આવશ્યક સૂચના – જિજ્ઞેશ અધ્યારૂ 39


પ્રિય મિત્રો,

આપ સૌને માટે એક-બે સરસ સમાચાર લઈને ઉપસ્થિત થયો છું. અને એટલે જ થયું કે આ સમાચારો સાથે તેમના વિશે થોડીક વિગતે વાત થઈ જાય.

અક્ષરનાદ.કોમ છેલ્લા ચાર વર્ષથી સતત ગમતા સાહિત્યનો – મનમાં ગૂંજતા સ્વરોનો – સતત સ્પર્શતા, ક્યાંક અછડતાજ વંચાયેલા શબ્દોમાંથી ઉપજતા અનાહત નાદનો ગુલાલ કરવાના ધ્યેય સાથે સતત ચાલતી સફર છે. આનંદની વાત એ છે કે છેલ્લા થોડાક મહીનાઓમાંતો અહીં અપેક્ષાથી ક્યાંય વધારે વાચકમિત્રોનો શંભુમેળો જામે છે. વેબસાઈટના નામને સ્થૂળ રીતે લાગે વળગે છે ત્યાં સુધી અહીંથી અત્યાર સુધી ફક્ત અક્ષરનોજ નાદ, મનગમતી વાતોનું ગૂંજન લેખન-વાંચનના માધ્યમથી સાંભળવાનો યત્ન થયો છે. આજે અહીં એક નવું અને અનેરૂ પરિમાણ ઉમેરી રહ્યાં છીએ – સ્વરોનો નાદ…. હા, અક્ષરનાદ એક રીતે હવેથી આંશિક પોડકાસ્ટ – ઑડીયો પણ મૂકવા જઈ રહ્યું છે. આ કેવું હશે તેની વધુ સ્પષ્ટતા આપને એકાદ બે દિવસમાં પ્રથમ પોડકાસ્ટથી જ મળી જશે.

જો કે અન્યત્ર ઉપલબ્ધ કાંઈ પણ અહીં ફરીથી પુનરાવર્તિત કરવા કરતા કાંઈક નવું અને તે પણ કોઈક અનોખી રીતે આપવાનું અમને ગમશે. તો આપને એ વાત પણ સ્પષ્ટ કરી દેવી ઉચિત સમજું છું કે આ કોઈ ઑડીયો વેબસાઈટ નથી, એટલે અહીં પૂર્ણપણે કદી ઑડીયો આધારીત કૃતિઓ – પોસ્ટ નહીં મળે. અક્ષરનાદને ફક્ત ગુજરાતી ગીત ગઝલ માટેની ઑડીયો વેબ બનાવવાનો પણ કોઈ ધ્યેય નથી. અહીં જે પણ ઑડીયો પોસ્ટ હશે તે મૂળ કૃતિનો એક ભાગ જ હશે. ઑડીયો પોસ્ટ કેટલા સમયાંતરે આવશે – કયા વિષયોને લઈને અને કઈ રીતે આવશે એ બધાં વિશે હજુ કાંઈ સ્પષ્ટતા વિચારી નથી. કેટલાક વાચક મિત્રો અને સાથી બ્લોગર મિત્રોની સાથે થયેલ પ્રાથમિક વિચારોની આપ-લે સાથે આ પ્રયત્નની શરૂઆત થઈ રહી છે. અક્ષરનાદ પર ઈ-પુસ્તકની જેમ જ સાંભળી શકાય તેવી ઑડીયો પુસ્તકો આપવાનો વિચાર પણ આ જ પ્રયત્નનો એક ભાગ છે. આપને આવતા થોડાક દિવસોમાં આ પ્રયત્નો અક્ષરનાદ પર પ્રત્યક્ષ જોવા મળશે, જેથી આ વિષય વધુ સ્પષ્ટ થશે. આપના પ્રતિભાવો અને સૂચનો આ નવા ક્ષેત્રમાં માર્ગદર્શક બની રહેશે.

