If you call me – સરોજીની નાયડુ, અનુ. મકરન્દ દવે 2


If you call me, I will come,
Swifter, O my love,
Than a trembling forest dear
Or a panting dove.

Swifter than a snake that flies
To the charmer’s I will come
If you call me I will come,
Fearless what Befall.

If you call me, I will come
Swifter than desire,
Swifter than the lightening’s feet
Shod with plumes of pire.

Life’s dark tides may roll between
Or Death’s deep chasms divide,
If you call me, I will come,
Fearless what betide.

– Sarojini Naidu

પ્રીતમ તારો પુકાર સુણી મારું
હાય, હડી કાઢે કાળજું એવું !
વાંસે રિયે ઓલી વનની મૃગલી,
કે હાંફતું પાછળ ક્યાંય પારેવું.

કોઈ મદારીની મોરલી ઉપર
જાય સરી જેમ સાપનો રેલો
સાદ કરે તું, તો સાજન આવું હું,
સાવ ઘોળ્યો કરી જીવડો ઘેલો.

પ્રીતમ, મુને પુકાર તો આવું હું,
ઝંખનાથી ઔર ઝૂરતી કાયે,
અગનપિચ્છ ઉછાળતી આતુર
વીજ થકી પણ વેગના પાયે.

જિંદગીના ઘનઘોર મોજાં હો કે,
મોતની ઉંડેરી ખાઈ વચાળે,
પ્રીતમ તારે પુકાર હું આવીશ,
આવીશ, છો ગળે હાડ હિમાળે.

– (અનુવાદ) મકરન્દ દવે

ફેબ્રુઆરી ૩, ૧૮૭૯માં ડો. અઘોરનાથ ચટોપાધ્યાયને ત્યાં જન્મેલા પુત્રી, બાર વર્ષની ઉંમરે મદ્રાસ યુનિવર્સિટીમાંથી મેટ્રિકમાં પ્રથમ સ્થાન સાથે ઉત્તીર્ણ થનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીની, એ બંધીયાર સમયમાં ફક્ત ૧૪ વર્ષની ઉંમરે પોતાનાથી ૧૦ વર્ષ મોટા અને વિધુર ડૉ. ગોવિંદુરાજુલુ નાયડુ સાથે પ્રેમમાં પડનાર અને જાતિભેદને લીધે આ લગ્ન અટકાવવા જેમને માતાપિતા દ્વારા ઈંગ્લેંડ મોકલી દેવાયેલા તેવા સરોજીની ચટોપાધ્યાય અને પછીથી શ્રીમતિ સરોજીની નાયડુ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળના અગ્રગણ્ય ભાગ હતાં અને ગાંધીજીની સાથે ચળવળમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. જો કે આપણે વાત કરવી છે તેમની અંગ્રેજી કાવ્યરચનાઓની. ૧૮૯૫ થી ૧૮૯૮ દરમ્યાનના તેમના ઈંગ્લેંડ નિવાસ દરમ્યાન તેઓ લંડનની કિંગ્સ કોલેજમાં ભણ્યા. અહીં તેમનો પરિચય અને સંપર્ક અંગ્રેજ કવિ આર્થર સિમન્સ સાથે થયો, જે તેમના ભારત આવ્યા બાદ પણ પત્રરૂપે ચાલુ રહ્યો.

સરોજીની નાયડુના કાવ્યોના પુસ્તકોમાં ૧૯૦૫માં પ્રસિદ્ધ થયેલ “ધ ગોલ્ડન થ્રેશોલ્ડ”, “ધ બર્ડ ઓફ ટાઈમ” અને “ધ બ્રોકન વિંગ” મુખ્ય છે. “ફિસ્ટ ઓફ યૂથ”, “મેજિક ટ્રી” અને ધ વિઝાર્ડ માસ્ક” ૧૯૧૮ સુધીમાં પ્રકાશિત થયેલા તેમના અન્ય સંગ્રહો છે. ૧૯૧૬ પછી તેમણે સક્રિયપણે ગાંધીજી સાથે સ્વતંત્રતાની ચળવળમાં ઝૂકાવ્યું અને સ્વતંત્રતા બાદ તેઓ ઉતરપ્રદેશના રાજ્યપાલ બન્યા. ઉપરોક્ત કાવ્ય તેમના કાવ્યસંગ્રહ “ધ બ્રોકન વિંગ” માંથી લેવામાં આવેલું છે. આ પુસ્તક અહીં ક્લિક કરીને (સંદર્ભ આર્કાઈવ્ઝ.કોમ) તદ્દન મફત ડાઊનલોડ કરી શકાય છે.

કેટલાક સંસ્કૃત, બંગાળી, પંજાબી અને અંગ્રેજી સ્તવનો અને કાવ્યોના શ્રી મકરંદ દવે દ્વારા કરાયેલા પદ્યાનુવાદોનું ચયન શ્રી હિમાંશી શેલત દ્વારા “પ્રતિરૂપ” એ નામે પુસ્તક સ્વરૂપે ૧૯૯૫માં પ્રસિદ્ધ કરાયું છે તેમાંથી ઉપરોક્ત અનુવાદ અહીં સાભાર લીધો છે. પ્રિયતમના ફક્ત એક જ ઈશારે, ફક્ત એક પોકાર પર ઓળઘોળ થવા, દોડીને આવવા તત્પર પ્રેમિકાનું પ્રાથમિક શબ્દચિત્ર અહીં દેખાય, પણ અંતિમ ચાર કડીઓમાં એ કાવ્ય પ્રિયતમથી ક્યાંય આગળ વધીને વિશ્વસમ્રાટ ઈશ્વર સુધી પહોંચતું હોવાની અનુભૂતિ થાય જ.


2 thoughts on “If you call me – સરોજીની નાયડુ, અનુ. મકરન્દ દવે

  • PUSHPAKANT TALATI

    ઘણી જ ઉત્તમ તેમજ ષ્પષ્ટ રીતે લખાયેલી આ કાવ્ય રચના મને બહુજ પસંદ પડી છે.
    શ્રીમતિ સરોજીની નયડૂ ની આ પ્રકારની PERSONALITY થી હું તો સાવ અજાણ જ હતો. કાવ્યમાં વર્ણવેલ EMPTION ખરેખર જ અદ્વીતિય અને સરસ લાગ્યું.

    જો કે TRANSLATION પણ ઉત્તમ થયેલું છે. કોઈ પણ રચના નો અનુવાદ કરવામાં ખાસ તો તે અગત્યનું હોય છે કે તેમાં “મુળ લેખકનું કાંઇ છુટવું ન જોઈએ – અને – અનુવાદકનું કાંઇ મુકવું ન જોઇએ.” – આ બન્ને નિયમો નું અહીં સરસ રીતે પાલન કરાયેલ છે.

    બન્ને અભિનંદનનાં અધિકારી હોવાથી તેઓને હાર્દિક અભિનંદન .