારે…શે દિન તુમી કિ ધન ડીબે ઉહારે?)…આ કાવ્ય પણ ખરેખર વિચારતા કરી મૂકે છે. પ્રસ્તુત વસિયતનામું હકીકતમાં અનુકરણીય છે. …હર્ષદ દવે.