ગુજરાતી સાહિત્ય કોશમાં શ્રી વિજય પંડ્યા નોંધે છે, “ગુજરાતી સાહિત્યે સંસ્કૃત ભાષાસાહિત્યનો ગણનાપાત્ર પ્રભાવ ઝીલ્યો છે એટલું જ નહીં પણ ગુજરાતી સાહિત્યનો સંસ્કૃત ભાષાસાહિત્ય સાથેનો સંબંધ અવિચ્છેદ્ય રહ્યો છે. સ્વરૂપની બાબતમાં જો ગુજરાતી સાહિત્ય પશ્ચિમાભિમુખ રહ્યું હોય તો, અંતરતત્ત્વ કે સામગ્રીની અભિવ્યક્તિ સંસ્કૃત વાડ્મયની અસર ઝીલનારાં રહ્યાં છે. સ્વરૂપ અને અવરૂપાભિવ્યક્તિ બન્નેમાં સંસ્કૃત સાહિત્યનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ પ્રભાવ ગુજરાતી સાહિત્યમાં જણાય છે.” આજે આપણી ભૂલાઈ રહેલી દેવભાષા જાણનારા કેટલા? જે મંત્રો આપણે પ્રાર્થના દરમ્યાન એક વિધિના ભાગ રૂપે બોલીએ છીએ એમાંથી કેટલા શબ્દોના અર્થ આપણે કહી શકીએ? સંસ્કૃત – વૈજ્ઞાનિક રીતે – સૌથી વ્યવસ્થિત ભાષા છે. શાળા સમયમાં અમે સંસ્કૃત સંભાષણ શિબિર નામનો એક અઠવાડીયાનો કાર્યક્રમ કરેલો, જેમાં વારાણસીના એક ભાઈએ – સાધુએ અમારી આખી શાળાને સંસ્કૃત બોલતી કરી દીધેલી !

આટલી પૂર્વભૂમિકા પછી કહી દઊં કે …… તો બીજા સમાચાર એ છે કે “ચાલો ગઝલ શીખીએ…” શૃંખલાને સુંદર આવકાર મળ્યા બાદ હવે અક્ષરનાદ આપના માટે ટૂંક સમયમાં જ લઈને આવી રહ્યું છે, “ચાલો સંસ્કૃત શીખીએ…” શૃંખલા. આપણી પોતાની ભાષા, દેવભાષા સંસ્કૃત શીખવા માટે ગુજરાતી ભાષાના માધ્યમથી એક અનોખો પ્રયાસ. ગઝલ શીખવા વિશેની શૃંખલા કરતા આ વખતની લેખમાળા ચોક્કસ ઘણી લાંબી બની રહેવાની છે. વિષયના જાણકાર મિત્રોની મદદ અને કેટલાક આદરણીય ભાષા સાહિત્ય નિષ્ણાંત ગુરૂઓના માર્ગદર્શન હેઠળ આ આખીય શૃંખલા ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે – દર શનિવારે એક પોસ્ટ સ્વરૂપે તે મૂકવાની યોજના છે. આ શૃંખલાઓ દ્વારા અન્ય મિત્રોને આ ક્ષેત્ર વિશે માહિતી આપવી એની સાથે સાથે પોતે આ વિશે શીખવું એ હેતુ મુખ્યત્વે અનુસરવાનું ધ્યેય છે. અને આ વખતે પ્રથમ શૃંખલા કરતાં ખૂબ વધુ મહેનત કરવી પડશે તે પણ ચોક્કસ. છતાં અક્ષરનાદ તથા સાથે જોડાઈ રહેલા મિત્રો સાથે આખીય ટોળકી સજ્જ થઈ રહી છે…

શું તમે તૈયાર છો?

જિજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


આપનો પ્રતિભાવ આપો....

39 thoughts on “આવશ્યક સૂચના – જિજ્ઞેશ અધ્યારૂ