(મહમ્મદ ગઝનવી) ફ્રિક્વન્ટ રાઈડર – હરનિશ જાની 12


(“માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય, માણસામાંથી ગુજરાત નીકળતું નથી.” એમ કહેનારા હરનીશભાઈ જાની ભલે અમેરિકા વસે છે, પરંતુ તેમના સર્જનોને એવી કોઈ સરહદો બાંધી શક્તી નથી. શ્રી રતિલાલ બોરીસાગર તેમના માટે કહે છે તેમ, “સંવેદનશીલતા, સર્જકતા ઉપરાંત હાસ્ય પ્રેરવાની મૂળભૂત શક્તિ ધરાવતા ત્રિગુણમૂર્તિ સર્જક એટલે હરનીશ જાની. એમના લોહીમાં હાસ્ય ઘોળાયેલું છે, એટલે હાસ્યના ઉપલક્ષ્યમાં લોહીની તપાસ થાય તો તેમનું ગ્રૃપ H Positive નીકળે.” તેમની હાસ્યવાણી  પ્રેમાળ, સંવેદનશીલ મજાક સાથે શિષ્ટ મિષ્ટ હાસ્યરસ સતત પીરસતી એક અમેરીકન ગુજરાતીની દ્રષ્ટિ છે, અને એક ગુજરાતી અમેરીકનનો દ્રષ્ટિકોણ. આજે તેમના હાસ્યનિબંધ સંગ્રહ ‘સુશીલા’ માંથી પ્રસ્તુત રચના અહીં સાભાર લીધી છે.)

કહેવાય છે કે મહમ્મદ ગઝનવીએ સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણના સોમનાથ મંદિર પર સત્તર વાર ચડાઈઅ કરી હતી અને દરેક વખતે મંદિર તોડ્યું હતું – લુટ્યું હતું. આ ઘટનાને ધાર્મિક રીતે નહીં પણ ઐતિહાસિક રીતે તપાસીએ !

આજથી હજારા વર્ષ પહેલાં સોમનાથનું મંદિર સુવર્ણનું હશે, ભવ્ય હશે એટલે જ કદાચ આ યવને મંદિર પર વારંવાર હુમલા કર્યા.

ખરેખર સત્તર વાર હુમલા કરવા જેવું એવું તો શું હશે? જો સત્તર વાર મંદિર તોડ્યું હોય તો સત્તર ચઢાઈ વખતે ભીમદેવ અને મહમ્મદ ગઝનવીની માનસિક સ્થિતિ કેવી રહી હશે? પ્રજા પર શી અસર થઈ હશે ? પહેલી ચઢાઈથી સત્તરમી ચડાઈને ચકાસીએ !

પહેલી વાર બાણાવાળી ભીમ લડ્યો, હાર્યો. પોતે અને પોતાના સરદારની હારવા પાછળ કઈ કઈ ભૂલો થઈ હતી એ તેણે રાજ્યના લોકોને સમજાવ્યું; હવેથી ચૌલાદેવી જેવી નૃત્યાંગના સાથે સમય ગાળવા કરતાં પોતાનાં તાતાં તીર તીણાં કરશે એવું વચન આપ્યું. પૉલિટિક્સ ત્યારે પણ જીવંત હતું !

બીજી વાર પણ તે અને તેનાં માણસો ઊંઘતા ઝડપાયા. તેણે જાહેરનામું બહાર પાડ્યું કે જો તે યવન પાછો ચડી આવશે તો તેને જીવતો મારી નાંખવામાં આવશે.

નવો ફેરફાર એ કર્યો ચૌલાદેવી અને બીજી નૃત્યાંગનાઓને ભીમસેને સંતાડી દીધી. લોકોએ પત્નીને પિયર મોકલી દીધી. કદાચ એ ત્રીજી વાર ચડી આવે તો ? યવન હવે નહીં આવે તેવી ભવિષ્ય વાણી કરનારા જોષીઓ પણ અદ્રશ્ય થઈ ગયા અને યવન ત્રીજી વાર ત્રાટક્યો.

ત્રીજી વખતે ભીમદેવે લોકોને રાજ્યની ટૉપ સિક્રેટ હોમલેન્ડ સિક્યોરિટીની વાતો કહેવાનું માંડી વાળ્યું અને બ્રાન્ડ ન્યુ મંદિર બનાવવામાં આવ્યું. પહેલાંના કરતાં પણ વધુ ભવ્ય. તેમ છતાં કોઈએ તેને ‘ભીમદેવ ગાંડા’નું ઉપનામ ન આપ્યું. મહમ્મદ ગઝવીન પાછો ચડી આવ્યો અને મંદિરનું સત્યનાશ વાળ્યું. આ ચોથી વાર ના હુમલા પછી પૂજારીઓનું એક મંડળ ભીમસેન પાસે આવ્યું. મહારાજ, આપણે આ ટેમ્પલ બનાવવાનું છોડી દઈએ તો કેવું ? આપણે ટેમ્પલ બનાવીએ છીએ અને પેલો તોડી નાંખે છે.

