ગંગાસતીના ૫૨ ભજનો (પુસ્તક ડાઊનલોડ) 5


2. ગુરુશરણ
સદગુરુને શરણે (ભજન-2)

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઇ !
જેના બદલે નહિ વ્રતમાન રે;
ચિત્તની વરતી જેની સદાય નિરમળી,
જેને મા’રાજ થયા મે’રબાન રે… શીલવંત.
ભાઇ રે ! શત્રુ ને મિત્ર રે એકે નહિ ઉરમાં,
જેને પરમારથમાં પ્રીત રે;
મન, કર્મ, વાણીએ વચનુંમાં ચાલે ને,
રૂડી પાડે એવી રીત રે… શીલવંત. ભાઇ રે !
આઠે પો’ર મનમસ્ત થૈ રે’વે,
જેને જાગી ગયો તુરીયાનો તાર રે;
નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું ને,
સદાય ભજનનો આહાર રે….શીલવંત. ભાઇ રે !
સંગત્યું તમે જ્યારે એવાની કરશો ને,
ત્યારે ઊતરશો ભવપાર રે;
ગંગાસતી એમ બોલિયાં રે,
જેને વચનુંની સાથે વે’વાર રે … શીલવંત.

3.અભયભાવ
અધ્યાત્મપથમાં પાયા (ભજન—3, 4, 5)

ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઇ !
રહે છે હરિની જોને પાસાં
ઇરે ભક્તિ ક્યારે ઉરમાં આવે,
જ્યારે થાય સદ્ ગુરુના દાસ… ભગતી
ભાઇ રે ! અભયભાવના લક્ષણ બતાવું પાનબાઇ !
તમે સુણો એકાગ્ર ચિત્ત થઇ;
એ વારે લક્ષણ સાંભળતાં પાનબાઇ !
અભયભાવ ચિત્તમાં પ્રગટાય… ભગતી
ભાઇ રે ! સદગુરુ વચનમાં સુરતાને રાખો,
તો તો હું ને મારું મટી જાય;
નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે,
ત્યારે અભયભાવ કહેવાય…. ભગતી
ભાઇ રે ! એવા અભયભાવ વિના
ભગતિ ન આવે પાનબાઇ !
મરને કોટિ કરે ઉપાય;
ગંગાસતી એમ બોલિયાં રે,
તે વિના જીવપણું નહિ જાય… ભગતી.

સૌરાષ્ટ્રની મીરા ગંગસતીના ૫૨ ભજનોના સંગ્રહરૂપ પુસ્તકને આજે અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાઈ રહ્યું છે એ અત્યંત આનંદનો સમય છે. આ વિશે પહેલા ગંગાસતીનું અધ્યાત્મ દર્શન એ વિષય પર સંતવાણી ૨૦૧૦માં અપાયેલ શ્રી ભાણદેવજીનું વક્તવ્ય પ્રસ્તુત કર્યું હતું. તેના અનુસંધાને આ પુસ્તક ઉપયોગી નિવડશે. આ પુસ્તકના આરંભે આપેલ ગંગાસતી પરિચય શ્રી નિરંજન રાજ્યગુરૂ દ્વારા લખાયેલ છે, એ બદલ તેમનો આભાર માનીએ એટલો ઓછો પડે.

આ ઈ-પુસ્તક ડાઊનલોડ કરવા જાઓ ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગ


Leave a Reply to Rajni AgravatCancel reply

5 thoughts on “ગંગાસતીના ૫૨ ભજનો (પુસ્તક ડાઊનલોડ)

  • ડૉ. નિરંજન રાજ્યગુરુ

    ગંગાસતીનાં તમામ ભજનોનું ધ્વનિમુદ્રણ ઓડિયો MP3 સ્વરૂપે અમારી વેબ સાઈટ પર મુકાય રહ્યું છે. કોઈ પણ જિજ્ઞાસુ આ ભજનોનો મૂળ પાઠ તથા જુદા જુદા પરંપરિત ભાજનીકોના કંઠે ગવાયેલા તમામ ભજનો એના પરથી સાંભળી શકે છે અને મિત્રોને પણ share કરી શકે છે. આ સિવાય અન્ય સંતકવિઓની પ્રાચીન ભજન રચનાઓ પણ મૂળ અસલ તળપદા ઢંગ-ઢાળ-તાલમાં ધ્વનિમુદ્રણ સ્વરૂપે સાંભળી શકે છે….
    ધન્યવાદ
    ડૉ. નિરંજન રાજ્યગુરુ
    ૧૫-૦૮-૨૦૧૧

  • MANOJ KHENI

    હરિ ઓમ આરા આત્માને ભાવતુ ભોજન પીરસીને તમે મારા જેવા અનેક ,
    જૂની સ્ન્ત્વાણીના રસિકો ઉપર ઉપકાર કરીયો………આભાર…….

  • Rajni Agravat

    ઘણા સમયથી ગંગાસતીના ભજનોના શબ્દો વાંચવાની મહેચ્છા જોર કરતી હતી , ગયા અઠવાડિયે જ તમે ઉલ્લેખ કરેલ ભાણદેવજીનું પુસ્તક ગંગાસતીનું અધ્યાત્મ દર્શન લઈ આવ્યો અને ઉપરાંત હવે આ પણ…… એટલે હવે તો

    “આઠે પહોર આનંદ “