સ્વજનની વિદાય વેળાએ – કુન્દનિકા કાપડિઆ 6


મારા પત્નિ અને અક્ષરનાદના સંપાદનમાં મદદગાર પ્રતિભા અધ્યારૂના પપ્પાના મૃત્યુ વખતે વાપીના શ્રી ગોપાલભાઈ પારેખે આ સંદેશ મોકલ્યો હતો, ટેલીફોન પર લાઈવ સંભળાવેલો અને પછી ઈ-મેલ મારફત મળેલ. એ દિવસ અને સમય મને હજુ પણ તાજા દૂઝતા ઘા જેવો યાદ છે. પરિવારને પડેલી ખોટ તો પૂરી શકાતી નથી, પરંતુ આવા સ્વજનોની મદદ અને સાંત્વના જ ખરો સહારો અપાવે છે, હિંમત બંધાવે છે. એ પ્રાર્થના આજે અત્રે પ્રસ્તુત છે.

અમે મનુષ્ય છીએ ને, ભગવાન
એટલે કોઇક વાર સાવ ભાંગી પડીએ છીએ,
અમારા બધા દીવા એકીસાથે ઓલવાઇ જાય છે.
અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું હોય
સુખની સોડ તાણીને અમે નિશ્ચિંત સૂતાં હોઇએ
ત્યાં કાળની એક વજ્જર થપાટ પડે છે
અમારામાંથી એક જણને
અજાણતાં જ બોલાવી લેવામાં આવે છે
અમારી આખી સૃષ્ટિ વેરવિખેર થઇ જાય છે
પગ તળેથી ધરતી ફસકી પડે છે.
અમારું હૃદય વિષાદથી ભરાઇ રહે છે
દિવસો બધા દીર્ઘ અને સૂના બની જાય છે,
રાતો બધી નિદ્રાહીન.
આંસુભરી આંખે અમે હતાશાની ગોદમાં ઢળી પડીએ છીએ.
આ શું થયું? આ શું થઇ ગયું ?—એવી મૂઢતા
અમને ઘેરી વળે છે.

ભગવાન, તમે આ શું કર્યું? –એમ વ્યાકુળતાથી અમે
ચિત્કારી ઊઠીએ છીએ.
પણ તમારી ઇચ્છાને સમર્પણ કર્યા વિના
તમારી રીત અમે શી રીતે સમજી શકીએ ?
આ વજ્રાઘાત પાછળ તમારો કોઇ હેતુ હશે જ.
તમારી દૃષ્ટિમાં તો બધું જ સ્પષ્ટ, યોગ્ય અને હેતુસરનું હશે.
કદાચ અમે સલામતીમાં ઊંઘી ગયાં હતાં
કદાચ અમે ભૂલી ગયાં હતાં કે અમે અહીં સદાકાળ
ટકી રહેવાનાં નથી.

તમે અમને ભાન કરાવ્યું કે,
જે ફૂલ ખીલે છે તે ખરવું પણ જોઇએ.
અમારી ઊંઘની અમે આકરી કિંમત ચૂકવી છે.
હારેલાં, પરાજિત, વેદનાથી વીંધાયેલાં અમે
તમારે શરણે આવીએ છીએ.
આ ઘોર વિપદમાંથી અમને પાર ઊતરવાનું બળ આપો.
અમને સમતા અને શાંતિ આપો.
ધીરજ અને શ્રહ્ધ્દા આપો, કે
અમે હિંમતપૂર્વક જીવન જીવીએ
વ્યર્થ વિલાપમાં સમય ન વેડફીએ
શોકને હૈયે વળગાડીને ન ફરીએ;
આંસુથી અંધારા બનેલા પથ પર
અમે જ્ઞાનનો દીવો પેટાવી યાત્રા કરીએ
વ્યથાનાં વમળોમાંથી જ અમે સત્ ચિત્ આનંદનું
કેંન્દ્ર શોધી કાઢીએ;

મૃત્યુન અસૂર્ય-લોકમાંથી નીકળી અમે
શાશ્વત જીવન પર દૃષ્ટિ માંડીએ;
અને
પાર્થિવ સંબંધ્ના બધા તાર તૂટી ગયેલા લાગે,
ત્યારે એક અમૃતલોક એવો છે
જ્યાં કોઇ વિચ્છેદ નથી, કોઇ વિનાશ નથી.
એનું અમે દર્શન પામીએ, એ માટે
અમને બળ આપો
પ્રકાશ આપો
પ્રજ્ઞા આપો.

પરમ સમીપે – કુન્દનિકા કાપડિઆ

બિલિપત્ર

Like a bird singing in the rain, let grateful memories survive in time of sorrow.


Leave a Reply to RAVICancel reply

6 thoughts on “સ્વજનની વિદાય વેળાએ – કુન્દનિકા કાપડિઆ