પૂજારીઓમાંના એકે આઇડિયા લડાવ્યો, ‘મહારાજ, આપણે પાટિયાનું મંદિર બાંધીએ તો કેવું ? છો ને તોડી નાંખે.આપણે બીજે વરસે તોડવા પાછું બનાવી આપીશું. સસ્તું પડશે અને સહેલું પડશે.’ ભીમદેવે ન માન્યું અને મંદિર ફરી બનાવડાવ્યું. મહમ્મદે પાંચમી વાર મંદિર તોડ્યું.

છઠ્ઠી ચડાઈ વખતે ભીમદેવ બાણવાળી મહમ્મદની છાવણીમાં પોતે ગયા અને જણાવ્યું કે ‘જ્યારે આવતા વરસે આપ આવો તો હું પ્રભાસ પાટણમાં નહીં હોઉં. મારે મારાં ભાઈની દિકરીનાં લગ્નમાં લાટપ્રદેશમાં ભરૂચ જવાનું છે. નાવ યુ નો વેર ધ ટેમ્પલ ઈઝ – જઈને તોડી આવજો, મારી ગેરહાજરીમાં થોડાઘણા મારા સરદારો આપની સાથે યુદ્ધ કરશે. ખોટું ન લગાડતા. તમે જ્યારે આઠમી વખત આવશો તો મળીશું.’

બીજે વર્ષે ભીમદેવની ગેરહાજરીમાં ખાલી ખાલી લડાઈ થઈ. રામલીલાના ખેલમાં રામ-રાવણની લડાઈ થાય છે તેમ. મહમ્મદ ગઝનવી પણ ખાનદાન હતો. ભીમદેવની ગેરહાજરીમાં તેને લડવાની મજા ન આવી. આઠમી લડાઈ વખતે મહમ્મદે ભીમદેવને આગાઉથી સંદેશો મોકલાવ્યો હતો. હવે બન્ને વચ્ચે એકમેક માટે ખુન્નસ ઓછું થયું હતું. ભીમદેવે મહમ્મદ ગઝનવીને કહ્યું; ‘આ મારો ભાઈ ભરૂચ રહે છે, આઠ વરસમાં એક જ વાર મળ્યો; જ્યારે તમે સેંકડો જોજન દૂર રહેવા છતાં દર વર્ષે મળવાં આવો છો. યુ આર માય ન્યું ફેમિલી.’

પછી તેમણે કસુંબાપાણી કર્યા.

ભીમદેવે એમ પણ કહ્યું, ‘મહમ્મદભાઈ ભારતમાં ઘણાબધાં મંદિરો છે. ત્યાં પણ જવાનું રાખો એકાદ વાર અમને બ્રેક આપો. પોરો ખાવા દો. દ્રારકા જવાનું રાખો એ પણ સોનાની નગરી છે.’

મહમ્મદે નવમી વાર નહીં આવવાનું વચન આપ્યું. તેમ છતાં ભીમદેવને ખબર પડી કે મહમ્મદ ગઝનવી તો પ્રભાસ પાટણના પાદરે આવીને ઊભા છે.

મહમ્મદ ગઝનવીએ શરમિંદા થઈને ભીમદેવને કહ્યું, ‘માફ કરજો વચનભંગ કરવા બદલ. જવું હતું દ્રારકા, પરંતુ જુનાગઢથી બંન્ને મંદિર તરફ જતા રસ્તા ફંટાણા હતા, પણ ઘોડા એટલા તો ટેવાઈ ગયેલા….’

ભીમદેવે કહ્યું, ‘અમેય ઘોડાને સમજીએ છીએ. હવે આવ્યા જ છો તો મંદિર તોડીને જાઓ.

મહમ્મદ સત્તરવાર ગુજરાત પર ચડી આવ્યો. જો એ હકીકત હોય તો આ યુગમાં સત્તર વર્ષમાં એક દિવસની મુસાફરીનો મામલો હોવા છતાં આપણે અમેરિકાથી ભારત સત્તર વાર નથી જઈ શક્યા તો તે જમાનામાં લાખનું સૈન્ય પગપાળા હજાર માઈલ આવતાં જતાં મહિનાઓ લાગે તેમ સત્તર વાર કરવું. મન ગણગણે છે, ‘ઈઝ ઈટ સો?, ઈઝ ઈટ પોસિબલ?, ઇઝ નોટ સમથિંગ રૉંગ ?’ મન માનતું નથી, પરંતુ ઈતિહાસ ખોટો ન હોઈ શકે.

મહમ્મદે સેનાપતિને બોલાવ્યો. કહ્યું ‘ચડાઈ કરવાની તૈયારી કરો.’

સેનાપતિ કહે; ‘આ વરસે ક્યાં જઈએ છીએ?’

મહમ્મદ કહે , ‘સોમનાથ લુંટવા.’

સેનાપતિ કહે, ‘અગેઈન ? આપણા સૈનિકો ગુજરાતથી હવે કંટાળ્યા હશે. આ વખતે મથુરા જઈએ તો કેવું ?’

મહમ્મદ કહે, ‘જે લોકો ગુજરાતથી થાક્યા હોય તેમને મથુરા મોકલો અને બાકીનાને સાથે ‘ગુજરાત આવવા દો.’

સેનાપતિ થોડીવારમાં પાછો આવે છે. ‘જહાંપનાહ, સૈનિકો બધા ગુજરાત જવા રાજી છે, કારણકે ત્યાં બહુ મોટી લડાઈ નહીં થાય તેની ગેરેંટી છે. ઘણાને પોતાની પત્નીઓ માટે, માશુકાઓ માટે પાટણનાં પટોળાં અને વાસણોની ખરીદી કરવી છે.’

મહમ્મદનું લાખ માણસનું લશ્કર રાજસ્થાનમાંથી પસાર થાય. રાજસ્થાનનાં લોકોએ નોંધ્યું કે મુલતાનના દરેક સૈનિકે લાંબા લાંબા બ્લેન્કેટ ઓઢ્યાં છે.

‘ઓ અફઘાનભાઈ, તમારે બ્લેન્કેટ વેચવાં છે?’

અફઘાન સૈનિકોને લાગ્યું કે વેપારની સારી શક્યતા છે. હવે તો રાજસ્થાનના લોકો પણ મહમ્મદભાઈનું લશ્કર પોતાના ઘર પાસેથી કૂચ કરે તો સારું એવું ઈચ્છતા હતા.

મહમ્મદ ગઝનવીએ પ્રભાસ પાટણ પર સત્તર વાર ચડાઈ કેમ કરી એનાં કારણ તપાસીએ –

કદાચ તેમણે તેમના ફાધરને વચન આપ્યું હોય કે તમારી યોજના પ્રમાણે યુદ્ધ કરીશ અને તેમના ફાધરે ફ્રિક્વન્ટ રાઈડર યોજના બનાવી હોય.

કદાચ ઘરમાં પત્નીના ત્રાસથી બચવા માટે બહાર યુદ્ધ કરવા જવું સારું. સફળતા મળવાની શક્યતા તો ખરી!

અથવા પત્ની ખુબ જ વહાલી હોય એટલે સેંકડો માઈલથી કામ પતાવીને પત્ની પાસે થોડું સુખ ભોગવવા ઘરે આવે.

ઈતિહાસ કહે છે કે મહમ્મદ ગઝનવીએ પ્રભાસ પાટણના સોમનાથના મંદિરને તોડવા સત્તર વાર ચડાઈ કરી હતી. વાત માન્યામાં ન આવે. બની શકે કે ઇતિહાસકારો નું ગણિત કાચું હોય અને સાતના સત્તર થઈ ગયા હોય. સાત વાર સાચું હોય તો પણ મહમ્મદ અને ભીમદેવનાં મગજ તપાસવાની જરૂર છે.

મહમ્મદ અઢારમી વાર કેમ ન આવ્યો ? સત્તરમી વાર ચડાઈ કર્યા પછી તેને ખબર પડી કે શિવલિંગ સોનાનું નથી પરંતુ પથ્થર ઉપર સોનેરી રંગ કરીને આ લોકોને ઉલ્લુ બનાવે છે. જો પથ્થર જ તોડવા હોય તો ઘરઆંગણે ન તોડીએ ?

– ‘સુશીલા’ માંથી સાભાર

પુસ્તક પ્રાપ્તિની વિગત –
સુશીલા (હાસ્યરચનાઓ) : હરનીશ જાની
હર્ષ પ્રકાશન, ૪૦૩, ઓમદર્શન ફ્લેટ્સ, ૭, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, પાલડી, અમદાવાદ
પૃષ્ઠ ૧૪૮, કિંમત – ૧૦૦ રૂ.


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “(મહમ્મદ ગઝનવી) ફ્રિક્વન્ટ રાઈડર – હરનિશ જાની

  • Harnish Jani USA

    આપણને હસતાં જ કોઈએ ઘિખવ્યું નથી.વિષયમાં જે હોય તે હાસ્ય મેળવો. એમાં હિન્દુત્વની ક્યાં વાત છે. મને તો સત્તર ચડાઈની અ વાત સાચી લાગી અને સત્ત્રવાર શું થયું હશે તેની વાત છે. ત્યાં તમે લોકો હિન્દુત્વને ક્યાં વચ્ચે લાવો છો? હું હિન્દુ જ છું ને પાછો બામણ છું. પોતાના પર હસવું જોઈએ. જાડી ટુનટુન કે મુકરી પર હસાય તે હલકું હાસ્ય.
    સમય કાઢીને વાંચ્યું બદલ આભાર. આ લેખ ૨૦૦૫માં લંડનના ટીવી પર વંચાવડાવ્યો હતો. અને લોકો કહેતા કે અમે કેમ અઅવું ન વિચાર્યું?

  • Hemal Vaishnav

    હાસ્ય લેખ તો સુન્દર છે જ, પરન્તુ લોકોની અતિરેક ભરી સંવેદનશીલતા વધારે હાસ્યાસ્પદ લાગે છે.

  • MANOJ KHENI

    hasya vyanga lakhava mate aaje eva aneko vishay mali shake chhe,,, to pachhi somnath ne sha mate nishaan banavavu joie? somnath mahadev ane eno itihaas e bahu gambhir meddo chhe, ema hindutva chhe, emma dharm chhe, emma karodo loko ni shraddha samayeli chhe,ema lok bhakti chhe ane sanskrutik varso dharbayelo chhe,,,,, eni mahanta ne na gai shakiye to bhale , parantu HINDU ke MUSLIMO na naame viteli vaat no aaje avi ritno vyanga karvano kasho artha dekhato nathi. ek sarjak ni kalam ma sarjnatmakta hovi joie … evo amaro mat chhe… aa koi salah nathi… baki lekhak jane ane vanchak jane… thank you.

    • Mitul

      મહમદ ગજ્નિ ૧૭ વાર ભારત પર ચડાઈ કરી તી. ૧૭ મી વાર એ સોમનાથ પહોચ્યો…

      Ek hashya lekh tarike saras lekh chhe but itihas todi ne lakhvu thodu pasand na avyu..

  • MANOJ KHENI

    સારુ લખેલ છે, પરંતુ હાસ્ય ના નામે, જો ઇતિહાસ કે ધર્મ વિશે પુરી ખબર ન હોય,
    તો કારણ વગર અરુચિકર છેડછાડ
    ન કરવી જોઇએ. એક સારા લેખક માટે એ સારુ નથી લાગતુ… પછી તમારી મરજી…મનોજ {જીવન યાત્રી}

  • riyaz randeri

    સાત ના સત્તર થઇ ગયા……….જે સમજાય એવિ વાત …GAMU……“SO SANP JOYA “….. NA HOY …PACHAS HASE….NA HOY….PANCH HASE…NA HOY…“EEK SANP JOYO“…….HAVE VAT SAMJAAY EVI CHE…………..

  • Lata Hirani

    મજા પડી ગઇ…હરનીશભાઇની હ્યુમર ખુબ સરસ અને સચોટ હોય છે.. જાત અનુભવ છે..
    લતા હિરાણી

  • NASARULLAKHAN GHASURA

    TAME BHALE VYANG MA KAHI HOY PAN VAT MARI DRASHTI E SACHI CHHE.HU PAN EVU J MANU CHHU KE MMAHAMMAD GAZANAVI E SOMNATH PAR CHADHAI KARI TE MATE NU KARAN FAKT EK J HATU – “DHAN DAULAT” NAHI KE HINDU DWESH.AAJE PAN MANDIRO MO CHORIYO THAVANU KARAN E J CHHE.TIRUPATI BALAJI KE GANPATI VISARJAN DARMIYAN AAVTI BHET SOGADO THI KOI PAN VYAKTI CHHAK THAI JAY CHHE.

  • pragnaju

    સુશીલાના લેખક આ પ્રારણમા સારી રમુજ કરાવી
    મને આ વાત ગમે છે

    ભારત ઉપર મહંમદ ગઝનવીએ આક્રમણ કર્યુ ત્યારે તેનો વીરતાપૂર્વક સામનો કરનાર, મહારાજા હમીરદેવનો સંદેશો ભારતના તમામ રાજવીઓને પહોંચાડ સાંઢણી સવાર રબારી જ હતો.

    જૂનાગઢના વયોવૃધ્ધ ઇતિહાસકાર ડો.શંભુપ્રસાદ દેસાઈએ નોંધ્યુ છેકે વેરાવળનો એક બળવાન રબારી હમીર મુસ્લિમોના અતિશય ત્રાસની સામે ‘ ખુશરો ખાં ‘ નામ ધારણ કરી સૂબો બન્યો હતો જે પાછળથી દિલ્હીની ગાદી પર બેસી સુલતાન બન્યો હતો.

    • Jigar

      ખુશરો ખાં એ રબારી નો હતો જેનું મૂળ નામ હમીર હતું જે પાસડ થી દિલ્લી ની ગાદી એ બેઠો હતો